ભારતીય નાગરિક બનવા પાકિસ્તાનથી આવેલી બે બહેનો પાસે હવે એક પણ દેશનો પાસપોર્ટ જ ન રહ્યો, શું છે કહાણી?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનથી આવેલી બે બહેનો 2008થી ભારતમાં રહે છે
    • લેેખક, નિયાઝ ફારુકી
    • પદ, બીબીસી ન્યૂઝ
  • વાંચવાનો સમય: 4 મિનિટ

ભારતીય નાગરિક બનવા માગતી બે બહેનો હાલ ભારતમાં નાગરિકતા વગર રહે છે. કારણ છે પાકિસ્તાન અને ભારતના નાગરિકતા કાનૂન સાથે જોડાયેલી આંટીઘૂંટીઓ.

આ બહેનો વર્ષ 2008થી કેરળમાં રહે છે. 2017માં ભારતમાં એમણે પાકિસ્તાન હાઈ કમિશનને પોતાનો પાસપોર્ટ જમા કરાવી દીધો હતો. આ વાત એમણે હાલ જ અદાલતમાં જણાવી હતી.

પણ એ સમયે તેઓ માત્ર 21 વર્ષની હતી. પાકિસ્તાનમાં નાગરિકતા છોડવાની ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ છે.

એ સમયે હાઈ કમિશને તેમને નાગરિકતાનું પ્રમાણ આપ્યું ન હતું. બંને બહેનો મીડિયા સાથે વાતચીત કરવાં માગતી નથી.

માતાનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Rasheeda Bano

ઇમેજ કૅપ્શન, 2017માં બંને બહેનોએ પાકિસ્તાની હાઈ કમિશનને પોતાના પાસપોર્ટ આપ્યા હતા.

બંનેનાં માતા રશીદા બાનોનું કહેવું છે કે એમણે 21 વર્ષની ઉંમર પૂરી થયા બાદ ફરીથી હાઈ કમિશનનો સંપર્ક કર્યો હતો પણ ત્યાંથી વિના કારણે પ્રમાણપત્ર દેવાની મનાઈ કરવામાં આવી હતી. રશીદા અને એમનો પુત્ર અત્યારે ભારતીય નાગરિક છે.

રશીદા કહે છે કે આ સ્થિતિથી એમની પુત્રીઓ પર ખરાબ અસર થઈ છે કારણ કે તેઓ પાસપોર્ટ માટે પણ આવેદન કરી શકતી નથી.

બીબીસીએ ભારત સ્થિત પાકિસ્તાન હાઈ કમીશનનો સંપર્ક કર્યો હતો પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો.

ભારત અને પાકિસ્તાન બંને પાડોશી દેશ છે. બંનેના સંબંધો હંમેશાં તણાવપૂર્ણ રહે છે. આ વર્ષે મે મહિનામાં બંને દેશો વચ્ચે ચાર દિવસ સુધી સૈન્ય સંઘર્ષ પણ થયો હતો.

બંને દેશોના લોકો એકબીજાના દેશમાં આવતા જતા રહે છે. ખાસ કરીને એ પરિવાર જે 1947માં ભારતના વિભાજન અને પાકિસ્તાન બનવા સમયે અલગ થઈ ગયા હતા.

છેલ્લા કેટલાક દાયકામાં આ પ્રક્રિયા કઠિન થઈ છે કારણ કે અત્યારે દસ્તાવેજોની તપાસ વધારે કડક થઈ ગઈ છે.

ભારતીય સંસદમાં જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ડિસેમ્બર, 2021 સુધી પાકિસ્તાનના 7,000થી વધુ નાગરિકોની ભારતીય નાગરિકતા માટે લાંબા સમયથી અરજી પેન્ડિંગ હતી.

કોર્ટના ફેંસલાની સામે કેન્દ્ર સરકાર

ઇમેજ સ્રોત, Rasheeda Bano

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનના નિયમ અનુસાર 21 વર્ષથી ઓછી ઉંમરના લોકો સ્વતંત્રરૂપે પોતાની નાગરિકતા છોડી શકતા નથી.

રશીદા બાનો કહે છે કે જ્યારે પાકિસ્તાની હાઇ કમિશને નાગરિકતા છોડવાનું પ્રમાણપત્ર આપ્યું નહીં તો એમણે પોતાની પુત્રીઓનો પાસપોર્ટ પરત કરવા અનુરોધ કર્યો પરંતુ આમ ન થયું.

બહેનો પાસે હાઇ કમિશન તરફથી 2018માં આપવામાં આવેલું એક પ્રમાણપત્ર છે. જેમાં લખવામાં આવ્યું છે કે તેમણે પોતાનો પાસપોર્ટ જમા કરી દીધો છે અને પાકિસ્તાનને ભારતીય નાગરિકતા અંગે કોઈ વાંધો નથી.

પરંતુ ભારતીય અધિકારીઓએ આને નાગરિકતા છોડવાનું પ્રમાણપત્ર માનવાનો ઇનકાર કરી દીધો. જેને કારણે બંને બહેનોએ કોર્ટનું શરણ લેવું પડ્યું છે.

પાછલા વર્ષે, કેરળ હાઇકોર્ટની સિંગલ બૅન્ચે એમના પક્ષમાં ફેંસલો આપ્યો અને કહ્યું કે એ સાફ છે કે અરજીકર્તા આ દસ્તાવેજ ઉપલબ્ધ નહીં કરાવી શકે.

કોર્ટે ભારત સરકારને નાગરિકતા દેવાના આદેશમાં કહ્યું, "આ (પ્રમાણપત્ર મેળવવું ) અશક્ય જેવું કામ છે."

પારિવારિક પૃષ્ઠભૂમિ

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કેન્દ્રીય ગૃહમંત્રાલયે આની સામે અપીલ કરી અને આ વર્ષે 23 ઑગસ્ટના રોજ, એ જ અદાલતની બે જજ વાળી બૅન્ચે સિંગલ બૅન્ચના આદેશને પલટાવી દીધો.

અદાલતે કહ્યું, "કોઈ વ્યક્તિને ભારતનો નાગરિક માનવા માટે, એને માત્ર ભારતીય રાજ્ય દ્વારા નાગરિકના રૂપમાં માન્યતા મળવી જોઈએ અને અન્ય દેશની સરકારનો દાવો આમાં ન હોવો જોઈએ. નાગરિકતા છોડવાની ઔપચારિક પ્રક્રિયા જ આ કાયદાકીય સ્પષ્ટતાને સુનિશ્ચિત કરે છે."

બહેનો પાસે હાઇકોર્ટના આદેશ વિરુદ્ધ અપીલ કરવાનો રસ્તો છે.

પાકિસ્તાનના નિયમો અનુસાર 21 વર્ષથી ઓછી ઉંમરના લોકો સ્વતંત્રરૂપે પોતાની નાગરિકતા છોડી ન શકે પરંતુ એમનું નામ એમના પિતા તરફથી નાગરિકતા છોડવાના આવેદનમાં સામેલ થઈ શકે છે.

આ બંને બહેનોના પિતા મોહમ્મદ મારુફનો જન્મ કેરળમાં થયો હતો. પણ નવ વર્ષની ઉંમરમાં અનાથ થયા બાદ તેમને એમનાં દાદીએ એને દત્તક લીધા હતા.

જ્યારે તેઓ 1977માં પાકિસ્તાન ચાલ્યાં ગયાં ત્યારે મોહમ્મદ મારુફને પણ સાથે લઈ ગયા હતા.

રશીદા બાનો કહે છે કે, "એમનાં માતા-પિતા પણ ભારતીય હતા પરંંતુ 1971માં સંબંધીઓને મળવા માટે પાકિસ્તાન ગયા તો સીમા બંધ થવાને કારણે ત્યાં જ ફસાઈ ગયા. બંને દેશો વચ્ચે યુદ્ધ છેડાવાને કારણે સીમા બંધ થઈ ગઈ હતી."

મહિના સુધી પરત ન ફરવાથી, એમને પાકિસ્તાની નાગરિકતા માટે આવેદન કરવું સરળ લાગ્યું. કેટલાંક વર્ષો બાદ બાનોનો જન્મ થયો.

બંને બહેનો ભારતથી પાકિસ્તાન કેવી રીતે પહોંચી?

રશીદા બાનો અને મોહમ્મદ મારુફ કે જેમને ચાર સંતાનો છે એમણે 2008માં લાંબા સમયના વીઝા પર ભારત આવ્યાં હતાં. પણ મારુફ ભારતમાં ઢળી ન શક્યા અને જલ્દીથી પાકિસ્તાન પરત ફર્યા.

રશીદા બાનો અને એમના પુત્ર (21 વર્ષ)ને આખરે ભારતીય નાગરિકતા મળી.

રશીદા બાનોએ કહ્યું કે, "જ્યારે તેઓ પાકિસ્તાની ઓળખ પત્રો બતાવે ત્યારે પરિવારને હંમેશાં બદનામીનો સામનો કરવો પડે છે, પરંતુ કમસેકમ એમની પાસે એક સહારો તો હતો પરંતુ આ બહેનો પાસે તો એ વિકલ્પ પણ નથી."

એમણે કહ્યું કે, "મોબાઇલ ફોન કનેકશન લેવું કે બાળકોને સ્કૂલમાં દાખલ કરવા જેવું સરળ કામ પણ એમના માટે મુશ્કેલ છે."

અંતમાં અધિકારીઓએ બહેનોને આધારકાર્ડ લાવવાની પરવાનગી આપી. જે ભારતમાં ઓળખપત્રનું કામ કરે છે. પરંતુ આધારને પણ નાગરિકતાનું પ્રમાણ નથી માનવામાં આવતું એટલે આ કારણે એમને મૂળ અધિકારોથી વંચિત કરી દેવામાં આવ્યાં.

રશીદા બાનો કહે છે કે, "પાસપોર્ટ ન હોવાથી એમની પુત્રીઓની જિંદગી પર પણ અસર પડી છે. જેમાંથી એકનાં લગ્ન ખાડી દેશમાં નોકરી કરનારી વ્યક્તિ સાથે થયાં હતાં, પરંતુ પત્નીના ત્યાં ન જવાને કારણે એને નોકરી છોડીને ભારત આવવું પડ્યું."

"જ્યારે બીજી પુત્રીનો એક દીકરો છે. જેને વિદેશમાં સારવારની જરૂરિયાત છે પરંતુ તે ભારતની બહાર જઈ શકતી નથી."

બંનેના વકીલ એમ.સસીન્દ્રન કહે છે, "બહેનોને 2017માં પ્રમાણ પત્ર એટલા માટે ન મળ્યું કારણકે ત્યારે તે નાબાલિગ હતી. જ્યારે તેઓ વયસ્ક છે ત્યારે તેઓ પાકિસ્તાન પણ જઈ શકતી નથી કારણ કે બંનેએ પોતાના પાસપોર્ટ જમા કરાવી દીધા છે, તો એમને પ્રમાણ પત્ર કેવી રીતે મળી શકે?"

"તેઓ હવે ફસાઈ ગઈ છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન