You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વણજન્મેલું બાળક કોનું? શંકાના આધારે 'ગર્ભવતી પત્નીના પેટ પર બેસીને' હત્યા કરવાનો આરોપી પતિ કેવી રીતે ઝડપાયો
- લેેખક, અમરેન્દ્ર યાર્લાગડ્ડા
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 5 મિનિટ
ચેતવણી: આ લેખમાં વિચલિત કરે તેવી વિગત છે
પતિએ પોતાની સાત મહિનાની ગર્ભવતી પત્નીની ક્રૂરતાથી હત્યા કરી. પોલીસે જણાવ્યું હતું કે, પેટ પર બેસીને ઓશીકાથી ચહેરો ગુંગળાવીને તેણે માતા અને ગર્ભમાં રહેલા બાળક બંનેની હત્યા કરી નાંખી.
આ કમકમાટીભરી ઘટના હૈદરાબાદમાં બની હતી. પોતાની સાલસ પત્ની પ્રત્યે શંકાશીલ પતિનું આવું વર્તન બગડતા માનવ સંબંધો પર પ્રકાશ ફેંકે છે. મનોવૈજ્ઞાનિકો કહે છે કે આવા ગુનાઓ પાછળ કૌટુંબિક વ્યવસ્થામાં આવેલો બગાડ, શંકા અને નાણાકીય તંગી મુખ્ય કારણો છે.
ખરેખર શું થયું
18 જાન્યુઆરીના રોજ પોલીસને માહિતી મળી કે હૈદરાબાદના કુશૈગુડાના નાગાર્જુનનગરમાં એક ઘરમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી છે.
કુશૈગુડા પોલીસ તાત્કાલિક તે ઘરે પહોંચી ગઈ. જ્યારે પોલીસે અંદર જઈને તપાસ કરી ત્યારે તેમણે જોયું કે એક ગર્ભવતીની હત્યા કરવામાં આવી છે. કુશૈગુડા પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. મૃતકનું નામ સ્નેહા હતું. પોલીસે જણાવ્યું કે તેના પતિનું નામ સચીન સત્યનારાયણ છે.
કુશૈગુડાના ઇન્સ્પેક્ટર અંજૈયાએ બીબીસીને જણાવ્યું કે સચીન સત્યનારાયણને આ કેસમાં શંકાસ્પદ માનવામાં આવી રહ્યો હતો અને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આરોપીના નિવેદન અને તપાસનાં તારણો પરથી જાણવા મળ્યું કે સ્નેહાની હત્યા તેના પતિ સત્યનારાયણે જ કરી હતી.
ઇન્સ્ટાગ્રામ પર પરિચય અને પછી લગ્ન
ઇન્સ્પેક્ટર અંજૈયાએ બીબીસીને જણાવ્યું કે સ્નેહા સત્યનારાયણને ઇન્સ્ટાગ્રામ પર મળ્યાં હતાં અને આ સંપર્ક પ્રેમમાં પરિણમ્યો અને પછી તેમણે લગ્ન કરી લીધાં.
21 વર્ષીય સ્નેહા 2021 માં ઇન્સ્ટાગ્રામ પર સચીન સત્યનારાયણને મળ્યાં હતાં અને તેમનાં લગ્ન 2022માં થયાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસે જણાવ્યું હતું કે યુવતીનો પક્ષ તેમનાં લગ્ન માટે સંમત હતો, પરંતુ યુવકનો પક્ષ સંમત ન હતો.
નવપરિણીત સચીન એક ખાનગી કંપનીમાં ડિલિવરી બૉય તરીકે કામ કરતો હતો. બાદમાં તેણે તે નોકરી છોડી દીધી. 2023 માં સચીન અને સ્નેહાને ત્યાં એક બાળકનો જન્મ થયો.
ઇન્સ્પેક્ટર અંજૈયા અનુસાર, "સચીન નોકરી વિના ફરતો હતો. તેણે પૈસા માટે બાળક વેચી દીધું."
ઇન્સ્પેક્ટર અંજૈયાએ જણાવ્યું હતું કે સ્નેહાની આવી ફરિયાદ પર કુશૈગુડા પોલીસ સ્ટેશનમાં જ કેસ નોંધવામાં આવ્યો હતો.
ફરિયાદ બાદ પોલીસે બાળકને વેચતા અટકાવ્યું અને તેને સ્નેહાને સોંપી દીધું. પોલીસનું કહેવું છે કે બાળકનું પાછળથી બીમારીને કારણે મૃત્યુ થયું.
આ મુદ્દા પર સચીન અને સ્નેહા વચ્ચે ઝઘડો થયો અને તેઓ એકબીજાથી દૂર રહેવાં લાગ્યાં.
જોકે, પોલીસે જણાવ્યું હતું કે સ્નેહા સમયાંતરે સચીનને મળતાં હતાં.
પોલીસે જણાવ્યું હતું કે છેવટે સચીન અને સ્નેહા ગયા વર્ષે ડિસેમ્બરથી નાગાર્જુનનગરમાં ભાડાના મકાનમાં રહેવાં લાગ્યાં.
પત્ની પર શંકા
સ્નેહા સાત મહિનાનાં ગર્ભવતી હતાં. પોલીસે જણાવ્યું હતું કે સચીને પત્નીની હત્યા કરવાનો નિર્ણય લીધો કારણ કે તેને શંકા હતી કે તેઓ અલગ રહેતા હોવા છતાં સ્નેહા ગર્ભવતી બન્યાં હતાં.
ઇન્સ્પેક્ટર અંજૈયાએ બીબીસીને જણાવ્યું, "16 જાન્યુઆરીના રોજ સવારે 5.30 વાગ્યે સ્નેહા મોઢા પર ઓશીકું રાખીને સૂઈ રહ્યાં હતાં. ત્યારે જ તે તેમના પેટ પર બેસી ગયો અને તેમનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો."
પોલીસે જણાવ્યું કે, "સત્યનારાયણ સ્નેહાના પેટ પર બેસી ગયો જેના કારણે તેમનો ગર્ભપાત થઈ ગયો. અને સ્નેહાનું મૃત્યુ થઈ ગયું હતું. ઘણો રક્તસ્ત્રાવ થયો હતો. પોલીસે તપાસમાં શોધી કાઢ્યું કે સચીન આ હત્યાને અકસ્માતમાં ખપાવવા પ્રયોસ કરતો હતો."
"તે રસોડામાંથી ગૅસ સિલિન્ડર લઈ આવ્યો અને તેમાં આગ લગાવી ભાગી ગયો. તેણે આખી ઘટનાને ગૅસ સિલિન્ડર ફાટ્યો હતો તેવી રીતે સાબિત કરવા પ્રયત્ન કર્યો. પરંતુ તેમાં ગૅસ જ ખતમ થઈ જતાં તેનો પ્લાન નિષ્ફળ ગયો."
જ્યારે પોલીસે આરોપી સચીન સત્યનારાયણને કસ્ટડીમાં લીધો અને તેની પૂછપરછ કરી ત્યારે હત્યાનો ખુલાસો થયો. તેની ધરપકડ કરવામાં આવી હતી અને રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો.
માણસમાં આવી પ્રકૃતિ કેમ?
પતિ દ્વારા પત્નીની ક્રૂર હત્યાએ ચારે બાજુ ચર્ચા છેડી દીધી છે કે શું લોકોના વર્તનમાં ફેરફાર થઈ રહ્યો છે.
ઉસ્માનિયા યુનિવર્સિટીનાં મનોવિજ્ઞાનનાં પ્રોફેસર સ્વાતિએ જણાવ્યું હતું કે, "હાલમાં આપણે શંકાના કારણે પતિ દ્વારા તેમની પત્નીની હત્યા જેવી ઘટનાઓ જોવા મળી રહી છે."
તેમણે કહ્યું, "જો કોઈ શંકા હોય તો તેનું નિરાકરણ લાવવું જોઈએ. તેના માટે ઘણી રીતો છે."
સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ હૈદરાબાદનાં મનોવિજ્ઞાનનાં પ્રોફેસર મીના હરિહરન કહે છે કે, "પોતાના જ લોકોને મારી નાંખવાની વૃત્તિ પાછળ વિવિધ કારણો ભાગ ભજવતાં હોય છે."
"ખાસ કરીને કુટુંબ વ્યવસ્થા અને બંધનો દિવસેને દિવસે વણસી રહ્યા છે. પહેલાં સંયુક્ત પરિવારો હતા. ભલે ગમે તેટલા ઉતાર-ચઢાવ આવતા હોય કુટુંબનું વૃક્ષ બંધનો જાળવી રાખવા માટે પૂરતું મજબૂત હતું."
"હવે પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવને કારણે સંયુક્ત કુટુંબ વ્યવસ્થાના અભાવે કોઈપણ સમસ્યાનું નિરાકરણ લાવવાની ફિલસૂફી ઓછી થઈ ગઈ છે. આ જ કારણ છે કે ઝઘડા વધી રહ્યા છે."
પ્રોફેસર સ્વાતિએ કહ્યું કે, "ગુનેગારો આ પ્રકારનાં કૃત્યો કરવા માટે સગાં નજીકના છે કે દૂરના તેવું જોતા નથી."
તેમણે કહ્યું, "માણસના આ પ્રકારના વર્તનને પહેલાંથી જ ઓળખી લેવું જોઈએ. જો કોઈ શંકા કે ઉત્પીડન કરતા હોય તો પરિવારના સભ્યોને તાત્કાલિક જાણ કરવી જોઈએ. આ પ્રકારના ગુનાનો વિચાર અચાનક આવતો નથી."
પહેલેથી ઓળખી લેવા જોઈએ
મીના હરિહરને કહ્યું કે, "ગુનેગારને તાત્કાલિક સજા આપવામાં આવે છે, સમાજમાં આવો ભય પેદા કરવાની જરૂર છે."
"નાણાકીય સમસ્યાઓના કારણે ઝઘડા થઈ શકે છે. પરંતુ, આપણે જે કમાઈએ છીએ તે પ્રમાણે ખર્ચની યોજના હોવી જોઈએ. આપણે સમજવું જોઈએ કે જો આપણે આપણી જરૂરિયાતો જાણ્યા વિના ખર્ચ કરીશું તો ચોક્કસપણે નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડશે."
પ્રોફેસર સ્વાતિએ જણાવ્યું હતું કે, "ગુનો કરવાનો પ્રયાસ કરતી વ્યક્તિ ચોક્કસ લાક્ષણિકતાઓ દ્વારા ઓળખી શકાય છે."
તેમણે સમજાવ્યું કે રોજિંદા ધોરણે, આપણે આવા વ્યક્તિત્વમાં ફેરફાર જોઈ શકીએ છીએ, નાની નાની બાબતો પર ગુસ્સો કરવો, હેરાનગતિ કરવી, ધમકીઓ... આ બધું અલગ-અલગ રીતે વ્યક્ત કરવામાં આવે છે. આ બધું છેવટે "ગંભીર ગુનાઓ તરફ દોરી જાય છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન