રાહુલ ગાંધીએ પંજાબમાં કરેલી એ ભૂલ જેના કારણે કૉંગ્રેસની કારમી હાર થઈ

    • લેેખક, ઝુબૈર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 3 મિનિટ

પંજાબ વિધાનસભા ચૂંટણીનાં અત્યાર સુધીનાં વલણોમાં આમ આદમી પાર્ટીએ સત્તાધારી પાર્ટી કૉંગ્રેસનો સફાયો કરી નાખ્યો છે.

ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા અને બે વાર લોકસભાના સાંસદ નવજોતસિંહ સિદ્ધુને પંજાબનાં ચૂંટણી પરિણામોમાં કૉંગ્રેસની શરમજનક હાર માટે મુખ્ય પરિબળ માનવામાં આવે છે.

આમ તો પંજાબનાં આ પરિણામો આશ્ચર્યનજક નથી, કેમ કે પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓએ અગાઉ જ કહી દીધું હતું કે પંજાબમાં કૉંગ્રેસની હાર નક્કી છે.

કૉંગ્રેસમાં 46 વર્ષ રહેલા દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય કાયદામંત્રી અશ્વિનીકુમારે ફેબ્રુઆરીના મધ્યમાં પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ એ ભવિષ્યવાણી કરી હતી કે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસની હાર થશે અને આમ આદમી પાર્ટીની જીત થશે.

અશ્વિનીકુમારે એ સમયે જે કહ્યું હતું એ જ સાત માર્ચે ઍક્ઝિટ પોલમાં પણ કહેવાયું હતું.

તો કેટલાક વિશેષજ્ઞોએ ગત વર્ષે કહ્યું હતું કે જ્યારથી પાર્ટીનું નેતૃત્વ નવજોતસિંહ સિદ્ધુ સામે ઝૂક્યું ત્યારથી રાજ્યના લોકો કૉંગ્રેસના પતનની ભવિષ્યવાણી કરતા હતા.

શું સિદ્ધુ પંજાબમાં કૉંગ્રેસના પતન માટે એકલા જવાબદાર છે?

રાજનીતિક વિશ્લેષકોએ ચેતવણી આપી હતી કે વિધાનસભા ચૂંટણી વચ્ચે પંજાબની રાજનીતિમાં કૅપ્ટન અમરિન્દરસિંહનું સ્થાન લેવું એક અણસમજું નિર્ણય હશે.

બીબીસી પંજાબી સર્વિસના ઍડિટર અતુલ સંગર કહે છે કે કૉંગ્રેસની હારનાં ઘણા કારણ છે, પરંતુ સિદ્ધુ તેનું સૌથી મોટું કારણ છે.

તેઓ કહે છે, "ક્રિકેટરથી રાજનેતા બનેલા અને બે વાર સાંસદ રહેલા સિદ્ધુ પંજાબનાં પરિણામોમાં કૉંગ્રેસની અપમાનજનક સ્થિતિ માટે મુખ્ય કારણોમાંના એક સાબિત થયા છે. જોકે તેઓ એકમાત્ર કારણ નથી."

વિશેષજ્ઞો પાર્ટીના નેતૃત્વને પણ જવાબદાર ગણે છે. બળવાખોર કૉંગ્રેસ નેતા સંજય ઝાએ પરિણામોનાં વલણ સામે આવ્યાં બાદ એક ટ્વીટમાં કહ્યું, "જી-23 (પાર્ટીના 23 અસંતુષ્ટ નેતા)ની મજાક ઉડાવાઈ. મને સસ્પેન્ડ કરી નાખ્યો. પણ અમે કૉંગ્રેસ નેતૃત્વને ચેતવણી આપી હતી. કોઈએ સાંભળી નહીં. કોઈએ પરવા ન કરી."

બીબીસી પંજાબીના ઍડિટર અતુલ સંગર આ વાત સાથે સહમત છે, તેઓ કહે છે કે કૉંગ્રેસના નેતૃત્વની આ સામૂહિક નિષ્ફળતા છે.

તેઓ કહે છે, "આ પરિણામો માટે કૉંગ્રેસ હાઈકમાનને પણ દોષ દેવામાં આવે છે. આપણે કહી શકીએ કે સિદ્ધુ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની સાથેસાથે પંજાબમાં તત્કાલીન મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિન્દરસિંહના નેતૃત્વમાં સાડા ચાર વર્ષનાં અધૂરાં વચનો અને ખરાબ પ્રદર્શન પણ આ હાર માટે જવાબદાર છે.

સિદ્ધુને આપેલી છૂટ કૉંગ્રેસને ભારે પડી?

પંજાબમાં સ્વતંત્ર રીતે શાસન કરી રહેલા કૅપ્ટન અમરિન્દર સિંહ પર લગામ લગાવવા માટે રાહુલ ગાંધી અને પ્રિયંકાએ નવજોતસિંહ સિદ્ધુને લગભગ સંપૂર્ણ છૂટ આપી દીધી હતી.

સિદ્ધુએ લગભગ એક વર્ષ સુધી પંજાબમાં વિવિધ સભાઓમાં સરકારનાં અપૂર્ણ વચનો અને ભ્રષ્ટાચાર મુદે પ્રહારો કર્યા હતા. અતુલ સંગર કહે કે સિદ્ધુએ એક યૂટ્યૂબ ચૅનલ શરૂ કરીને કૅપ્ટન અમરિન્દરસિંહ સરકારની નિંદા કરવાનું શરૂ કર્યું હતું.

તેમણે કૅપ્ટન અમરિન્દરસિંહ સરકાર સામે સત્તાવિરોધી વાતાવરણ ઊભું કર્યું. ચરણજિતસિંહ ચન્ની પંજાબના મુખ્ય મંત્રી બન્યા અને સિદ્ધુને પંજાબ કૉંગ્રેસના અધ્યક્ષ બનાવ્યા પછી પણ તેમણે કૅપ્ટન અમરિન્દરસિંહ સામે બોલવાનું ચાલુ રાખ્યું હતું.

કૉંગ્રેસ હાઈકમાને મુખ્ય મંત્રીના તરીકે દલિત ચહેરો ચરણજિતસિંહ ચન્નીને પંજાબના મુખ્ય મંત્રી બનાવીને સ્માર્ટ કાર્ડ ખેલ્યું હતું.

કૉંગ્રેસ પાર્ટી દ્વારા લોકોને વારંવાર કહેવામાં આવ્યું કે પાટી ગરીબ અને દલિતો માટે ઊભી છે. પાર્ટી એ ભૂલી ગઈ કે 'પંજાબના મુખ્ય મંત્રી શીખ હોવા જોઈએ' જેવાં નિવેદનો આપીને પોતાના પારંપરિક હિન્દુ વોટ આધાર અને છેલ્લાં 20 વર્ષમાં પાર્ટી સાથે જોડાયેલા જાટ શીખ મતદારોને અલગ કરી નાખ્યા.

અતુલ સંગર કહે છે કે કૅપ્ટન અમરિન્દરની કૅબિનેટને બદનામ કર્યા પછી કૉંગ્રેસે ચન્ની કૅબિનેટમાં તેમના મોટા ભાગના મંત્રીઓને સામેલ કર્યા એટલું જ નહીં, તેમને ચૂંટણીમાં પણ ઉતાર્યા હતાં.

શું પંજાબમાં આપના ગૂડ ગર્વનન્સ મૉડલની જીત થઈ?

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે આજે આખા દેશમાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે લોકો વિચારે છે કે જો કેજરીવાલ હશે તો ઇમાનદારીથી વેપાર, રોજગાર, શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવા મળી શકે છે.

વર્ષ 2017ની ચૂંટણીમાં પણ એ આશા રખાતી હતી કે આમ આદમી પાર્ટી પંજાબમાં જીતશે. પણ તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

જોકે પાર્ટીના નેતાઓએ હિંમત ન હારી અને એ સમયથી આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા, જેનો તેમને આજે લાભ મળ્યો છે.

બીજી તરફ આમ આદમી પાર્ટીએ લોકોને નવા મુદ્દાઓ આપ્યા, જેમાં કેજરીવાલ અને ભગવંત માનને મુખ્યત્વે સ્વાસ્થ્ય, શિક્ષણ, બેરોજગારી અને મહિલા સુવિધાઓની વાત કરી હતી.

તેમણે પોતાના અભિયાનને સુરક્ષાનો મામલો, ખાલિસ્તાનના આરોપો, પંજાબી બિનપંજાબીના આરોપોથી પ્રભાવિત ન થવા દીધું. આમ પર આ આરોપ અન્ય બધી પાર્ટીઓ લગાવતી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો