ગુજરાતની ચૂંટણીમાં સીટો ઘટી પરંતુ પૂર્વોત્તરમાં ભાજપ કેટલું મજબૂત?

ઇમેજ સ્રોત, BIJU BORO/AFP/GETTY IMAGES

    • લેેખક, સલમાન રાવી
    • પદ, બીબીસી સંવાદદાતા

વર્ષ 2014ની લોકસભા ચૂંટણીઓ પૂર્વે દેશના ઉત્તરપૂર્વ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની હાજરી કંઈ ખાસ ન હતી. જેમાં આસામની બાબત અપવાદરૂપ છે.

ત્રિપુરાના પાટનગર અગરતલામાં સ્વામી વિવેકાનંદ સ્ટેડિયમમાં થયેલી રેલીમાં લોકોની પાંખી હાજરી સફળ ચૂંટણી રેલીઓ કરી ચૂકેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ માટે ચિંતાજનક હતી.

પણ વર્ષ 2016માં ભાજપે આસામમાં સત્તાપક્ષ કોંગ્રેસને મોટા અંતરથી પરાજય આપીને રાજ્યમાં સત્તા હાંસલ કરી હતી.

પાર્ટીની પ્રવૃત્તિઓ અંગેના નિરીક્ષકોનું માનવું છે કે ઉત્તરપૂર્વના રાજ્યોમાં પોતાની પકડ મજબૂત કરવાની કોશિશ કરી રહેલા ભાજપ માટે આ એક નિર્ણાયક વળાંક હતો.

પૂર્વોત્તરમાં વિસ્તરણ

ઇમેજ સ્રોત, BIJU BORO/AFP/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદી અને આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ

આસામમાં મળેલી સફળતા બાદ ભાજપે અરુણાચલ પ્રદેશ અને મણિપુરમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું.

ભાજપે આસામમાં અન્ય પાર્ટીના નારાજ નેતાઓને શોધવાનું શરૂ કર્યું.

તેમનો પહેલો શિકાર હેમંત બિસ્વા સરમા હતા. તેમને આસામના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસી નેતા તરુણ ગોગોઈના ઘણી નિકટની વ્યક્તિ માનવામાં આવતા હતા.

પ્રદેશ સરકારની કેબિનેટ બેઠકમાં પણ તેઓને મજબૂત ગણવામાં આવતા હતા.

તમને આ પણ વાંચવું ગમશે

પરંતુ આસામમાં વિધાનસભા ચૂંટણીના ઘણા સમય પૂર્વે સરમા કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઈ ગયા હતા.

સ્થાનિક નિરીક્ષકનું કહેવું છે કે સરમાને ઉત્તરપૂર્વી રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટીની મજબૂતી અને નબળાઈ વિશે સંપૂર્ણ અંદાજ હતો.

આ રીતે ભાજપે ધીમે ધીમે માત્ર કોંગ્રેસ જ નહીં પણ ભારતીય માર્ક્સવાદી કમ્યૂનિસ્ટ પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસના નેતાઓને પોતાની તરફેણમાં કરી લીધા.

ભાજપ પ્રાદેશિક પક્ષો સાથે પણ મુલાકાત કરવા લાગ્યો અને આ રીતે પોતાનું વિસ્તરણ શરૂ કર્યું.

શૂન્યથી શરૂઆત

ઇમેજ સ્રોત, TWITTER

ઇમેજ કૅપ્શન, રામ માધવ

બીબીસી સાથેની વાતચીતમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે સ્વીકાર કરતા કહ્યું, "ઉત્તરપૂર્વમાં અમે શૂન્યથી જ શરૂઆત કરી હતી. અહીં કોઈ પણ રાજ્યમાં ભાજપનું કોઈ મહત્ત્વ જ નહોતું."

"અહીં લોકો પર કોંગ્રેસ અથવા અન્ય પ્રાદેશિક પક્ષોનો પ્રભાવ હતો. પરંતુ અમે કેટલાક રાજકીય પગલાં લીધા જેમાં સફળતા પણ મળી."

પાર્ટીમાં જમ્મુ-કાશ્મીરની સાથે સાથે ઉત્તરપૂર્વના રાજ્યોનો પ્રભાર પણ રામ માધવ જ સંભાળી રહ્યા છે.

તેમણે પૂર્વોત્તર રાજ્યો, ખાસ કરીને નાગાલેન્ડમાં અલગતાવાદી જૂથો સાથે વાતચીત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

ભાજપે કોંગ્રેસ અને કમ્યૂનિસ્ટ પાર્ટીના ગઢમાં પકડ જમાવવા માટે પોતાના મૂળ સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે એન્ટ્રી કરી.

વિધાનસભા ચૂંટણીમાં પૂર્વમાં સંઘ સાથે કામ કરી ચૂકેલા સુધીર દેવધર જણાવે છે,

"આ બાબતને કારણે પાર્ટીને ઘણી મદદ મળી અને જલદી જ તેમને બૂથ લેવલ પર કાર્યકર્તાઓ તરફથી સાથ મળવાનું શરૂ થઈ ગયું."

ઇમેજ સ્રોત, EPA/STR

દેવધરે મેઘાયલમાં પાર્ટી માટે મંચ તૈયાર કરવાના કામમાં મદદ કરી. ત્યાર બાદ ત્રિપુરામાં પાર્ટીની પકડ મજબૂત કરવા માટે તેઓ ત્યાં પહોંચી ગયા હતા.

અહીં તેમનો આશય હતો કે વીતી ગયેલા 25 વર્ષોમાં સત્તામાં રહેલી કમ્યૂનિસ્ટ પાર્ટીને ભાજપ ટક્કર આપે.

દેવધરે બીબીસીને જણાવ્યું, "ત્રિપુરામાં કામ કરતા કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓની સરખામણી અન્ય રાજ્યોના કોંગ્રેસના નેતાઓ સાથે ન કરવી જોઈએ."

"કોંગ્રેસ એકમાત્ર પાર્ટી છે જે ત્રિપુરામાં કમ્યૂનિસ્ટ પાર્ટી સાથે લડી રહી છે."

અહીં ભાજપ કોંગ્રેસ અને કમ્યૂનિસ્ટ પાર્ટીના નેતાઓને પોતાના જૂથમાં સામેલ કરવામાં સફળ રહ્યો.

જેમાં કેટલાક નેતા વિધાનસભાની ચૂંટણીમાં પણ ઉમેદવાર તરીકે મેદાનમાં ઊતર્યા.

નારાજ નેતાઓનું પાર્ટીમાંથી પલાયન

ઇમેજ સ્રોત, @HIMANTABISWA

કમ્યૂનિસ્ટ નેતા જુમૂ સરકાર ભાજપ પર ગંદી રાજનીતિ કરવાનો આરોપ લગાવે છે.

તેઓ કહે છે કે ઉત્તરપૂર્વના રાજ્યોમાં મોટાભાગના નેતા ભાજપમાં સામેલ થઈ ગયા છે.

વળી હવે સ્થિતિ એવી છે કે નેતા તો એ જ છે પણ હવે તેઓ કોંગ્રેસમાં નથી.

જુમૂ સરકાર આરોપ લગાવતા કહે છે, "ઉત્તરપૂર્વ રાજ્યોમાં આ નેતા ખરેખર કોણ છે? હેમંત અથવા કોઈ અન્ય છે. આ તમામ પહેલાં કોંગ્રેસમાં જ હતા. હવે તેઓ ભાજપમાં છે."

ઇમેજ સ્રોત, EPA

"કેટલાક અન્ય પક્ષોના લોકો જેમણે પોતાના પક્ષ સાથે છેડો ફાડી લીધો તેમને નાણાં સ્વરૂપે મોટી ઓફર કરવામાં આવી હશે."

પરંતુ પૂર્વોત્તરના પ્રમુખ કોંગ્રેસ નેતા તરુણ ગોગોઈએ બીબીસીને સાથેની વાતચીતમાં કહ્યું,"તેમનો પક્ષ નારાજ નેતાઓ પાર્ટી છોડીને જતા રહ્યા તે વાતથી ખુશ છે."

"પહેલાં પણ કોંગ્રેસમાં વિભાજન થયું હતું. આથી આ બાબતથી અમને શું મુશ્કેલી હોય?"

"આ સારી વાત છે કે પાર્ટીમાં હવે જૂના લોકોની જગ્યા યુવા નેતાઓ લઈ રહ્યા છે."

ભાજપનો આધાર

જોકે, નિરીક્ષકોનું માનવું છે કે ભાજપનો આધાર અહીં આરએસએસએ જ બનાવ્યો છે.

આરએસએસ અને તેના કાર્યકર્તાઓની સંગઠન શક્તિ વગર ભાજપ માટે ઉત્તરપૂર્વના રાજ્યોમાં પકડ જમાવવી મુશ્કેલ છે.

મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરા ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં જે કંઈ પણ પરિણામો આવે, પણ એક વાત નિશ્ચિત છે કે, ભાજપ આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી માટે કોઈ પણ કમી નથી રાખવા માંગતો. એનો અર્થ કે તે બરાબર હોમવર્ક કરી રહ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો