You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકા અને ઇઝરાયલે ઈરાનના કયા કયા મહત્ત્વના નેતાઓને મારી નાખ્યા અને હાલમાં સત્તામાં કોણ છે?
- લેેખક, કૈને પીરી, કોટ બોવી અને બીબીસી ન્યૂઝ પર્શિયન
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
- વાંચવાનો સમય: 10 મિનિટ
ઇઝરાયલના સંરક્ષણમંત્રી ઇઝરાયલ કાત્ઝ કહી ચૂક્યા છે કે ઇઝરાયલી સૈન્યને કોઈ પણ વરિષ્ઠ ઈરાની અધિકારીને નિશાન બનાવવાની પરવાનગી આપી દેવાઈ છે અને એ માટે તેમને કોઈ વધારાની મંજૂરી લેવાની જરૂર નથી.
આ નિવેદન એવા સમયે આવ્યું હતું જ્યારે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ એટલે કે આઇડીએફે ઈરાનના ટોચના બે સુરક્ષા અધિકારીઓ અલી લારિજાની અને ઇન્ટેલિજન્સ મિનિસ્ટર ઇસ્માઇળ ખાતિબને મારી નાખ્યા. આઇડીએફે હાલનાં અઠવાડિયાંમાં ઈરાના ઘણા ટોચના નેતાઓ અને અધિકારીઓને માર્યા છે.
કાત્ઝે કહ્યું, "વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને મેં આઇડીએફને પરવાનગી આપી છે કે તેઓ કોઈ પણ વરિષ્ઠ ઈરાની અધિકારીને ખતમ કરી શકે છે, જેના વિરુદ્ધ ગુપ્ત અને ઑપરેશન પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, અને એના માટે કોઈ વધારાની મંજૂરીની જરૂર નથી."
પરંતુ ઈરાનના પાવર સ્ટ્રક્ચરમાં આ અધિકારી કેટલા મહત્ત્વપૂર્ણ હતા અને હાલ સત્તા પર ખરેખર કોનું નિયંત્રણ છે? આવો નજર કરીએ ઈરાનના અગાઉના અને હાલના નેતૃત્વ પર.
આયતુલ્લાહ અલી ખામેનેઈ-સુપ્રીમ નેતા (મૃત)
ઈરાનના સર્વોચ્ચ નેતાની હત્યા ઘણા લોકો માટે આશ્ચર્યચકિત કરનારી હતી, ખાસ કરીને એટલા માટે કારણ કે એ 28 ફેબ્રુઆરીના રોજ થઈ, જે ઈરાન પર અમેરિકા-ઇઝરાયલ હુમલાનો પ્રથમ દિવસ હતો.
86 વર્ષીય નેતાએ ત્રણ દાયકાથી વધુ સમય સુધી શાસન કર્યું હતું. તેમણે આયતુલ્લાહ રુહોલ્લાહ ખુમૈનીની જગ્યા લીધી હતી, જેમણે 1979માં ઈરાનના ઇસ્લામિક ગણરાજ્યની સ્થાપના કરી હતી.
ખામેનેઈ અત્યંત તાકતવર પદે હતા. તેઓ રાષ્ટ્રાધ્યક્ષ અને સશસ્ત્ર દળોના કમાન્ડર-ઇન-ચીફ હતા, જેમાં વિશિષ્ટ રિવોલ્યૂશનરી ગાર્ડ્સ પણ સામેલ છે.
સંપૂર્ણપણે સરમુખત્યાર ન હોવા છતાં તેઓ સાર્વજનિક નીતિના કોઈ પણ મામલામાં વીટો કરી શકતા હતા. તેઓ સાર્વજનિક પદો માટે ઉમેદવારની જાતે પસંદગી કરી શકતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આયતુલ્લાહે પોતાની આસપાસ વિભિન્ન શક્તિ કેન્દ્રોનું જટિલ નેટવર્ક ઊભું કર્યું હતું.
સાથે જ, ઘણી વાર તેઓ ઈરાનના સુધારાવાદીઓ અને કટ્ટરપંથીઓ વચ્ચે થનારી ખેંચતાણને દૂરથી જોતા અને પોતાની જાતને રાજકારણથી લગભગ અલગ દેખાડતા હતા. પરંતુ ખામેનેઈ કદાચ જ કોઈ અસંમતિને વધવા દેતા. તેઓ પોતે સંમત ન હોય એ નીતિઓને પણ આગળ નહોતા વધવા દેતા.
મોજતબા ખામેનેઈ- હાલના સુપ્રીમ નેતા (જીવિત)
મોજતબા ખામેનેઈને 8 માર્ચ 2026ના રોજ પોતાના પિતાના ઉત્તરાધિકારી તરીકે નૉમિનેટ કરાયા હતા, જોકે, તેઓ જાહેરમાં નથી જોવા મળ્યા, ના એના બાદથી તેમનો કોઈ વીડિયો કે તસવીર સામે આવ્યાં છે.
અમેરિકન સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે દાવો કર્યો હતો કે નવા સર્વોચ્ચ નેતા 'ઈજાગ્રસ્ત કે કદાચ પંગુ' થઈ ગયા હતા, જોકે, તેમણે પોતાના આ દાવાના પક્ષમાં કોઈ પુરાવ નહોતા આપ્યા. 28 ફેબ્રુઆરીના રોજ તહેરાન પર થયેલા હુમલામાં મોજતબાનાં માતાપિતા અને ભાઈનાં મૃત્યુ થયાં હતાં.
12 માર્ચના રોજ સર્વોચ્ચ નેતા સ્વરૂપે તેમના પ્રથમ સંબોધનને સરકારી ટીવી પર તેમના નિવેદન તરીકે વાંચવામાં આવ્યું.
નિવેદનમાં મોજતબા ખામેનેઈએ હોર્મુઝની સામુદ્રધુની બંધ કરવાના શપથ લીધા અને કહ્યું કે કોઈ પણ વિદેશી જહાજને ત્યાંથી નહીં પસાર થવા દેવાય.
હોર્મુઝની સામુદ્રધુની બંધ થવાથી વિશ્વના લગભગ 20 ટકા ક્રૂડઑઇલના પુરવઠા પર અસર પડી છે. તેમણે એવું પણ કહ્યું કે તેમની સરકાર યુદ્ધમાં મૃત્યુ પામેલા નાગરિકોનાો 'લોહીનો બદલો લેવાથી પાછી નહીં હઠે.'
20 માર્ચના રોજ સરકારી ટીવી પર ફારસી નવ વર્ષ નવરોજ માટે તેમનો વધુ એક લેખિત સંદેશો વાંચવામાં આવ્યો. એ તેમના પિતાના નવરોઝ સંદેશ કરતાં સાવ અલગ હતો, જેઓ પરંપરાગત રીતે કૅમેરા સામે આવીને સંદેશ આપતા હતા.
અલી લારિજાની- સુપ્રીમ નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલ સેક્રેટરી (મૃત)
68 વર્ષીય અલી લારિજાની 17 માર્ચ 2026ના રોજ તહેરાન પારદિસ વિસ્તારમાં અમેરિકા-ઇઝરાયલના હુમલામાં માર્યા ગયા હતા.
આ હુમલામાં તેમના દીકરા અને એક અધિકારીનું મૃત્યુ થયું હતું. ખામેનેઈ બાદ લારિજાની હુમલામાં માર્યા ગયેલા સૌથી વરિષ્ઠ ઈરાની અધિકારી હતા.
રિવોલ્યૂશનરી ગાર્ડ્સ કમાન્ડર પદે રહી ચૂકેલા લારિજાનીએ ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાન બ્રૉડકાસ્ટિંગના પ્રમુખ તરીકે પોતાની ઓળખ બનાવી. તેમણે આ પદ દાયકાઓ સુધી સંભાળ્યું, એ બાદ 2004માં તેઓ ખામેનેઈના સુરક્ષા સલાહકાર બન્યા હતા.
લારિજાનીએ 2005-07 દરમિયાન પશ્ચિમના દેશો સાથે ઈરાનના મુખ્ય પરમાણુ વાટાઘાટકર્તા તરીકે કામ કર્યું, પરંતુ તત્કાલીન રાષ્ટ્રપતિ મહમૂદ અહમદીનેજાદ સાથે મતભેદ બાદ તેમને આ પદ પરથી હઠાવી દેવાયા હતા. તેઓ 12 વર્ષ સુધી ઈરાની સંસદના સ્પીકર રહ્યા, આ પદ પર કોઈ પણ વ્યક્તિનો આ સૌથી લાંબો કાર્યકાળ છે.
લારિજાનીએ સુપ્રીમ નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલમાં ખામેનેઈનું પ્રતિનિધિત્વ પણ કર્યું અને એવું મનાય છે કે ડિસેમ્બર 2025 અને જાન્યુઆરી 2026માં સમગ્ર ઈરાનમાં થયેલાં વિરોધપ્રદર્શનો પર સુરક્ષા દળો દ્વારા કરાયેલું અભૂતપૂર્વ દમન તેમની દેખરેખમાં જ થયું હતું.
માનવાધિકાર કાર્યકર્તાઓ અનુસાર, આ દરમિયાન ઓછામાં ઓછા 6,508 પ્રદર્શનકારી મૃત્યુ પામ્યા અને 53 હજારની ધરપકડ કરાઈ હતી.
રિયર ઍડમિરલ અલી શમખાની - ઈરાની સંરક્ષણ પરિષદના સચિવ (મૃત)
અલી શમખાની, ખામેનેઈના નિકટના સલાહકાર હતા અને ઈરાનની સુરક્ષા અન પરમાણુ નીતિ નિર્ધારણમાં તેઓ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતા. તેઓ ઈરાનના એકમાત્ર રિયર ઍડમિરલ હતા. 28 ફેબ્રુઆરીના રોજ તહેરાન પર થયેલા હુમલામાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું.
તેઓ જૂન 2025માં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે થયેલા 12 દિવસીય યુદ્ધ દરમિયાન પોતાના ઘરે થયેલા એક હુમલામાં માંડ માંડ બચ્યા હતા.
1980ના દાયકામાં થયેલા ઈરાન-ઇરાક યુદ્ધ દરમિયાન શમખાની રિવોલ્યૂશનરી ગાર્ડ્સના સૌથી મહત્ત્વપૂર્ણ કમાન્ડરો પૈકી એક હતા.
ગત ચાર દાયકામાં તેમણે ઘણાં મહત્ત્વપૂર્ણ પદ સંભાળ્યાં - જેમાં ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કૉર્પ્સના મંત્રી, સંરક્ષણમંત્રી, નૌસેનાના કમાન્ડર અને સુપ્રીમ નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલના સચિવ જેવાં પદ સામેલ છે અને હાલનાં વર્ષોમાં તેમણે સાર્વજનિક વિરોધપ્રદર્શનોના દમનમાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
મેજર જનરલ પાકપોર - આઇઆરજીસીના કમાન્ડર-ઇન-ચીફ (મૃત)
ઈરાની સરકારી મીડિયાના અનુસાર, મેજર જનરલ મોહમ્મદ પાકપોર પણ 28 ફેબ્રુઆરીના રોજ તહેરાન પર થયેલા હુમલામાં મૃત્યુ પામ્યા હતા.
આઇઆરજીસીની ગ્રાઉન્ડ ફોર્સના કમાન્ડર તરીકે 16 વર્ષ સુધી સેવા આપનાર પાકપોરને તેમના પુરોગામી હુસૈન સલામીના 12 દિવસીય યુદ્ધમાં મૃત્યુ થયા બાદ કમાન્ડર-ઇન-ચીફ બનાવાયા હતા.
મસૂદ પેઝેશ્કિયાન - રાષ્ટ્રપતિ (જીવિત)
સુધારાવાદી છબિવાળા મસૂદ પેઝેશ્કિયાન 6 જુલાઈ 2024ના રોજ ઈરાનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા, તેમણે 12 ધર્મગુરુઓ અને ન્યાયવિદોવાળી ગાર્જિયન કાઉન્સિલ દ્વારા સંચાલિત તપાસપ્રક્રિયાને પાસ કરી હતી.
71 વર્ષીય પૂર્વ હાર્ટ સર્જન અને ઈરાની સાંસદ પેઝેશ્કિયાન, ઈરાનની કુખ્યાત મૉરાલિટી પોલીસના ટીકાકાર રહી ચૂક્યા છે અને તેમણે 'એકતા અને સામંજસ્ય' અને વિશ્વથી ઈરાનના 'અલગાવ'ને ખતમ કરવાનો વાયદો કરીને હલચલ મચાવી દીધી હતી.
11 માર્ચ 2026ના રોજ, પેઝેશ્કિયાને ઍક્સ પર પોસ્ટ કરતા ક્ષેત્રમાં 'શાંતિ પ્રત્યે ઈરાનની પ્રતિબદ્ધતા' અંગે ફરી વાત કરી.
પાંચ દિવસ બાદ, તેમણે અમેરિકા અને ઇઝરાયલ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સમર્થનની અપીલ કરી.
તેમણે કહ્યું, "અમે આશા કરીએ છીએ કે વૈશ્વિક સમુદાય આ હુમલાની નિંદા કરશે અને હુમલાખોરોને આંતરરાષ્ટ્રીય કાયદાનું સન્માન કરવા માટે મજબૂર બનાવશે."
મોહમ્મદ બાઘર ઘલીબાફ - ઈરાની સંસદના સ્પીકર (જીવિત)
ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બઘર ઘલીબાફે ભલે પોતાના રિવોલ્યૂશનરી ગાર્ડનો યુનિફૉર્મ ત્યાગીને સિવિલ ડ્રેસ પહેરી લીધો હોય, પરંતુ તેમનામાં સત્તાવાદી વલણ હજુ પણ જળવાયેલું છે અને તેઓ શાસનના સમર્થનમાં જાહેરમાં બોલતા રહ્યા છે.
એક પ્રશિક્ષિત પાઇલટ ઘલીબાફ ઘણા મહત્ત્વાકાંક્ષી મનાય છે અને ચાર વખત ઈરાનના રાષ્ટ્રપતિપદની ચૂંટણી લડી ચૂક્યા છે.
64 વર્ષીય ઘલીબાફ હવે યુદ્ધ પ્રયાસોનું નેતૃત્વ કરવામાં એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતા દેખાઈ રહ્યા છે.
ઈરાનના ઍનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા બાદ, તેમણે ઍક્સ પર પોસ્ટ કર્યું, "આંખના બદલે આંખનો હિસાબ લાગુ છે અને ટકરાવનો એક નવો તબક્કો શરૂ થઈ ગયો છે."
મંગળવારે 24 માર્ચ 2026ના રોજ અમેરિકા સાથે વાતચીતના સમચારો પર પ્રતિક્રિયા આપતાં, ઘલીબાફે ઍક્સ પર લખ્યું, "અમેરિકા સાથે કોઈ વાતચીત નથી થઈ અને નકલી સમાચારોનો ઉપયોગ નાણાકીય અને ઑઇલ માર્કેટને પ્રભાવિત કરવા અને એ કળણમાંથી નીકળવા માટે કરાઈ રહ્યો છે, જેમાં અમેરિકા અને ઇઝરાયલ ફસાયેલાં છે."
તેમણે લખ્યું, "ઈરાની લોકો હુમલાખોરોને સંપૂર્ણ અને એવી સજા આપવાની માગ કરે છે, જેનો તેમને પસ્તાવો થાય. જ્યાં સુધી એ લક્ષ્ય હાંસલ નથી થઈ જતું ત્યાં સુધી તમામ ઈરાની અધિકારી પોતાના સર્વોચ્ચ નેતા અને જનતા સાથે મજબૂતીથી ઊભા છે."
બ્રિગેડિયર જનરલ ઘુલામરેઝા સુલેમાની - બસીઝ કમાન્ડર (મૃત)
ઈરાની સરકારી મીડિયા અનુસાર, બસીઝ કમાન્ડર બ્રિગેડિયર જનરલ ઘુલામરેઝા સુલેમાની 17 માર્ચ 2026ના રોજ અમેરિકા-ઇઝરાયલના હુમલામાં મૃત્યુ પામ્યા.
બ્રિગેડિયર જનરલ અહમદ રેઝા રદાન- પોલીસપ્રમુખ (જીવિત)
પોલીસપ્રમુખ બ્રિગેડિયર જનરલ અહમદ રેઝા રદાન કડક સામાજિક નિયમો લાગુ કરવા અને અસંમતિને દબાવવા માટે જવાબદાર મનાય છે.
2023માં, તેમણે નૂર યોજનાની જાહેરાત કરી, જેમાં દેખરેખ કૅમેરા અને સ્માર્ટ તકનીકનો ઉપયોગ કરીને હિજાબ કાયદો તોડનારાં મહિલાઓની ઓળખ કરીને તેમને સજા અપાય છે. આ કાયદા અંતર્ગત ગાડીઓને જપ્ત કરવી અને વ્યવસાયો બંધ કરવાનાં પગલાં પણ સામેલ છે.
હાલમાં જ, રદાને સત્તાવિરોધી પ્રદર્શનો વિરુદ્ધ કઠોર વલણ અખત્યાર કર્યું અને યુદ્ધની શરૂઆતમાં પોતાનાં દળોને કહ્યું હતું કે રસ્તા પર ઊતરનારી કોઈ પણ વ્યક્તિને "દુશ્મન"ની માફક મારો જો એ વ્યક્તિને "દુશ્મનના કહેવા પર" આવું પ્રદર્શન કરે છે.
ગુલામહુસૈન મોહસેની ઇજેઈ - ઈરાનના મુખ્ય ન્યાયાધીશ (જીવિત)
આ વર્ષે જાન્યુઆરી માસમાં, કડક વલણવાળા મુખ્ય ન્યાયાધીશ ગુલામહુસૈન મોહસની ઇજેઈએ ચેતવણી આપી હતી કે યુદ્ધ પહેલાં થયેલાં પ્રદર્શનો દરમિયાન હિંસક કૃત્યોમાં દોષિત ઠરેલા લોકો વિરુદ્ધ "નરમાશ નહીં" દેખાડાય.
એસ્કંદર મોમેની - ગૃહમંત્રી (જીવિત)
ઑગસ્ટ 2024માં ગૃહમંત્રી રહેલા બ્રિગેડિયર જનરલ એસ્કંદર મોમેનીનાં મૂળ આઇઆરજીસી અને ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાનની પોલીસ કમાનમાં ઊંડાં રહ્યાં છે.
ઇસ્માઇલ કાની - આઇઆરજીસી કુદ્સ ફોર્સ કમાન્ડર (જીવિત)
ઈરાની મીડિયામાં "લેવાંતના જનરલ"ના નામે ઓળખાતા બ્રિગેડિયર જનરલ ઇસ્માઇલ કાની 2020માં આઇઆરજીસીની કુદ્સ ફોર્સના કમાન્ડર બન્યા.
2012માં, અમેરિકન ટ્રેઝરી વિભાગે તેમના પર મધ્યપૂર્વ અને આફ્રિકા, ખાસ કરીને ગામ્બિયામાં કુદ્સ ફોર્સનાં તત્ત્વોને નાણાકીય સહાય અને હથિયારોના પુરવઠાની દેખરેખ કરવાના આરોપમાં પ્રતિબંધ લાદ્યો હતો.
ઇસ્માઇલ ખાતિબ - ઇન્ટેલિજન્સ મિનિસ્ટર (મૃત)
ઇસ્માઇલ ખાતિબને વર્ષ 2021માં દિવંગત પૂર્વ રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીએ ઈરાનના સંરક્ષણમંત્રી તરીકે નિયુક્ત કરાયા હતા.
તેમણે અલી ખામેનેઈ સહિત ઘણા વરિષ્ઠ ધર્મગુરુઓની દેખરેખમાં ઇસ્લામી ન્યાયશાસ્ત્રનું શિક્ષણ મેળવ્યું હતું અને ગુપ્તચર મંત્રાલય અને ઈરાનના સર્વોચ્ચ નેતાના કાર્યાલયમાં ઘણાં વરિષ્ઠ પદો પર કામ કર્યું હતું.
18 માર્ચ 2026ના રોજ, મસૂદ પેઝેશ્કિયાને કહ્યું હતું કે ઇઝરાયલી હવાઈ હુમલામાં ખાતિબની 'કાયરતાપૂર્ણ હત્યા'એ ઈરાનને 'ઊંડા શોક'માં નાખી દીધું છે.
મેજર જનરલ અબ્દુલરહીમ મુસાવી - ઈરાની સશસ્ત્ર દળોના જનરલ સ્ટાફના પ્રમુખ (મૃત)
28 ફેબ્રુઆરીના રોજ તહેરાન પર થયેલા હુમલામાં માર્યા ગયેલા ઈરાની સશસ્ત્ર દળોના જનરલ સ્ટાફ પ્રમુખ મેજર જનરલ અબ્દુલરહીમ મુસાવીએ ગત વર્ષે 12 જૂનના રોજ 12 દિવસ સુધી ચાલેલા યુદ્ધમાં મેજર જનરલ મોહમ્મદ બાઘેરીની જગ્યા લીધી હતી.
સાદિક લારિજાની - એક્સપીડિયેન્સી કાઉન્સિલના ચૅરમૅન (જીવિત)
અલી લારિજાનીના ભાઈ સાદિક લારિજાની એક્સપીડિયેન્સી કાઉન્સિલના પ્રમુખ છે, જેઓ સંસદ અને બંધારણીય દેખરેખ સંસ્થા ગાર્જિયન કાઉન્સિલ વચ્ચે અંતિમ નિર્ણય લેનારી સંસ્થા છે.
અબ્બાસ અરાઘચી - વિદેશમંત્રી (જીવિત)
ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી અને મધ્ય પૂર્વ માટે અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકૉફ વચ્ચે વાતચીતના સમાચાર છે, પરંતુ આ વાતચીતને ખૂબ જ શરૂઆતના તબક્કાની ગણાવાઈ રહી છે.
15 માર્ચ 2026ના રોજ, વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ બીબીસીની સહયોગી ચૅનલ સીબીએસ ન્યૂઝને કહ્યું હતું કે ઈરાને ઇઝરાયલ અને અમેરિકા સાથે યુદ્ધમાં 'ક્યારેય યુદ્ધવિરામની માગ નથી કરી.'
તેમણે કહ્યું, "આ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકા દ્વારા પસંદ કરાયેલું યુદ્ધ છે અને અમે અમારું આત્મરક્ષણ ચાલુ રાખશું."
બ્રિગેડિયર જનરલ અઝીઝ નાસિરઝાદેહ - સંરક્ષણમંત્રી
સંરક્ષણમંત્રી બ્રિગેડિયર જનરલ અઝીઝ નાસિરઝાદેહ પણ 28 ફેબ્રુઆરીના રોજ તહેરાન પર થયેલા હુમલામાં મૃત્યુ પામ્યા હતા.
ઈરાનના નેતાઓને નિશાન બનાવવાથી શું હાંસલ થયું?
યુદ્ધના અમુક દિવસ બાદ અમેરિકન જૉઇન્ટ ચીફ્સ ઑફ સ્ટાફના અધ્યક્ષ ડેન કેનને કહ્યું, અમેરિકા-ઇઝરાયલની યોજના ઈરાની શાસનને 'આશ્ચર્યચકિત અને ભ્રમિત' કરવાની હતી.
જંગની શરૂઆતમાં, ઈરાનમાં સત્તાપરિવર્તન અમેરિકા અને ઇઝરાયલ બંને નેતાઓનું જાહેર કરેલું લક્ષ્ય હતું.
પોતાના ટ્રૂથ સોશિયલ પ્લૅટફૉર્મ પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનીઓને "પોતાની સરકાર સંભાળવા"નું આહ્વાન કર્યું, જેનો ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પુનુરુચ્ચાર કર્યો. 19 માર્ચના રોજ તેમણે ઈરાની લોકોને "આ તક પર ઊભા થવા" કહ્યું હતું.
પરંતુ એક એવી સંસ્કૃતિમાં જ્યાં શહીદીનું ધાર્મિક અને રાજકીય મહત્ત્વ ખૂબ મોટું છે, આ વરિષ્ઠ નેતાઓનાં મૃત્યુને પતનની જગ્યાએ સતત આગળ વધતા રહેવાની કહાણી તરીકે રજૂ કરાઈ રહ્યું છે.
જેમ કે, સરકારી ટીવી પર ભાવુક પ્રેઝેન્ટરે અલી ખામેનેઈના મૃત્યુની જાહેરાત કરતા કહ્યું કે તેઓ "શહીદીનો મીઠો અને પવિત્ર ઘૂંટડો પી ગયા."
અને બે અઠવાડિયાંથી વધુ સમય બાદ, અલી લારિજાનિના મૃત્યુનો રિપોર્ટ કરતાં સુપ્રીમ નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલે કહ્યું, "શહીદોના પવિત્ર આત્માઓએ ઈશ્વરના ધર્મનિષ્ઠ સેવક, શહીદ ડૉ. અલી લારિજાનીના પવિત્ર આત્માને ખુદમાં સમાવી લીધો."
"ઈરાન અને ઇસ્લામિક ક્રાંતિની ઉન્નતિ માટે જીવનભર સંઘર્ષ કર્યા બાદ, તેમણે અંતે પોતાની લાંબા સમયથી ચાલતી આવતી આકાંક્ષાઓને પૂરી કરી, ઈશ્વરની પોકારનો જવાબ આપ્યો અને સેવાના મોરચે શહીદીની મધુર અનુભૂતિને સન્માનપૂર્વક હાંસલ કરી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન