IPL 2025: મુંબઈ અને પંજાબની આજની ક્વૉલિફાયર-2 મૅચમાં વરસાદ પડે તો શું થશે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લગભગ એક અઠવાડિયા પહેલાં જ શ્રેયસ અય્યરની ટીમે મુંબઈ ઇન્ડિયન્સને પરાજય આપ્યો હતો
વાંચવાનો સમય: 6 મિનિટ

રવિવારનો દિવસ આઈ.પી.એલ. રસિકો માટે દીલધડક બની રહેવાનો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ તથા પંજાબ કિંગ્સની ટીમ સામ-સામે ટકરાશે.

ટુર્નામેન્ટ દરમિયાનના પર્ફૉર્મન્સની વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સની સરખામણીમાં પંજાબ કિંગ્સનું પલડું ભારે રહ્યું છે.

જોકે, રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુ સામેની છેલ્લી મૅચમાં પંજાબની ટીમનું પ્રદર્શન અગાઉ જેટલું દમદાર નહોતું રહ્યું. પંજાબના ખેલાડીઓ આર.સી.બી.ના બૉલર્સ સામે ઘૂંટણીએ પડી ગયા હતા.

રવિવારની મૅચ ઉપર વરસાદનું જોખમ પણ તોળાઈ રહ્યું છે, તે કોના માટે આશીર્વાદરુપ બનશે અને કોના માટે નુકસાનકારક તેના વિશે પણ ચર્ચા ચાલી રહી છે.

આ બીજી ક્વૉલિફાયર મૅચમાં જે ટીમ વિજેતા બનશે તે મંગળવારે આર.સી.બી.ની સામે ફાઇનલમાં રમશે. આ મૅચમાં ભારતના ત્રણેય સશસ્ત્રદળના વડાઓને હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હોવાના અહેવાલ છે.

મુંબઈ ઇન્ડિયન્સની બેટિંગ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ટુર્નામેન્ટની દરેક અડધી સદી દરમિયાન રોહિત શર્માની અડધી સદીએ ટીમને મદદ કરી છે

શુક્રવારે મુંબઈ ઇન્ડિયન્સ તથા ગુજરાત ટાઇટન્સની વચ્ચે ચંદીગઢ ખાતે ઍલિમિનેટર મૅચ રમાઈ હતી, જેમાં હાર્દિક પંડ્યાની ટીમનો દબદબો જળવાય રહેવા પામ્યો હતો. ટીમના દરેક ખેલાડીએ ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કર્યું હતું.

રોહિત શર્માએ તેમને મળેલા જીવતદાનનો પૂરતો લાભ લીધો હતો અને નોંધપાત્ર 81 રન ફટકારીને 'પ્લેયર ઑફ ધ મૅચ' બન્યા હતા. રોહિત શર્માએ આઈ.પી.એલ.માં સાત હજાર રન બનાવ્યા છે. વિરાટ કોહલી બાદ આ સિદ્ધિ મેળવનારા તેઓ આઈ.પી.એલ.ના બીજા ખેલાડી છે.

શર્માને જોની બેયરસ્ટોએ સાથ આપ્યો હતો, જેમણે ઇન્ડિયન પ્રીમિયર લિગની (આઈ.પી.એલ.) ચાલુ સિઝનની પહેલી મૅચ રમી હતી. બેયરસ્ટોએ 22 દડામાં 47 રન બનાવ્યા હતા.

મૅચની ચોથી ઓવરમાં બેયરસ્ટોએ 26 રન ફટકાર્યા હતા. તેમની સામે ગુજરાત ટાઇટન્સના વર્તમાન સિઝનના સૌથી સફળ બૉલર પ્રસિદ્ધ કૃષ્ણા હતા. આ ઓવરમાં બેયરસ્ટોનું પ્રદર્શન કેટલું મહત્ત્વપૂર્ણ હતું, એ વાતનો અંદાજ એના પરથી મૂકી શકાય કે મુંબઈ ઇન્ડિયન્સનો 20 રને વિજય થયો હતો.

આ સિવાય સૂર્યકુમાર યાદવ, રૉબિન મિન્ઝ, શ્રીજિત ક્રિષ્નનન, બિવૉન જેકોબ્સ તથા એન. તીલક વર્મા ઉપર હાર્દિક પંડ્યા દાવ રમી શકે છે. ખુદ હાર્દિક પણ ઑલરાઉન્ડર છે.

મુંબઈ ઇન્ડિયન્સની બૉલિંગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બીજી ક્વૉલિફાયર મૅચની વિજેતા ટીમ મંગળવારે આર.સી.બી.ની ટીમ સામે ટકરાશે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઍલિમિનેટરની મૅચમાં સાઈ સુદર્શન તથા વૉશિંગ્ટન સુંદર મેદાનમાં હતા ત્યાર સુધી ગુજરાત ટાઇટન્સની ટીમનું પલડું ભારે લાગી રહ્યું હતું. શુભમન ગિલની ટીમે 13 ઓવરમાં 148 રન બનાવી લીધા હતા.

ગુજરાતના આઠ બૅટ્સમૅન બાકી હતા એટલે તેનો વિજય પણ સરળ જણાતો હતો. એવામાં હાર્દિક પંડ્યાએ જસપ્રીત બુમરાહને બૉલ આપવાનો નિર્ણય કર્યો હતો. જેમણે આવતાની સાથે જ વૉશિંગ્ટન સુંદરને આઉટ કરીને ભાગીદારી તોડી હતી.

થોડી જ વારમાં સાઈ સુદર્શન પણ આઉટ થઈ ગયા. એ પછી મુંબ્ઈ ઇન્ડિયન્સના બૉલરોએ ગુજરાતની ટીમના બૅટ્સમૅનોને છૂટ લેવા નહોતી દીધી અને રનરેટ ધીમે-ધીમે વધતો ગયો જે છેલ્લી ઓવરમાં 24 રનની જરૂરિયાત સુધી પહોંચી ગયો. આ ગાળામાં મુંબઈ ઇન્ડિયન્સના ગેંદબાજોએ વધુ ચાર વિકેટો પણ ખેરવી.

આ દરમિયાન બુમરાહે લગભગ સાતની એવરેજ સાથે આઈ.પી.એલ.ની દૃષ્ટિએ ખૂબ જ કિફાયતી બૉલિંગ કરી હતી. જ્યારે-જ્યારે ટીમને જરૂર પડી છે, ત્યારે-ત્યારે બુમરાહે એક યા બીજી રીતે ટીમને મદદ કરી છે.

એટલે જ હાર્દિક પંડ્યાએ કહ્યું હતું, "જસપ્રીત બુમરાહને બૉલિંગ આપવાનો નિર્ણય ખૂબ જ સહેલો હતો. જ્યારે તેમને એમ લાગે કે મૅચ હાથમાંથી સરકી રહી છે, ત્યારે તમે બુમરાહના હાથમાં બૉલ પકડાવી દો."

આ સિવાય ટ્રૅન્ટ બૉલ્ટ, રિચાર્ડ ગ્લિસન, અશ્વિનીકુમાર, તો ખરા જ. ખુદ કૅપ્ટન હાર્દિક પંડ્યા, નમન ધીર અને સૅન્ટનર સમય આવ્યે બૅટ ઉપરાંત બૉલથી પણ કમાલ કરી શકે છે.

પંજાબ કિંગ્સનો આત્મવિશ્વાસ

ઇમેજ સ્રોત, BCCI/IPL

ઇમેજ કૅપ્શન, પ્રિયાંશ આર્ય

આર.સી.બી.ની ટીમ સામેના પરાજય પછી ટીમનું મનોબળ નીચું ગયું હશે, કારણ કે એ નિર્ણાયક મૅચ એકતરફી બની રહી હતી.

પંજાબની ટીમના કૅપ્ટન શ્રેયસ અય્યર તથા રિકી પૉન્ટિંગ ઉપર દબાણ હશે કે તેઓ ટીમને તેનું જૂનું પ્રદર્શન યાદ અપાવે.

લગભગ પાંચેક દિવસ પહેલાં જ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ ટીમ સાથે તેમની ટક્કર થઈ હતી, જેમાં તેમણે 19 અંક સાથે પૉઇન્ટ્સ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું.

એ મૅચના પ્રદર્શનને કારણે જ પંજાબ કિંગ્સની ટીમને ક્વૉલિફાયરમાં સ્થાન મળ્યું હતું, એટલું જ નહીં, તેમને ફાઇનલ સુધી પહોંચવા માટે બે તક મળી, જોકે, તેમણે પહેલી તક ગુમાવી છે અને રવિવારની તક બીજી છે. આજે તેઓ હારશે તો ટુર્નામેન્ટની બહાર ફેંકાઈ જશે.

ટુર્નામેન્ટ દરમિયાન પંજાબની ટીમે 14 મૅચ રમી, જેમાંથી નવ જીતી અને ચાર ગુમાવી હતી. એક મૅચ અનિર્ણયીત રહી હતી. મુંબઈ ઇન્ડિયન્સની ટીમ +1.1થી પણ વધુની સર્વોચ્ચ રનરેટ ધરાવવા છતાં એ મૅચમાં હારને કારણે ચોથા ક્રમે સરકી ગઈ હતી.

એટલે જ મુંબઈ ઇન્ડિયન્સની ટીમ શ્રેયસ અય્યરની ટીમને અવગણવા નહીં ચાહે.

જો વરસાદ પડ્યો તો?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓને દબાણ હેઠળ રમવાનો અનુભવ

અમદાવાદના હવામાનની આગાહી ઉપર નજર કરીએ તો રવિવારે વાદળછાયું વાતાવરણ રહેશે. વરસાદ પડવાની શક્યતા ચાલીસેક ટકા જેટલી હોવાનું કેટલાક રિપોર્ટ્સ કહે છે.

સામાન્ય રીતે વરસાદના સંજોગોમાં એવા પ્રયાસ થાય છે કે ગમે તે રીતે મૅચ રમાડવી. જો એવું ન થાય તો માત્ર પાંચ ઓવરની મૅચ રમાડવામાં આવે છે, જેથી કરીને વિજેતા ટીમ નક્કી કરી શકાય.

જો વરસાદને કારણે એમ પણ કરવું શક્ય નહીં બને તો મૅચને રદ્દ કરવામાં આવશે. આ વખતે ક્વૉલિફાયર મૅચ અને ફાઇનલની વચ્ચે રિઝર્વ ડે નથી.

આઈ.પી.એલ.ના નિયમો મુજબ, 'પ્લેઑફ મૅચ' રદ થાય, તો લીગ સ્ટેજ પછીના તબક્કે જે ટીમ સૌથી વધુ પૉઇન્ટ ધરાવતી ટીમ ફાઇનલમાં પહોંચે. પંજાબની ટીમના 19 અંક છે જ્યારે કે મુંબઈના 16. એટલે આવા સંજોગોમાં પંજાબને ફાયદો થાય.

તેથી હાર્દિક પંડ્યાની ટીમના સપૉર્ટર્સ ઇચ્છશે કે વરસાદ ન પડે અને તેમની ફેવરિટ ટીમના ખેલાડીઓને તેમની રમતનું પ્રદર્શન કરવાની તક મળે.

કઈ ટીમ પાસે કયું 'હથિયાર'?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મૅચ દરમિયાન વરસાદને કારણે પિચને ઢાંકવા માટે પ્રયાસરત ગ્રાઉન્ડ સ્ટાફ

નૉકઆઉટ્સની મૅચોમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમની હથરોટી રહી છે. હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ, ટ્રૅન્ટ બૉલ્ટ, મિચેલ સૅન્ટર વગેરે જેવા ખેલાડીઓ દબાણભરી પરિસ્થિતિમાં રમવાનો અનુભવ છે.

બીજી બાજુ, શ્રેયસ અય્યરની ટીમ છે. જેની પ્લેઇંગ ઇલેવનમાં પાંચ અનકૅપ્ડ ખેલાડીઓ હશે. આ સંજોગોમાં શ્રેયસ અય્યરે તેમની નેતૃત્વ ક્ષમતા તથા રિકી પૉન્ટિંગે તેમની યોજનાનો પરિચય આપવો પડશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને કારણે આઈ.પી.એલ.ની ટુર્નામેન્ટ લગભગ એક અઠવાડિયા માટે મોકૂફ રહી હતી. આ સંજોગોમાં બંને ટીમોમાંથી કેટલાક આંતરરાષ્ટ્રીય ખેલાડીએ પોત-પોતાની રાષ્ટ્રીય ટીમોની મૅચ રમવા માટે આઈ.પી.એલ.ની ટુર્નામેન્ટને અણિના સમયે છોડી જવાની ફરજ પડી છે.

માર્કો યાન્સેની ગેરહાજરી પંજાબની ટીમને સાલશે. આ સિવાય યુજવેન્દ્ર ચહલ પણ કદાચ મેદાન ઉપર નહીં હોય. આ સંજોગોમાં અર્શદીપસિંહ ઉપર બૉલિંગનો ભાર રહેશે.

હાર્દિક પંડ્યા તથા શ્રેયસ અય્યરે નીચેના ખેલાડીઓમાંથી પોતાની ટીમ પસંદ કરવાની રહેશે.

મુંબઈ ઇન્ડિયન્સ : સૂર્યકુમાર યાદવ, નમન ધીર, તીલક વર્મા, જૉની બેયરસ્ટો, રોહિત શર્મા, રાજ અંગદ બાવા, રૉબિન મિંજ (વિકેટકીપર), અશ્વિનીકુમાર, કર્ણ શર્મા, મિચેલ સૅન્ટનર, બેવન જૅકબ્સ, જસપ્રીત બુમરાહ, શ્રીજિત કૃષ્ણન, અર્જુન તેંડુલકર, રિસ ટૉપ્લી, દીપક ચાહર, સત્યનારાયણ રાજૂ, મુજીબ-ઉર-રહમાન, રઘુ શર્મા, રિચર્ડ ગ્લિસન અને ચરિથ અસલંકા.

પંજાબ કિંગ્સ : શશાંકસિંહ, માર્ક સ્ટૉયિન્સ, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), પ્રભસિમરનસિંહ, અર્શદીપસિંહ, હરપ્રીત બ્રાર, પ્રિયાંશ આર્ય, નેહલ વઢેરા, અજમતુલ્લાહ ઉમરજઈ, વિષ્ણુ વિનોદ (વિકેટકીપર), આરોન હાર્ડી, પાયલા અવિનાશ, સૂર્યાંશ શેડગે, હરનૂર પન્નુ, મિચ ઓવેન, યુજવેન્દ્ર ચહલ, મુશીર ખાન, કાઇલ જૅમિસન, પ્રવીણ દુબે, ઝેવિયર બાર્ટલેટ, યશ ઠાકૂર, કુલદીપ સેન અને વૈષાક વિજયકુમાર.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન