ગુજરાતના ડૉક્ટરો સરકાર વિરુદ્ધ હડતાળ પર કેમ ઊતરી ગયા?

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, આઈએમએ દ્વારા આ વિરોધપ્રદર્શન
  • વાંચવાનો સમય: 4 મિનિટ

કેન્દ્ર સરકાર દ્વારા પોસ્ટ ગ્રૅજ્યુએટ આયુર્વેદિક ડૉક્ટરોને હર્નિયા, આંખ, નાક, કાન, ગળા સહિત 56 અંગોના ઑપરેશન કરવાની છૂટ આપતા ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન (આઈએમએ)ના ડૉક્ટરોએ 1થી 14 ફેબ્રુઆરી 2021 સુધી દેશવ્યાપી પ્રદર્શનનું આહ્વાન કર્યું છે.

સોમવારે આઈએમએ સાથે સંકળાયેલા 20 ડૉક્ટરોએ અમદાવાદ મેડિકલ ઍસોસિયેશન હૉલ ખાતે પ્રતીક ભૂખહડતાળ કરી હતી.

અમદાવાદમાં 4 દિવસ સુધી પ્રતીક ભૂખહડતાળ કરવામાં આવશે, જે બાદ વડોદરા, હિંમતનગર, રાજકોટ, સુરત સહિત રાજ્યનાં વિવિધ શહેરોમાં 14 ફેબ્રુઆરી સુધી આ પ્રકારનું વિરોધપ્રદર્શન કરવામાં આવશે.

આઉટલૂકના અહેવાલ અનુસાર કેન્દ્ર સરકારના નિર્ણય સામે આઈએમએ દ્વારા જે વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું છે તે બીજું સૌથી મોટું વિરોધપ્રદર્શન છે.

આઈએમએ આ વિરોધપ્રદર્શનને આધુનિક મેડિસિનની માટે "સ્વતંત્રતા સંગ્રામ" તરીકે જુએ છે.

આઈએમએ ગુજરાતના સેક્રેટરી ડૉ. કમલેશ સૈનીએ જણાવ્યું કે આધુનિક મેડિસિન આયુર્વેદથી અલગ છે. સરકારે મિક્સોપેથીની પ્રૅક્ટિસને પ્રોત્સાહન આપવું જોઈએ નહીં. મિક્સોપેથીનો વિરોધ કરવા માટે આ પ્રતીક ભૂખહડતાળ કરાઈ રહી છે.

શું છે મિક્સોપેથી?

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, પ્રતિકાત્મક તસ્વીર

ક્વાટર્ઝ ઇન્ડિયા વેબસાઇટ અનુસાર કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ કરી રહેલા ડૉક્ટરો દ્વારા મિક્સોપેથી શબ્દની શોધ કરવામાં આવી છે. ડૉક્ટરોએ અંગ્રેજી શબ્દ "મિક્સ" (ભેળવવું)ને પ્રત્યય "પેથી" જોડીને અથવા બીમારી સાથે જોડીને બનાવ્યો છે.

વેબસાઇટ અનુસાર મિક્સોપેથીનો અર્થ (ડૉક્ટરો પ્રમાણે) વિવિધ વૈકલ્પિક મેડિસિન સિસ્ટમને ઍલૉપથી સાથે જોડી દેવાનો એક પ્રયાસ છે.

મિક્સોપેથીનો ઉલ્લેખ ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન દ્વારા 11 ડિસેમ્બરના રોજ છાપાંમાં આપેલી જાહેરાતમાં પણ કરવામાં આવ્યો છે.

અમે લાંબી લડત લડીશું- ઍલૉપથી ડૉક્ટરો

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદ મેડિકલ ઍસોસિયેશન (એએમએ)ના પ્રવક્તા ડૉક્ટર મુકેશ માહેશ્વરીએ બીબીસીને જણાવ્યું, "અમે આયુર્વેદ અથવા હોમિયોપેથીના વિરોધમાં નથી. પરંતુ જો આયુર્વેદિક અથવા હોમિયોપેથીના ડૉક્ટરોએ સર્જરીની ટ્રેનિંગ જ લીધી ન હોય તેમને એ કરવાની પરવાનગી આપવી કેટલી વાજબી છે? તેનાથી દરદીઓના જીવને જોખમ છે."

"સરકાર પાછલા બારણેથી નોટિફિકેશન બહાર પાડીને તેને કાયદાકીય કરવા માગે છે. આયુષમાં જે પાંચ વસ્તુઓ છે તેમાંથી બે વસ્તુઓ ભારતની નથી. હોમિયોપેથી સારવાર જર્મનીથી સમગ્ર વિશ્વમાં ફેલાઈ છે જ્યારે યુનાની મેડિસિન આરબ દેશોથી આવી છે."

તેઓ કહે છે, "વર્ષ 1996માં સુપ્રીમ કોર્ટે એક હોમિયોપેથી ડૉક્ટરને ઍલૉપથી સારવાર કરવા બદલ સજા સંભળાવવામાં આવી હતી. ડૉક્ટરે સારવારમાં ભૂલ કરતા તેને સજા કરાઈ હતી."

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

મુકેશ માહેશ્વરી કહે છે, "આ લાંબી લડત છે અને અમે છેલ્લે સુધી લડીશું. અમે વડા પ્રધાનની સાથે ધારાસભ્યો અને સાંસદોને પત્ર લખીને આ નિર્ણયનો વિરોધ કરીશું. વિવિધ એનજીઓની મદદથી લોકોમાં કેન્દ્ર સરકારના નોટિફિકેશન સામે જાગૃતિ લાવીશું. અમે બૅનરો અને પૉસ્ટરો મારફતે પણ લોકો સામે અમારી વાત મૂકીશું."

તેઓ વધુમાં જણાવે છે કે, "કેન્દ્ર સરકાર આ મામલે જરા પણ ગંભીર નથી અને અમારી વાત સાંભળતી નથી. અમે પ્રતીક ભૂખહડતાળ સિવાય કોઈ મોટું વિરોધપ્રદર્શન ન કરી શકીએ, કારણ કે તેનાથી દરદીઓને હાલાકી થશે."

તો બીબીસીના સહયોગી ભાર્ગવ પરીખ સાથે વાત કરતા આઈએમએના સભ્ય અને જાણીતા સર્જન ડૉક્ટર અજય પટેલ કહે છે, "મૉડર્ન સાયન્સમાં પહેલા દિવસથી શરીરની ઍનેટૉમી ભણાવવામાં આવે છે."

"જેમાં ચામડીના પડની નીચે કઈ નસ હશે, સ્નાયુ કેવા હશે, ચરબીનું થર કેવું હશે અને ઑપરેશન કરતાં પહેલાં કઈ નસ કાપવાથી લોહી નીકળશે, શરીરના કયા ભાગમાં કયા પ્રકારની ગાંઠ હશે અને એને કઈ રીતે દૂર કરી શકાય એવી તમામ બાબતોનો સમાવેશ થાય છે. આ ગાંઠ સ્નાયુની છે કે નસની એ આયુર્વેદમાં નક્કી ન કરી શકાય એટલે આયુર્વેદમાં ઑપરેશન કરવું અઘરું છે."

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

ડૉ. પટેલ વધુમાં ઉમેરે છે, "અમે જ્યારે 32 વર્ષ પહેલાં ઑપરેશન કરતા હતા ત્યારે માત્ર એક્સ-રેના આધારે નિદાન કરીને ઑપરેશન કરતા હતા. એ બાદ સોનોગ્રાફી, સિટી સ્કૅન, એમઆરઆઈ આવ્યાં અને તેને કારણે સચોટ ઑપરેશન કરી શકાય છે."

"પહેલાં જ્યારે એક્સ-રેના આધારે ઑપરેશન કરતા હતા ત્યારે શરીરની ચીરફાડ વધુ થતી હતી. દરદીને ઑપરેશન બાદ દસ દિવસ સુધી હૉસ્પિટલમાં રહેવું પડતું હતું."

"હવે નિદાનમાં સચોટતા આવી છે અને એ જ ઑપરેશન ઝડપથી કરીને દરદીને એક-બે દિવસમાં ઘરે મોકલી શકાય છે. આયુર્વેદમાં આવી કોઈ સુવિધા નથી. નવાં સંશોધનો થયાં નથી એટલે આયુર્વેદના ડૉક્ટરોને આવાં ઑપરેશન કરવા આપવાં એટલે દરદીનો જીવ જોખમમાં મૂકવો."

આયુર્વેદિક ડૉક્ટરોનું શું કહવું છે?

ઇમેજ સ્રોત, SANKAR VADISETTY

ઇમેજ કૅપ્શન, પ્રતિકાત્મક તસ્વીર

આયુર્વેદિક ઍસોસિયેશન ગુજરાતના સેક્રેટરી ડૉ. હસમુખ સોની કહે છે કે કેન્દ્ર સરકાર દ્વારા જે 56 શસ્રક્રિયા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે તેની નોંધ આયુર્વેદમાં છે. જેમ કે હરસ-મસા-ભંગદર, એપેન્ડિક્સ અને બીજી સર્જરી.

આ સર્જરી એવા જ દરદીને કરવામાં આવશે જેમને બીજી કોઈ શારીરિક તકલીફ ન હોય. અહીં ક્યાંય પણ ક્રિટિકલ કૅરનાં ઑપરેશન (જેમ કે હાર્ટ, કિડની અથવા ફેફસાં)ની વાત નથી.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેઓ જણાવે છે, "2007 પછીથી આયુર્વેદમાં પણ એમ.એસ.ની ટ્રેનિંગ આપવામાં આવે છે, જેને આયુર્વેદમાં 'શલ્ય' અને 'શાલક્ય' કહેવામાં આવે છે. આચાર્ચ શુશ્રૃત સર્જરીના જનક ગણાય છે અને ચિકિત્સાશાસ્ત્ર 5000 વર્ષ જૂનું છે."

વીડિયો કૅપ્શન, કોરોના વૅક્સિન છતાં બ્રિટનમાં વધારે લોકોનાં મૃત્યુ કેમ થઈ રહ્યાં છે?

"તે સમયમાં આયુર્વેદિક ભણેલા વૈદો જ બધા રોગોનું ઉપચાર કરતા હતા અને શસ્ત્રક્રિયા પણ કરતા હતા એટલે એવું નથી કે આયુર્વેદમાં સર્જરી વિશે કોઈ માહિતી હાજર નથી. તેમાં સારી એવી માહિતી હાજર છે."

શું આધુનિક મેડિસિન સાથે આયુર્વેદ સાથે તાલ મિલાવી શકશે? તેના જવાબમાં ડૉ. સોની કહે છે, "150-200 વર્ષ પહેલાં અંગ્રેજો ભારત આવ્યા ત્યારે તેમણે ભારતની ચિકિત્સાપદ્ધતિ જોઈ અને તેમાં સુધારા-વધારા કરીને આધુનિક ચિકિત્સાપદ્ધતિની શોધ કરી."

"આયુર્વેદિક ડૉક્ટરો સર્જરી કરશે તો ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોને સૌથી મોટી રાહત થશે. આવા દરદીઓને જો નાની-મોટી સર્જરી કરાવવી હોય તો તેઓ ઓછા ખર્ચે અને સરળતાથી કરાવી શકશે."

આયુર્વેદના ડૉક્ટરોને કેટલો લાભ થશે?

ઇમેજ સ્રોત, Ani

ડૉ. હસમુખ સોની કહે છે કે કેન્દ્ર સરકારના નોટિફિકેશન સામે આઈએમએ અને ઍલૉપથી ડૉક્ટરોએ સુપ્રીમ કોર્ટ સહિત વિવિધ કોર્ટમાં અરજી કરી છે. તેમણે કોર્ટના ચુકાદાની રાહ જોવી જોઈએ અને ત્યારબાદ કોઈ પગલાં લેવાં જોઈએ.

"કોર્ટના ચુકાદાની રાહ જોયા વગર ડૉક્ટરો જે પ્રતીક હડતાળ કહી રહ્યા છે તેનાથી એવું લાગે છે કે તેઓ સરકાર પર દબાણ ઊભું કરવા માગે છે. કોર્ટને આ વિષય પર નિર્ણય કરવા દેવો જોઈએ."

તેઓ જણાવે છે કે ગુજરાતમાં 23,000 આયુર્વેદિક ડૉક્ટરો છે, પરંતુ આ કેન્દ્ર સરકારના નિર્ણયનો લાભ માત્ર એ ડૉક્ટરોને મળશે જેમને શલ્ય અને શાલક્યનો અભ્યાસ કર્યો હોય. ગુજરાતમાં એવા ડૉક્ટરોની સંખ્યા 375ની આસપાસ છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો