'મધની ઝેરી અસર' શું હોય અને નાનાં બાળકોને મધ આપીએ તો શું થાય?

    • લેેખક, મોહન
    • પદ, બીબીસી તમિલ
  • વાંચવાનો સમય: 3 મિનિટ

ગયા ડિસેમ્બરમાં શિવગંગા જિલ્લાના નીતિન બાલાસેકર નામના 4 વર્ષીય છોકરાને પેટના દુખાવાની દવા તરીકે મધ આપવામાં આવ્યું હતું. બાદમાં તે બેહોશ થઈ ગયો અને તેને શિવગંગા સરકારી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, ત્યાં તેની સારવાર કરવામાં આવી.

ત્યાર બાદ શિવગંગા સરકારી મેડિકલ કૉલેજના ડીન શ્રીનિવાસન પત્રકારોને સંબોધ્યા અને છોકરાને થયેલી ઈજા વિસ્તૃત સમજ આપી હતી.

તેમણે કહ્યું, "મધમાં ઉત્પન્ન થતો બોટ્યુલિનમ નામનો પદાર્થ ઝેર બનાવે છે, જે મગજ અને ચેતાતંત્રને પ્રભાવિત કરે છે. તેનાથી શ્વાસ લેવામાં અને રક્ત પરિભ્રમણ પર અસરો થતી હોય છે."

તેમણે આગળ કહ્યું, "છોકરાની સારવાર કૃત્રિમ શ્વાસોશ્વાસ ઉપકરણથી કરવામાં આવી હતી. તેને ઇમ્યુનોગ્લોબ્યુલિન નામની દવા આપવામાં આવી હતી."

આ ઘટનાથી બાળકોને, ખાસ કરીને શિશુઓને મધ આપી શકાય કે કેમ તે અંગે પ્રશ્ન ઊભો થાય છે.

વિવિધ અભ્યાસોથી ખ્યાલ આવે છે કે ભારત સહિત દક્ષિણ એશિયાઈ દેશોમાં જન્મ પછી તરત જ કે સ્તનપાન કરાવતા પહેલાં બાળકોને મધ આપવું એ એક સામાન્ય પ્રથા છે. યુએસ નૅશનલ લાઇબ્રૅરી ઓફ મેડિસિનની વેબસાઇટ પર પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જણાવાયું છે, સાઉદી અરેબિયા જેવા ખાડી દેશોમાં પણ બાળકોને મધ આપવાની પ્રથા પ્રચલિત છે.

તે જ રીતે, સાઉદી અરેબિયામાં રહેતી માતાઓના 2022ના ઑનલાઇન સર્વેમાં 52% લોકોએ કહ્યું કે તેમને તેમનાં બાળકોને મધ આપવાની આદત છે.

અભ્યાસ ચેતવણી આપે છે કે આનાથી આંતરડાની ગડબડથી લઈને શ્વસન સમસ્યાઓ પણ થઈ શકે છે.

જોકે ઊબકાં, ઊલટી અને ખાવામાં મુશ્કેલી આ રોગનાં મુખ્ય લક્ષણો છે, અભ્યાસમાં વધારાનાં લક્ષણોની પણ યાદી આપવામાં આવી છે. જેમ કે:

  • ચહેરાના સ્નાયુમાં સંકોચન
  • આંતરડા સંબધિત સમસ્યા (કબજિયાત)
  • મોઢાના સ્નાયુઓ ખેંચાવા
  • મગજમાં ક્ષતિ પહોંચવી
  • ખેંચ આવવી અથવા વાઈની બીમારી
  • શરીરના તાપમાનમાં ઘટાડો

નાનાં બાળકોને મધ આપવું જોઈએ કે નહીં?

અમેરિકી સેન્ટર્સ ફૉર ડિસીઝ કંટ્રોલ (સીડીસી)નું કહેવું છે, એક વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને મધ આપવાથી બોટ્યુલિઝમ નામની ગંભીર બીમારી થઈ શકે છે.

સેન્ટર જણાવે છે કે મધ સીધેસીધું ન આપવું જોઈએ, પરંતુ બાળકોને આપવામાં આવતાં ખોરાક, પાણી અને પ્રવાહીમાં મિક્સ કરીને આપવું જોઈએ.

બાળરોગ નિષ્ણાત વિદ્યા કહે છે કે બાળકો છ મહિનાના થાય ત્યાં સુધી તેમને માતાના દૂધ સિવાય બીજું કંઈ ન આપવું જોઈએ.

તેઓ કહે છે, "પાણી પણ ન આપવું જોઈએ. કેટલાક લોકો બાળકોને ખવડાવવાની ઇચ્છાથી અથવા લોકોને લાગતું હોય છે કે, માતાનું દૂધ પૂરતું નથી, તેથી દૂધ સાથે મધ આપે છે. આ જ બોટ્યુલિઝમનું કારણ બનતું હોય છે."

આનું કારણ સમજાવતા તેમણે નોંધ્યું, "નાનાં બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. તેમની પાસે ખોરાક પચાવવાની ક્ષમતા પણ ઓછી હોય છે. હૉસ્પિટલોમાં આ સ્પષ્ટ રીતે સમજાવવામાં આવે છે અને બાળકોના આહાર પર નજર પણ રાખવામાં આવે છે."

બ્રિટનની નૅશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ) કહે છે, મધમાં રહેલા ક્લોસ્ટ્રિડિયમ બોટ્યુલિનમના વિજાણુ દ્વારા ઉત્પાદિત બૅક્ટેરિયા બાળકના આંતરડામાં ઝેર ઉત્પન્ન કરી શકે છે, જે ઇન્ફન્ટ બોટ્યુલિઝમ (આઇબી) નામની ખૂબ જ ગંભીર બીમારીનું કારણ બની શકે છે.

અમેરિકાની નૅશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનની વેબસાઇટ પર પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, ઇન્ફન્ટ બોટ્યુલિઝમ એક જીવલેણ રોગ છે. તે ગંભીર ન્યુરોલૉજિકલ સમસ્યાઓનું કારણ પણ બની શકે છે.

ડૉ. વિદ્યા કહે છે, આ ચેપને તાત્કાલિક ઓળખવો મુશ્કેલ છે.

તેમણે એ પણ નોંધ્યું કે, "થોડા કલાકોમાં સારવાર પૂરી પાડવી જરૂરી છે, આ ચેપ બાળકોના આંતરડા પર અસર કરે છે. શરૂઆતના લક્ષણોમાં બાળકોનું સ્તનપાન ન કરવું, તેમને થાક લાગવો અને તેમના પેટમાં સોજો આવવો જેવાં લક્ષણો સામેલ છે."

તેમણે કહ્યું, બાળકના આંતરડા અને પાચનતંત્રને યોગ્ય રીતે વિકસાવવામાં 12 મહિના લાગે છે, તેથી જ વિશ્વ આરોગ્ય સંગઠન એક વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને મધ ન આપવાની સલાહ આપે છે.

ડૉ. વિદ્યાએ જણાવે છે, "બોટ્યુલિઝમ કોઈ પણ ઉંમરના લોકોને અસર કરી શકે છે, પરંતુ બાળકોમાં તે વધુ ગંભીર છે. આરોગ્યવર્ધક ન હોય તેવું મધ ખાવાથી કોઈ પણ વ્યક્તિ પ્રભાવિત થઈ શકે છે, પરંતુ બાળકો સ્વસ્થ મધ ખાય તો પણ તે અસર કરી શકે છે."

તેઓ જણાવે છે, "એક વર્ષથી વધુ ઉંમરનાં બાળકોને મધ આપવામાં કોઈ વાંધો નથી, મધ એક સ્વસ્થ ખાંડ છે. પણ અમને ત્યારે જ ખ્યાલ આવે છે, જ્યારે આ સમસ્યા માતાપિતા જણાવે છે, પરંતુ આવું ખૂબ જ ભાગ્યે જ બને છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન