ધંધુકા : 'બાઇક અથડાવા મામલે બોલાચાલી બાદ થયેલી હત્યા'ના કેસમાં અત્યાર સુધી શું-શું થયું?

ઇમેજ સ્રોત, Sachin Pithhva
અમદાવાદ જિલ્લાના ધંધુકામાં શનિવારે 'બાઇક અથડાવા મામલે યુવાનો વચ્ચે સામાન્ય બોલાચાલી' બાદ ધર્મેશ ગમારા નામના યુવકની હત્યા કરાયાનો મામલો સામે આવ્યો હતો, આ ઘટનાને પગલે વિસ્તારમાં તણાવનો માહોલ જોવા મળ્યો હતો.
આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડની કાર્યવાહી આદરી છે.
બીબીસી ગુજરાતીના પ્રતિનિધિ સચીન પીઠવા જણાવે છે, "શનિવારે ધંધુકામાં બાઇક ઓવરટેક કરવા મુદ્દે ધર્મેશ ગમારા તથા અન્ય એક યુવકની બોલાચાલી થઈ હતી. એ પછી છરીના ઘા મારીને ધર્મેશ ગમારાની હત્યા કરી દેવાનો આરોપ છે."
"આને પગલે ધંધુકામાં હિંસક આક્રોશ ફાટી નીકળ્યો હતો. કેટલીક દુકાનો અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી, તો કેટલાંકને આગ ચાંપવામાં આવી હતી. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ આ આગને કાબૂમાં લેવાના પ્રયાસ કર્યા હતા."
બે અલગ-અલગ જૂથનો મામલો હોઈ અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ શનિવારે ધંધુકા ધસી ગયા હતા અને પૂરક ટુકડીઓ પણ ઉતારવામાં આવી હતી. તણાવ વકરે નહીં એ માટે રાત્રે પોલીસે પેટ્રોલિંગ પણ કર્યું હતું.
પોલીસે શું જણાવ્યું?

ઇમેજ સ્રોત, Sachin Pithhva
ન્યૂઝ એજન્સી એએનઆઇ સાથે વાત કરતાં અમદાવાદ-ગ્રામ્યના એસપી (સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ) ઓમ પ્રકાશ જાટે રવિવારે જણાવ્યું, "મેં પીડિત પરિવાર સાથે મુલાકાત કરી છે અને તેઓ પોલીસની કાર્યવાહીથી ખુશ છે. તેમણે સ્પેશિયલ પબ્લિક પ્રૉસિક્યૂટર તથા વિસ્તૃત તપાસની માંગ કરી છે."
ઘટના વિશે માહિતી આપતાં ઓમપ્રકાશ જાટે જણાવ્યું હતું, "આજે પરિસ્થિતિ સામાન્ય છે અને દુકાનો ખૂલી ગઈ છે. ગઈ કાલની ઘટના સામાન્ય હતી અને તેમાં બે સમૂહ સામસામે નહોતા થયા કે પથ્થરમારો પણ નહોતો થયો."
"બાઇકની ટક્કર મુદ્દે બે શખ્સો વચ્ચે બોલાચાલી થઈ હતી. તેમાંથી એક પાસે છરી હતી. જેના કારણે મૃતકને પગમાં ઈજા થઈ હતી અને લોહી વહી જવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે એક આરોપીને ફ્રૅક્ચર થયું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઓમપ્રકાશ જાટે જણાવ્યું હતું કે હાલ અહીં શાંતિ છે.
તેમણે વધુમાં જણાવ્યું,"રાત્રે 200 પોલીસવાળાએ પેટ્રોલિંગ કર્યું હતું. અમે ઘરે-ઘરે જઈને તપાસ કરી હતી. દરેક ઘર અને દરેક સંદિગ્ધની તપાસ ન થઈ જાય, ત્યાર સુધી કૉમ્બિંગની કામગીરી ચાલુ રહેશે."
અમદાવાદ એલસીબી પીઆઇ કરમતિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં આ કેસની અપડેટ આપતાં કહ્યું હતું કે, "આ મામલા હત્યાનો ગુનો ધંધુકા પોલીસ સ્ટેશન દ્વારા નોંધવામાં આવ્યો હતો. રવિવારે આ ઘટનાના બંને આરોપીઓને અમદાવાદ પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવ્યા છે. આગામી સમયમાં આ લોકોની ધરપકડ અને રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરાશે."
આરોપીઓની ભૂમિકા અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, " એક આરોપીએ મૃતકને પકડી રાખ્યો હતો, અને બીજાએ તેને છરીનો ઘા માર્યો હતો. તેમના ગુનાહિત ઇતિહાસ જાણવા માટેની તપાસ ચાલુ છે."
આ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની (એસઆઇટી) રચના અંગે વાત કરતાં તેમણે કહ્યું આ મામલામાં વધુ સારી રીતે અને સુદૃઢ રીતે તપાસ કરવામાં આવે તે હેતુથી એક ડીવાયએસપી, બે પીઆઇ અને એક પીએસઆઇને સમાવી લઈ એસઆઇટીનું ગઠન કરવામાં આવ્યું છે. જેનું પ્રતિ દિવસ મૉનિટરિંગ કરાશે અને જિલ્લા એસપી આ એસઆઇટીનું સુપરવિઝન કરશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















