જાપાનની સેનાએ ચીનમાં કરેલો એ હત્યાકાંડ જેમાં લાખોનાં મોત થયાં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1931માં મંચુરિયાના યુદ્ધ બાદ પ્રિઝનર્સ ઑફ વૉર સાથે જાપાનિઝ સૈનિક
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • વાંચવાનો સમય: 5 મિનિટ

લદ્દાખમાં ભારત અને ચીનની વચ્ચે સીમાવિવાદ મુદ્દે સંઘર્ષ ચાલુ છે. બીજી બાજુ, ચીનના સંબંધ પાડોશી દેશ જાપાન સાથે કડવાશભર્યાં રહ્યાં છે. જેનું કારણ બંને દેશ વચ્ચે 1937-38ના ત્રણ મહિના દરમિયાન લડાયેલું ત્રણ મહિનાનું યુદ્ધ છે.

જાપાનની સેનાએ ચીનના નાનજિંગની ઉપર કબજો જમાવ્યો હતો. ઇતિહાસકારો તથા ત્યાં કામ કરનારાં સેવાભાવી સંગઠનોના અંદાજ પ્રમાણે, ત્રણ મહિના દરમિયાન અઢીથી ત્રણ લાખ લોકો મૃત્યુ પામ્યા, જેમાં બાળકો અને મહિલાઓ પણ સમાવિષ્ટ હતાં.

પશ્ચિમી દેશોના કહેવા પ્રમાણે, ચીનની રાજધાની નાનજિંગમાં 20 હજારથી વધુ મહિલાઓ સાથે દુષ્કર્મ કે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું અને લૂંટ ચલાવવામાં આવી.

જાપાનના અધિકારીઓ અને ઇતિહાસકારો આટલા મોટાસ્તરે હત્યાકાંડ થયો હોવાની વાતને નકારે છે. તેઓ કહે છે કે હત્યાકાંડના રિપોર્ટ્સ વહેતા થયા છે, તેની સરખામણીએ ખૂબ જ નાની કાર્યવાહી થઈ હતી અને જે કંઈ પણ બન્યું એ યુદ્ધની સ્થિતિમાં બન્યું હતું.

વાત 1931ની

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

બીજા વિશ્વયુદ્ધ પહેલાં જાપાનમાં રાજાશાહી હતી, તેમણે ચીનમાં રેલવેલાઇન નાખી હતી. વર્ષ-1931માં જાપાને મંચૂરિયા પ્રાંતમાં રેલવેલાઇન ઉપર બ્લાસ્ટ થયો.

આ ઘટનાને આગળ કરીને જાપાને ચીનના મંચૂરિયા પ્રાંત ઉપર હુમલો કરી દીધો. એ સમયે ચીન ઉપર ક્યૉમિનતાંગનું (Kuomintang) શાસન હતું.

ચીનની સેના સામ્યવાદીઓ સાથે લડી રહી હતી અને એટલી શક્તિશાળી ન હતી. એટલે તેઓ જાપાનીઝ સેનાનો સામનો ન કરી શક્યા. પરિણામે ચીનના અનેક વિસ્તારો ઉપર તેનું પ્રભુત્વ સ્થપાઈ ગયું.

આગામી અમુક વર્ષો સુધી જાપાને ચીનમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું. ચીનમાં ગૃહયુદ્ધ ચાલતું હોવાથી તેમાં ખાસ મુશ્કેલી ન પડી.

એ ત્રણ મહિના

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1941માં એક મોરચે યુદ્ધઘોષ કરી રહેલા જાપાનિઝ સૈનિક

અનેક જાપાનીઝ, વિશેષ કરીને સૈન્ય અધિકારીઓ પોતાનું પ્રભુત્વ વધારવા માગતા હતા. જુલાઈ-1937માં જાપાન અને ચીનની સેના વચ્ચે ઘર્ષણ થયું, જે યુદ્ધમાં પરિણમ્યું.

શરૂઆતમાં જાપાનને થોડી સફળતા મળી, પરંતુ ચીન રક્ષણ કરવામાં સફળ રહ્યું. જોકે, જાપાનની સેનાએ શાંઘાઈ ઉપર ફતેહ મેળવી અને તત્કાલીન રાજધાની નાનજિંગ તરફ આગળ વધ્યા.

ચીનના જનરલ ચિયાંગ કે-સિકની સેના નાનજિંગની સુરક્ષા માટે જવાબદાર હતી, પરંતુ જાપાનની સેનાના આગમન પહેલાં તેઓ શહેર છોડી ગયા.

જેના કારણે જાપાનની સેનાએ ખાસ વિરોધનો સામનો કરવો ન પડ્યો અને શહેર ઉપર કબજો થયો.

નાનજિંગમાં અત્યાચારની આંધી

ઇમેજ સ્રોત, Getty Images

જાપાનની સેના અત્યાચારમાં પંકાયેલી ન હતી.

1904-05 દરમિયાન જાપાન-રશિયા યુદ્ધ થયું હતું, તે સમયે જાપાનના કમાન્ડરોએ પરાજિત સેનાના અધિકારીઓ સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર કર્યો હતો.

જોકે આ વખતે અલગ સ્થિતિ હતી. જાપાનીઝ અખબરોના અહેવાલ પ્રમાણે, જાપાનના સૈન્ય અધિકારીઓમાં ચાઇનીઝને મારવાની રીતસર સ્પર્ધા થતી. કદાચ જ એવો કોઈ અત્યાચાર હશે જે નાનજિંગમાં આચરવામાં ન આવ્યો હોય.

અત્યાચારની આંખો દેખી

એક જાપાનીજ અખબારના સંવાદદાતાએ લખ્યું કે ચાઇનીઝોને કતારબંધ રીતે યાંગ્ત્સે નદીના કિનારે લઈ જવામાં આવતા. જ્યાં તેમની હત્યા કરી દેવામાં આવી અને લાશોના ઢગલાને સળગાવી દેવાયા હતા.

તેમણે અમુક તસવીરો લીધી, જેમાં જાપાનીઝ સૈનિકોને લાશોના ઢગલા ઉપર ઊભેલા કે હસતા જોઈ શકાય છે. આ તસવીરો શહેરના મ્યુઝિયમમાં પ્રદર્શન અર્થે મૂકવામાં આવી છે.

'ન્યૂ યૉર્ક ટાઇમ્સ'ના ટીલમૅન દુર્દિને હત્યાકાંડના શરૂઆતના તબક્કાનું રિપોર્ટિંગ કર્યું હતું, બાદમાં તેમને શહેર છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

બાદમાં દુર્દિને લખ્યું, "એ સમયે મારી ઉંમર 29 વર્ષની હતી. 'ન્યૂ યૉર્ક ટાઇમ્સ'ને માટે મારી પહેલી મોટી સ્ટોરી હતી. હું મારી કારમાં નદીકિનારા સુધી ગયો. દરવાજા સુધી પહોંચવા માટે મારે લાશોના ઢગલા ઉપરથી પસાર થવું પડ્યું."

"લાશો પરથી કારોને હંકારી જવી પડી. હું લંચની રાહ જોઈ રહ્યો હતો ત્યારે નદીકિનારાનો નજારો જોયો. જાપાનીઝ સૈનિકો ચીનની બટાલિયનને પકડી લાવ્યા હતા. જાપાનીઝ અધિકારીઓ સ્મૉકિંગ કરી રહ્યા હતા અને અંદરોઅંદર વાતચીત કરી રહ્યા હતા."

"તેમને 15-15ની ટુકડીમાં લાવવામાં આવતા હતા અને મશીનગનની ગોળીથી ઠાર મરાતા."

લગભગ 10 મિનિટના ગાળામાં 200 શખ્સોને વીંધી દેવાયા હતા. જાપાનની સેનાના દર્શકો તેને વધાવી રહ્યા હતા.

તેમણે લખ્યું કે "નાનજિંગમાં થયેલા દુષ્કર્મ એ આધુનિક સમયના સૌથી મોટા અત્યાચાર છે."

અત્યાચારની યાદો

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

ખ્રિસ્તી મિશનર જૉન મૅગી એ સમયે જાપાનમાં હતા.

તેમણે લખ્યું, "જાપાનના સૈનિકો માત્ર યુદ્ધકેદીને જ નહીં, પરંતુ દરેક ઉંમરના સામાન્ય નાગરિકને પણ મોતને ઘાટ ઉતારી દેતા."

"અમુક લોકોને એવી રીતે ગોળીએ દેવાયા હતા, જેમ શેરીમાં સસલાને વીંધી નાખવામાં આવે છે."

અમુકને જીવતા દફનાવી દેવાયા હોવાના પણ અહેવાલ આવ્યા હતા. મૅગીએ પશ્ચિમી દેશોની સાથે મળીને ઇન્ટરનેશનલ સેફ્ટી-ઝોનની સ્થાપના કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી.

મિનિ વૉતરિન નામના અમેરિકન મહિલાએ પણ સ્થાનિકોને મદદ કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. તેમણે ડાયરી લખી હતી.

જેની સરખામણી એન ફ્રૅન્ક સાથે કરી શકાય. એન જર્મન-ડચ હતાં, જેમણે યહૂદી નરસંહારની ડાયરી લખી હતી.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નાનજિંગમાં સ્મૃતિસ્મારક પાસે ચાઇનિઝ સૈનિક

જાપાનના સમય અંગે તા. 16મી ડિસેમ્બરે મિનિએ લખ્યું છે :

"કદાચ જ એવો કોઈ ગુનો છે, જે શહેરમાં આચરવામાં ન આવ્યો હોય. ગત રાત્રે સ્થાનિક ભાષા શાળામાંથી 30 છોકરીઓને ઉઠાવી જવાઈ હતી, અને આજે મેં ગઈકાલે રાત્રે ઘરેથી ઉઠાવીને લઈ જવાયેલી આ છોકરીઓની અનેક હૃદયદ્રાવક કહાણીઓ સાંભળી. એક છોકરી તો માત્ર 12 વર્ષની હતી."

આગળ તેમણે લખ્યું, "કેટલા લોકોને ગોળીએ દેવાયા કે બૅયોનેટથી હત્યા કરી દેવાયા તેના વિશે કદાચ ક્યારેય માહિતી નહીં મળે. અનેક કિસ્સામાં મૃતદેહો ઉપર ઑઈલ છાંટીને સળગાવી દેવાયા હતા."

"સળગેલી લાશો આવી અનેક કરૂણ કહાણીઓ કહે છે....અનેક બાબતોને આખી જિંદગી મારી યાદોમાંથી ભુલાવી નહીં શકું. જે લોકો આ ગાળા દરમિયાન નાનજિંગમાં હતા, તેઓ પણ તેને ક્યારેય નહીં ભુલાવી શકે."

1940માં મિનિને નર્વસ બ્રૅકડાઉન થયું અને અમેરિકા પરત ફર્યાં. 1941માં તેમણે આત્મહત્યા કરી લીધી.

મૂળ જર્મન જૉન રાબી ચીનની નાઝી પાર્ટીના નેતા હતા. તેઓ આ બધું જોઈને હચમચી ગયા હતા. તેઓ ઇન્ટરનેશનલ સેફ્ટી ઝોનના નેતા બન્યા અને તેમણે જે કંઈ જોયું તેને રેકર્ડ કરી લીધું. અમુક ફિલ્મ પણ બનાવી.

જૉન જર્મની પરત ફર્યા, પરંતુ તેના પ્રદર્શન ઉપર તત્કાલીન નાઝી સરકારે પ્રતિબંધ મૂકી દીધો.

જૉનના કહેવા પ્રમાણે, ઇન્ટરનેશનલ સેફ્ટી ઝોનમાં પણ દુષ્કર્મ તથા અન્ય અત્યાચાર થયા હતા.

અત્યાચાર : સ્વીકાર અને અસ્વીકાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શાંઘાઈમાં બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા અને સાથીપક્ષોના વિજયની ઉજવણી કરી રહેલા ચાઇનિઝ નાગરિક

બીજા વિશ્વયુદ્ધ બાદ જાપાનીઝ સૈનિક અઝુમા શિરોએ આવા જ એક ઘટનાક્રમને યાદ કરતા કહ્યું, "37 વૃદ્ધ સ્ત્રી-પુરુ અને બાળક હતાં. એક મહિલાએ જમણા હાથમાં બાળકને તેડ્યું હતું અને ડાબા હાથમાં પણ એક બાળક હતું."

"બટાટામાં સીક ભરાવીએ તેવી રીતે અમે તેમની છૂરા મારીને હત્યા કરી નાખી. એ સમયે મેં વિચાર કર્યો કે મને ઘર છોડ્યાને એક જ મહિનો થયો હતો.......અને 30 દિવસ બાદ હું કોઈ પણ જાતના ખેદ વિના લોકોની હત્યા કરવા લાગ્યો હતો."

જાપાનના પૂર્વ ન્યાય પ્રધાન શિગતો નાગનો આ પ્રકારનો હત્યાકાંડ થયો હોવાની વાતને નકારતા રહ્યા છે. તેમનું કહેવું છે કે ચીને આ વાત ઉપજાવી કાઢી છે.

ટોકિયો યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર નોબુકાત્સુ ફુજીઑકાએ બી.બી.સી.ને જણાવ્યું :

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જાપાનનો રાષ્ટ્રધ્વજ સળગાવી રહેલા ચાઇનિઝ દેખાવકારો

"એ યુદ્ધમેદાન હતું, જેમાં અમુક લોકોની હત્યા થઈ હતી, પરંતુ યોજનાબદ્ધ રીતે હત્યાકાંડ કે દુષ્કર્મ થયાં નહોતાં."

"ચીનની સરકારે કેટલાંક અભિનેતા અને અભિનેત્રીઓને અત્યાચારપીડિત તરીકેનો અભિનય કરવા રોક્યાં હતાં. ત્યારબાદ અમુક જાપાનીઝ પત્રકારોને એમના વિશે લખવા માટે આમંત્રિત કર્યા."

"ચીન દ્વારા હત્યાકાંડના પુરાવા તરીકે જે તસવીરોનો ઉપયોગ કરવામાં આવે છે, તે પણ ઉપજાવી કાઢેલ છે, કારણ કે માથું કપાયેલી લાશને જાપાની સેનાના અત્યાચાર તરીકે દર્શાવવામાં આવે છે, તેનો જ ઉપયોગ ક્યૉમિનતાંગ સરકાર દ્વારા સામ્યવાદીઓ ઉપરના અત્યાચાર તરીકે રજૂ કરવામાં આવે છે."

ઑગસ્ટ-1945માં હિરોશિમા અને નાગાસાકી ઉપર હુમલા સામે જાપાન ટકી ન શક્યું અને સેનાએ આત્મસમર્પણ કરી દીધું અને બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો.

ચીનના જાપાન સાથેનાં આઠ વર્ષના સંઘર્ષનો અંત આવ્યો.

1946માં ફરી એક વખત ચીનમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું અને માઓના નેતૃત્વમાં સામ્યવાદીઓએ ચીનની સરકારને ઉથલાવી દીધી. ઑક્ટોબર-1949ના નવી રાજધાની બીજિંગ ખાતે પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇનાની સ્થાપના કરવામાં આવી.

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો