ડોનાલ્ડ ટ્રમ્પના સંબોધન બાદ ક્રૂડઑઇલની કિંમતોમાં વધારો – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Jason Alden/Bloomberg via Getty
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાં સંબોધન બાદ વૈશ્વિક ઑઇલની કિંમતોમાં ભારે વૃદ્ધિ જોવા મળી છે. તેમનું સંબોધન ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધ પર હતું.
બીબીસી સંવાદદાતા પીટર હૉકિન્સના જણાવ્યા પ્રમાણે, જ્યારે ટ્રમ્પ પોતાનું સંબોધન કરી રહ્યાં હતાં તે પહેલાં બેન્ચમાર્ક બ્રેંટ ક્રૂડની કિંમત લગભગ 100 ડૉલર પ્રતિ બેરલ હતી, પરંતુ ભાષણ દરમિયાન તેમાં ભારે ઉતાર-ચઢાવ થયો.
સંબોધન સમાપ્ત થતા તેની કિંમત વધી રહી છે. હાલ તેની કિંમત લગભગ 4 ટકા વધીને 105.38 ડૉલર પર પહોંચી ગઈ છે.
એવું મનાતું હતું કે હોર્મુઝ સ્ટ્રેટને લઈને તેઓ કોઈ ઍલાન કરશે, પરંતુ તેની સાથે જોડાયેલું કોઈ અપડેટ ન આવવાને કારણે ઑઇલની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો.
હોર્મુઝ સામુદ્રધુની વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે મહત્ત્વની છે. કારણકે દુનિયાનો લગભગ 20 ટકા ઊર્જા વ્યાપાર આ સાંકડા સમુદ્ર માર્ગથી થાય છે.
28 ફેબ્રુઆરીના રોજ યુદ્ધ શરૂ થયા બાદ આ માર્ગ લગભગ બંધ છે. કારણકે ઈરાને અમેરિકા અને ઇઝરાયલી હુમલાના જવાબમાં આ રસ્તા પરથી પસાર થનારાં જહાજો પર હુમલા કરવાની ધમકી આપી છે.
ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડોનેશિયામાં ગુરુવારે સવારે 7.4ની તીવ્રતાનો એક તીવ્ર ભૂકંપ આવ્યો, જે બાદ સુનામીની ચેતવણી જાહેર કરાઈ છે.
અમેરિકન જિયૉલૉજિકલ સર્વે અનુસાર, ભૂકંપની પ્રારંભિક તીવ્રતા 7.8 નોંધાઈ હતી. સ્થાનિક સમય પ્રમાણે સવારે 6:48 વાગ્યે મુલુક્કા સાગરમાં આ ભૂકંપ આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભૂકંપનું કેન્દ્ર તેરનાતે શહેરથી લગભગ 120 કિમી દૂર હતું, જે એક નાનો, પરંતુ ગીચ વસતીવાળો દ્વીપ છે અને જેની વસતી બે લાખ કરતાં વધુ છે.
હવાઈસ્થિત સુનામી વૉર્નિંગ સિસ્ટમે કહ્યું કે ભૂકંપના કેન્દ્રથી એક હજાર કિમીની ત્રિજ્યામાં ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને મલેશિયાના કાંઠા વિસ્તારોમાં મોજાં ઊઠવાની સંભાવના છે.
ગંગા નદીમાં ચિકન બિરયાની ફેંકવાના આરોપમાં પકડાયેલા 14 લોકોની જામીન અરજી ફગાવાઈ

ઇમેજ સ્રોત, Sushant Mukharjee
ઇફ્તાર બાદ બચેલી ચિકન બિરયાની ગંગા નદીમાં ફેંકવાના આરોપમાં પકડાયેલા તમામ મુસ્લિમ યુવાનોને બુધવારે વારાણસી સેશન્સ કોર્ટે જામીન આપવાનો ઇન્કાર કરી દીધો છે.
લાઇવ લૉ પ્રમાણે, કોર્ટના આદેશ આપતા પહેલાં કહ્યું કે, "વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવો પ્રાથમિકપણે એ વાત સાબિત કરે છે કે આ ઘટના સામાજિક સૌહાર્દને પ્રભાવિત કરવાના ઉદ્દેશ સાથે કરાઈ છે."
"ધાર્મિક ભાવનાઓને ભડકાવવી અને તેને સોશિયલ મીડિયા થકી પ્રસારિત કરવી એ ગુનાની ગંભીરતાને વધારી દે છે. આ તથ્ય નકારી ન શકાય કે ઇફ્તાર બાદ ઈદ અને અન્ય તહેવાર ઊજવવાના હતા."
વારાણસીના કોતવાલી સ્ટેશનને 16 માર્ચના રોજ મળેલી એક ફરિયાદના આધારે અજ્ઞાત વિરુદ્ધ એફઆઇઆર નોંધાઈ હતી, જે બાદ આ કાર્યવાહી કરાઈ છે.
આ ફરિયાદ વારાણસીમાં ભારતીય જનતા યુવા મોરચાના નગર અધ્યક્ષ રજત જયસ્વાલે કરી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન































