મરાઠાના 50 હજાર સૈનિકો 10 હજાર અંગ્રેજો સામે હારી ગયા અને ભારતનું ભાગ્ય બદલાઈ ગયું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મરાઠાની સેના
    • લેેખક, નીતિન સુલતાને
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 13 મિનિટ

ભારતના ઇતિહાસમાં અનેક નિર્ણાયક યુદ્ધો થયાં છે જેણે દેશના ઇતિહાસની દિશા બદલી નાખવાનું કામ કર્યું છે. અસાયેની લડાઈ પણ આવી જ એક ઘટના હતી.

જે રીતે પ્લાસીના યુદ્ધથી બંગાળ અંગ્રેજોના હાથમાં આવી ગયું, તેવી જ રીતે અસાયેની લડાઈથી અંગ્રેજોએ મરાઠા સામ્રાજ્યનું ગળું દબાવી દીધું હતું.

મરાઠા સામ્રાજ્યના ઇતિહાસમાં આ સૌથી મહત્ત્વપૂર્ણ યુદ્ધ મરાઠવાડાની ધરતી પર જલન્યા નજીક અસાયે ખાતે લડાયું હતું. તેથી જ તેને અસાયેનું યુદ્ધ કહેવામાં આવે છે. આ ગામને અસાઈ પણ કહેવાય છે.

આ લોહિયાળ યુદ્ધમાં 50 હજાર સૈનિકોની શક્તિશાળી મરાઠાસેના માત્ર 10 હજારની બ્રિટિશ સેના સામે હારી ગઈ હતી. આ પરાજયે મરાઠા સામ્રાજ્ય અને ભારતનું ભાગ્ય બદલી નાખ્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images

આ યુદ્ધમાં બ્રિટિશ સેનાનું નેતૃત્વ આર્થર વૅલેસ્લી કરતા હતા જ્યારે અને મરાઠા સેનાની કમાન દોલતરાવ શિંદે અને રાઘોજી ભોસલે સંભાળતા હતા. શ્રી એમ. પરાંજપેના પુસ્તકમાં જણાવાયા મુજબ આર્થર વૅલેસ્લીએ ષડયંત્ર, દગાખોરી અને કપટનો ઉપયોગ કરીને દોલતરાવ શિંદેની આગેવાની હેઠળની મરાઠા સેનાને હરાવી હતી. ત્યાર પછી તેઓ ડ્યૂક ઑફ વૅલિંગ્ટન તરીકે ઓળખાવા લાગ્યા.

મરાઠી વિશ્વકોશમાં અપાયેલી માહિતી પ્રમાણે પટવર્ધન, પાટણકર, નિપાંકર, બાપુ ગોખલે, પેશ્વા અને મૈસોરકરની સેનાએ પણ અંગ્રેજોને આ યુદ્ધમાં મદદ કરી હતી.

આ લોહિયાળ યુદ્ધમાં બંને પક્ષોએ મોટા પ્રમાણમાં બંદૂકો અને રાઇફલોનો ઉપયોગ કર્યો હતો. તેથી આ યુદ્ધનું એક અલગ જ મહત્ત્વ છે. 23 સપ્ટેમ્બર, 1803ના રોજ આ યુદ્ધ લડવામાં આવ્યું હતું.

ઇતિહાસકાર શિવરામ મહાદેવ પરાંજપેએ 'મરાઠા યુદ્ધોના ઇતિહાસ' પુસ્તકમાં 1802થી 1818ના સમયગાળાનો ઇતિહાસ રજૂ કર્યો છે. તેમાં અસાયેના યુદ્ધનું વર્ણન કર્યું છે.

પરંતુ આ યુદ્ધમાં થયેલા વિજયે અંગ્રેજો માટે માત્ર મરાઠા સામ્રાજ્યમાં જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં પગ ફેલાવવાનો માર્ગ મોકળો કર્યો. પરાંજપે સહિત ઘણા ઇતિહાસકારોએ આ પ્રકારનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.

ઇતિહાસમાં આટલું મહત્ત્વનું યુદ્ધ હોવા છતાં અસાયેના યુદ્ધનો ઉલ્લેખ ભાગ્યે જ જોવા મળે છે. જોકે બ્રિટિશ સાહિત્યમાં દ્વિતિય બ્રિટિશ મરાઠા યુદ્ધ તરીકે તેના વિશે ઘણું લખવામાં આવ્યું છે.

ભારતીય ઇતિહાસના સૌથી લોહિયાળ યુદ્ધમાં અસાયેના યુદ્ધનો સમાવેશ થાય છે. તે સમયની રાજકીય પૃષ્ઠભૂમિ, અંગ્રેજોનાં ષડયંત્રો અને મરાઠાઓના આંતરિક વિખવાદોએ આ યુદ્ધ અને તેનાં પરિણામો પર અસર કરી હતી.

અસાયેના યુદ્ધની પૃષ્ઠભૂમિ

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

1800ના દાયકા દરમિયાન ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતના વિવિધ ભાગો પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવાનું શરૂ કર્યું હતું. તે સમયે તેમણે ભારતીય ઉપખંડના લગભગ ત્રણ મોટા ભાગ પર કબજો જમાવી દીધો હતો.

તેમાં મુખ્યત્વે પશ્ચિમ કિનારે બૉમ્બે બંદર, જેને હવે મુંબઈ તરીકે ઓળખવામાં આવે છે, પૂર્વ કિનારાની સાથે ઉત્તર અને દક્ષિણમાં મદ્રાસ, હાલના ચેન્નાઈ નજીકનો વિસ્તાર અને કોલકાતાના બંદર પર આધાર રાખતા બંગાળ પ્રાંતનો સમાવેશ થતો હતો. બેટલ્સ ઑફ બ્રિટનની વેબસાઈટ પર આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ભારતના દક્ષિણ ભાગ એટલે કે ડેક્કનમાં હૈદરાબાદ અને મૈસુર પર પણ અંગ્રેજોનું રાજ હતું. પરંતુ મરાઠા સામ્રાજ્યએ દરિયા કિનારે આવેલા ત્રણ પ્રાંતોમાં બ્રિટિશ સત્તાને એકબીજાથી દૂર રાખવાનું કામ કર્યું હતું. ઉત્તર-મધ્ય ભારતના ભાગો સુધી વિસ્તરેલું મરાઠા સામ્રાજ્ય તે સમયે અંગ્રેજો માટે માથાનો દુ:ખાવો બની ગયું હતું.

મરાઠા સામ્રાજ્યમાં પેશ્વા બાજીરાવ (દ્વિતિય), દોલતરાવ શિંદે, યશવંતરાવ હોલ્કર, રઘુજી ભોંસલે રાજે અને વડોદરાના ગાયકવાડ - એમ પાંચ રાજવીઓનો સમાવેશ થતો હતો. શિંદેએ દિલ્હી સુધીનો પ્રદેશ જીતીને પોતાના રાજમાં ઉમેર્યો હતો.

પરંતુ આ આખા મામલામાં મરાઠા સરદારો વચ્ચે અંદરોઅંદર હરીફાઈ થવા લાગી. 1802માં હોલ્કરોએ આંતરિક યુદ્ધમાં સિંધી અને પેશ્વાઓને હરાવ્યા. જેના કારણે પેશ્વાઓએ અંગ્રેજો એટલે કે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની શરણ લેવી પડી.

તે સમયના બ્રિટિશ ગવર્નર જનરલ લૉર્ડ મૉર્નિંગ્ટન ખૂબ જ આક્રમક અને મહત્ત્વાકાંક્ષી હતા. તેમણે પેશ્વાઓ પાસેથી પોતાની રાજધાની પૂણે પાછી મેળવવાના બહાને દક્ષિણમાં મૈસૂર અને ઉત્તરમાંથી અવધ પર હુમલો કર્યો. પેશ્વાઓએ અંગ્રેજો પાસે આશરો માગ્યો ત્યારે વસઈની સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. અસાયેના યુદ્ધ માટે વસઈની આ સંધિ મોટાભાગે જવાબદાર હતી.

ઇમેજ સ્રોત, Getty Images

વસઈની સંધિમાં દોલતરાવ શિંદેની ભૂમિકા અંગ્રેજો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતી. કારણકે તેમાંથી આગળ ઘણું પ્રાપ્ત થવાનું હતું. મૂળભૂત રીતે બાજીરાવને પૂણેની ગાદી પર પુનઃસ્થાપિત કરવા અંગ્રેજો તેમની સાથે 30,000 થી 35,000 સૈનિકો લાવ્યા હતા. આનાથી તેમના ઇરાદા અંગે શંકા પેદા થઈ.

દોલતરાવ શિંદે અને હોલકર વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું. આથી તેમની વચ્ચે સમાધાન થાય તેમ ન હતું. આ કારણથી દોલતરાવ શિંદેએ રાઘોજી ભોંસલેની સલાહ લેવાનું શરૂ કર્યું. પરંતુ અંગ્રેજો શક્ય એટલી વહેલી તકે તેમની ભૂમિકા જાણવા માંગતા હતા. દોલતરાવ દ્વારા સૈનિકોની તૈનાતી માટે શરતો મૂકવામાં આવી હતી અને તેની સાથે સહમત થવું તેમના માટે મુશ્કેલ હતું.

તેઓ નિર્ણય લેવામાં વિલંબ કરી રહ્યા હતા અને આર્થર વૅલેસ્લીને યુદ્ધની તૈયારી કરવા માટે સમયની જરૂર હતી. અંતે તેમણે તૈયારી કરી લીધી અને પોતાની નારાજગીનું કારણ જણાવીને મરાઠાઓ સામે યુદ્ધની ઘોષણા કરી.

'ભાગલા પાડો અને રાજ કરો'

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પેશ્વાઓનો દરબાર

માર્કસ વૅલેસ્લી અને આર્થર વૅલેસ્લી નામના અંગ્રેજ અધિકારીઓએ યુરોપિયન અથવા ફ્રેન્ચ અધિકારીઓ સાથે મળીને દોલતરાવ શિંદેની સેનાને તોડવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો.

પરાંજપેએ 'મરાઠા યુદ્ધોના ઇતિહાસ' પુસ્તકમાં આના પુરાવા રજૂ કર્યા છે. તે મુજબ લૉર્ડ વૅલેસ્લીએ શિંદેને છોડાવનારાઓ માટે ઇનામ આપવાની જાહેરાત કરી, તેથી ઘણા અધિકારીઓએ તેને પકડી લીધા.

તેઓ આટલેથી જ ન અટક્યા, પરંતુ શિંદેની સાથે હાજર રહેલા સરદારો સહિત અન્ય લોકોને પણ સમજાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો. અંગ્રેજોને મદદ કરનારા સરદારો અને જાગીરદારોને નાણાં આપવા માટે દેશભરના કલેક્ટરને પત્રો પણ લખવામાં આવ્યા હતા. દોલતરાવ શિંદે સાથે હાજર ફ્રેન્ચ અધિકારીઓને પણ લાંચ આપવામાં આવી હતી.

શિંદેની સેનામાં કેટલાક બીજા મુસ્લિમ સરદારોની સેના પણ હતી. તેમાં બેગમ સમરુનાં કેટલાંક જૂથો પણ સામેલ હતાં. અંગ્રેજોએ બેગમ સમરુને પણ પોતાની જાળમાં ફસાવ્યા હતા.

બેગમ સમરુને ગુલામ બનાવવામાં અંગ્રેજો સફળ રહ્યા. તેમને એ સાબિત કરવાની શરત રાખવામાંં આવી કે બેગમ સમરુ વાસ્તવમાં અંગ્રેજોની સાથે છે. શરત એવી હતી કે શિંદેની સેના સાથે હાજર સૈનિકોને પાછા ખેંચી લેવા જોઈએ. અસાયેના યુદ્ધમાં બેગમ સમરુની સેનાની બે ટુકડીઓ અચાનક જ નીકળી ગઈ, જેના કારણે આ યુદ્ધમાં ભારે નુકસાન થયું તેવો ઈતિહાસમાં ઉલ્લેખ છે.

અંગ્રેજોએ ગોહાડના રાજાને સિંધીઓ સામે ભડકાવીને જાટ સેનાને તેમની સામે ઉશ્કેરવાની વ્યૂહરચના બનાવી. તેના માટે તેમણે એક લાખ રૂપિયાની લાંચની ઑફર કરી હતી. બુંદેલખંડના હિંમત બહાદુર પણ એક સરદાર હતા જેઓ અંગ્રેજોની સાથે રહ્યા હતા. અંગ્રેજ બમ્બુખાનાનો પણ આવી રીતે ઉપયોગ કરતા હતા.

ઉત્તરમાં દોલતરાવ શિંદે અને રણજીત સિંહનાં રાજ્યોની સરહદો એકબીજાની નજીક આવી ગઈ. તેથી અંગ્રેજોએ શીખોને સિંધીઓ પાસેથી મદદ લેતા અટકાવવાનો પ્રયાસ કર્યો. તેઓ શીખોને પોતાના પક્ષમાં લેવામાં તો સફળ ન થયા, પરંતુ તેમને તટસ્થ રહેવા માટે સહમત કરી લીધા.

અંગ્રેજોએ પશ્ચિમ તરફથી આવતી મદદ અટકાવવા ગુજરાતના ભરૂચ પ્રદેશમાંથી સિંધીઓની મદદ રોકવાનો પ્રયાસ કર્યો. વડોદરાના ગાયકવાડે તેમની પાસેથી કંઈ વધારે ન માગ્યું. પરંતુ ભીલોને પોતાના પક્ષમાં લઈને અંગ્રેજોએ તે ભાગ પણ કબજે કર્યો.

મરાઠી વિશ્વકોશમાં અપાયેલી માહિતી મુજબ પટવર્ધન, પાટણકર, નિપાંકર, બાપુ ગોખલે, પેશ્વા અને મૈસોરકરની સેનાએ પણ અંગ્રેજોને મદદ કરી હતી.

શિંદે અને ભોસલે બંને એકસાથે લડશે એ લગભગ સ્પષ્ટ હતું, તેથી અંગ્રેજોએ સલાહ આપી કે તેમને કોઈપણ તરફથી મદદ મળવી ન જોઈએ.

આવી વ્યૂહરચના તૈયાર કર્યા પછી અંગ્રેજો વસઈની સંધિ તરીકે ઓળખાતી તેમની સૌથી મોટી ચાલ ચાલ્યા.

વસઈની સંધિ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ લડાઈમાં કર્નલ મૅક્સવેલની હત્યા થઈ હતી

પુસ્તકના લેખક શિવરામ પરાંજપેએ જણાવ્યું હતું કે, "સંધિથી ખરેખર તો યુદ્ધોનો અંત આવવો જોઈએ. પરંતુ વાસ્તવમાં યુદ્ધોને સમાપ્ત કરવાને બદલે તેમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું તેનું આબેહૂબ વર્ણન છે.”

મરાઠા અને ભારતીય ઇતિહાસમાં અત્યંત મહત્ત્વની આ 'બેસિન સંધિ' પેશ્વા બાજીરાવ દ્વિતિય અને અંગ્રેજો વચ્ચે થઈ હતી. 31 ડિસેમ્બર, 1802 એ આ સંધિની તારીખ છે. બ્રિટાનિકામાં જણાવાયું છે કે આ સંધિએ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને પશ્ચિમ ભારતમાં પેશવાઓના પ્રદેશો પર નિયંત્રણ આપ્યું હતું.

અંગ્રેજોની એક યોજના હતી. તેઓ માત્ર એક તકની રાહ જોઈ રહ્યા હતા જે તક તેમને વસઈની સંધિના કારણે મળી. મરાઠાઓ વચ્ચે અંદરોઅંદર દુશ્મનાવટને કારણે તે સમયે ઘણી રાજકીય ચાલબાજી અને ગોટાળા ચાલતા હતા. અંગ્રેજો આ બધા પર ચાંપતી નજર રાખતા હતા. આવી જ એક ઘટનાથી તેમને તક મળી ગઈ.

‘હિસ્ટ્રી ઑફ મરાઠા વૉર્સ’ પુસ્તક અનુસાર પેશવા બાજીરાવ દ્વિતિયે વિથોજી હોલ્કરને એક આરોપમાં હાથીના પગ નીચે કચડી નાખવાની સજા આપી હતી. તેના કારણે આખો તિખારો થયો.

યશવંત હોલ્કર પોતાના ભાઈને અપાયેલી ક્રુર સજાનો બદલો લેવા માગતા હતા. જેના કારણે યશવંતરાવ હોલ્કરે સીધી પૂણે તરફ કૂચ કરી. યશવંતરાવ પોતાના ભાઈનાં મૃત્યુનો બદલો લેવા પોતાનો જીવ લેશે એવા ડરથી પેશ્વાઓએ પૂણે છોડી દીધું અને અંગ્રેજોની શરણ લેવા સિંહગઢ, મહાડ થઈને સીધા વસઈ ગયા.

અહીં યશવંતરાવ હોલ્કરે રાઘોબદાદાના પુત્ર અમૃતા રાવને પેશ્વાની ગાદી પર બેસાડ્યા. પોતાની ગાદી પાછી મેળવવા માટે પેશ્વા બાજીરાવ દ્વિતિયે અંગ્રેજો સાથે સંધિ કરી, જેને વસઈની સંધિ કહેવામાં આવે છે.

આ સંધિમાં ખૂબ જ મહત્ત્વની શરતો રાખવામાં આવી હતી. તે મુજબ પેશ્વા અંગ્રેજોની છ બટાલિયન (6000 સૈનિકો)ને પોતાના પ્રદેશમાં રાખવા સંમત થયા. તેમને ચોક્કસ વિસ્તાર પણ ફાળવવામાં આવ્યો હતો. પેશ્વા અથવા તેમના સાથીઓએ તમામ યુરોપિયનોને તેમની સેવામાંથી દૂર કરવા પડ્યા. સુરત અને વડોદરાને છોડવું પડ્યું. આ ઉપરાંત, અન્ય રાજ્યો અથવા રાષ્ટ્રો સાથે નીતિઓ ઘડતી વખતે અંગ્રેજોની સલાહ લેવી પડતી હતી.

આ રીતે તેમણે એ તકનો લાભ ઉઠાવ્યો જેમાં અંગ્રેજોએ મરાઠા સામ્રાજ્યમાં વિસ્તરણ કરવાનું હતું અને પેશ્વાના સિંહાસન પર બાજીરાવના પૂનરાગમન વખતે પોતાના ષડયંત્ર રચવા હતા. ત્યાર પછી જે બન્યું તે માત્ર મરાઠા નહીં પણ ભારતીય ઇતિહાસમાં એક કાળો અધ્યાય બની ગયો.

આ સંધિને કારણે દ્વિતિય ઍંગ્લો-મરાઠા યુદ્ધ, અસાયેનું યુદ્ધ અને ત્રણ મોટાં મરાઠા સામ્રાજ્યોનું પતન થયું.

વાસ્તવિક યુદ્ધ કેવી રીતે લડાયું

ઇમેજ કૅપ્શન, અસાઈ પાસેથી મળેલી એક તોપ જે હાલમાં પિપલગાંવમાં છે

દોલતરાવ શિંદે, રાઘોજી ભોંસલે અને હોલ્કર પણ વસઈની સંધિથી નારાજ હતા. હોલ્કર તેમની સામે લડતા હતા. પરંતુ શિંદે અને ભોંસલે પેશ્વાઓની તરફેણમાં હોવા છતાં સંધિ સ્વીકારવા તૈયાર ન હતા.

દોલતરાવ શિંદે અને રાઘોજી ભોંસલેએ વસઈની સંધિ પ્રત્યે સકારાત્મક વલણ અપનાવ્યું ન હતું. તેઓ અંગ્રેજોની શરતો સાથે પણ સહમત ન હતા. તેનો અર્થ એ થયો કે તેઓ અંગ્રેજો સાથે યુદ્ધ કરવા માગે છે.

પેશ્વાઓના રાજ્યાભિષેક પછી આર્થર વૅલેસ્લી થોડા દિવસો પૂણેમાં રહ્યા અને પછી પૂણે છોડી ગયા. ત્યાર પછી તેમણે 11 ઑગસ્ટ,1803ના રોજ અહમદનગરનો કિલ્લો કબજે કર્યો. શિંદે માટે આ મોટો આઘાત હતો. અહમદનગરનો કિલ્લો બે દિવસમાં ગુમાવવો પડ્યો.

પરંતુ ત્યાર પછી અંગ્રેજોએ કંઈ ખાસ કર્યું નહિ. તેની સેના નિઝામના શાસન તરફ આગળ વધી ચૂકી હતી. તે જ સમયે શિંદે અને ભોંસલેની સેના પણ નિઝામની સરહદે પહોંચી ગઈ હતી. અંગ્રેજોએ વિચાર્યું કે તેઓ ઔરંગાબાદ (હાલના છત્રપતિ સંભાજીનગર), જાલના, હૈદરાબાદ પર હુમલો કરશે. ત્યારે જ અંગ્રેજ સેના ત્યાં આવી ગઈ.

બીજી તરફ સ્ટીવન્સની સેના પણ વૅલેસ્લીને મદદ કરવા ઉત્તરથી ઔરંગાબાદ તરફ આગળ વધી હતી. પરાંજપેના પુસ્તકમાં જણાવાયા મુજબ જનરલ વૅલેસ્લી 29 ઑગસ્ટે ઔરંગાબાદ પહોંચ્યા હતા. સ્ટીવન્સનની સેના મોડેથી આવી. વૅલેસ્લી અને લૉર્ડ મૉર્નિંગ્ટન દ્વારા આ બધાનું પહેલેથી જ આયોજન કરવામાં આવ્યું હતું.

તેનાથી પહેલાં શિંદે અને ભોંસલેના દળોએ અજંતામાં સરસાઈ મેળવી હતી. ત્યાંથી તેઓ હૈદરાબાદ તરફ કૂચ કરવા માંગતા હતા. પરંતુ વૅલેસ્લી અને સ્ટીવન્સન બે બાજુએથી આવી રહ્યા છે તે જાણીને તેમણે ફરીથી અજંતા તરફ પ્રયાણ કર્યું. તેમણે જેવી પીછેહઠ કરી કે તરત સ્ટીવન્સનની સેનાએ જાલના પર કબજો કરી લીધો. આ કારણે એક રસ્તો બંધ થઈ ગયો અને શિંદે અને ભોસલેની સેના ઉત્તર તરફ આગળ વધી.

લગભગ 15 દિવસ પછી અંગ્રેજો જે પૂરવઠાની રાહ જોઈ રહ્યા હતા તે તેમને મળી ગયો. પરંતુ મરાઠાઓને અન્ય રાજાઓ પાસેથી પણ મદદ મળતી હતી.

મેલેસનના પુસ્તકમાં જણાવાયા મુજબ મરાઠાઓએ અજંતાના ઘાટ હેઠળ જાફરાબાદ અને ભોકરદન ગામોની વચ્ચે પડાવ નાખ્યો હતો. વૅલેસ્લી અને સ્ટીવન્સનની સેના જલન્યા નજીક બદનાપુર ખાતે ભેગી થઈ, પરંતુ એક માર્ગ અપનાવવાને બદલે તેમણે મરાઠાઓને બે બાજુથી ઘેરી લેવાની યોજના જાળવી રાખી અને આગળ વધ્યા.

23 સપ્ટેમ્બરની સવારે જનરલ વૅલેસ્લી બદનાપુરથી નીકળીને નાલની ગામ પહોંચ્યા. તે જ સમયે, છ માઇલ દૂર કાલના નદીની ખીણમાં દુશ્મન સેનાનો અડ્ડો હોવાની માહિતી મળી હતી. તેઓ ત્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં બપોર થઈ ચૂકી હતી. આ દરમિયાન સ્ટીવન્સન અને વૅલેસ્લીની સેનાઓ 8 માઇલ દૂર હતી. તેથી વૅલેસ્લીએ તેમના દળોની રાહ જોયા વિના શિંદે અને ભોંસલેનો મુકાબલો કરવાનું નક્કી કર્યું.

મરાઠા સેના અંગ્રેજો કરતાં ઘણી મોટી હતી. તેમની પાસે લગભગ 30 હજાર ઘોડેસવાર અને 12 હજાર પાયદળ (લગભગ 50 હજાર) સૈનિકો હતા. વૅલેસ્લી પાસે ચાર હજાર બ્રિટિશ સૈનિકો અને લગભગ પાંચ હજાર ઘોડેસવાર (લગભગ 10 હજાર સૈનિકો) હતા. પરાંજપે અને મેલેસનના પુસ્તકમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પણ પરાંજપેના પુસ્તકમાં બીજી એક વાતનો ઉલ્લેખ છે. તે મુજબ પૂણેના રહેવાસી ઍલ્ફિન્સ્ટન અસાયેના યુદ્ધના દિવસે આખો દિવસ વૅલેસ્લીની સાથે રહ્યા. તેમના જીવનચરિત્રમાં સેનાનો ઉલ્લેખ છે. તે મુજબ 50 હજાર મરાઠાઓ માટે બે નદીઓ વચ્ચેના મેદાનમાં રહેવું શક્ય ન હતું. તેથી તેમણે કહ્યું છે કે બંને પક્ષના સૈનિકોની સંખ્યા વધતા ઓછા પ્રમાણમાં સમાન હોવી જોઈએ.

ત્રણ કલાક સુધી રક્તપાત ચાલ્યો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જનરલ આર્થર વૅલેસ્લી

અસાયેના યુદ્ધ માટે ઉપલબ્ધ નકશા અનુસાર બે નદીઓ - કેલાના અને જુઈ પૂર્વમાં મળી હતી. મરાઠા સેના આ બે નદીઓની વચ્ચે હતી. એક રીતે કિનારા પર પાણીનો ઘેરો કુદરતી ખાઈની જેમ લશ્કરનું રક્ષણ કરતો હતો. આ બધી બાજુઓને ધ્યાનમાં લેતા લડાઈ જુઈ નદીના કિનારે આવેલા અસાયે ગામ તરફ ઉગ્ર બની. યુદ્ધ મુખ્યત્વે તે સ્થાન પર લડવામાં આવ્યું હતું તેથી તે અસાયેના યુદ્ધ તરીકે ઓળખાયું.

મરાઠા સેના બે નદીઓ વચ્ચે હોવાથી બ્રિટિશ સેના માટે તેમના સુધી પહોંચવું મુશ્કેલ હતું. પરંતુ આમ હોત તો વૅલેસ્લીએ અનુમાન કર્યું હતું કે નજીકના ગામોએ નદી પાર કરવા માટે કૉઝવેનો ઉપયોગ કર્યો હોત. તેમણે તે રસ્તો શોધી કાઢ્યો અને સેના પર હુમલો કરવાનું શરૂ કર્યું.

લગભગ ત્રણ વાગ્યે બંને સેનાઓ સામસામે આવીને ઊભી રહી.

પ્રથમ વખત બંને સેનાઓ વચ્ચે સામસામે તોપમારો થયો. જનરલ વૅલેસ્લીએ ભારે તોપથી ગોળા ફેંકવાનું શરૂ કર્યું, પરંતુ મરાઠાઓની બહાદુરી પર આની કોઈ અસર ન થઈ.

આ ઉપરાંત મરાઠાઓએ પણ ફ્રેન્ચોના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલી તોપોથી ગોળીબાર શરૂ કરી દીધો. આનાથી અંગ્રેજોને ભારે નુકસાન થયું અને આખરે વૅલેસ્લીએ તોપ છોડીને આગળ વધવાનું નક્કી કરવું પડ્યું.

અંગ્રેજોએ ખૂબ જ આક્રમક રીતે હુમલો કર્યો. મરાઠાઓએ પણ તેનો જોરદાર પ્રતિકાર કર્યો. મરાઠાઓના તોપમારા છતાં અંગ્રેજ સૈન્ય અટકવા તૈયાર ન હતું. તેમણે મરાઠાઓની તોપોને પણ નિષ્ક્રિય કરી દીધી. મરાઠા સેનાને પાછળ ધકેલીને અંગ્રેજ સૈન્ય આગળ વધવા લાગ્યું.

મરાઠાઓએ જે સૈન્ય દળોની રચના કરી હતી તેઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. આમ કરીને મરાઠા સેના જુઈ નદી પાર કરી ગઈ અને અંગ્રેજ સૈન્યએ ત્યાં કિલ્લેબંધી બનાવી.

મરાઠા ગેરિલા યુદ્ધની પણ ઝલક અહીં જોવા મળી હતી. કેટલાક મરાઠા સૈનિકોએ મૃત હોવાનો ઢોંગ કર્યો અને બંદૂકો પાસે સૂઈ ગયા. બ્રિટિશ સૈન્ય તેમની નજીક આવ્યું કે મરાઠા સૈનિકો ઊભા થઈ ગયા અને ગોળીબાર કરવા લાગ્યા. પાછળથી તોપોનો ગોળીબાર અને સામેથી મરાઠા સેનાના હુમલાએ ફરી એકવાર બ્રિટિશ સેનાને હંફાવી દીધી.

પરંતુ વૅલેસ્લીની સેના આવા સંકટ માટે તૈયાર હતી. પોતાનું સૈન્ય મુશ્કેલીમાં છે તેમ સમજીને વૅલેસ્લીએ તેના અશ્વદળ સાથે કૂચ કરી અને મરાઠા સૈન્ય પર હુમલો કર્યો, જે પાછળથી અંગ્રેજો પર તોપ ચલાવી રહ્યું હતું. બીજી તરફ મૅક્સવેલે જુઈ નદી પાર આગળ વધી રહેલી મરાઠા સેના પર હુમલો કર્યો.

જે સ્થિતિ અંગ્રેજોની હતી તે સ્થિતિ હવે મરાઠાઓની થઈ ગઈ અને હવે બંને બાજુથી હુમલા થઈ રહ્યા હતા. તેમ છતાં મરાઠાઓ દ્વારા લડાયેલું યુદ્ધ એટલું ભીષણ હતું કે તેમાં મૅક્સવેલનું મૃત્યુ થયું હતું. મોટી સંખ્યામાં બ્રિટિશ સૈનિકો પણ માર્યા ગયા.

મરાઠાઓ કરતાં અંગ્રેજોનું નુકસાન વધુ હતું. પરંતુ અહીંથી જ બ્રિટિશ આર્મીની દગાખોરી જોવા મળી. તેમણે શિંદેની સેનામાં ફ્રેન્ચ અધિકારીઓ સાથે હાથ મિલાવ્યા હતા. ઇતિહાસકારો પ્રબળ સંભાવના વ્યક્ત કરે છે કે આ ષડયંત્ર અંગ્રેજોની તરફેણમાં થયું હતું.

આ ઉપરાંત બેગમ સમરુની ચાર ટુકડીઓ મરાઠા સેના સાથે હતી. આ સૈનિકો પણ કંટાળી ગયા હતા. આ કારણે તે સમયે મરાઠા સેના બિનઅસરકારક બની ગઈ હતી. અહીં કહી શકાય કે મરાઠાઓ પર ઓચિંતો હુમલો કરવામાં આવ્યો હતો કારણ કે તેઓ અન્યના સૈનિકો પર નિર્ભર હતા.

તેથી ત્રણ કલાકની અંદર અંગ્રેજો યુદ્ધ જીતી ગયા અને મરાઠા સૈન્યે પીછેહઠ કરી. મૅલેસનના પુસ્તક અનુસાર આ યુદ્ધમાં લગભગ 428 બ્રિટિશ સૈનિકો અને 1200 મરાઠા સૈનિકો માર્યા ગયા હતા.

ત્યાર પછી મરાઠા સેનાએ મરાઠા સામ્રાજ્યના અનવા ગામ તરફ પ્રયાણ કર્યું.

મુંબઈ, બેંગલુરુ હજુ પણ અસાયેને યાદ કરે છે

ઇમેજ કૅપ્શન, અસાઈમાં આ જ જગ્યાએ એક યુદ્ધ ખેલવામાં આવ્યું હતું

ભારતીય ઇતિહાસની સૌથી મહત્ત્વની લડાઈઓમાંની એક લડાઈ અસાયે ખાતે મરાઠાઓ દ્વારા લડાઈ હતી. પરંતુ હજુ પણ આ સ્થળે સરકારી અને રાજકીય ઉદાસીનતા જોવા મળે છે તેવો અફસોસ સ્થાનિક વિદ્વાન ડો. કૈલાશ ઇંગલે વ્યક્ત કર્યો હતો.

અહીં માત્ર કબર કે ચબૂતરા જેવું સ્મારક જ છે. પણ તેની કોઈને પરવા નથી. ગ્રામજનો પણ તેને ગંભીરતાથી લેતા નથી. ઇંગલેએ કહ્યું કે તેઓ માત્ર એટલું જ જાણે છે કે અહીં લડાઈ થઈ હતી.

તેમણે કહ્યું કે અમે પોતે સરકારી સ્તરે સહકાર આપ્યો હતો પરંતુ તે સ્તરે ઘણી ઉદાસીનતા જોવા મળી હતી. ક્યારેક ઇતિહાસના વિદ્યાર્થીઓ, કેટલાક બ્રિટિશ પ્રવાસીઓ અથવા અન્ય લોકો અહીં આવે છે. પણ બીજું કોઈ બહુ જાણતું નથી.

જો કે, હજુ પણ એવી કેટલીક બાબતો છે જે અસાયેના યુદ્ધની મહત્ત્વની સાક્ષી છે. આ લડાઈની યાદો માત્ર અસાયે ગામમાં જ નહીં, મુંબઈ અને બેંગલુરુ જેવાં શહેરોમાં પણ છે.

મુંબઈના કોલાબા વિસ્તારમાં અસાયે નામની કેટલીક ઇમારતો છે. મુંબઈના એક અજ્ઞાત પુસ્તકના લેખક નિતિન સાળુંખેએ જણાવ્યું કે આ ઇમારતો અસાયેના યુદ્ધની યાદમાં બનાવવામાં આવી હતી.

જો કે, હજુ પણ એવી કેટલીક બાબતો છે જે અસાયેના યુદ્ધના મહત્ત્વની સાક્ષી આપે છે. આ લડાઈની યાદો માત્ર અસાઈ ગામમાં જ નહીં, મુંબઈ અને બેંગલુરુ જેવાં શહેરોમાં પણ છે.

આર્થર વૅલેસ્લી પોતે મુંબઈના મલબાર હિલ વિસ્તારમાં રહેતા હતા. તેમણે યાદગીરી તરીકે આ ઇમારતોને બનાવી છે. તેમણે કહ્યું કે અંગ્રેજોએ આવી અનેક ઘટનાઓની યાદમાં ઇમારતો બનાવી હતી.

જ્યારે મદ્રાસ સેપર્સ અથવા મદ્રાસ એન્જિનિયર ગ્રૂપ(એમઈજી)એ અંગ્રેજોની તરફેણમાં રહીને યુદ્ધ જીતવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બેંગલુરુ કૅન્ટોનમૅન્ટ તે સમયે મદ્રાસ સેપર્સના નિયંત્રણ હેઠળ હતું. તેથી આ યુદ્ધની યાદમાં બેંગાલુરુમાં એમઈજી હેડક્વાર્ટર પાસેના રસ્તાનું નામ અસાયે રોડ રાખવામાં આવ્યું છે.

એક વેબસાઈટ પર એક લેખમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત મુંબઈના કોલાબા વિસ્તારમાં અસાયે બિલ્ડિંગ નામની કેટલીક ઇમારતો છે. હાલમાં આ ઇમારતો સેનાના નિયંત્રણમાં છે.

અંગ્રેજો માટે માર્ગ મોકળો કરનાર યુદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અસાઈની લડાઈની એક તસવીર

ઇતિહાસકાર પુષ્કર સોહોની મુજબ આ યુદ્ધ પછી જ અંગ્રેજોએ મરાઠા સામ્રાજ્યમાં વિસ્તરણ શરૂ કર્યું. આ યુદ્ધમાં અંગ્રેજોની જીતે પેશ્વા અથવા મરાઠા સામ્રાજ્યનો પ્રભાવ ઘટાડવામાં મદદ કરી.

કેટલાક વિદ્વાનોના મતે 1818 અને આ યુદ્ધ અથવા વસઈની સંધિની વચ્ચે પેશ્વાવાદનો અંત શરૂ થયો હતો, તેના કારણે આમ થયું.

આ યુદ્ધનો અલગ દૃષ્ટિકોણથી અભ્યાસ કરીએ તો તેના દૂરગામી પરિણામો જોઈ શકાય છે. તેવી જ રીતે, આના માટે વિવિધ કારણો પણ છે. તેનું એક કારણ મરાઠા સરદારો વચ્ચેની પરસ્પર દુશ્મનાવટ હતી. પરંતુ આ હરીફાઈ પહેલા પણ અસ્તિત્વમાં હતી. તેથી, મહાદજી શિંદે જેવા રાજદ્વારી સેનાપતિનો અભાવ આ યુદ્ધમાં મુખ્ય કારણ બન્યો. આ ઉપરાંત નાના ફડણવીસની ગેરહાજરીની પણ અસર જોવા મળી હતી.

અગાઉ પણ મરાઠા રાજ્યો વચ્ચે સ્પર્ધા હતી એ પણ કારણ છે. પરંતુ મહાદજી શિંદે પાસે સમય આવ્યે તેમને સંગઠીત કરવાની ક્ષમતા હતી. મહાદજી શિંદેની જેમ દોલતરાવ શિંદે પણ ખૂબ બહાદુર અને સાહસિક હતા. પરંતુ અનુભવના અભાવે તેમનામાં મુત્સદ્દીગીરી ન હતી. તેથી, તેઓ અંગ્રેજોની દગાખોરીનો સામનો કરી શક્યા નહીં. સોહોની માને છે કે વસઈની સંધિ અને અસાયેમાં મળેલી હારથી બ્રિટિશ સામ્રાજ્યનો પાયો વધુ મજબૂત બન્યો અને મરાઠા સામ્રાજ્ય નબળું પડ્યું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.