પિતાને જે દિવસે કૂતરું કરડ્યું એ જ દિવસે દીકરીને નખ માર્યા, એક નાની ભૂલ અને એક જિંદગી ખતમ

ઇમેજ કૅપ્શન, હડકવાને કારણે સુહાસિનીનું નિધન થયું
    • લેેખક, પ્રભુરાવ આનંદન
    • પદ, બીબીસી તામિલ માટે
  • વાંચવાનો સમય: 6 મિનિટ

તામિલનાડુના થૂથુકુડ્ડીના ઓટ્ટાપિદરમના પુથિયાપુટ્ટુર વિસ્તારમાં એક છોકરીને શ્વાને નખ માર્યા હતા, એ પછી છોકરી બીમાર થઈ ગઈ હતી અને તેનું મૃત્યુ થયું હતું.

એ શ્વાન એ જ દિવસે છોકરીના પિતાને પણ કરડ્યું હતું, જોકે, તેમણે હડકવાની રસી લીધી હોવાથી તેમનો બચાવ થયો હતો. જોકે, પરિવારજનોનું કહેવું છે કે છોકરીની બાબતમાં લાપરવાહી દાખવવામાં આવી હતી અને શ્વાને માત્ર નખ માર્યા હોવાનું જાણીને અવગણના કરવામાં આવી હતી.

છોકરીનું હડકવાને કારણે મૃત્યુ થયું હોવાથી સરકારી અધિકારીઓની દેખરેખમાં પ્રોટોકોલ પ્રમાણે, તેની દફનવિધિ કરવામાં આવી હતી.

બે મહિના પછી હડકવાની ગંભીર અસર

ઇમેજ કૅપ્શન, આસપાડોશના 75 જેટલા લોકોને હડકવાની રસી આપવામાં આવી છે

સૅલ્વાકુમારની દીકરી સુહાસિની એક ખાનગી શાળામાં ધોરણ 9 માં અભ્યાસ કરતી હતી. 20 જાન્યુઆરીના રોજ તે પોતાના પાળતુ શ્વાન સાથે રમત કરી રહી હતી, ત્યારે શ્વાને સુહાસિનીને નખ માર્યા હતા. એ પછી 28 માર્ચના રોજ સુહાસિની અચાનક બીમાર થઈ ગઈ.

મૃતકના પરિવારજન મુથામિઝ સૅલ્વમે કહ્યું, "માન્યામાં નથી આવતું કે આવી હસતી-રમતી છોકરી અચાનક જ મૃત્યુ પામી." બીબીસી તામિલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું, "સુહાસિનીએ 27 માર્ચે અચાનક જ તેના પિતાને શરીરમાં ભારે દુખાવાની ફરિયાદ કરી હતી."

"એ પછી બીજા દિવસે સુહાસિનીને તાવ આવ્યો હતો, જેથી નજીકની ખાનગી હૉસ્પિટલમાં તેની સારવાર શરૂ કરવામાં આવી. એ પછી થૂથુકુડ્ડીની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી."

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

સૅલ્વમે કહ્યું હતું કે સુહાસિનીએ બે દિવસ સુધી કશું ખાધું ન હતું, એ પછી તે પાણી પીવામાં પણ ડર અનુભવી રહી હતી, જેથી તબીબોને શંકા થઈ હતી કે સુહાસિનીને હડકવાની અસર છે.

તબીબોએ જ્યારે સુહાસિનીને પૂછ્યું કે શું તેને શ્વાન કરડ્યું છે, ત્યારે સુહાસિનીએ જણાવ્યું હતું કે જાન્યુઆરી મહિનામાં તેમના પાળતુ શ્વાને તેમને નખ માર્યા હતા, પરંતુ તેમણે કોઈ રસી લીધી ન હતી. થૂથુકુડ્ડીની સરકારી હૉસ્પિટલના તબીબોએ એના લોહીનો નમૂનો લીધો હતો, જેમાં તેને હડકવા (રેબિઝ) થયો હોવાની પુષ્ટિ થઈ હતી.

મુથામિઝ સૅલ્વમ કહે છે, "થૂથુકુડ્ડી હૉસ્પિટલના તબીબની ભલામણને પગલે સુહાસિનીને શનિવારે રાત્રે તાત્કાલિક મદુરાઈ ગવર્નમેન્ટ રાજાજી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી." એ બાદ સુહાસિનીને ક્વૉરેન્ટીનમાં રાખવામાં આવી હતી. સૅલ્વમ કહે છે, "સુહાસિની અમારી સાથે સામાન્ય રીતે હસતી-બોલતી હતી."

જોકે, રવિવારે (29 માર્ચ) સાંજે 4 વાગ્યાથી સુહાસિનીની વર્તણૂકમાં અચાનક ફેરફાર આવ્યો હતો. મુથામિઝ સૅલ્વમ કહે છે, "તે અમારી ઉપર બૂમબરાડા પાડતી અને ખૂબ જ તોછડાઈપૂર્વક વર્તન કરતી."

એ પછી હૉસ્પિટલ સ્ટાફે સુહાસિનીને આઇસોલેશન રૂમમાં રાખી હતી અને તે બહાર ન નીકળે તે સુનિશ્ચિત કર્યું હતું. તબીબોનું કહેવું છે કે સોમવારે સવારે 2 વાગ્યે સુહાસિનીનું નિધન થયું હતું.

ગ્રામજનોનું રસીકરણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

મુથામિઝ સૅલ્વમ કહે છે, "અમે સુહાસિનીના મૃત્યુને સ્વીકારી જ નથી શકતા. હસતી-રમતી છોકરીના અચાનક મૃત્યુથી પરિવાર અને માતાપિતા આઘાતમાં છે." હડકવાને કારણે સુહાસિનીના મૃત્યુ પછી તબીબોએ પુથિયાપુટ્ટુર વિસ્તારના 75 લોકોને હડકવાની રસી આપી છે.

સૅલ્વમ કહે છે, "પરિવારની દરેક વ્યક્તિને વૅક્સિન આપવામાં આવી છે. આ દેશી જાતનું શ્વાન બે વર્ષથી અમારા ઘરમાં છે. જો તમને કૂતરું કરડે કે નખ મારે તો તાત્કાલિક રસી લઈ લો. અમે રસી ન અપાવીને દીકરી ગુમાવી દીધી."

જો વૅક્સિન અપાઈ હોત તો.....

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શ્વાન નખ મારે, કરડકે કે લાળના સંપર્કમાં આવો તો સાવધાની રાખવી જોઈએ (પ્રતીકાત્મક તસવીર)
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મદુરાઈની રાજાજી હૉસ્પિટલના ડૉ. મુરલીધરનના કહેવા પ્રમાણે, શ્વાને નખ માર્યા ત્યારે તાત્કાલિક તેને રસી અપાવવામાં આવી હોત, તો તેનું મૃત્યુ ન થયું હોત.

ડૉ. મુરલીધરને બીબીસી તામિલ સાથે વાત કરતાં કહ્યું, "સુહાસિનીના ઘરે જે શ્વાન છે, તેણે જાન્યુઆરી મહિનામાં સુહાસિનીના પગ ઉપર નખ માર્યા હતા. એ જ દિવસે તે સુહાસિનીના પિતાને પણ કરડ્યું હતું. તેમના પિતાને તાત્કાલિક રસી અપાવવામાં આવી હતી, એટલે તેમને અસર નહોતી થઈ."

"જોકે, નખ માર્યા હોવાથી કોઈ તબીબી સારવાર નહોતી લીધી, એટલે બે મહિના પછી સુહાસિનીને હડકવા થયો."

ડૉ. મુરલીધરનના કહેવા પ્રમાણે, હડકવા માટે કોઈ સુનિશ્ચિત સારવાર નથી.

જો હડકાયું કૂતરું ચાટે, કરડે કે નખ મારે તો વ્યક્તિને હડકવાનો ચેપ લાગી શકે છે. એટલે જ જો કોઈ શ્વાન ચાટે તો તાત્કાલિક તમારે સાબુ અને પાણીથી તે ભાગ ધોઈ લેવો જોઈએ.

ડૉ. મુરલીધરન કહે છે, "60 દિવસ પહેલાં શ્વાને છોકરીને જરાક નખ માર્યા હતા, જેની તેના શરીર ઉપર તરત જ અસર નહોતી થઈ. જેમ-જેમ દિવસો વીત્યા તેમ-તેમ તેને હડકવાની અસર દેખાવા લાગી, કારણ કે તેણે રસી નહોતી લીધી."

તેઓ કહે છે, "સુહાસિની જ્યારે હૉસ્પિટલમાં આવી, ત્યારે તેને હાઈડ્રોફોબિયાની ગંભીર અસર હતી. જે વ્યક્તિને હાઈડ્રોફોબિયા હોય, તે પાણી તરફ જોતાં કે પીવામાં ભય અનુભવે છે. તેને ગળામાં ભયાનક દુખાવો થાય છે."

મૃતદેહને ઘરે કેમ ન મોકલાયો?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ડૉ. મુરલીધરન કહે છે, "હડકવાથી મૃત્યુ પામનારી વ્યક્તિનો મૃતદેહ સીધો જ પરિવારજનોને સોંપી ન શકાય, એટલે હૉસ્પિટલનાતંત્ર દ્વારા તે હેલ્થ ઇન્સ્પેક્ટરને સુપ્રત કરાયો હતો."

પૂરતી પ્રક્રિયાનું પાલન કર્યા બાદ, પરિવારની સહમતિથી હેલ્થ ઇન્સ્પેક્ટરે જરૂરી સુરક્ષા રાખીને મૃતદેહનો સ્વીકાર કર્યો હતો અને તેની અંતિમવિધિ કરી હતી.

ડૉ. મુરલીધરન કહે છે, "જેનું મૃત્યુ હડકવાને કારણે થયું હોય, તેનું પૉસ્ટમૉર્ટમ કરવામાં નથી આવતું. કારણ કે તેના શરીર, થૂંક કે બીજા પ્રવાહીના સંપર્કમાં આવનારી વ્યક્તિને પણ હડકવાનો ચેપ લાગવાની શક્યતા રહે છે. એટલે નિર્ધારિત મેડિકલ પ્રોટોકોલ પ્રમાણે, મૃતકનો મૃતદેહ મ્યુનિસિપલ હેલ્થ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવે છે."

ઘરેલુ શ્વાન માટે શું કાળજી રાખશો?

વીડિયો કૅપ્શન, એ મહિલા જેની દરેક "વાત ખૂંખાર બળદો માને છે"

એનિમલ હસબન્ડરી ડિપાર્ટમેન્ટના રિજિયનલ જોઈન્ટ ડાયરેક્ટર, ડૉ. રામકૃષ્ણન ઘરે રહેલાં શ્વાનોની સંભાળ કેવી રીતે રાખવી, તેના વિશે વાત કરે છે.

ડૉ. રામકૃષ્ણન કહે છે, "ઘરમાં જે શ્વાન રાખ્યું હોય, તેને દર વર્ષે વૅક્સિન અપાવો. શ્વાન 3 મહિનાનું થાય ત્યારથી તેને વૅક્સિન આપી શકાય. નજીકની વેટરનરી હૉસ્પિટલ (પશુ ચિકિત્સાલય) ખાતે આ રસી અપાવી શકાય."

"જો તમે ઘરે શ્વાન રાખ્યું હોય, તો તેના પ્રત્યે બેપરવાહ ન રહેવું જોઈએ અને તેની પૂરતી સંભાળ રાખવી જોઈએ. જો એ તમને નખ મારે કે કરડે અથવા કરડવાની સાથે તેની લાળ તમારા શરીરમાં પ્રવેશે, તો તમારે તત્કાળ તબીબી પરામર્શ કરીને વૅક્સિન લેવી જોઈએ. જો તમને કરડવાની શંકા હોય, તો પણ તાત્કાલિક સારવાર લેવી જોઈએ."

"કૂતરું કેવું કરડ્યું છે, તેના ઉપર અસરનો આધાર રહે છે. જો તે મગજ પાસે કરડે તો તેની તરત જ અસર જોવા મળશે અને જો તે પગ પાસે કરડે કે નખ મારે તો તેની અસર થવામાં સમય લાગશે, પરંતુ અસર થશે જ."

પૂર્વ પબ્લિક હેલ્થ ડાયરેક્ટર કાકાડુસ્વામીના કહેવા પ્રમાણે, હડકવાનો ચેપ લાગ્યો છે એવું સાબિત થાય, તો તેના બચવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે.

બીબીસી તામિલ સાથે વાત કરતા તેમણે કહ્યું, "હડકવાની રસી લીધી ન હોય, છતાં વ્યક્તિ બચી ગઈ હોય એવો એક પણ કેસ નોંધાયો નથી. કૂતરું ક્યાં કરડ્યું છે તેના આધારે શરીરમાં ચેપ ફેલાવાને સરેરાશ 10 દિવસનો સમય લાગી શકે છે. હડકવાની રસીની અસર 10 દિવસમાં શરૂ થાય છે, એટલે ઢીલ કર્યા વગર વૅક્સિન લઈને ચેપને ફેલાતો અટકાવી શકાય છે."

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની ચેતવણી પ્રમાણે, માત્ર શ્વાન જ નહીં, પરંતુ બિલાડી, જંગલી પ્રાણીઓ તથા અન્ય સસ્તનધારી પ્રાણીઓ થકી પણ આ હડકવાનો ચેપ લાગી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન