કોરોના વાઇરસ : ગુજરાતમાં લૉકડાઉન દરમિયાન પતિ-પત્નીના ઝઘડા કેમ વધી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • વાંચવાનો સમય: 4 મિનિટ

કચ્છના ગાંધીધામમાં સુખેથી રહેતું એક દંપતી લૉકડાઉન દરમિયાન અચાનક ઝઘડાનો અનુભવ કરવા લાગ્યું.

મહિલાના પતિને એવી શંકા હતી કે બાજુમાં રહેતા પાડોશી સાથે પત્નીને આડો સંબંધ છે કારણ કે પડોશી પત્નીને સીધુંસામગ્રી લાવવામાં મદદ કરે છે. આવી શંકાને આધારે પતિએ પત્ની સાથે મારઝૂડ કરવાનું શરૂ કર્યું.

છેવટે 'અભયમ્'ની ટીમે આ ત્રાસમાંથી નાના બાળક અને મહિલાને છોડાવ્યાં.

અમદાવાદના મણિનગરમાં રહેતી અને નાની દુકાન ચલાવતી એક વ્યક્તિનું લગ્નજીવન સુખી હતું, પણ લૉકડાઉન દરમિયાન એમણે પત્નીને માર મારવાનું શરૂ કર્યું અને છેવટે 'અભયમ્' ટીમે એને સમજાવી પતિ-પત્નીને ફરી ભેગાં કર્યાં.

ગુજરાતમાં આ સમયે બીજી સમસ્યાઓ કરતાં ઘરેલુ હિંસાના કેસમાં ધરખમ વધારો નોંધાયો છે.

ગુજરાતમાં હિંસાના કેસમાં મહિલાઓને મદદ કરતી સરકારી સંસ્થા 181 'અભયમ્'માં લૉકડાઉન દરમિયાન પતિ-પત્નીના ઝઘડાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે.

'અભયમ્'ના ચીફ ઑપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું:

"સામાન્ય સમય કરતાં લૉકડાઉનના સમયમાં ઘરેલુ હિંસાના કેસમાં 25% જેટલો વધારો થયો છે, ગુજરાતના ખૂણે-ખૂણેથી ઘરેલુ હિંસાના કેસ આવી રહ્યા છે."

એમાં મોટાભાગના કેસમાં મધ્યમ વર્ગનાં દંપતીના કેસો છે.

અધિકારીના જણાવ્યા અનુસાર સામાન્ય સંજોગોમાં ઘરેલુ હિંસાના કેસ રોજ સરેરાશ 120ની આસપાસ રહેતા હતા, પણ આ સંખ્યામાં અચાનક વધારો થયો છે.

181 : અભયમ્

પ્રાપ્ત આંકડા અનુસાર માર્ચ મહિનાના આખરથી આવા કેસો વધી ગયા છે. માર્ચના છેલ્લા અઠવાડિયામાં આવા કુલ 57 કેસો નોંધાયા હતા. એપ્રિલની શરૂઆતમાં આવા કેસોમાં વધારોમાં ચાલુ જ રહ્યો છે.

જોકે, આમાંથી ઘણા કેસોનું 'અભયમ્'ની ટીમે કાઉન્સેલિંગ કરી સમાધાન કરાવી રહી છે.

'અભયમ્'ના પી.આર.ઓ. (પબ્લિક રિલેશન ઑફિસર) નિકુલ પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું:

"લૉકડાઉન દરમિયાન ગુજરાતમાં ઘરેલુ હિંસાના કેસ વધી ગયા છે, અમે માટે 24 કલાક કાર્યરત રહેતી ખાસ ઑપરેટિંગ ટીમ બનાવી છે. આ ટીમમાં અમારું પહેલું કામ જે-તે મહિલાનો ફોન આવે એનું ટેલિફોનિક કાઉન્સેલિંગ કરવાનું છે."

"તરત જ જે-તે વિસ્તારમાં આવેલી અમારી અભયમ્ વૅનને બીજા ફોનથી સૂચના આપીયે છીએ. એ વૅનમાં એક પોલીસકર્મી અને એક કાઉન્સેલર પણ હોય છે."

"એ ટીમ ત્યાં સુધી પહોંચે એ સમય સુધી અમે ફોન પર વાત ચાલુ રાખીયે છીએ કારણ કે પોલીસની મદદ માટે ફોન આવે, ત્યારે ઝઘડા ચરમસીમાએ પહોંચેલા હોય. જો ઝઘડો અમારા કાઉન્સેલરની સમજાવટથી ના પતે તો અમે અમારી સાથેના પોલીસકર્મી સાથે વાત કરાવીએ છીએ, જેથી સમસ્યાનો ઉકેલ આવે."

કંકાસનું કારણ

ઇમેજ સ્રોત, grcgujarat.org

ઇમેજ કૅપ્શન, અભ્યમ્ વૅનમાં કાઉન્સેલર ઉપરાંત પોલીસકર્મી પણ હોય છે

ગુજરાતમાં લૉકડાઉન દરમિયાન ઘરેલુ હિંસા વધવાનાં કારણો પાછળ માનસિક સ્થિતિ અને વ્યસન જવાબદાર ગણાવાય છે.

મનોરોગના વિશેષજ્ઞ ડૉક્ટર હંસલ ભચેચે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "આ સમય એવો છે કે પતિ કે પત્નીના ગમા-અણગમા સામે આવી જતા હોય છે. મોટાભાગના કિસ્સામાં પતિ-પત્ની વૅકેશન કે છૂટક રજા સિવાય એકસાથે આટલો લાંબો સમય માટે ઘરે રહે એવું ઓછું બનતું હોય છે."

ડૉ. ભચેચ કહે, "વર્તમાન સમયમાં વ્યક્તિને કંટાળો આવે છે, સાથે-સાથે આર્થિક નુકસાનની આશંકા હતાશા જન્માવે છે. જે ગુસ્સામાં બદલાય છે."

"વ્યક્તિ સામાન્ય રીતે પોતાનો ગુસ્સો ઘરબહાર કાઢી નાખતી હોય છે. પણ અહીં તમને એવો અવકાશ મળતો નથી એટલે એ ગુસ્સો વધે એટલે બહાર કાઢવાનું એક માત્ર સાધન તમારા ઘરના સભ્યો હોય છે. પરિણામે આવા કેસ વધી રહ્યા છે."

ડર અને હતાશાની અભિવ્યક્તિ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડર અને હતાશાને કારણે પણ હિંસા

ડૉ. ભચેચ ઉમેરે છે, "બીજું કારણ એ છે કે લૉકડાઉનના શરૂઆતના ગાળામાં લોકોએ ટીવી જોયું, ઇન્ટરનેટ પર ફિલ્મો જોઈ અને સમય જતાં એનાથી પણ કંટાળી ગયા."

"આવનારા સમયની ચિંતાના વિચારો હતાશા વધારે છે એના કારણે ઘરમાં પતિપત્ની વચ્ચેના ઝઘડા શરૂ થાય છે એટલે જ તમે જુઓ તો લૉકડાઉનની શરૂઆતમાં પતિપત્ની વચ્ચે ઝઘડા ઓછા હતા, હવે સમય વધતો જાય છે એમ વધવા લાગ્યા છે."

"બીજું કારણ એ પણ છે કે શરૂઆતમાં કોરોનાની ભયાનકતાનો અંદાજ ન હતો, હવે ખ્યાલ આવવા લાગ્યો છે એટલે એક છૂપો ડર પણ આક્રમકતાનું કારણ બને છે."

"એના માટે તમે કરેલી વાત ના પળાય એનો ગુસ્સો પણ આવે છે, એટલે મધ્યમવર્ગના લોકોમાં ડૉમેસ્ટિક વાયોલન્સનું પ્રમાણ વધ્યું છે."

વ્યસન અને વાયોલન્સ

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

આ ઉપરાંત ડૉ. ભચેચ વ્યસનને પણ ડૉમેસ્ટિક વાયોલન્સનું એક કારણ ગણે છે. ગુજરાતમાં પાન-મસાલાની દુકાનો બંધ થઈ છે અને તમાકુના બંધાણીને તમાકુ નહીં મળતા નિકોટીન વિડ્રૉઅલને કારણે ગુસ્સો વધે છે.

ડૉક્ટર ભચેચના જણાવ્યા અનુસાર મોટાભાગના સિગરેટ-બીડી પીવાવાળા અને ગુટકા ખાવાવાળા લોકોની પાસે સ્ટૉક નથી તમાકુ નહીં મળવાને કારણે નિકોટિનનું ક્રૅવિંગ આમાં ગુસ્સો આવવાનું કારણ બને છે. અત્યારે નિકોટિન નહીં મળવાને કારણે વિડ્રોઅલ સિન્ડ્રોમથી પણ ડૉમેસ્ટિક વાયોલન્સ વધી રહી છે.

વર્કિંગ કપલમાં વાયોલન્સ

ઇમેજ સ્રોત, Abhayam 108

ઇમેજ કૅપ્શન, 'અભ્યમ્ કાઉન્સેલર દ્વારા કાઉન્સેલિંગથી ઝગડા ઉકેલવાનો પ્રયાસ થાય છે'

સાઇકિયાટ્રિસ્ટ ડૉ.પ્રશાંત ભીમાણીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું:

"વર્કિંગ કપલમાં ડૉમેસ્ટિક વાયોલન્સના કિસ્સા વધ્યા છે, કારણ કે પતિ-પત્ની બંને કામ કરતાં હોય, ત્યારે સમય મળ્ચે ઑફિસની સમસ્યાની વાત કરે ત્યારે બંને વચ્ચે બૉન્ડિંગ જળવાઈ રહે."

"હવે દિવસ દરમિયાન સાથે રહે, ત્યારે એમની પાસે વાત કરવાનો સમય હોય છે, પણ વિષય નથી હોતા. ઘણાં વર્કિંગ કપલ એવાં હોય છે કે જેમને વર્ક-ફ્રૉમ-હૉમ હોય ત્યારે ત્યાં એડજેસ્ટમેન્ટ ડિસઓર્ડર વધુ થતો હોય છે."

"આપણી સમાજવ્યવસ્થા મુજબ પરિવારમાં પતિનું વર્ચસ્વ હોય, ત્યારે પત્ની પર ગુસ્સો ઊતરતો હોય છે."

"બીજી સમસ્યા એ છે કે નાના વેપારીને આવનારા દિવસોમાં આર્થિક સમસ્યા કેવી હશે અને તેને કેવી રીતે પહોંચી વળશે, તેનો અજંપો હોય છે. આ બધો ગુસ્સો પણ પત્ની પર નીકળતો હોય છે."

નિષ્ણાતો આશંકા વ્યક્ત કરે છે કે જો લૉકડાઉનનો સમય જેમ-જેમ લંબાશે તેમ-તેમ ડૉમેસ્ટિક વાયોલન્સનું પ્રમાણ પણ વધશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો