બાંગ્લાદેશને સિરીઝમાં હરાવનાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પ્રેસ કૉન્ફરન્સમાં માત્ર એક જ પત્રકાર પહોંચ્યાં?

    • લેેખક, શારદા ઉગરા
    • પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર

તારીખ છ મેએ બાંગ્લાદેશના સિલહટમાં આશા શોભના જ્યારે અંતરરાષ્ટ્રીય મહિલા ટી-20માં ભારત માટે ડેબ્યુ કરનાર સૌથી મોટી વયનાં ક્રિકેટર બન્યાં ત્યારે તેમની ખુશી સમાતી ન હતી.

તેમણે 33 વર્ષ અને 51 દિવસની ઉંમરે આ ઉપલબ્ધિ હાંસલ કરી છે.

જયારે બાંગ્લાદેશ સાથે સમાપ્ત થયેલ સિરીઝનું પ્રસારણ કરનાર ચૅનલ શોભનાનો ઇન્ટરવ્યૂ કરી રહી હતી, ત્યારે બાજુમાં ઊભેલી ટીમ તેમની વાતો સાંભળી ખુશ થઊ રહી હતી.

પરંતુ જયારે આશા શોભના મીડિયા સાથે વાત કરવા પ્રેસ કૉન્ફરન્સ રૂમમાં પહોંચ્યાં ત્યારે ત્યાં ફક્ત એક જ પત્રકાર તેમની રાહ જોઈ રહ્યાં હતાં.

તે હતાં- અનીશા ઘોષ

અનીશા ઘોષે આ વાત તેમનાં ઍક્સ હૅન્ડલ પર પોસ્ટ લખી છે.

ભારતે આ ટી-20 સિરીઝમાં બાંગ્લાદેશને 5-0થી હરાવ્યું છે. આ તે બાંગ્લાદેશી ટીમની વાત થાય છે જેમની પાસે યુવા કૅપ્ટન છે અને ઊર્જાથી ભરેલી ટીમ છે.

ડાબા હાથનાં સ્પિનર રાધા યાદવ સિરીઝની છેલ્લી મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ રહ્યાં. સમગ્ર સિરીઝમાં 10 વિકેટ હાંસલ કરવા પર તેમને પ્લેયર ઑફ ધ સિરીઝ પણ જાહેર કરવામાં આવ્યાં.

જો ફેનકોડ સ્ટ્રીમિંગ સેવા ન હોત, તો એવું લાગત કે આ સિરીઝ જાણે થઈ ન હોય.

મીડિયા સંસ્થાનોથી આશા

આ સિરીઝ આઈપીએલ સાથેના સમય દરમિયાન થઈ રહી હોવાથી, ભારતીય મીડિયા સંસ્થાઓ આ સિરીઝને કવર કરવા માટે પત્રકારો મોકલે તેવી અપેક્ષા રાખવી અપ્રામાણિક છે.

સમગ્ર મીડિયા જગતમાં સ્પોર્ટ્સ ડેસ્ક આ સમયે બહુ ઓછા લોકો સાથે કામ કરી રહ્યાં છે. પરંતુ આ સમગ્ર મામલે બીસીસીઆઈનું વલણ સૌથી આશ્ચર્યજનક છે.

બીસીસીઆઈએ ઑનલાઇન લાઇવ કૉમેન્ટરી સિવાય કશું નથી કર્યું.

આઈપીએલની સત્તાવાર વેબસાઇટ પર પુષ્કળ સામગ્રી ઉપરાંત, બીસીસીઆઈ દ્વારા દરરોજ મીડિયાને આઈપીએલની પ્રવૃત્તિઓ યોજાઈ રહી હોય તે સ્થળે મોકલવામાં આવે છે. જેના કારણે એવું લાગે છે જાણે આઈપીએલ સંબંધિત સામગ્રીનું પૂર આવ્યું હોય.

આમાં પ્રેસ કૉન્ફરન્સની લિંક, રેફરીના નિર્ણયો અને સોશિયલ મીડિયાની પ્રવૃત્તિ સામેલ છે. પરંતુ મહિલા ટી-20 સિરીઝને લઈને સંપૂર્ણ મૌન હતું.

એક રીતે જોઈએ તો બીસીસીઆઈનું મીડિયા ગ્રૂપ મહિલા સિરીઝના સમાચારોથી દૂર હતું. ન તો તેમના દ્વારા કોઈ ઈમેલ કરવામાં આવ્યા, ન તો ઑનલાઇન પ્રેસ કૉન્ફરન્સની કોઈ લિંક હતી, કોઈ વીડિયો નહોતા, કોઈ સોશિયલ મીડિયા પોસ્ટ્સ નહોતી.

અને આ એ સિરીઝ સાથે થયું જે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે સિદ્ધિઓથી ભરપૂર રહી.

આમાં આશા શોભનાએ ઐતિહાસિક ડેબ્યૂ કર્યું, હરમનપ્રીત કૌરે તેની 300મી આંતરરાષ્ટ્રીય મૅચ અને શેફાલી વર્માએ તેની 100મી આંતરરાષ્ટ્રીય મૅચ રમી.

આ સાથે, શેફાલી અને સ્મૃતિ મંધાનાની જોડી મહિલા ટી20 ઇન્ટરનેશનલમાં ભારત માટે 2000 રનની ભાગીદારી કરનારી પ્રથમ જોડી બની.

મીડિયા મૅનેજર પણ ગાયબ

બીસીસીઆઈની સત્તાવાર વેબસાઈટ પર આંતરરાષ્ટ્રીય મહિલા પેજ પર શુક્રવારે સાંજે 7 વાગ્યા સુધી માત્ર 15 એપ્રિલના સમાચાર હતા. એ પછી કશું જ પ્રકાશિત નહોતું કરવામાં આવ્યું.

15 એપ્રિલના આ સમાચારમાં બાંગ્લાદેશ સાથેની ટી-20 સિરીઝ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાતના પણ હતા.

આ વિભાગમાં સૌથી તાજેતરનો વીડિયો 28 એપ્રિલ, 2024નો હતો, જેમાં યાસ્તિકા ભાટિયા બાંગ્લાદેશ સાથેની પ્રથમ ટી-20 મૅચ પછી વાત કરતા જોવા મળે છે.

ભારતની મહિલા ટીમ મીડિયા મૅનેજર વિના બાંગ્લાદેશ ગઈ હતી. જો કોઈ મીડિયા મૅનેજર હશે હોય તો પણ તે ગાયબ રહ્યા.

જો કોઈ ખેલને કવર કરવા રિપોર્ટર ન હોય તો મીડિયા મૅનેજરની ભૂમિકા મહત્ત્વની થઇ જાય છે. તે પ્રવાસ દરમિયાન દેશનાં મીડિયા સંસ્થાઓને માહિતી, સુવિધાઓ અને ઇન્ટરવ્યૂ વગેરે આપે છે.

હા, આજકાલ ચૂંટણી અને આઈપીએએલ બંને હોવાને કારણે અખબારોમાં વધારે જગ્યા નથી. પરંતુ, ડિજિટલ મીડિયાને અમુક સારી કહાણીઓને પ્રકાશિત કરવામાં તકલીફ થવી જોઈએ નહી, જે બીસીસીઆઈના મીડિયા વિભાગમાં કામ કરતા લોકો દ્વારા તૈયાર કરવામાં આવે છે.

પરંતુ, તેવું ત્યારે કરવામાં આવે જયારે મહિલા ક્રિકેટ ટીમને આગળ વધારવામાં, પ્રમોટ કરવામાં અને તેમની છબી પ્રેક્ષકો સામે ઊભી કરવાનો ઇરાદો હોય.

બાંગ્લાદેશથી દૂર ભારતમાં સ્થિત પત્રકારો, જેઓ આ ટી-20 સિરીઝને કવર કરવા માગતા હતા, તેઓએ તેમના સંપર્કો અને કલાનો ઉપયોગ કરીને તે જાતે કરવું પડ્યું.

તેમણે સીમા પર તેમના મિત્રો અને સહયોગીઓને ફોન કર્યો, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડનો સંપર્ક સાધ્યો અને બધું મેળવીને ખબરો લખી.

કથની અને કરણી

ગુરુવારે રાત્રે બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ મુંબઈમાં કેટલાક પત્રકારોને મળ્યા હતા.

આ સમયગાળા દરમિયાન, પત્રકારોને કોઈપણ વીડિયો અથવા ઑડિયો રેકૉર્ડ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. તેઓ માત્ર લખીને જ માહિતી નોંધી શકતા હતા.

ત્યાં હાજર પત્રકારોએ શાહને ભારતીય મહિલા ટીમને લઈને ભવિષ્યની યોજનાઓ વિશે પૂછ્યું.

તેના જવાબમાં, તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં તાજેતરમાં સમાપ્ત થયેલ પાંચ મૅચોની ટી-20 સિરીઝનું આયોજન કરવાનો હેતુ ભારતીય ટીમને ઢાકા અને સિલહટમાં 3 થી 20 ઑક્ટોબર દરમિયાન યોજાનાર આઈસીસી મહિલા ટી-20 વર્લ્ડ કપ પહેલાં ત્યાંની પરિસ્થિતિઓથી વાકેફ કરવાનો હતો.

જ્યારે આ ટુર્નામેન્ટ પાંચ મહિના પછી એટલે કે ચોમાસા પછી યોજાવાની છે.

શાહે તરત જ કહ્યું કે વિમન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ) ને અદ્ભુત પ્રતિસાદ મળ્યો છે અને માત્ર ટિકિટના વેચાણથી તેણે 5 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

શાહને મહિલા ક્રિકેટ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા પર ગર્વ છે.

સમાચાર એજેંસી પીટીઆઈ અનુસાર, શુક્રવારે શાહે કહ્યું કે, મહિલા ક્રિકેટ જોર-શોરથી ચાલી રહ્યું છે અને તેવું નથી કે તેને પુરુષોથી ઓછું ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

બીસીસીઆઈ સેક્રેટરીએ કહ્યું, 'અમે અમારું 51 ટકા ફોકસ મહિલા ક્રિકેટ પર અને 49 ટકા પુરુષોના ક્રિકેટ પર રાખ્યું છે કારણ કે અમે પુરૂષ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી રહ્યા છીએ. એટલા માટે અમે મહિલા ક્રિકેટને પ્રાથમિકતા આપી રહ્યા છીએ. અમે તેમની મૅચની ફીમાં પણ વધારો કર્યો છે જેથી કરી તે સારી આવક પણ મેળવી શકે.

મહિલા ક્રિકેટ પર 51 ટકા ધ્યાન રાખવું સારું છે પરંતુ બાંગ્લાદેશ સાથે થયેલી ટી-20 સિરીઝના મામલામાં આ વાત સાચી સાબિત થતી નથી.

બાંગ્લાદેશમાં પાંચ ટી-20 મૅચ રમવા ગયેલી ભારતની પુરુષ ટીમ સાથે જો કોઈ રિપોર્ટર ન હોત, તો એવું બન્યું ન હોત કે ત્યાંથી હેડક્વાર્ટર અને ભારતીય મીડિયાને રિપોર્ટ્સ મોકલવા માટે કોઈ મીડિયા મૅનેજરને તેમની સાથે મોકલવામાં ન આવ્યો હોત.

મૅચ ફી વધારવાનો નિર્ણય સારો લાગે છે પરંતુ તે ત્યારે જ ફાયદાકારક રહેશે જ્યારે મહિલા ક્રિકેટ માટે કૅલેન્ડર બનાવવામાં આવે અને તેમને દરેક સિઝનમાં પૂરતી મૅચ રમવા મળે.

મહિલા ક્રિકેટને 12 મહિના સુધી મદદ કરવાની વાત કરવી અને ખરેખર તેને અમલમાં મુકવામાં ઘણો તફાવત રહેલ છે.

આ ફક્ત ત્યારે ન કરવું જોઈએ જયારે હેડલાઇન્સ બને અને તેનો ફાયદો ઉઠાવવાનો હોય.