ભારત અને નેપાળ વચ્ચે અંતર કેમ વધી રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- વાંચવાનો સમય: 7 મિનિટ
લોકપ્રિય ચૂંટણીના રાજકારણમાં કોઈ પણ વડા પ્રધાન કે રાષ્ટ્રપતિ દેશની જનભાવનાની ઉપેક્ષા નથી કરતા.
જમ્મુ-કાશ્મીરના વિભાજન પછી ભારતે ગત વર્ષે નવેમ્બરમાં નવો નક્શો બહાર પાડ્યો હતો, ત્યારે તેમાં કાલાપાની વિસ્તારને સામેલ કરાતા નેપાળના લોકોએ વિરોધ કર્યો હતો.
નેપાળના લોકોએ પોતાની સરકાર વિરુદ્ધ પણ રોષ પ્રકટ કર્યો હતો.
આખા વિવાદમાં નેપાળની સરકારે સામે આવીને ભારતના નક્શા પર આપત્તિ દાખવવી પડી હતી, ત્યારથી નેપાળ સરકાર પર પગલાં લેવાનું દબાણ હતું.
જ્યારે લિપુલેખમાં ભારતે ચીન સુધી જનાર રસ્તાનું નિર્માણ કર્યું, તો નેપાળે પણ અમુક દિવસો પછી નવો નક્શો જાહેર કર્યો અને જેમાં તેણે એ માનચિત્રમાં સામેલ કરવામાં આવ્યા જેના પર તે દાવો કરતું આવ્યું છે. ભારતે આપત્તિ દર્શાવી અને બંને દેશો વચ્ચે વિવાદ હજી પણ ચાલુ છે.
નેપાળના વડા પ્રધાન ઓલી વિશે કહેવામાં આવે છે કે તેઓ વિદેશસંબંધોમાં પોતાના બે મોટા પાડોશી ભારત અને ચીન વચ્ચે સંતુલન જાળવવા માગે છે.
ઓલીનું રાજકારણ બદલાયું?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
એક સમયે ઓલી ભારતના સમર્થક હતા. એવું માનવામાં આવે છે કે નેપાળના રાજકારણમાં તેમનું વલણ ભારતતરફી હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1996માં ભારત અને નેપાળ વચ્ચે ઐતિહાસિક મહાકાળી સંધિમાં ઓલીની મોટી ભૂમિકા રહી છે. ઓલી 1990ના દાયકામાં તત્કાલીન નેપાળ સરકારમાં કૅબિનેટના મંત્રી હતા.
2007માં તેઓ વિદેશ મંત્રી બન્યા હતા, ત્યારે તેમના ભારત સાથે સારા સંબંધ હતા.
હવે ઓલી વિશે કહેવાય છે કે તેમનો ચીન તરફ ઝુકાવ વધારે છે, જોકે નેપાળ એક સાર્વભૌમ રાષ્ટ્ર છે અને તે આંતરરાષ્ટ્રીય સંબંધોને લઈને સ્વતંત્ર છે.
કેપી શર્મા ઓલી ફેબ્રુઆરી 2015માં નેપાળના વડા પ્રધાન બન્યા હતા, ત્યારથી તેઓ ત્રણ વખત ભારતની મુલાકાત લઈ ચૂક્યા છે. તેઓ પાતાના ચૂંટણી અભિયાનમાં ચીન સાથે સહકાર વધારવા અને ભારત પર નિર્ભરતા ઓછી કરવાની વાત કહી ચૂક્યા છે.

ઇમેજ સ્રોત, survey of India
નેપાળના નવા બંધારણ પર ભારતના અસંતોષ પર નેપાળની ઓલી સરકાર કહે છે કે આ તેની આંતરિક બાબત છે.
ભારત અને નેપાળ વચ્ચે 1950માં થયેલી 'પીસ ઍન્ડ ફ્રેન્ડશિપ સંધિ' અંગે પણ ઓલીનું વલણ કડક રહ્યું છે.
તેમનું કહેવું છે કે સંધિ નેપાળના હિતમાં નથી. આ સંધિ વિરુદ્ધ ઓલી નેપાળના ચૂંટણી અભિયાનમાં પણ આ વિશે નિવેદન આપી ચૂક્યા છે. ઓલી ભારત સાથે આ સંધિ ખતમ થાય તેની તરફેણમાં છે.
પ્રચંડનું રાજકારણ

2008માં પ્રચંડ વડા પ્રધાન બન્યા પછી તે વખતે ત્યારે તેમણે સૌપ્રથમ ભારતની મુલાકાત લેવાને બદલે ચીન જવાનું પસંદ કર્યું અને દિલ્હીને આશ્ચર્યચકિત કર્યું હતું.
નેપાળે મે મહિનાના ત્રીજા અઠવાડિયામાં પોતાનો સત્તાવાર નક્શો બહાર પાડ્યો હતો, જેમાં લિપુલેખ, કાલાપાની અને લિંપિયાધુરા વિસ્તારોને નેપાળની પશ્ચિમી સરહદની અંદર દર્શાવ્યા હતા.
નેપાળના મોટાભાગના લોકો આને સરકારનાં એક મજબૂત પગલા તરીકે જોવે છે. જોકે, ઓલીના આલોચકો કોવિડ-19 મહામારીના ખરાબ પ્રબંધન માટે દેશમાં થઈ રહેલી તેમની ટીકાથી ધ્યાન હઠાવવાના પ્રયત્ન તરીકે જોવે છે.
ભારતનું માનવું છે કે આ ભૂભાગ તેના ઉત્તરાખંડ રાજ્યમાં આવે છે. બીજી તરફ, નેપાળનું કહેવું છે કે આ વિસ્તાર તેના સુદૂર પશ્ચિમ રાજ્યનો ભાગ છે.
નેપાળનું કહેવું છે કે 1816ની સુગૌલી સંધિ અને પછી થયેલી બધી દ્વિપક્ષીય સમજૂતીમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે મહાકાલી (શારદા)ના પૂર્વમાં આવતો વિસ્તાર નેપાળ આધીન આવે છે.
મહાકાલી અને સુસ્તા (નારાયણી અથવા ગંડક નદી સાથે જોડાયેલું નવલપારસી) જેવા ભારત-નેપાળ સરહદ વિવાદ પર વિપક્ષી નેપાળી કૉંગ્રેસ અને એક સમયે રાજવી પરિવારના સમર્થન રહી રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી આ બાબતે એક જેવી ભાવના દર્શાવે છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે આ બાબતે નેપાળની બધી પાર્ટી એકમત છે.
સપ્ટેમ્બર 2015: ભારત-નેપાળ સરહદ પર નાકાબંધી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
સપ્ટેમ્બર 2015માં ઓલીએ ભારતવિરોધી વલણ અપનાવતા સરહદ પર અઘોષિત નાકાબંધી પણ જોવા મળી હતી. આ એ સમય હતો જ્યારે નેપાળમાં ચાર મહિના પહેલા એક વિનાશકારી ભૂકંપ આવ્યો હતો.
તે વખતે ભારતે નેપાળના નવું બંધારણ લાગુ કરવાને લઈને પોતાની નારાજી જાહેર કરી હતી.
ભારતને લાગી રહ્યું હતું કે દક્ષિણ નેપાળની કેટલીક માગોને નવા બંધારણમાં અવગણવામાં આવી હતી.
ત્યાર બાદ દક્ષિણ નેપાળના તરાઈ નેતાઓ અને કાર્યકરોએ પૂર્વથી પશ્ચિમ સુધી ભારત-નેપાળ સરહદને બંધ કરી હતી.
ભારત મજબૂતીથી આ વિરોધી નેતાઓ સાથે ઊભું હતું. નેપાળનો આરોપ હતો કે ભારત સરહદ પર નાકાબંધી કરી રહ્યું હતું, જોકે ભારત આ આરોપોને નકારી કાઢ્યા હતા.
સરહદનો આ વિસ્તાર લગભગ છ મહિના સુધી બંધ રહ્યો, જેના કારણે નેપાળમાં પેટ્રોલ, ગૅસ સહિત અન્ય જરૂરી વસ્તુઓની આપૂર્તિ બાધિત થઈ હતી.

ઇમેજ સ્રોત, Getty Images
ત્યારે નેપાળમાં ઓલીના નેતૃત્વવાળી બહુપક્ષીય સરકારે પણ ઝૂકવાનો ઇન્કાર કર્યો હતો અને ભારત વિરુદ્ધ કડક વલણ રાખ્યું હતું. ભારત સામે ઝૂકી જવાને બદલે નેપાળે પેટ્રોલિયમ સમેત બીજી આપૂર્તિ માટે પોતાના પાડોશી દેશ ચીનનો સહારો લેવાનું ઉચિત માન્યું હતું.
કુકિંગ ગૅસ અને ઇંધણની કમીને કારણે નેપાળમાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો .
નેપાળે એવામાં ચીન સાથે એક નવી ટ્રૅડ અને ટ્રાન્ઝિટ સમજૂતી કરી હતી.
નેપાળની સરહદ પર તરાઈના કાર્યકરો નાકાબંધી આંદોલન પાછું લેવાયું હતું અને ભારતે નેપાળને જરૂરી વસ્તુઓની આપૂર્તિ ફરી શરૂ કરી હતી.
ભારત અને નેપાળની નારાજગી

ઇમેજ સ્રોત, Getty Images
કારણ ભલે જે પણ હોય, પરંતુ 1,800 કિલોમિટરથી લાંબી ભારત-નેપાળ બૉર્ડરના મહત્ત્વપૂર્ણ વેપાર બિંદુઓ પર 2015માં થયેલી નાકાબંધીએ 1989-90ના એ સમયની યાદ અપાવી હતી, જ્યારે ભારતે બંને દેશોની સરહદ પર 21 માંથી 19 ઍન્ટ્રીપૉઇન્ટ્સ બંધ કરી દીધાં હતાં. આ પગલાંને કારણે નેપાળના લોકોને ભારે આર્થિક મુશ્કેલીઓ સહન કરવી પડી હતી.
આ નાકાબંધી એટલે થઈ હતી આ કારણે ભારતે નેપાળના એક અલગ ટ્રૅડ અને ટ્રાન્ઝિટ સમજૂતી પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. ભારત આ પ્રકારની માત્ર એક જ સમજૂતી ઇચ્છતું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
ત્યારે ભારત નેપાળના તત્કાલીન રાજપરિવારના ચીન પાસેથી ઍન્ટિ-ઍરક્રાફ્ટ ખરીદવાના નિર્ણયથી પણ નારાજ હતું.
ભારતને નેપાળનો ભારતીય પ્રવાસી મજૂરો માટે વર્ક પરમિટનો પ્રસ્તાવ પણ પસંદ નહોતો આવ્યો.
બીજી તરફ, નેપાળ ભારત સાથે જોડાયેલા દક્ષિણ તરાઈના જિલ્લાઓના હજારો લોકોને નાગરિકત્વ આપવા માટે પણ તૈયાર નહોતું.
પરંતુ, એપ્રિલ 1990માં નેપાળના રાજા બિરેન્દ્રે પહેલા જન આંદોલન સામે ઝૂકીને રાજકીય પક્ષો પર 30 વર્ષ જૂની પાબંદીને હઠાવી, ત્યારે આ બધા મામલા શાંત પડ્યા.
ત્યાર પછી નવી રાષ્ટ્રીય એકતા સરકારે ભારત સાથે એક નવી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા.
ભારત પાસે કોઈ વિકલ્પ છે?
30 વર્ષ પછી તરાઈ વિસ્તારને લઈને ભારત સાથે થયેલા તણાવના પાંચ વર્ષ પછી બંને દેશ ફરી સામસામે આવી ગયા છે.
લિપુલેખ વિવાદ એવા સમય પર આવ્યો છે જ્યારે હાલના સમયમાં કેટલીક ઉચ્ચસ્તરીય મુલાકાતો મારફતે દિલ્હી અને કાઠમંડુ નજીક આવતા દેખાતા હતા.
લિપુલેખ વિવાદ પછી નેપાળ અને ભારત બંને જગ્યાએ વિદેશનીતિના નિષ્ણાતોએ બંને દેશઓના નેતાઓ સાથે તત્કાળ એક કૂટનીતિક સંવાદ શરૂ કરવાની ભલામણ કરી છે.
કોવિડ-19ને કારણે ભારતે કૂટનીતિક પહેલને હોલ્ડ પર મૂકી દીધી છે.
નિષ્ણાતોનું કહેવું છે કે ભારત એક શક્તિશાળી અને મોટો પાડોશી દેશ છે એટલે તેના તરફથી આ વિવાદને ખતમ કરવાની પહેલ થવી જોઈએ.

ઇમેજ સ્રોત, Getty Images
દિગ્ગજ કૂટનીતિજ્ઞ હાલની ઘટનાઓથી નારાજ છે.
નેપાળમાં ભારતના રાજદૂત રહી ચૂકેલા અને હવે દિલ્હીમાં રહેતા એક નિષ્ણાતે નેપાળના અખબારને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે આ વિવાદને કૂટનીતિક સંવાદ સિવાય અન્ય કોઈ રીતે હલ ન કરી શકાય. આ પૂર્વ રાજનયિકોએ ઉશ્કેરણીમાં કોઈ પણ પગલું ન લેવાની ચેતવણી આપી છે.
નેપાળમાં ભારતના રાજદૂત રહેલા કેવી રાજને નેપાળના કાંતીપુર દૈનિકના સુરેશ ન્યોપાને સાથે વાતચીતમાં કહ્યું: "આ સંબંધ એટલો જૂનો છે કે એવી કોઈ બાબત નથી, જેનું નેપાળ અને ભારત વાતચીત મારફતે સમાધાન ન કરી શકે, પરંતુ બંને પક્ષોને બિનજરૂરી સામાન્ય લોકોની સલાહ પર દ્વિપક્ષીય વાતચીતને ખાડે ન જવા દેવી જોઈએ."
વિદેશસચિવસ્તરે પહેલ કરવાની જરૂર

ઇમેજ સ્રોત, Getty Images
નેપાળ પણ આના માટે તૈયાર દેખાય છે. નેપાળના વિદેશમંત્રી પ્રદીપ જ્ઞાવલીએ કહ્યું કે નદી સીમા વિવાદના સમાધાન માટે દ્વિપક્ષીય ચર્ચા શરૂ કરવા માટે નેપાળી પક્ષ તૈયાર છે.
તેમણે કાંતીપુર દૈનિકને કહ્યું, “જો ભારતે નેપાળના છેલ્લા અનુરોધને (નવેમ્બર 2019માં ભારતનો નક્શો આવ્યા બાદ) ધ્યાનાર્થે લીધો હોત, તો આજે સારી સ્થિતિ હોત.”
ભારતે હાલમાં કહ્યું હતું કે કોવિડ-19ને કારણે જાહેર કરેલું લૉકડાઉન ખતમ થયા પછી સરહદી બાબતોના સમાધાન માટે કૂટનીતિક વાર્તા શરૂ થશે.
પરંતુ અમુક નેપાળી ટિપ્પણીકારોનું કહેવું છે કે શરૂઆત કરવા માટે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે વિદેશસચિવ સ્તર પર દ્વિપક્ષીય વાતચીતના સારા પરિણામ આવશે.
તેમનું કહેવું છે કે આ વાતચીતથી ભરોસો અને પરસ્પર સહમતી વધશે.
વિશેષજ્ઞોનું કહેવું છે કે નેપાળ અને ભારત વચ્ચે સદિયો જૂનો સંબંધ છે અને તેનાથી બંને દેશોને ફાયદો થયો છે.
ખુલ્લી સરહદથી વિઝા વગર આવનજાવનના પોતાના ફાયદા અને નુકસાન છે. પરંતુ આમાં સારી વાત એ છે કે મોટા સ્તર પર સહેલાઈથી સરહદ પાર આવનજાવનની પરવાનગી મળવાથી બંને દેશોના તીર્થયાત્રીઓ, પર્યટકો અને પ્રવાસી મજૂરોને મોટો ફાયદો થયો છે.


- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો































