આઇએનએસ તારાગિરિ : ભારતના નૌકાદળમાં સામેલ થશે એવું 'ઑલ-રાઉન્ડર' યુદ્ધજહાજ જે 'દુશ્મનોના રડાર'ને થાપ આપી શકે છે

ઇમેજ સ્રોત, Eastern Naval Command
- લેેખક, લક્કોજુ શ્રીનિવાસ
- પદ, બીબીસી માટે
- વાંચવાનો સમય: 5 મિનિટ
વધુ એક અત્યાધુનિક શસ્ત્ર ભારતીય નૌકાદળમાં જોડાવાની તૈયારીમાં છે. સ્ટીલ્થ (ગુપ્તપણે કાર્ય કરી શકતું) યુદ્ધજહાજ તારાગિરી 3 એપ્રિલે સત્તાવારપણે નૌકાદળમાં જોડાશે.
સ્વદેશી ટૅક્નૉલૉજી, લૉ રડાર ડિટેક્શન અને યુદ્ધ માટેની બહુમુખી ક્ષમતા - આ ત્રણેય વિશેષતા તારાગિરિને અલગ પાડે છે.
અત્યાધુનિક નીલગિરિ-ક્લાસ સ્ટીલ્થ યુદ્ધજહાજ આઇએનએસ તારાગિરિ સત્તાવાર રીતે ભારતીય નૌકાદળમાં જોડાશે. 3 એપ્રિલના રોજ વિશાખાપટ્ટનમમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહ તેને કમિશન કરશે.
પૂર્વ નૌકાદળ કમાન્ડ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે સંપૂર્ણ સ્વદેશી નૌકાદળ શક્તિ બનવાની ભારતની સફરમાં આ એક મજબૂત આગેકદમ છે.
આ યુદ્ધજહાજ અંગે પૂર્વ નૌકાદળ કમાન્ડ દ્વારા કઈ વિગતો જાહેર કરવામાં આવી છે?
તારાગિરિ એ પ્રોજેક્ટ 17A વર્ગનું ચોથું યુદ્ધજહાજ છે.
લગભગ 6,670 ટનનું વજન ઊંચકવાની ક્ષમતાવાળું (જહાજના ખુદના વજન સાથે) આ જહાજ એક સન્માનજક કન્સ્ટ્રક્શન છે, જે 'મેક ઇન ઇન્ડિયા'ની ભાવના અને સ્વદેશી જહાજ નિર્માણ ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે. આ મઝગાંવ ડૉક શિપબિલ્ડિંગ લિમિટેડ (એમએલડી) દ્વારા બનાવવામાં આવેલું ત્રીજું જહાજ છે.
કમ્બાઇન્ડ ડીઝલ અથવા ગૅસ (સીવીડીઓજી) પ્લાન્ટ દ્વારા સંચાલિત, તારાગિરિ એક હાઇ-સ્પીડ, હાઇ-એન્ડ્યુરન્સ (એચએસએચઇ) યુદ્ધજહાજ છે. તારાગિરિ વિવિધતાસભર મેરિટાઇમ ઑપરેશન્સ માટે ડિઝાઇન કરાયેલું છે. આ યુદ્ધજહાજમાં વિશ્વસ્તરીય શસ્ત્રપ્રણાલીઓ સામેલ કરાઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડિફેન્સ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ જહાજનાં 75 ટકા સ્વદેશી સાધનો માટે 200થી વધુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ)ને સામેલ કરાયા છે, જેથી હજારો લોકોને રોજગારી મળી છે.
તેની વિશેષતામાં સુપરસોનિક બ્રહ્મોસ જેવી સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઇલો, મધ્યમ-અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો (એમઆરએસએએમ), અને મલ્ટિ-ફંક્શન રડાર સામેલ છે, જે એક સાથે અનેક લક્ષ્યોને શોધી અને ટ્રૅક કરી શકે છે.
આ ઉપરાંત જહાજ પર ઍન્ટિ-સબમરીન યુદ્ધ સિસ્ટમ પણ છે.
આ બધાં શસ્ત્રોનું સંકલન એક અત્યાધુનિક યુદ્ધ વ્યવસ્થાપન પ્રણાલી કરે છે, જે ક્રૂને દુશ્મન જહાજની હિલચાલ અને ધમકીઓનો અત્યંત ચોકસાઈથી જવાબ આપવા સક્ષમ બનાવે છે.
યુદ્ધ દરમિયાન જરૂરી બધી મુખ્ય સિસ્ટમો તારાગિરિમાં સ્થાપિત કરવામાં આવી છે. આ સિસ્ટમો સેનાને હવાઈ, સમુદ્રસપાટી અને સમુદ્રના પેટાળ, એમ ત્રણેય સ્તરે વારાફરતી પ્રતિક્રિયા આપવા સક્ષમ બનાવે છે.
તારાગિરિ કેમ ખાસ છે?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આઇએનએસ તારાગિરિની મુખ્ય વિશેષતા તેની સ્ટીલ્થ ડિઝાઇન છે. એટલે કે, તે સામાન્ય યુદ્ધ જહાજની સરખામણીમાં દુશ્મન રડારમાં ઓછું દેખાય છે. તેને એવી રીતે ડિઝાઇન કરાયું છે કે દુશ્મન રડારના તરંગો જહાજ પર અથડાઈને મજબૂતી સાથે બાઉન્સ બૅક નથી કરતા, પરંતુ આસપાસમાં વિખેરાઈ જાય છે. તેથી, આ જહાજ પાસે યુદ્ધ દરમિયાન શત્રુઓને દેખાયા વિના હુમલો કરવાની ક્ષમતા છે.
પશ્ચિમ ઘાટના તારાગિરિ પરથી આ જહાજનું નામ રાખવામાં આવ્યું છે. ભારતીય નૌકાદળમાં પર્વતો, નદીઓ અને ઐતિહાસિક સ્થળોનાં નામ પરથી યુદ્ધ જહાજોનાં નામ રાખવાની પરંપરા છે.
તારાગિરિ યુદ્ધજહાજ દુશ્મન સબમરીન પર હુમલો કરવા સક્ષમ શસ્ત્રોથી સજ્જ છે. હથિયારોની બધી સિસ્ટમ અત્યાધુનિક યુદ્ધ વ્યવસ્થાપન સિસ્ટમ મારફતે સંકલિત કરવામાં આવી છે, જેથી ક્રૂ સેકન્ડોમાં દુશ્મનના હુમલાને પરાશ્ત કરી શકે.
આ યુદ્ધજહાજ અગાઉની ડિઝાઇન કરતાં વધુ અદ્યતન છે, તે દુશ્મન રડાર દ્વારા ડિટેક્ટ થયા વિના વિરોધીઓ પર હુમલો કરી શકે છે.
કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે તે ભારત સરકારના આત્મનિર્ભર કાર્યક્રમ અને સ્વદેશી જહાજોની અત્યાધુનિક એન્જિનિયરિંગ ક્ષમતાઓનું પ્રતિબિંબ છે.
ભારતીય નૌકાદળમાં સબમરીનમાંથી નિવૃત્ત થયેલા કૃષ્ણમૂર્તિએ બીબીસીને જણાવ્યું."જ્યારે ભારતીય નૌકાદળ હાલમાં હિંદ મહાસાગર ક્ષેત્રમાં પોતાનો પ્રભાવ વધારી રહ્યું છે, ત્યારે તારાગિરિ જેવાં યુદ્ધજહાજોનો ઉમેરો ખાસ મહત્ત્વ ધરાવે છે. તેને મેરિટાઇમ સિક્યૉરિટી ક્ષેત્રે સ્વદેશી ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવા તરફના એક પગલા તરીકે જોઈ શકાય છે."
'આ એક યુદ્ધજહાજ માત્ર નથી'

તારાગિરિને ફક્ત એક યુદ્ધજહાજ તરીકે જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સંબંધો, સમુ્દ્રી સુરક્ષા, સંયુક્ત કવાયતો, શક્તિ પ્રદર્શન, તેમજ ઇમર્જન્સી માનવતાવાદી રાહત કામગીરી જેવી આધુનિક રાજદ્વારી જરૂરિયાતો માટે ઉપયોગમાં લેવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું.
યુદ્ધજહાજો આઇએનએસ તીર, આઇએનએસ દક્ષ અને આઇએનએસ રાજપૂતના કૉમ્યુનિકેશન વિભાગમાં સિગ્નલમૅન તરીકે નિવૃત્ત થયેલા પી. સુંદર રાવે બીબીસીને જણાવ્યું હતું કે તારાગિરિ ગંભીર યુદ્ધ કામગીરીથી માંડીને માનવતાવાદી સહાય સુધીની વિવિધ જવાબદારીઓ માટે યોગ્ય રહેશે.
સુંદરરાવે જણાવ્યું, "તારાગિરિ ભારતીય નૌકાદળને માત્ર વધુ શક્તિશાળી જ નહીં બનાવે, પરંતુ દેશની દરિયાઈ સરહદોના રક્ષા માટે પણ મજબૂતીથી ઊભું રહેશે. દરિયાકાંઠો ધરાવતા કોઈ પણ દેશના સંરક્ષણ માટે યુદ્ધજહાજો મુખ્ય તાકત છે."
ભારતીય નૌકાદળે કહ્યું હતું, "ભારતીય નૌકાદળ ભારતીયો દ્વારા ડિઝાઇન કરાયેલાં, ભારતીયો દ્વારા બનાવાયેલાં અને ભારતીયો દ્વારા સંચાલિત જહાજો સાથે એક વિશ્વસનીય અને આત્મનિર્ભર દળ તરીકે ઊભરી રહ્યું છે. તારાગિરિ ભારતની વિકસિત અને સમૃદ્ધ દરિયાઈ સરહદોનું રક્ષણ કરવા માટે એક તાકત બનવા માટે તૈયાર છે. તે ભારતના વધતા દરિયાઈ પ્રભુત્વનું પ્રતીક અને સમુદ્રના મોરચે લોખંડી ઢાલ હશે."
ભારતનાં સાત યુદ્ધજહાજ જેને હરાવવાં દુશ્મન માટે મુશ્કેલ

ભારતીય નૌકાદળે સાત સ્ટીલ્થ યુદ્ધજહાજ બનાવવા માટે 'પ્રોજેક્ટ 17A' શરૂ કર્યું છે. પ્રોજેક્ટ 17A એ જૂના શિવાલિક-ક્લાસ યુદ્ધજહાજનું આધુનિક વર્ઝન છે. શિવાલિક સ્ટીલ્થ યુદ્ધજહાજ આધુનિક છે, જે દુશ્મન દ્વારા સરળતાથી ડિટેક્ટ થયા વિના વિવિધ પ્રકારની યુદ્ધ સંબંધિત કામગીરી કરી શકે છે.
નીલગિરિ શ્રેણીમાં સાત સૌથી અદ્યતન ગાઇડેડ મિસાઇલવાળાં યુદ્ધજહાજ બનાવવા માટેનો આ એક પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ છે.
એમડીએલ દ્વારા આઇએનએસ નીલગિરિ, હિમાગિરિ, ઉદયગિરિ, દુનાગિરિ, તારાગિરિ, વિંધ્યાગિરિ અને મહેન્દ્રગિરિ બનાવવામાં આવી રહ્યાં છે. હિમાગિરિ, દુનાગિરિ અને વિંધ્યાગિરિનું નિર્માણ કોલકાતા ખાતેના ગાર્ડન રિચ શિપ બિલ્ડર્સ ઍન્ડ એન્જિનિયર્સ (જીઆરએસઇ) દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આમાંથી 75 ટકા જહાજોમાં ભારતીય સાધનો અને સામગ્રીનો ઉપયોગ કરાઈ રહ્યો છે. આ જહાજો 2019થી 2023 દરમિયાન લૉન્ચ કરવામાં આવ્યાં હતાં. જે 2024-2017 દરમિયાન સંપૂર્ણપણે કાર્યરત થશે. આ પ્રક્રિયાના ભાગરૂપે, આઇએનએસ તારાગિરિ આ એપ્રિલમાં જોડાશે.
ગયા વર્ષે ઑગસ્ટ માસમાં, વિશાખાપટ્ટનમમાં આયોજિત એક સમારોહમાં બે યુદ્ધજહાજો, આઇએનએસ ઉદયગિરિ અને આઇએનએસ હિમગિરિને નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યાં હતાં. આઇએનએસ ઉદયગિરિ એ ભારતીય નૌકાદળના વૉરશિપ ડિઝાઇન બ્યૂરો દ્વારા ડિઝાઇન કરાયેલ 100મું જહાજ છે.
ઑલ-રાઉન્ડર યુદ્ધજહાજ

આ યુદ્ધજહાજો ત્રણ સ્તરે ઑપરેટ કરી શકે છે.
- દરિયામાં દુશ્મન જહાજો પર હુમલો કરવાની ક્ષમતા.
- હવામાં મિસાઇલો અથવા ફાઇટર જેટનો સામનો કરવાની ક્ષમતા.
- પાણીની અંદર સબમરીન શોધવી અને તેનો સામનો કરવાની ક્ષમતા.
આનો અર્થ એ થયો કે એક જ જહાજમાં વૈવિધ્યસભર ભૂમિકામાં યુદ્ધ લડવાની ક્ષમતા હશે.
આ યુદ્ધજહાજને દુશ્મન માટે અદૃશ્ય જહાજ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું હતું, એટલે કે તેને રડાર, ઇન્ફ્રારેડ અથવા ધ્વનિ વડે શોધવું મુશ્કેલ બનશે. આ એક મધ્યમ કદનું યુદ્ધજહાજ છે.

તે એક ઑલ-રાઉન્ડર યુદ્ધજહાજ છે, જે દરિયામાં પેટ્રોલિંગ કરી શકે છે, દુશ્મન જહાજોને ટક્કર આપી શકે છે, સબમરીન શોધી શકે છે અને હવાઈ સંરક્ષણ પૂરું પાડી શકે છે.
યુદ્ધજહાજનું ડિટેક્શન રોકવા માટે, દુશ્મન દેશો દ્વારા મોકલવામાં આવતા રડાર તરંગોને જહાજ સાથે અથડાતા અને બાઉન્સ બૅક કરતા અટકાવવામાં આવે છે, એન્જિનની ગરમી અને અવાજ ઘટાડવા માટે જહાજનો આકાર કોણીય રહે એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આનો અર્થ એ છે કે, મોટું જહાજ હોવા છતાં, તે દુશ્મનને નાનું લાગે એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
પી. સુંદરરાવે બીબીસીને જણાવ્યું, "સ્ટીલ્થ એટલે દુશ્મનના રડાર માટે ઓછું દૃશ્યમાન હોવું. સ્ટીલ્થ યુદ્ધજહાજ એક બુદ્ધિશાળી યુદ્ધજહાજ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન































