You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પત્નીની હત્યાના આરોપમાં ચાર વર્ષથી ફરાર સેનાનો પૂર્વ કૅપ્ટન સિલિન્ડર ભરાવતા પકડાયો
- લેેખક, નવજોતકોર
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 3 મિનિટ
પંજાબની ફાઝિલ્કા પોલીસે ભારતીય સેનાના પૂર્વ કૅપ્ટન સંદીપ તોમરની ધરપકડ કરી છે. પત્નીની હત્યામાં દોષિત ઠરેલો સંદીપ તોમર ચારેક વર્ષથી ફરાર હતો.
ફાઝિલ્કાના એસએસપી (સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ) ગુરમિતસિંહે બીબીસી પંજાબી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે સંદીપ તોમરે ગૅસનો સિલિન્ડર બૂક કરવા તથા અન્ય કેટલાક આર્થિકવ્યવહારો કરવા માટે પોતાના પાનકાર્ડ તથા બૅન્ક એકાઉન્ટ નંબરનો ઉપયોગ કર્યો હતો. જેના કારણે તેનું પગેરું દાબી શકાયું હતું.
એસએસપી ગુરમીતસિંહના જણાવ્યા પ્રમાણે, ભારતીય સેનાના પૂર્વ કૅપ્ટન સંદીપ તોમર સામે વર્ષ 2013માં તત્કાલીન આઇપીસીની (ઇન્ડિયન પીનલ કોડ, ભારતીય દંડ સંહિતા) કલમ 304બી હેઠળ કેસ દાખલ થયો હતો. તેની ઉપર દહેજ માટે પત્ની શ્વેતાસિંહને ત્રાસ આપવાનો તથા તેની હત્યાનો કેસ દાખલ થયો હતો.
આ ફરિયાદ સંદીપના સસરાએ નોંધાવી હતી. સંદીપે તેનાં પત્ની શ્વેતાસિંહની હત્યા કર્યા બાદ તેને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે, પોલીસ તપાસમાં સંદીપે જ તેનાં પત્નીની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું, એટલે બનાવના દિવસે જ સંદીપની ધરપકડ કરવામાં આવી હતી.
સંદીપ તોમરે પત્નીની હત્યાના કેસમાં પાંચ વર્ષ જેલમાં કાઢ્યા હતા, એ પછી વર્ષ 2019માં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે તેને જામીન ઉપર છોડ્યો હતો.
વર્ષ 2022માં ઉચ્ચ અદાલતે સંદીપને સરન્ડર કરવા કહ્યું હતું, પરંતુ તેણે એમ નહોતું કર્યું અને સરન્ડર કરવાના બદલે ત્યારથી જ ફરાર હતો.
પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, સંદીપ તોમરને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા પ્રયાસો થઈ રહ્યા હતા.
તા. 28મી માર્ચના રોજ મધ્ય પ્રદેશ પોલીસની મદદથા ફાઝિલ્કા પોલીસે સંદીપને ઝડપી લીધો હતો. સંદીપની ધરપકડ મધ્ય પ્રદેશના પાંઢુર્ળામાંથી કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું છે સમગ્ર મામલો?
સંદીપ તોમર મૂળ ઉત્તર પ્રદેશના કાનપુરનો છે તથા તેનાં મૃત પત્ની પણ ઉત્તર પ્રદેશનાં હતાં. જ્યારે આ દુર્ઘટના ઘટી, ત્યારે સંદીપ પંજાબના અબોર ખાતે 12 બિહાર રૅજિમેન્ટમાં કૅપ્ટન તરીકે તહેનાત હતો.
પોલીસની એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) પ્રમાણે, ફેબ્રુઆરી-2013માં બંનેનું લગ્ન થયું હતું અને તા. આઠમી જુલાઈ 2013ના રોજ શ્વેતાસિંહ મૃત્યુ પામ્યાં હતાં. એ પછી સંદીપના સસરાએ તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
શ્વેતાસિંહના પિતાએ દાખલ કરાવેલી ફરિયાદ પ્રમાણે, લગ્ન પછી તરત જ સંદીપ તોમર તથા તેના પરિવારે દહેજ માટે ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું, આના વિશે શ્વેતાએ તેમના માતાને પણ ફરિયાદ કરી હતી.
એસએસપી ગુરમીતસિંહે જણાવ્યું હતું કે પહેલાં તો આરોપીએ તેનાં નિવેદનો દ્વારા પત્નીએ આત્મહત્યા કરી હોવાની વાત કરી હતી, પરંતુ પોલીસ તપાસ દરમિયાન તે હત્યા હોવાનું બહાર આવ્યું હતું.
વર્ષ 2014માં સ્થાનિક અદાલતે સંદીપને દોષિત ઠેરવ્યો હતો અને આજીવન કેદની સજા ફટકારી હતી. એ પછી સંદીપને ફિરોઝપુર જેલમાં ખસેડાયો હતો તથા સેનાએ પણ તેને ફરજ પરથી હાંકી કાઢ્યો હતો.
સંદીપે લગભગ પાંચ વર્ષ જેલમાં કાઢ્યા હતા, એ પછી તેણે પોતાની સજાને પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં પડકારી હતી. વર્ષ 2019માં ઉચ્ચ અદાલતે તેને જામીન આપ્યા હતા.
એસએસપીના કહેવા પ્રમાણે, સુનાવણી બાદ વર્ષ 2022માં તેની આજીવન કેદની સજાને બહાલ રાખી હતી અને તેને આત્મસમર્પણ કરવા કહ્યું હતું. જોકે, આમ કરવાને બદલે તે ફરાર થઈ ગયો હતો.
એ પછી વર્ષ 2024માં શ્વેતાના પિતાએ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને સંદીપની ધરપકડની માગ કરી હતી.
એ પછી ફાઝિલ્કા પોલીસે એસપી અસવનંતસિંહના નેતૃત્વમાં ત્રણ સભ્યોની એસઆઈટીનું (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ગઠન કર્યું હતું અને સંદીપની તપાસ હાથ ધરી હતી.
સંદીપ કેવી રીતે ઝડપાયો?
ફાઝિલ્કાના એસએસપી ગુરમીતસિંહના કહેવા પ્રમાણે, જેલમાંથી છૂટ્યા બાદ સંદીપ તોમર ઓળખ અને ચહેરો બદલીને દેશના અલગ-અલગ ભાગમાં રહેતો હતો.
આ ગાળા દરમિયાન તેણે ઓડિશા, બૅંગ્લુરુ, મધ્ય પ્રદેશ તથા પંજાબમાં અલગ-અલગ સ્થળોએ કામ કર્યું હતું. સંદીપે આ અરસામાં બીજું લગ્ન પણ કર્યું હતું.
એસએસપી ગુરમીતસિંહના જણાવ્યા પ્રમાણે, "સંદીપની બૅન્કના આર્થિક વ્યવહારોમાં બહાર આવ્યું હતું કે થોડા દિવસ પહેલાં તેણે એક ગૅસ એજન્સીમાંથી ગૅસનું સિલિન્ડર બુક કરાવ્યું હતું."
"ગૅસ એજન્સીનો સંપર્ક કર્યો, ત્યાંથી સંદીપનું સરનામું મળ્યું હતું. આ માહિતી પાંઢુર્ળા પોલીસને આપવામાં આવી હતી, જેમણે તત્કાળ સંદીપની ધરપકડ કરી હતી."
ફાઝિલ્કા પોલીસ સંદીપ તોમરને પંજાબ લાવી હતી. જ્યાં સ્થાનિક અદાલતે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન