'ત્રણ કલાકની અંદર ગેરકાયદે સામગ્રી હઠાવો', સોશિયલ મીડિયા કંપનીઓને ભારત સરકારનો હુકમ

    • લેેખક, અભિષેક ડે
    • પદ, ગુવાહાટી
  • વાંચવાનો સમય: 4 મિનિટ

ભારતે સોશિયલ મીડિયાને લગતા નવા નિયમો લાગુ કર્યા છે. તે મુજબ સોશિયલ મીડિયા કંપનીઓએ ગેરકાયદે કૉન્ટેન્ટ વિશે માહિતી મળ્યા પછી ત્રણ કલાકમાં તે સામગ્રી હઠાવવી પડશે. હાલમાં 36 કલાકનો સમય આપવામાં આવે છે, તેની જગ્યાએ માત્ર 3 કલાકનો સમય મળશે.

આ સુધારેલા દિશાનિર્દેશ 20 ફેબ્રુઆરીથી લાગુ થશે. તે મેટા, યૂટ્યૂબ અને ઍક્સ જેવાં જાણીતાં પ્લૅટફૉર્મ પર લાગુ થશે.

આ નિયમો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) દ્વારા નિર્મિત સામગ્રી પર પણ લાગુ થશે.

સરકારે સોશિયલ મીડિયા પરથી ગેરકાયદે સામગ્રી હઠાવવાની સમયમર્યાદા ઘટાડવા પાછળ કોઈ કારણ નથી આપ્યું.

સામગ્રી પર સેન્સરશિપ અંગે ચિંતા

જોકે, ટીકાકારોને ચિંતા છે કે સરકારનું આ પગલું ઑનલાઇન કૉન્ટેન્ટના મૉનિટરિંગને વધુ ચુસ્ત બનાવવાની પ્રક્રિયાનો હિસ્સો છે. તેનાથી દુનિયાની સૌથી મોટી લોકશાહીમાં ઑનલાઇન સામગ્રીની સેન્સરશિપ થઈ શકે છે, જ્યાં એક અબજ કરતાં વધારે ઇન્ટરનેટ વપરાશકારો છે.

તાજેતરનાં વર્ષોમાં ભારતીય અધિકારીઓએ રાષ્ટ્રીય સુરક્ષા અને સાર્વજનિક વ્યવસ્થાને લગતા કાયદા હેઠળ ગેરકાયદે માનવામાં આવતી સામગ્રીને હઠાવવા માટે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મને આદેશ આપવા માટે હાલના આઇટી નિયમોનો ઉપયોગ કર્યો છે.

નિષ્ણાતોનું કહેવું છે કે આ નિયમો અધિકારીઓને સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ સામગ્રી પર વ્યાપક અધિકારો પૂરા પાડે છે.

પારદર્શિતાના રિપોર્ટ અનુસાર 2024માં સરકારના અનુરોધ પછી 28 હજારથી વધારે યુઆરએલ અથવા વેબ લિંક બ્લૉક કરવામાં આવી હતી.

બીબીસીએ નવા ફેરફારો વિશે ટિપ્પણી કરવા માટે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફૉર્મેશન ટૅક્નૉલૉજી મંત્રાલયનો સંપર્ક કર્યો છે. મેટાએ નિયમોમાં થયેલા ફેરફાર વિશે ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો. બીબીસીએ ગૂગલ પાસે પણ ટિપ્પણી માગી છે, જે ઍક્સ અને યૂટ્યૂબની માલિકી ધરાવે છે.

એઆઇથી બનેલી સામગ્રીનો પણ સમાવેશ

આ કાયદામાં પહેલી વખત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા બનેલી સામગ્રીને વ્યાખ્યાયિત કરવામાં આવી છે. તેમાં ઑડિયો અને વીડિયો બંને સામેલ છે, જેને વાસ્તવિક તરીકે દેખાડવા માટે બનાવવામાં આવ્યા હોય અથવા સુધારા કરાયા હોય. ઉદાહરણ તરીકે ડીપફેક. તેમાં સામાન્ય ઍડિટિંગ, એક્સેસિબિલિટી ફીચર્ચ અને જેન્યુઇન અથવા પ્રમાણિત શૈક્ષણિક અથવા ડિઝાઇન સામગ્રી સામેલ નથી.

આ નિયમો પ્રમાણે જે પ્લૅટફૉર્મ યૂઝર્સને આ પ્રકારની સામગ્રી બનાવવા અથવા શૅર કરવાની સુવિધા આપે, તેણે સ્પષ્ટ રીતે ચિન્હિત અથવા તેનો ઉલ્લેખ કરવો પડશે. શક્ય હોય ત્યાં આ પ્લૅટફૉર્મ્સે સામગ્રીના સ્રોતની ઓળખ કરવામાં મદદ કરવા માટે કાયમી માર્કર અથવા સિમ્બોલ પણ જોડવાના રહેશે.

એક વખત આ લેબલ લાગી જાય, ત્યાર પછી કંપનીઓ તેને હઠાવી નહીં શકે. કંપનીઓએ ગેરકાયદે આર્ટિફિશિયલ કૉન્ટેન્ટનો પતો લગાવવા અને તેને રોકવા માટે ઑટોમેટેડ ટૂલનો ઉપયોગ કરવો પડશે. તેમાં છેતરપિંડી અથવા સહમતિ વગર બનાવેલી સામગ્રી, નકલી કે બનાવટી ડૉક્યુમેન્ટ, બાળયૌન સંબંધિત સામગ્રી, વિસ્ફોટક સામગ્રી અને નકલ તરીકે બનાવેલી સામગ્રી સામેલ છે.

કંપનીઓ પર સામગ્રી તાત્કાલિક હઠાવવા દબાણ

ડિજિટલ અધિકાર જૂથો અને આઇટી નિષ્ણાતોએ આ નિયમોના વ્યવહારુપણા અને અસર વિશે ચિંતા વ્યક્ત કરી છે.

ઇન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશને કહ્યું કે સમયમર્યાદા ઘટાડવાથી આ પ્લૅટફૉર્મ ઝડપથી સેન્સરશિપ કરનારા પ્લૅટફૉર્મમાં ફેરવાઈ જશે.

તેનો અર્થ એ થયો કે આ પ્લૅટફૉર્મ્સે બહુ ઝડપથી કૉન્ટેન્ટ હઠાવવું પડશે.

જૂથે એક નિવેદનમાં જણાવ્યું કે "આ સમયમર્યાદા એટલી ઓછી છે કે કોઈ પણ સાર્થક માનવીય સમીક્ષા અથવા તપાસ સંભવ નહીં હોય. પરિણામે પ્લૅટફૉર્મ્સે ઑટોમેટિડ ટૂલ્સનો ઉપયોગ કરવો પડશે, જે ઘણી વખત આ પ્લૅટફૉર્મને મોટા પ્રમાણમાં સામગ્રી હઠાવવા માટે મજબૂર કરશે."

ડિજિટલ ફ્યુચર્સ લેબના રિસર્ચ આસિસ્ટન્ટ અનુષ્કા જૈને લેબલિંગની આવશ્યકતાનું સ્વાગત કરતા કહ્યું કે તેનાથી પારદર્શિતામાં સુધાર થઈ શકે છે, પરંતુ તેમણે ચેતવણી આપી કે "ત્રણ કલાકની સમયમર્યાદા કંપનીઓને સંપૂર્ણ ઑટોમેશન તરફ ધકેલી શકે છે."

તેમણે બીબીસીને જણાવ્યું કે "કંપનીઓને 36 કલાકની સમયમર્યાદા પૂરી કરવામાં પહેલેથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે આ પ્રક્રિયામાં માનવીય મૉનિટરિંગ સામેલ છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઑટોમેટિક થઈ જાય તો સામગ્રી સેન્સર થવાનું જોખમ વધી જાય છે."

સૌથી ચુસ્ત નિયમો

દિલ્હીસ્થિત આઇટી નિષ્ણાત પ્રશાંતો રૉયે નવા નિયમોને કદાચ કોઈ પણ લોકશાહીમાં સામગ્રી હઠાવવાની સૌથી ચુસ્ત વ્યવસ્થાના રૂપમાં ગણાવ્યા હતા.

તેમણે કહ્યું કે વ્યાપક ઑટોમેશન અને લઘુતમ માનવીય સમીક્ષા વગર આ નિયમોનું પાલન કરવું લગભગ અશક્ય બની જશે. તેમણે એમ પણ કહ્યું કે ચુસ્ત સમયમર્યાદાના કારણે પ્લૅટફૉર્મની પાસે સામગ્રી હઠાવવાના અનુરોધની લીગલ વેલિડિટીનું આકલન કરવા માટે બહુ ઓછો અવકાશ રહે છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના લેબલિંગના સંદર્ભમાં રૉયે જણાવ્યું કે આની પાછળનો ઇરાદો સકારાત્મક છે, પરંતુ તેમણે ચેતવણી આપી કે વિશ્વસનીય અને ટેમ્પર-પ્રૂફ લેબલિંગ ટૅક્નૉલૉજી હજી પણ વિકસિત થઈ રહી છે.

બીબીસીએ આ ચિંતાઓ વિશે પ્રતિભાવ જાણવા ભારત સરકારનો સંપર્ક કર્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન