અમજદ ખાનને આમ મળ્યો'તો ગબ્બરનો રોલ

ઇમેજ સ્રોત, SHOLAY MOVIE

'યહાં સે પચાસ પચાસ કોસ દૂર જબ બચ્ચા રોતા હૈ તો મા કહેતી હૈ સો જા બેટે નહીં તો ગબ્બર આ જાએગા'

ફિલ્મ 'શોલે'નો આ ડાયલોગ બોલનારા અમજદ ખાન જો આજે જીવતા હોત તો તેઓ 77 વર્ષના હોત.

એવું જ્વલ્લે જ બને કે કોઈ ફિલ્મનો વિલન એક દંતકથા સમાન બની જાય અને તે ફિલ્મને વિલનને કારણે યાદ કરવામાં આવે. શોલે અને ગબ્બરનો સંબંધ કંઈક આવો જ છે.

અમજદ ખાનની જિંદગીમાં ગબ્બરનો રોલ એમ જ નહોતો આવ્યો.

ગબ્બરનો રોલ

ઇમેજ સ્રોત, HINDUSTAN KI KASAM MOVIE

ઇમેજ કૅપ્શન, 1973માં ચેતન આનંદની ફિલ્મ 'હિંદુસ્તાન કી કસમ'થી અમજદ ખાનની ફિલ્મી કૅરિયરની શરૂઆત થઈ હતી

ગબ્બરનો રોલ પહેલાં ડેનીને ઑફર થયો હતો અને સ્ક્રિન મેગેઝિનના કવર પર ડેની સહિત સ્ટારકાસ્ટનો ફોટો પણ છપાઈ ગયો હતો.

પરંતુ ડેનીને આ દરમિયાન અફઘાનિસ્તાનમાં ફિરોઝ ખાનની 'ધર્માત્મા'નું શૂટિંગ કરવાનું હતું, એટલે તેમને શોલે છોડવી પડી હતી.

ત્યારે સલીમ ખાને વિલન ગબ્બરસિંહના રોલ માટે જાવેદ અખ્તરને અમજદ ખાન વિશે યાદ અપાવ્યું.

જાવેદ અખ્તરે અમજદ ખાનને કેટલાંક વર્ષો પહેલાં દિલ્હીમાં એક નાટકમાં જોયા હતા અને સલીમ ખાન પાસે તેમનાં વખાણ કર્યા હતા.

અમજદ ખાનનું નામ યાદ અપાવ્યું જે ચરિત્ર અભિનેતા જયંતના પુત્ર હતા.

અમજદ ખાન સાથે જોડાયેલી કેટલીક દિલચસ્પ વાતો

ઇમેજ સ્રોત, UTSAV MOVIE

ઇમેજ કૅપ્શન, 'ઉત્સવ'માં અમજદ ખાને 'કામસૂત્ર'ના લેખક 'વાત્સાયન'ની ભૂમિકા નિભાવી હતી
  • પેશાવરના એક પઠાણ પરિવામાં જન્મેલા અમજદ ખાન થિયેટરની દુનિયામાંથી મોટા પડદા પર આવ્યા હતા.
  • 1975માં અમજદ ખાનને શોલેમાં તક મળી અને ગબ્બર સિંહની સફળતાનો અંદાજ એના પરથી જ લગાવી શકાય કે તેમને બિસ્કિટ બનાવતી એક કંપનીએ બ્રાન્ડ એમ્બેસેન્ડર તરીકે નીમ્યા હતા. બોલિવૂડના કોઈપણ વિલનનું આ રીતે જાહેરાતોમાં આવવું એ લગભગ પહેલો મોકો હતો.

ઇમેજ સ્રોત, SHATRANJ KE KHILADI

ઇમેજ કૅપ્શન, સત્યજીત રેની 'શતરંજ કે ખિલાડી'માં અવધના નવાબ વાજિદ અલીશાહની ભૂમિકા નિભાવી હતી.
  • અમજદ ખાન પહેલાં હિંદી સિનેમામાં ખલનાયક તરીકેની સફળતા અજીતના નામે હતી. પરંતુ શોલે બાદ અમજદ ખાને મોટા પડદા પર વિલનને એક નવી ઓળખ આપી.
  • અમિતાભ બચ્ચનની સામે અમજદ ખાન કેટલીક સફળ ફિલ્મોમાં વિલન તરીકે જોવા મળ્યા.

ઇમેજ સ્રોત, LAAWARIS MOVIE

ઇમેજ કૅપ્શન, પ્રકાશ મહેરાની 'લાવારિસ'માં અમિતાભના પિતાની ભૂમિકા નિભાવી હતી.
  • પરંતુ અમજદ માત્ર ગબ્બર સિંહની ઇમેજમાં જ કેદ ના રહ્યા. તેમણે સત્યજીત રેની 'શતરંજ કે ખિલાડી'માં અવધના નવાબ વાજિદ અલીશાહનો રોલ પણ કર્યો હતો.
  • 'ઉત્સવ'માં અમજદ ખાને 'કામસૂત્ર'ના લેખક 'વાત્સાયન'ની ભૂમિકા નિભાવી હતી. એવું નથી કે અમજદ ખાને માત્ર નકારાત્મક ભૂમિકા જ કરી છે.

ઇમેજ સ્રોત, CHAMELI KI SHAADI MOVIE

ઇમેજ કૅપ્શન, 1986માં 'ચમેલી કી શાદી'માં અમજદ ખાન જોવા મળ્યા હતા
  • તેમણે સાબિત કર્યું કે પડદા પર તેઓ લોકોને ડરાવી જ નથી શકતા પરંતુ હસાવી પણ શકે છે. ફિરોઝ ખાનની 'કુર્બાની' અને બાસુ ચેટર્જીની 'ચમેલી કી શાદી'માં ડરાવવા વાળા નહીં પરંતુ હસાવવાળા અમજદ ખાન જોવા મળ્યા હતા.

1976માં થયેલા રોડ એક્સિડન્ટે અમજદ ખાનની જિંદગી બદલી નાખી. સારવારથી તેઓ બચી તો ગયા પરંતુ દવાઓની સાઇડ ઇફેક્ટને કારણે તેમનું વજન વધવા લાગ્યું.

તેઓ લાંબા સમય સુધી મેદસ્વીપણા સામે લડતા રહ્યા. 27 જૂલાઈ 1992ના રોજ હૃદયરોગનો હુમલો આવવાથી 51 વર્ષની ઉંમરમાં જ તેમનું અવસાન થયું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો