કૉન્ડોમનો ઉપયોગ વધવાથી કુટુંબનિયોજનમાં મહિલાઓની જવાબદારી ઓછી થઈ?

    • લેેખક, સુશીલા સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 5 મિનિટ

નેશનલ ફૅમિલી હેલ્થ સરવે-5 અનુસાર, ભારતમાં ગર્ભનિરોધકના ઉપયોગમાં વધારો થયો છે.

વિવિધ પદ્ધતિઓ દ્વારા ગર્ભનિરોધમાં 13.2 ટકાનો વધારો થયો છે, જ્યારે ગર્ભનિરોધની આધુનિક પદ્ધતિઓમાં 8.7 ટકાનો વધારો જોવા મળ્યો છે.

ઇમેજ સ્રોત, FATCAMERA/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, આવી સ્થિતિમાં શું તાજેતરના આંકડાઓ એ દર્શાવે છે કે કુટુંબ નિયોજનમાં મહિલાઓ પર મૂકવામાં આવતી જવાબદારીમાં ઘટાડો થયો છે?

બીજી તરફ, મહિલા નસબંધી અને કૉન્ડોમના ઉપયોગ વિશે વાત કરીએ તો છેલ્લા નેશનલ ફૅમિલી હેલ્થ સરવે-4ની સરખામણીમાં સરેરાશ 1.9 ટકા અને 3.9 ટકાનો વધારો થયો છે.

આવી સ્થિતિમાં શું તાજેતરના આંકડાઓ એ દર્શાવે છે કે કુટુંબ નિયોજનમાં મહિલાઓ પર મૂકવામાં આવતી જવાબદારીમાં ઘટાડો થયો છે?

આ ક્ષેત્રમાં કામ કરતા નિષ્ણાતો માને છે કે કૉન્ડોમના ઉપયોગ અંગે જાગૃતિમાં ચોક્કસપણે વધારો થયો છે, પરંતુ હજુ પણ મહિલા નસબંધીની સરખામણીએ કૉન્ડોમનો ઉપયોગ ઘણો ઓછો થાય છે.

આ આંકડાઓ પરથી એવું અનુમાન લગાવવું ખોટું ઠરશે કે પુરુષો પોતાની જવાબદારી નિભાવવામાં આગળ આવી રહ્યા છે.

કૉન્ડોમના ઉપયોગમાં વધારો થયો

ઇમેજ સ્રોત, HADYNYAH/GETTYIMAGES

ઇમેજ કૅપ્શન, માત્ર મહિલા નસબંધીની વાત કરીએ તો આ સર્વેમાં દક્ષિણ ભારતનાં મહિલાઓ આ મામલે આગળ જોવા મળે છે.

પંજાબ, ઉત્તરાખંડ, દિલ્હી અને ગોવા એવાં રાજ્યો છે જ્યાં કૉન્ડોમના વપરાશમાં સરેરાશ 20 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.

તો આસામ અને પશ્ચિમ બંગાળમાં મોં વાટે લેવાની દવાઓ અથવા ગોળીઓના સેવનમાં મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે.

પૉપ્યુલેશન ફાઉન્ડેશન ઑફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પૂનમ મુટરેજા માને છે કે કૉન્ડોમનો ઉપયોગ મહિલા નસબંધીની સરખામણીએ ઘણો ઓછો થાય છે.

બીબીસી સાથેની વાતચીતમાં પૂનમે આંકડાઓ દ્વારા પોતાની વાત સમજાવતા કહ્યું કે, "67 ટકા મહિલાઓ નસબંધી કરાવે છે. 2015ના આંકડા દર્શાવે છે કે ભારતમાં દર વર્ષે 1.69 કરોડ ગર્ભપાત કરાવવામાં આવે છે. આપણા દેશની એ કરુણતા છે કે કૉન્ડોમને ગર્ભપાતનું પ્રૉક્સી માનવામાં આવે છે. કુટુંબ નિયોજન અંગે જાગૃતિ ચોક્કસ વધી છે, પરંતુ તેનો ભાર હજુ પણ મહિલાઓ પર છે."

મહિલાઓને માથે જવાબદારી

વીડિયો કૅપ્શન, રાજકોટ : પોતાના 6 માસના બાળકને લઈને ઘરેઘરે જઈને રસી આપતાં મહિલા

મુંબઈમાં સ્વાસ્થ્ય સંબંધિત મુદ્દાઓ પર કામ કરતી બિનસરકારી સંસ્થા સેહત (CEHAT) ના સંશોધન અધિકારી સંજીદા અરોરા કહે છે કે, "મહિલા નસબંધી હજુ પણ કુટુંબ નિયોજન માટેની એક સામાન્ય પદ્ધતિ માનવામાં આવે છે."

"આજે પણ ભારતના સામાજિક પરિવેશમાં કુટુંબ નિયોજનની જવાબદારી મહિલા પર નાખવામાં આવે છે અને તેમની પાસે નસબંધી કરાવવાની અપેક્ષા રાખવામાં આવે છે."

બીબીસી સાથેની વાતચીતમાં બિહારનું ઉદાહરણ આપતાં સંજીદા અરોરા કહે છે, "બિહાર પ્રજનન દરને લઈને ચર્ચામાં છે. જો આપણે અહીં મહિલા નસબંધીની સરખામણી અગાઉના સરવે સાથે કરીએ તો તેમાં વધારો થયો છે અને વધારાનો આ આંકડો લગભગ 35 ટકા છે. જે ક્યાંક-ક્યાંક છે. અને નસબંધીમાં થયેલો વધારો કૉન્ડોમની સરખામણીમાં ઘણો વધારે છે."

સાથે તે એ વાત પર ધ્યાન દોરે છે કે ડેટા એવા સમયે આવ્યો છે જ્યારે દેશ કોવિડ -19 સામે લડી રહ્યો હતો અને તેની અસર આરોગ્ય સેવાઓ પર પણ પડી હતી.

તેમ છતાં મહિલા નસબંધીના આટલા આંકડા સામે આવ્યા છે. તમે કલ્પના કરો કે જો કોવિડ ન હોત તો તેનું પ્રમાણ કેટલું વધ્યું હોત?

પૂનમ મુટરેજા પણ સંજીદા સાથે સહમત થતાં કહે છે કે સરકારે આ દિશામાં કામ કરવું જોઈએ અને પુરુષોમાં કૉન્ડોમના ઉપયોગ વિશેની ગેરમાન્યતાને દૂર કરવા આગળ વધવું જોઈએ.

દક્ષિણ ભારતનાં મહિલાઓ આગળ

ઇમેજ સ્રોત, ALEXYUSTUS/GETTYIMAGES

ઇમેજ કૅપ્શન, પંજાબ, ઉત્તરાખંડ, દિલ્હી અને ગોવા એવાં રાજ્યો છે જ્યાં કૉન્ડોમના વપરાશમાં સરેરાશ 20 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.

માત્ર મહિલા નસબંધીની વાત કરીએ તો આ સર્વેમાં દક્ષિણ ભારતનાં મહિલાઓ આ મામલે આગળ જોવા મળે છે.

નેશનલ ફૅમિલી હેલ્થ સરવે-5 રિપોર્ટ તૈયાર કરનાર સંસ્થા ઇન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ પૉપ્યુલેશન સાયન્સના પ્રોફેસર એસ.કે. સિંહ મુખ્ય કારણ જણાવે છે, "દક્ષિણમાં વસ્તીવિષયક સંક્રમણ ઘણા સમય પહેલા થઈ ગયું છે, જેમાં ટેકનિકલ શિક્ષણમાં ઉચ્ચ જન્મદર અને ઉચ્ચ મૃત્યુદર ( ખાસ કરીને મહિલાઓના) અને આર્થિક વિકાસથી ફેરફારો જેવા ઘણા તબક્કાઓ પણ સામેલ છે."

"દક્ષિણ ભારતમાં નાના પરિવારની નીતિ પહેલાથી અપનાવવામાં આવી છે પરંતુ ઉત્તર અને પૂર્વોત્તર ભારત આમાં ઘણું પાછળ છે."

પ્રોફેસર એસ.કે. સિંહે કૉન્ડોમના ઉપયોગ અંગે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "કૉન્ડોમનો વધુ ઉપયોગ એવા લોકો દ્વારા કરવામાં આવે છે જેઓ બે સંતાનો વચ્ચે અંતર રાખવા માગે છે અને જેમને લાગે છે કે તેમનો પરિવાર પૂર્ણ નથી થયો."

"આ સાથે એચઆઇવીને નિયંત્રિત કરવાના પ્રોજેક્ટને અવગણી શકાય નહીં. નિયોજનની પદ્ધતિઓ જેટલી મહિલાઓ માટે ઉપલબ્ધ છે એટલી પુરુષો માટે નથી."

પ્રજનનદરમાં ઘટાડો

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, પૉપ્યુલેશન ફાઉન્ડેશન ઑફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પૂનમ મુટરેજા માને છે કે કૉન્ડોમનો ઉપયોગ મહિલા નસબંધીની સરખામણીએ ઘણો ઓછો થાય છે. (પ્રતીકાત્મક તસવીર)

તે જ સમયે, આંકડા એ પણ દર્શાવે છે કે ભારતમાં પ્રજનનદરમાં પણ ઘટાડો થયો છે.

આનું કારણ જણાવતાં સંજીદા અરોરા કહે છે કે "એવું જોવા મળે છે કે સરેરાશ મહિલાઓ બે બાળકો પેદા કરે છે."

"આનાં મુખ્ય કારણોમાં ગર્ભનિરોધકના ઉપયોગમાં વધારો અને મોડેથી લગ્નનો સમાવેશ થાય છે, જેના કારણે પ્રજનનક્ષમતા પણ પ્રભાવિત થઈ રહી છે."

એસ.કે. સિંહ કહે છે, "ભારતમાં 16 ટકા પરિણીત મહિલાઓએ એક બાળકના જન્મ પછી નસબંધી કરાવી લીધી છે, જેમાંથી 10 ટકાને પ્રથમ પુત્ર અને છ ટકાને પ્રથમ પુત્રી જન્મી હતી."

"જો કોઈ પણ દંપતી નિયોજનની અન્ય પદ્ધતિઓને બદલે સીધી નસબંધી કરવાનું નક્કી કરે તો તેનો અર્થ એ છે કે તેમણે નાનું કુટુંબ રાખવાનું નક્કી કરી લીધું છે."

પૂનમ મુટરેજા અને એસ.કે. સિંહ એ વાત પર પણ ભાર મૂકે છે કે ધોરણ 12 સુધી ભણેલાં મહિલાઓમાં સરેરાશ પ્રજનનદર 2.2 છે, જ્યારે અશિક્ષિત મહિલાઓમાં સરેરાશ પ્રજનનદર 3.7 છે.

વસતીનિયંત્રણ માટે કડક પગલાં?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની સરકાર વસતીનિયંત્રણ પર એક ડ્રાફ્ટ બિલ લાવી છે.

ઉત્તર પ્રદેશ વસતીનિયંત્રણ, સ્થિરતા અને કલ્યાણ બિલમાં ઘણી જોગવાઈઓ કરવામાં આવી છે અને 'બે બાળકોની નીતિ' લાગુ પાડવાની વાત કરવામાં આવી છે.

પૂનમ મુટરેજા માને છે કે વસતીમાં સ્થિરતા તો આવી રહી છે, પરંતુ આપણે એ પણ નોંધવું રહ્યું કે ભારતની લગભગ 70 ટકા વસ્તી યુવાન છે. આવી સ્થિતિમાં જો તેમને બે બાળકો થશે તો પણ વસતી વધશે.

એસ.કે. સિંહના મતે, કોઈ પણ રાજ્ય સરકાર વસતી નીતિ લાવી શકે છે અને તે તેના શાસનમાં મદદ કરી શકે છે. પરંતુ વસતી નિયંત્રણ માટે સખત પગલાં લેવાની જરૂર નથી.

તેમના મતે, "સરકારી નોકરી, સરકારી પ્રતિનિધિત્વ અથવા સરકારી યોજનાઓનો લાભ ન આપવા જેવા સરકાર તરફથી કોઈ કડક પગલાંની જરૂર નથી, કારણ કે દેશનો પ્રજનનદર 2.0 છે, તેની સામે સૌથી વધુ વસતીવાળા રાજ્ય યુપીમાં આ દર 2.4 છે અને બિહારમાં 3.0 છે."

પૂનમ મુટરેજા વધુમાં કહે છે કે વસતીને કોઈ સમુદાય સાથે જોડીને ન જોવી જોઈએ.

પૂનમ કેરળનું ઉદાહરણ આપતાં કહે છે, "કેરળમાં હિંદુ અને મુસ્લિમોની પ્રજનનક્ષમતા સરખી છે, કારણ કે ત્યાં સાક્ષરતા, શિક્ષણ, આરોગ્ય, પ્રશાસન અને નિયંત્રણની વધુ સારી સેવાઓ ઉપલબ્ધ છે.

સાથે ઉત્તર પ્રદેશ અને બિહાર પર નજર નાખતા જણાશે કે ત્યાં પણ પ્રજનનક્ષમતા સરખી જોવા મળે છે.

જો આપણે આર્થિક અને સાક્ષરતાના દૃષ્ટિકોણથી જોઈએ તો ગરીબ હિન્દુ અને મુસ્લિમ મહિલાઓનો પ્રજનનદર સમાન છે, પરંતુ જો મુસ્લિમ વધુ ગરીબ હોય તો દર વધી જાય છે.''

સાથે પૂનમ મુટરેજા એમ પણ માને છે કે યુપી અને આસામમાં બે-બાળકની નીતિ લાવવાની અથવા પ્રલોભન આપતી નીતિ લાવવાની વાત થઈ રહી છે, આ બધાની કોઈ જરૂર નથી, કારણ કે આપણને દક્ષિણ ભારતમાં જે જોવા મળે છે તે કંઈ બળપ્રયોગથી હાંસલ થયું છે?

આ સ્થિતિમાં, સરકારે કુટુંબ નિયોજનની વધુ સારી પદ્ધતિઓ જેમ કે છોકરીઓનું શિક્ષણ, આરોગ્યના વધુ સારાં સંસાધનો અને મહિલાઓના સશક્તીકરણ તરફ વધુ કામ કરવું જોઈએ.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો