You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ક્રૅડિટ કાર્ડ પર વ્યાજનો દર આટલો વધારે કેમ હોય છે, ઉપયોગ કરવાની રીત સમજો
- લેેખક, યમરેન્દ્ર યારલાગડ્ડા
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 7 મિનિટ
શું ભારતમાં ક્રૅડિટ કાર્ડ પર વ્યાજના દરો વધારે છે?
ભાજપનાં સાંસદ દગ્ગુબાતી પુરંદેશ્વરીએ હાલમાં જ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને ક્રૅડિટ કાર્ડ પર વ્યાજના દરો ઓછા કરવાનો આગ્રહ કર્યો હતો.
નિર્મલા સીતારમણને સોંપવામાં આવેલા આવેદનમાં કહેવામાં આવ્યું છે, "ભારતમાં ક્રૅડિટ કાર્ડ પર ઉછીના લીધેલા રૂપિયા પર બાકી રહી ગયેલી રકમ કે દેવું કે પછી લૉન પર 24%થી 48% તથા કેટલાક કિસ્સાઓમાં 55%થી વધુ વાર્ષિક વ્યાજદરો તથા દંડ લગાવવાને કારણે સામાન્ય લોકો પર ગંભીર નાણાકીય બોજો પડી રહ્યો છે."
આ સંદર્ભમાં અમેરિકાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ અમેરિકામાં ક્રૅડિટ કાર્ડ પર વ્યાજના દરોની સીમા 10% કરી દેવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
તેની સાથે ભારતમાં પણ હવે ક્રૅડિટ કાર્ડના વ્યાજદરો પર મર્યાદા મૂકવાની માગ ઊઠી રહી છે.
પુરંદેશ્વરીનું કહેવું છે કે ભારતમાં પણ ક્રૅડિટ કાર્ડના વ્યાજના દરો તથા દંડ પર મહત્તમ સીમા નક્કી કરવાની જરૂર છે.
જોકે, બૅન્કિંગ નિષ્ણાતો આ પ્રસ્તાવ પર અલગ-અલગ મંતવ્યો ધરાવે છે.
ઍક્સિસ બૅન્કના પૂર્વ અધિકારી અને બૅન્કિંગ બાબતોના નિષ્ણાત સુરેશ બાબુએ બીબીસીને જણાવ્યું, "વ્યાજદરોને નિયંત્રિત કરવાથી ઉપભોક્તાઓને જારી કરવામાં આવેલાં ક્રૅડિટ કાર્ડની સંખ્યા પર અસર થશે. ન માત્ર વ્યાજના દરો પર પરંતુ કાર્ડો પર જારી થતી મહત્તમ રકમની સીમા પર પણ તેનું નિયંત્રણ હોવું જરૂરી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ક્રૅડિટ કાર્ડ પર વ્યાજના દરો શું છે?
ક્રૅડિટ કાર્ડ બૅન્કો કે અન્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા જારી કરવામાં આવે છે. આ કાર્ડના માધ્યમથી તમે ખરીદારી કરી શકો છો અને એક નિશ્ચિત સમયની મર્યાદામાં તમારે વગર વ્યાજે તે રકમની ભરપાઈ કરવાની હોય છે.
સામાન્ય રીતે, ક્રૅડિટ કાર્ડના બિલની ચુકવણી કરવાની સમયમર્યાદા 15થી 50 દિવસ હોય છે. આ સીમાની અંદર જો પૂર્ણ ચુકવણી કરી દેવામાં આવે, તો કોઈ વ્યાજ લાગતું નથી.
કેટલાંક કાર્ડ અલગ-અલગ પ્રકારનાં હોય છે અને તેના પ્રકારના આધારે તેના પર ચાર્જ વસૂલ થાય છે. કેટલાંક કાર્ડ ઉપયોગના આધારે આ ફી માફ કરી દેતાં હોય છે.
કેટલાક લોકો પાસે આજીવન ઉપયોગ કરવાની છૂટ આપતાં મફત ક્રૅડિટ કાર્ડ હોય છે.
ક્રૅડિટ કાર્ડની બાકી રકમની ચુકવણી નિર્ધારિત સમયમર્યાદામાં ન થાય તો વ્યાજ લાગુ પડે છે.
વાર્ષિક પ્રતિશત દર એટલે કે એપીઆર, એ વાર્ષિક વસૂલવામાં આવતો વ્યાજનો દર છે.
કેટલીક બૅન્કો માસિક હપતા કે પૂર્ણ ચુકવણી ન કરવા પર બાકી રકમ પર 24થી 40 ટકા સુધીનું વ્યાજ એટલે કે એપીઆર લે છે.
વેબસાઇટ મની કંટ્રોલનું કહેવું છે કે કેટલીક બૅન્કો અને બૅન્કિંગ સંસ્થાઓ 48થી 50 ટકા વ્યાજનો દર વસૂલે છે.
હૈદરાબાદના એલ્વિન કૉલોનીમાં રહેતા મધુસૂદન રેડ્ડીએ કહ્યું કે જો ક્રૅડિટ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે અને સમયસીમામાં રકમ ભરપાઈ નથી કરવામાં આવતી, તો તેના પર વધારે ચાર્જ વસૂલવામાં આવે છે.
તેમણે કહ્યું, "ગત વર્ષે મેં એક વખત ક્રૅડિટ કાર્ડનો ઉપયોગ કર્યો અને સમય મર્યાદામાં તેની ચુકવણી ન થઈ શકી. પછી તેમણે મારા પર 36 ટકાનો વ્યાજદર લગાવ્યો. મને ડર લાગ્યો તેથી મેં તેના બિલની ભરપાઈ કરવા માટે બીજી લોન લીધી."
ક્રૅડિટ કાર્ડ પર વ્યાજદરો કેવી રીતે નક્કી થાય છે?
ક્રૅડિટ કાર્ડ પર વ્યાજદર વાર્ષિક હોય છે જેને એપીઆર કહે છે, પરંતુ બૅન્ક વ્યાજના દરની ગણના દૈનિક આધારે કરે છે.
એપીઆરને 365 વડે ભાગો તો આ દૈનિક વ્યાજદર મળે છે.
આ દર ક્રૅડિટ કાર્ડના ઉપયોગકર્તા દ્વારા ચુકવણી ન કરવામાં આવેલી રકમ તથા દિવસોની સંખ્યા સાથે ગુણાકાર કરવામાં આવે છે.
પછી દૈનિક વ્યાજના દરોના આધારે કુલ અર્જિત વ્યાજના દરની ગણના થાય છે.
ઉદાહરણ તરીકે, માનો કે વાર્ષિક વ્યાજદર એટલે કે એપીઆર 48 ટકા છે. તો માસિક વ્યાજદર ચાર ટકા રહેશે. તેનાથી દૈનિક વ્યાજદર 0.131 ટકા રહેશે.
બૅન્કોને કેવી રીતે લાભ થાય છે?
ક્રૅડિટ કાર્ડ આપવાનો નિર્ણય બૅન્ક કરે છે. તેથી કેટલાંક કાર્ડમાં વ્યાજદરો ઓછા અને વાર્ષિક ફી વધારે હોય છે. જ્યારે અન્યમાં વ્યાજદરો વધારે અને વાર્ષિક ફી ઓછી હોય છે.
બૅન્કિંગ નિષ્ણાતોનું કહેવું છે કે બૅન્કોને ત્યારે જ ફાયદો થાય છે, જ્યારે ક્રૅડિટ કાર્ડ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી રકમ નિયત સમયસીમા દરમિયાન બૅન્કમાં ન ચૂકવવામાં આવે.
સુરેશ બાબુ કહે છે, "કાર્ડ ઉપયોગમાં લીધા બાદના 20 દિવસ, 30 દિવસ, 45 દિવસ બાદ ચુકવણી કરવાનો નિયમ છે. જો તમે આમ કરો છો તો બૅન્કને કોઈ ફાયદો નથી, કારણ કે ઉપયોગકર્તા બૅન્કને એટલું જ ચુકવણું કરે છે જેટલું તે વાપરે છે. નિયત તારીખ બાદ ચુકવણી કરવા પર વ્યાજ લાગશે."
આ જ બૅન્કનો ફાયદો છે.
ક્રૅડિટ કાર્ડ વાપરવામાં સમસ્યા ક્યાં છે?
ઉપભોક્તાઓનું કહેવું છે કે દેશમાં ક્રૅડિટ કાર્ડ પર ઉધારના રૂપિયા લેવા કે આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવા માટે કાર્ડનો ઉપયોગ કરવા પર અને નિર્ધારિત સમયસીમાની અંદર ચુકવણું નહીં કરવા પર વસૂલવામાં આવતા વ્યાજદરો વધારે હોય છે.
હૈદરાબાદના નિવાસી એન. મહેશ કહે છે, "હું તમામ બૅન્કો માટે નહીં કહું, પરંતુ જો તમે ક્રૅડિટ કાર્ડથી પૈસા કાઢો છો કે ખરીદારી કરો છો અને પૈસા પરત કરતા નથી. તો તમારા પર ભારે દંડ વસૂલવામાં આવશે."
મહેશ એક સૉફ્ટવૅર કંપનીમાં કામ કરે છે. તેઓ કહે છે, "મારી પાસે ત્રણ કાર્ડ છે. ક્યારેક પૈસા નથી હોતા તો હું ક્રૅડિટ કાર્ડનો ઉપયોગ કરું છું. એક કાર્ડમાંથી પૈસા કાઢીને બીજાનું બિલ ચૂકવું છું. જો પેમેન્ટમાં મોડું થાય, તો માનસિક તણાવ ઊભો થાય છે. એક વખત તો મને 36 ટકા વ્યાજ સાથે બિલ ચૂકવવું પડ્યું હતું."
સુરેશ બાબુનું કહેવું છે કે ક્રૅડિટ કાર્ડ માટે એક વિશેષ વ્યવસ્થા હોવી જોઈએ.
તેમણે કહ્યું કે સમસ્યા ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે ઉપભોક્તા અલગ-અલગ બૅન્કોનાં ક્રૅડિટ કાર્ડ લે છે અને નકદનો ઉપયોગ કરે છે.
તેમણે કહ્યું, "વિભિન્ન બૅન્કો મારફતે લેવામાં આવેલાં ક્રૅડિટ કાર્ડોની મહત્તમ નકદ સીમાના સંબંધમાં નિયમ હોવા જોઈએ. કેટલાક ગ્રાહકો પોતાની આવક કરતાં વધારે ક્રૅડિટ કાર્ડની રોકડ સીમા વધારી દે છે. તેના કારણે તેમને ચુકવણીમાં તકલીફ પેદા થાય છે."
અન્ય દેશોમાં ક્રૅડિટ કાર્ડ પર વ્યાજદર કેટલો છે?
ભારતમાં જ નહીં, પરંતુ અન્ય કેટલાક દેશોમાં પણ ક્રૅડિટ કાર્ડ લોન પર વ્યાજદરો અન્ય લોનની સરખામણીએ વધારે છે.
અમેરિકામાં ક્રૅડિટ કાર્ડ પર વ્યાજદર સરેરાશ 20 ટકા છે. બ્રિટનમાં એપીઆર લગભગ 24.9 ટકા છે. એસબીઆઇના સિંગાપુર ડિવિઝનના સીએફઓ ફાની શ્રીનિવાસને બીબીસીને જણાવ્યું કે સિંગાપુરમાં ક્રૅડિટ કાર્ડ પર વ્યાજદર લગભગ 28 ટકા સુધી છે.
તેમણે કહ્યું, "બૅન્ક ઉપભોક્તા પર ભરોસા કરીને ક્રૅડિટ કાર્ડ જારી કરે છે. પ્રત્યેક બૅન્કની પાસે કાર્ડ જારી કરવાના અલગ-અલગ વિભાગો હોય છે. તેમાં બૅન્કોને થનારો લાભ ઘણો ઓછો હોય છે."
"ઉપભોક્તાઓ પર ભરોસો રાખીને બૅન્ક આ કાર્ડોના માધ્યમથી 15થી 45 દિવસો સુધી વગર વ્યાજે પૈસાનો ઉપયોગ કરવાની સુવિધા આપે છે. ઉપભોક્તાઓને પણ બૅન્કોના ભરોસાને જાળવી રાખવો જોઈએ. જો આમ જ થતું રહે તો કોઈ સમસ્યા નથી, પરંતુ જ્યારે પૈસા નિર્ધારિત સમયસીમામાં ચૂકવાતા નથી, ત્યારે વ્યાજદરો એટલા જ રાખવામાં આવે છે જેથી બૅન્કોને નુકસાન ન થાય," એમ ફાની શ્રીનિવાસને સમજાવ્યું.
ફાની શ્રીનિવાસનનું એમ પણ માનવું છે કે ક્રૅડિટ કાર્ડના વ્યાજદરો પર મર્યાદા મૂકવાને કારણે કાર્ડ જારી કરવાની પ્રક્રિયા પર અસર પડશે.
આ વિશે તેમણે કહ્યું, "મહદંશે લોકો ક્રૅડિટ કાર્ડના ઉપયોગ વિશે સાવધાની રાખે છે, કારણ કે તેની સાથે ક્રૅડિટ સ્કોર જોડાયેલો છે. જો ક્રૅડિટ કાર્ડથી તમારી ચુકવણી નહીં થાય તો તમારા સીઆઇબીએલ સ્કોર પર તેની અસર પડશે. ભવિષ્યમાં લેનારી લોન પર તેની અસર પડશે. તેથી તેનો ઉપયોગ સાવધાનીથી જ થાય છે."
ક્રૅડિટ કાર્ડના વ્યાજદરો પર મર્યાદા સંભવ છે?
બૅન્ક સંસદમાં કાયદો પસાર કરીને કે આરબીઆઇના નિર્દેશો અનુસાર વ્યાજદરોમાં બદલાવ કરી શકે છે.
બૅન્કિંગ વિનિમય અધિનિયમ, 1949ની કલમ 21-એ અંતર્ગત કોઈ પણ કોર્ટ વ્યાજદરો નિર્ધારિત નથી કરી શકતી.
તે જ પ્રકારે, 'આવાઝ સંસ્થા વિરુદ્ધ ભારત સંઘ' મામલે સુપ્રીમ કોર્ટે વ્યાજદરોના સંબંધમાં મહત્ત્વપૂર્ણ આદેશો આપ્યા હતા.
મની કંટ્રોલ અનુસાર, રિઝર્વ બૅન્ક કે આ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો કે ક્રૅડિટ કાર્ડ પર વ્યાજદરો સામાન્ય જનતાને સુલભ હોય. બૅન્કિંગ વિનિયમ અધિનિયમ, 1949ની કલમ 21 અને 35-એ સાથે આરબીઆઇ અધિનિયમની કલમ 45-એલ અંતર્ગત નિર્ણય લેવામાં આવે.
મની કંટ્રોલમાં લખાયું છે કે "બૅન્કોને બજારની સ્થિતિ અનુસાર વ્યાજદરો વસૂલવાનો અધિકાર છે. જોકે, વ્યાજદરો વધારે ન હોવા જોઈએ. કોર્ટ આ મામલે કોઈ વિશેષજ્ઞ નથી, તેથી રિઝર્વ બૅન્ક પોતાની શક્તિનો પ્રયોગ કરીને એ સુનિશ્ચિત કરે કે આ દરો વાજબી સ્તરે રહે."
સુરેશ બાબુનું કહેવું છે કે બૅન્ક ક્રૅડિટ કાર્ડની વ્યાજદરો પર નિયંત્રણ લાવવા માગતી હોય તો તેઓ કાર્ડની સંખ્યા પર સીમા લગાવવા પર વિચાર કરી શકે છે. તેમનું એમ પણ કહેવું છે કે ક્રૅડિટ કાર્ડ જારી કરવું હવે પહેલાંની સરખામણીએ વધારે આકરી પ્રક્રિયા થઈ જશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન