કોરોના વાઇરસ : ગુજરાતમાં સરકારી આંટીઘૂટીમાં અટવાયું ગરીબોનું રૅશન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 5 મિનિટ

ગુજરાતમાં જ્યાં એક તરફ કોરોનાના દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જઈ રહી છે અને લોકો દેશવ્યાપી લૉકડાઉનમાં ફસાયા છે, ત્યાં બીજી તરફ સરકારી રસ્તે લોકો સુધી પહોંચતું સસ્તા ભાવનું અનાજ અનેક લોકોને મળતું નથી.

ઘણા લોકો માની રહ્યા છે, કે આવા સમયે સરકારે રૅશનકાર્ડ અને તેના પરના સિક્કાઓ વગેરે જોયા વગર સીધેસીધું દરેક વ્યક્તિને રૅશન આપવું જોઈએ, તેની જગ્યાએ એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે કે લોકોને રૅશનની દુકાનેથી ખાલી હાથે પાછા આવવું પડ્યું પડે છે.

ગુજરાત સરકારે જાહેરાત કરી હતી કે રાજ્યમાં એપ્રિલ મહિનાથી ડબલ રૅશન આપવામાં આવશે.

ત્યારબાદ પહેલી એપ્રિલથી લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગની ઐસી-તૈસી કરીને રૅશનની દુકાનોની બહાર લાઇન લગાવી હતી.

જોકે આ લાંબી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ ઘણા લોકોને રૅશન મળ્યું નથી, તો ઘણાની ફરિયાદ છે કે તેમને રૅશન મળવાપાત્ર હોય તેનાથી ઓછું મળ્યું છે.

હાલમાં જ્યારે દેશભરમાં કોરોના વાઇરસને કારણે લૉકડાઉન છે, ત્યારે લોકોને જીવન-જરૂરિયાતની વસ્તુઓ અને તેમાંય ઘરનું રૅશન મેળવવું પહેલાં જેટલું સહેલું નથી.

આ માટે સરકારી સસ્તા અનાજની દુકાનોથી મળતું અનાજ ઘણા લોકો માટે ખૂબ જ મહત્ત્વનું બની જાય છે.

ઘણાં કેસોમાં લોકોને રાશન મળ્યું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

જોકે હાલમાં એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં લોકોને રૅશન મળ્યું નથી.

ભાવનગરના નાની ખોડીયાર પાસે રહેતા નરેન્દ્રભાઈ બાવળિયા રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા.

લૉકડાઉન બાદ તેઓ ઘરે જ બેઠા છે અને ઘરમાં જેટલું રૅશન હતું તેનાથી છેલ્લા 13 દિવસ સુધી ગુજરાન કર્યું.

તેમને ખબર હતી કે રૅશનની દુકાને જવાથી તેમને પહેલી એપ્રિલ પછીથી પોતાના ગુજરાન માટે રૅશન મળી રહેશે.

તેઓ રૅશનની દુકાને જ્યારે ગયા તો તેમને એમ કહીને પાછા ધકેલી દેવામાં આવ્યા કે તેઓ દર મહિને રૅશન ન લેતા હોવાથી તેમનું નામ લિસ્ટમાંથી કમી થઈ ગયું છે, અને હવે જ્યારે લિસ્ટમાં તેમનું નામ ફરીથી ઉમેરાય ત્યારબાદ જ તેમને રૅશન મળશે.

બીબીસી ગુજરાતીએ બાવળિયા સાથે જ્યારે વાત કરી ત્યારે તેઓ ખૂબ જ ચિંતિત હતા.

તેમણે કહ્યું, "રૅશનકાર્ડ હોવા છતાં અમને રૅશન મળતું નથી, તો આવામાં હવે અમારે ક્યાં જઈને ફરિયાદ કરવી."

તેઓ કહે છે કે તેમને ખબર નથી કે સરકારની કઈ યોજના અંતર્ગત તેમને રૅશન મળવાપાત્ર છે, બે વખત ધક્કા ખાવા છતાં તેમને રૅશન મળ્યું નથી.

એટલું જ નહીં તેમને કોઈ સંતોષકારક જવાબ પણ ન મળ્યો હોવાનું તેઓ જણાવે છે.

તેમની જેમ જ ભાવનગરના જ રહેવાસી રાકેશ ત્રિવેદીને પણ અનેક વાર રૅશનની દુકાનેથી ખાલી હાથે પાછા ફરવું પડ્યું છે.

તેઓ કહે છે, "મારું ઑનલાઇન લિસ્ટમાં નામ દેખાતું નથી, માટે રૅશનકાર્ડ હોવા છતાં મને રૅશન મળ્યું નથી."

આવી જ રીતે અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા પીન્ટુ ગારંગેએ ઇન્દ્રવદન પરમાર નામના એક સસ્તા અનાજની દુકાન ચલાવતા દુકાનદાર સાથે ઓછું રૅશન આપવા સંદર્ભે સંઘર્ષ કરવો પડ્યો હતો.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ગારંગે કહે છે કે, "તેમને રૅશન તો મળ્યું પણ માત્ર એક કિલો દાળ અને એક કિલો ચોખા મળ્યા છે. ખરેખર તો તેમને 16 કિલો ઘઉં અને 6 કિલો ચોખા મળવા જોઈએ."

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ગારંગેએ જ્યારે દુકાનદાર સાથે સંઘર્ષ કર્યો અને ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી તો તેમને છ દિવસ પછી પાછા આવીને પોતાનું રૅશન લઈ જવા માટે કહેવામાં આવ્યું હતું.

તો અમદાવાદના બહેરામપુરા વિસ્તારના એક દુકાનદારને તો લોકો દાણીલીમડા પોલીસ સ્ટેશન સુધી લઈ ગયા, કારણ કે તેમનો આરોપ હતો કે તે દુકાનદાર તેમને ઓછું રૅશન આપી રહ્યા છે.

આ વિશે દાણીલીમડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી. આર વસાવા કહે છે કે, "લોકોને તેમની ઉપર શંકા હતી એટલે તેમને અહીં લઈ આવ્યા હતા, પરંતુ ત્યારબાદ તેમની વચ્ચે સુલહ થતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી."

કોરોના વાઇરસને ધ્યાને લઈને સરકારી જાહેરાત પ્રમાણે અંત્યોદય અન્ન યોજના અંતર્ગત ગરીબ વર્ગના લોકોને કાર્ડદીઠ 25 કિલો ઘઉં અને 10 કિલો ચોખા મળવા પાત્ર છે.

પી.એચ.એચ. અંતર્ગત કાર્ડમાં નામ હોય તેવાને વ્યક્તિદીઠ 3.5 કિલોગ્રામ ઘઉં, 1.5 કિલોગ્રામ ચોખા મળવાપાત્ર છે, જ્યારે National Food Security Act પ્રમાણે NFSAમાં જેમની નોંધણી હોય તેવા લોકોને એક કિલોગ્રામ દાળ મળશે.

સરકારે 1077ની એક હેલ્પલાઇન પણ શરૂ કરી છે, જેમાં લોકોને અનાજની ગુણવત્તા કે માપ અથવા કોઈ પણ બીજી ફરિયાદ હોય તો તેઓ આ નંબર પર જાણ કરી શકે છે.

ઘણી જગ્યાએ લોકોએ અનાજની ખરાબ ગુણવત્તા વિશેની પણ ફરિયાદો કરી હતી.

શું કહે છે સરકાર?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

આ વિશે જ્યારે ગુજરાતના ફૂડ ઍન્ડ સિવિલ સપ્લાઇઝ ડિપાર્ડમેન્ટના સેક્રેટરી મોહમ્મદ શાહીદ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી તો તેમણે કહ્યું કે તેમની હેલ્પલાઇન પર એવી ફરિયાદો આવી છે, જેમાં કૉમૉડિટીની ગુણવત્તાના સવાલો છે, તેમજ લોકોને રૅશન ન મળવાની પણ ફરિયાદો છે.

"અમે તે માટે તપાસ આદરી છે. અમુક દુકાનદારોએ જૂનો સ્ટૉક લોકોને આપ્યો હોવાથી આવી ફરિયાદો આવી હતી. ઉપરાંત જે લોકો પાસે NFSA કાર્ડ ન હોય તેવા લોકોને રૅશન આપવાની કોઈ જોગવાઈ નથી."

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો લોકો પાસે NFSA કાર્ડ ન હોય તો તેમણે આવા સમયે શું કરવું જોઈએ, તો શાહીદે કહ્યું કે હાલમાં તે માટે કોઈ નિર્ણય લેવાયો નથી.

જોકે અમદાવાદ જિલ્લાના કલેક્ટર કે. કે. નિરાલાએ પોતાના એક વીડિયો સંદેશમાં કહ્યું છે કે હાલમાં NFSA કાર્ડધારકો તેમજ બીજા કાર્ડધારકોને અગ્રતાક્રમ પ્રમાણે રૅશન આપવામાં આવી રહ્યું છે, અને થોડા દિવસો પછી એક સર્વે કરીને બાકીના લોકોને (જેમાં નોન-NFSAના લોકોનો પણ સમાવેશ) પણ રૅશન આપવામાં આવશે.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

આ આખો મામલો શું છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

અન્ન સુરક્ષાના સંદર્ભે કામ કરતાં પંક્તિ જોગે આ તમામ મામલા વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરી.

તેમણે કહ્યું કે "અન્ન સુરક્ષાનો કાયદો 2013માં પસાર કરવામાં આવ્યો હતો અને ગુજરાત સહિત આઠ રાજ્યોએ આ કાયદાનું 2016ના સુપ્રીમ કોર્ટના ઑર્ડર સુધી અમલીકરણ નહોતું કર્યું."

"2013 બાદ બાદ રાજ્યોએ તમામ જરૂરિયાતમંદોનો સમાવેશ થાય એ રીતે એક નવી યાદી બનાવીને NFSA કાર્ડ ઇસ્યૂ કર્યા હતા. જોકે SCના ઑર્ડર બાદ રાજ્યને તાબડતોડ આ કાયદો અમલ કરવાનો આવ્યો ત્યારે ગુજરાત રાજ્યે નવી યાદી બનાવવાની જગ્યાએ 2011ની Socio-Economic Caste Census (SECC)ની યાદી પ્રમાણે NFSA કાર્ડ ઇસ્યૂ કર્યાં, જે બાદ ઘણી ફરિયાદો પણ ઊઠી હતી."

"ખૂબ જ જરૂરિયાતમંદ હોય તેવા વિચરતા સમુદાયો, દલિત સમાજના લોકો, શહેરી ગરીબ, આદિવાસીઓ વગેરે જેવા ઘણા લોકોનું નામ NFSAમાં ન આવ્યું. આ યાદીને પડકારતા અનેક દાવાઓ મામલતદાર કચેરીઓમાં ધૂળ ખાઈ રહ્યા છે."

પંક્તિ જોગ વધુમાં ઉમેરે છે કે હાલમાં આવા તમામ લોકો, જેમનું નામ NFSAમાં નથી તે સર્વેને કોઈ પણ પ્રકારનું રૅશન આપવાની સરકારની કોઈ યોજના નથી.

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો