કોરોના વાઇરસ : ટ્રમ્પના જંતુનાશક અને સૂર્યપ્રકાશ વિશેના દાવામાં સત્ય કેટલું?

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ડોનાલ્ડ ટ્રમ્પ
    • લેેખક, રિયાલિટી ચેક ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ
  • વાંચવાનો સમય: 3 મિનિટ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવું પૂછ્યું હતું કે લોકોને જંતુનાશકના ઇન્જેક્શન આપી દઈએ કે દર્દીના શરીરને અલ્ટ્રાવાયૉલેટ (UV) પ્રકાશ સામે રાખીએ તો કોરોના વાઇરસથી સાજા થઈ જવાય કે નહીં?

રિયાલિટી ચેક ટીમે આ બંને દાવાની સત્યતાની ચકાસણી કરી છે.

દાવો-1

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, માનવશરીરમાં જંતુનાશક પદાર્થોનો ઉપયોગ કરવો ખૂબ જોખમી છે

"આ પેલા જંતુનાશકો, મેં જોયું છે કે એક મિનિટમાં જ ખતમ કરી નાખે. ને એવો રસ્તો છે કે નહીં કે આપણે કંઈક ઇન્જેક્શન જેવું મારીએ કે અંદર સફાઈ કરીએ, કેમ કે તમે જોયું હશે કે તે ફેફસામાં થાય છે અને ફેફસામાં તે નકરા જ જામી જાય છે."

ટ્રમ્પે આ રીતે દર્દીઓને જંતુનાશકો આપવાની વાત કરી હતી, જેથી કોરોના વાઇરસની સારવાર થઈ શકે.

જંતુનાશકનો ઉપયોગ સપાટી પર કરીએ તો વાઇરસને મારી નાખે, પણ તે માત્ર સપાટી પર અથવા પદાર્થ પર લાગેલા હોય ત્યારે જ મારવાના હોય. એક વાર તે શરીરમાં પહોંચી જાય પછી તેવું કરી ના શકાય.

જંતુનાશકો પીવા કે શરીરમાં તેને દાખલ કરવા તેનાથી ઝેર થવાનું કે મોત થવાનું જોખમ હોય છે. તેનાથી વાઇરસ પર જરાય ફરક પડવાનો નથી.

ડૉક્ટરો તરફથી લોકોને અપીલ કરવામાં આવી છે કે જંતુનાશકો પીશો નહીં કે શરીરમાં ઇન્જેક્શનથી દાખલ ના કરશો. તેમની ચિંતા થઈ છે કે લોકોને આ વાત સાચી લાગે અને પ્રયોગ કરે તો મૃત્યુ પણ આવે.

હર્ટફોર્ડશાયર યુનિવર્સિટીના ટોક્સોલૉજીના પ્રોફેસર રોબ ચિલકોટ કહે છે, "વાઇરસને નાબૂદ કરવા માટે જેટલા પ્રમાણમાં બ્લીચ કે જંતુનાશકો રક્તપ્રવાહમાં ઇન્જેક્ટ કરવા પડે તેનાથી બહુ નુકસાન થઈ શકે છે. સુધારી ના શકાય તેવી હાનિ સાથે મોટા ભાગે પીડાદાયક મૃત્યુ જ આવે."

તેઓ ઉમેરે છે કે તેના કારણે "કોષની અંદર રહેલા વાઇરલ પાર્ટિકલ્સને ખાસ કશી અસર થાય નહીં."

લાયસોલ અને ડેટોલ જેવા જાણીતા જંતુનાશક બનાવતી કંપની રેકિટ બેન્કિસરે પ્રમુખ ટ્રમ્પે આવી વાત કરી તે પછી નિવેદન જાહેર કર્યું હતું. કંપનીએ જણાવ્યું કે: "આપણે એક બાબતમાં સ્પષ્ટ થઈ જવું જરૂરી છે કે કોઈ પણ સંજોગોમાં અમારાં જંતુનાશક ઉત્પાદનો મનુષ્ય શરીરમાં (ઇન્જેક્શનથી, મોઢેથી કે કોઈ પણ રીતે) દાખલ કરવા જોઈએ નહીં."

બાદમાં ટ્રમ્પે પોતાની ટિપ્પણીનો બચાવ કરવાની કોશિશ કરી હતી કે "હું તો પત્રકારોને કટાક્ષમાં આવો સવાલ પૂછી રહ્યો હતો."

દાવો-2

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, UV લાઇટમાં કેટલો સમય રહે તો તેનો નાશ થાય તેની કોઈ ખાતરી નથી

"મારું કહેવું છે કે ધારો કે તમારા શરીરમાં તમે પ્રકાશ દાખલ કરો, જે તમે ચામડીથી કે બીજી રીતે કરી શકો. એટલે તમે કહેશો કે આપણે તેનો પણ ટેસ્ટ કરવો પડે... તો, આપણે જોઈશું, પણ પ્રકાશનો આખો કૉન્સેપ્ટ એટલે કે એક મિનિટમાં તે નાશ કરી નાખે છે તે બહુ પાવરફુલ છે."

ટ્રમ્પે એવા આઇડિયા પણ લડાવ્યા હતા કે દર્દીઓને "અલ્ટ્રાવાયૉલેટ કે એવી જોરદાર લાઇટમાં એક્સપોઝ કરવા જોઈએ."

એવા થોડા પુરાવા છે કે ખરા કે સામાન્ય સંજોગોમાં સપાટી પર રહેલા વાઇરસ પર તડકો પડે તો ઝડપથી નાશ પામે છે. પરંતુ UV લાઇટમાં કેટલો સમય રહે તો તેનો નાશ થાય તેની કોઈ ખાતરી નથી.

અને બીજું કે આ વાત પણ સપાટી કે પદાર્થ પર વાઇરસ હોય તેને જ લાગુ પડે. એક વાર વાઇરસ શરીરમાં દાખલ થઈ જાય તે પછી તેને આવી કોઈ અસર થઈ ના શકે.

એક વાર તમારા શરીરમાં વાઇરસ સ્થાન જમાવી દે પછી ગમે તેટલી UV લાઇટ તમારી ત્વચા પર પડે તેનાથી કોઈ ફરક પડતો નથી.

"UV રેડિયેશન અને ભારે ગરમી હોય ત્યારે સપાટી પરના વાઇરસ મરી જતા હોવાનું જાણીતું છે," એમ ડૉ. પેન્ની વૉર્ડ કહે છે.

કિંગ્ઝ કૉલેજ લંડનના ફાર્માસ્યુટિકલ મેડિકલ પ્રોફેસર ડૉ. વૉર્ડ જોકે ઉમેરે છે કે "સૂર્યપ્રકાશમાં રહેવાથી કે ગરમીમાં શરીરને તાપવાથી, બેમાંથી એક પણ રીતે શરીરના અંગોમાં પહોંચી ગયેલા વાઇરસને મારી શકાતો નથી."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો