યુપીમાં જીતથી ગુજરાતમાં ભાજપ હરખાશે?

ઇમેજ કૅપ્શન, ઉત્તરપ્રદેશમાં ભાજપની જીત યોગી માટે રાહત

ઉત્તરપ્રદેશની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભારતીય જનતા પક્ષના વિજય થયો છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક આકરી કસોટીમાંથી પાસ થઈ ગયા હોય તેવી રીતે આ વિજયને દર્શાવાય રહ્યો છે.

હવે આ ચૂંટણીમાં થયેલા વિજયની કોઈ અસર ગુજરાતની ચૂંટણીમાં જોવા મળશે કે નહીં તે એક પ્રશ્ન છે.

ઉત્તર પ્રદેશમાં 16 મ્યુનિસિપલ કોર્પોરેશન પર થયેલી મેયર પદની ચૂંટણીમાં 12 પર ભાજપ આગળ નીકળી ગયો છે.

આ ઉપરાંત મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીઓમાં પણ ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે.

તમને આ વાંચવું પણ ગમશે:

જ્યારે ચાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બહુજન સમાજવાદી પાર્ટી આગળ છે. સમાજવાદી પાર્ટીને સફળતા મળી નથી.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ ચૂંટણીમાં 3.32 કરોડ મતદારોમાંથી 52.5 ટકાએ મતદાન કર્યું હતું

સમાચાર સંસ્થા પીટીઆઈના જણાવ્યા અનુસાર 652 મ્યુનિસિપાલિટી પર મતગણતરી ચાલુ છે.

શરૂઆતનાં વલણો અનુસાર મેરઠ, સહારનપુર, લખનૌ, ગાઝ઼િયાબાદ અને ગોરખપુરમાં મેયરના પદ માટે ભાજપની સરસાઈ છે.

આ બેઠકો માટે 22, 26, અને 29 નવેમ્બરે મતદાન થયું હતું.

16 મ્યુનિસિપલ કોર્પોરેશન, 198 મ્યુનિસિપાલિટી અને 438 નગર પંચાયત બેઠકોનાં અંતિમ પરિણામો શુક્રવાર સાંજ સુધી મળવાની સંભાવના છે.

આ ચૂંટણીમાં 3.32 કરોડ મતદારોમાંથી 52.5 ટકાએ મતદાન કર્યું હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા યોજાયેલી આ ચૂંટણીઓમાં યોગી આદિત્યનાથે પ્રચારમાં કોઈ કચાશ નહોતી રાખી.

ગુજરાતમાં શું અસર થશે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં આ જીતની અસર શું થશે?

જો કે, ગુજરાતમાં યોગી આદિત્યનાથની જનસભાઓને ખાસ પ્રતિભાવ નથી મળી રહ્યો હોવાનું કહેવાય છે.

આ સંજોગોમાં ઉત્તર પ્રદેશની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપને મળેલા વિજયની ગુજરાત વિધાન સભાની ચૂંટણી પર શું અસર થશે?

આ વિશે બીબીસીના વરિષ્ઠ પત્રકાર રાજેશ પ્રિયદર્શીએ જણાવ્યું, "આ પરિણામોની ગુજરાતની ચૂંટણી પર કોઈ અસર થશે કે નહીં તે તો કહેવું જરા વહેલું ગણાશે. પણ આ પરિણામોની અસર ગુજરાતની ચૂંટણીના પ્રચાર પર જરૂર થઈ શકે."

ગુજરાતમાં ચૂંટણીઓનું સતત અવલોકન કરતા રાજકીય વિશ્લેષક ચંદુ મહેરિયાએ કહ્યું, "ઉત્તર પ્રદેશની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું ગુજરાતની ચૂંટણી પર ખાસ અસર પડે તેમ નથી લાગતું.

એનું કારણ એ છે કે, ભાજપ ત્યાં પણ સત્તા પક્ષ છે અને અહીં પણ સત્તામાં છે. આથી તેમનું ઉત્તર પ્રદેશમાં જીતવું કોઈ આશ્ચર્ય નથી.

જો કોંગ્રેસ ત્યાં જીતી હોત તો અહીં તેમને ફાયદો થયો હોત. એવું બન્યું નથી. ઉત્તર પ્રદેશમાં ભાજપ પછી બહુજન સમાજવાદી પાર્ટી જીતી છે, પરંતુ ગુજરાતમાં તેને કોઈ લાભ થાય તેમ નથી કારણ કે અહીં તેનો કોઈ ખાસ પ્રભાવ નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો