ભારતની અત્યાધુનિક મિસાઇલોનો તોડ પાકિસ્તાન કઈ રીતે કાઢશે?

સારાંશ
  • ભારતે ડીઆરડીઓ દ્વારા નિર્મિત ડિફેન્સિવ બૅલિસ્ટિક મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું છે, જે પરમાણુ મિસાઈલ અને ફાઇટર જેટને હવામાં જ નષ્ટ કરવામાં સક્ષમ ઇન્ટરસેપ્ટર મિસાઈલ છે
  • આ મિસાઈલ 15-25 કિલોમિટરની ઊંચાઈથી 80-100 કિલોમિટરની ઊંચાઈ સુધીના પરમાણુ મિસાઈલ અને ફાઈટર ઍરક્રાફ્ટને જમીનની સપાટીની અંદર અને બહાર બંને રીતે નાશ કરવા માટે સક્ષમ છે
  • કેટલાક અહેવાલોમાં બતાવવામાં આવ્યું છે કે હાલમાં સરકાર આ મિસાઈલને કોઈ પ્રમુખ બેઝ પર સ્થાપિત કરવાની યોજના ટાળી રહી છે, આનું એક કારણ તેની પાછળનો ભારે ખર્ચ હોઈ શકે છે
  • ભારતની આ મિસાઇલનો જવાબ પાકિસ્તાન અને ચીન કઈ રીતે શોધે એ મહત્ત્વનું છે.
    • લેેખક, શકીલ અખ્તર
    • પદ, બીબીસી સંવાદદાતા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, એડી-1 મિસાઇલ પરીક્ષણને સત્તાવાર રીતે સફળ પરીક્ષણ જાહેર કરવામાં આવ્યું છે

ભારતે પરમાણુ મિસાઇલ અને ફાઇટર જેટને હવામાં જ નષ્ટ કરવામાં સક્ષમ ઇન્ટરસેપ્ટર મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. આ ડિફેન્સિવ બૅલિસ્ટિક મિસાઇલ ડીઆરડીઓ દ્વારા બનાવવામાં આવી છે. આ પરીક્ષણ ઓરિસ્સાના સમુદ્રમાં એક ટાપુ પર સ્થિત મિસાઇલ લૅબમાંથી કરવામાં આવ્યું હતું અને અધિકારીઓએ તેને 'સફળ પરીક્ષણ' ગણાવ્યું છે. આ મિસાઇલને 'એડી-1' નામ આપવામાં આવ્યું છે.

સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ડીઆરડીઓ તરફથી ફેઝ-2 પ્રોગ્રામ હેઠળ એડી-1 બૅલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ ઈન્ટરસેપ્ટરનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે.

નિવેદનમાં જણાવાયું છે કે મિસાઇલ બે-ફેઝવાળી સૉલિડ મોટરથી ચાલે છે અને ચોક્કસ લક્ષ્ય સુધી પહોંચવા માટે તેમાં ભારતમાં નિર્મિત કંટ્રોલ સિસ્ટમ, નૅવિગેશન અને ગાઈડન્સનાં આધુનિક ઉપકરણ લગાવવામાં આવ્યાં છે.

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આ પરીક્ષણ બાદ કહ્યું છે કે આ ઇન્ટરસેપ્ટર મિસાઇલ એવી આધુનિક ટેકનૉલૉજીથી સજ્જ છે, જે સંપૂર્ણપણે નવી છે અને અમુક જ દેશો પાસે આ ક્ષમતા છે. તેનાથી દેશની બૅલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની ક્ષમતામાં વધુ સુધારો થશે. આ મિસાઇલ 15-25 કિલોમિટરની ઊંચાઈથી 80-100 કિલોમિટરની ઊંચાઈ સુધીના પરમાણુ મિસાઇલ અને ફાઈટર ઍરક્રાફ્ટને જમીનની સપાટીની અંદર અને બહાર બંને રીતે નાશ કરવા માટે બનાવવામાં આવી છે.

પાકિસ્તાન હવે શું કરશે?

ઇમેજ સ્રોત, Getty Images

કેટલાક અહેવાલોમાં બતાવવામાં આવ્યું છે કે હાલમાં સરકાર આ મિસાઈલને કોઈ પ્રમુખ બેઝ પર સ્થાપિત કરવાની યોજના ટાળી રહી છે. આનું એક કારણ તેની પાછળનો ભારે ખર્ચ હોઈ શકે છે.

એ પણ શક્ય છે કે સંભવિત ઇન્સ્ટોલેશનની જાહેરાત એટલા માટે પણ ટાળવામાં આવી હોય કે તેના જવાબમાં પાકિસ્તાન વધુ પરમાણુ બૉમ્બ બનાવવાનો પ્રયાસ કરે અથવા ભારતની ઇન્ટરસેપ્ટર મિસાઇલનો ઉપાય મેળવવાનો પ્રયાસ કરે.

રક્ષા વિશ્લેષક રાહુલ બેદીએ બીબીસીને જણાવ્યું હતું કે તૈયારીઓ લાંબા સમયથી ચાલી રહી હતી, પરંતુ કેટલીક ટેકનિકલ મુશ્કેલીઓ અને અન્ય ખર્ચને કારણે અંતિમ સ્વરૂપ આપવામાં વિલંબ થયો.

ડીઆરડીઓના ફેઝ-1ની યોજના એવી બૅલિસ્ટિક મિસાઈલો વિકસાવવાની હતી, જે 2000 કિલોમિટરની રેન્જમાં હવામાં દુશ્મન મિસાઈલોને શોધીને તેનો નાશ કરવામાં સક્ષમ હોય.પરંતુ હવે ફેઝ-2 હેઠળ પરીક્ષણ કરાયેલી આ મિસાઈલ 5000 કિલોમિટર સુધીની રેન્જ ધરાવે છે.

રાહુલ બેદીનું કહેવું છે કે તેને પાકિસ્તાન અને ચીન બંનેને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જે પરમાણુ શક્તિ ધરાવતા બે દુશ્મન દેશોથી ઘેરાયેલો છે. સ્વાભાવિક છે કે આ બે દેશો (ચીન અને પાકિસ્તાન) ભારતના નિશાને છે.

ભારતની પોતાની ટેકનૉલૉજી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રશિયન બનાવટની S-400 મિસાઈલ સિસ્ટમ પણ તાજેતરમાં ભારતીય સેનાને સોંપવામાં આવી છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રાહુલ બેદી કહે છે કે 'મિસાઇલ ટેકનૉલૉજી એવી ટેકનૉલૉજી છે જે કોઈ દેશ બીજા દેશને આપતું નથી. ભારતે પોતાની ટેકનૉલૉજીથી ઘણી મિસાઈલો બનાવી છે. હવે આ નવી મિસાઇલના પરીક્ષણ બાદ આ ક્ષેત્રે મિસાઇલની રેસ શરૂ થઈ જશે. પાકિસ્તાન અને ચીન પણ પોતપોતાની રીતે આ મિસાઇલોનો જવાબ મેળવવાની કોશિશ કરશે.

યાદ રહે કે માત્ર અમેરિકા, ઈઝરાયેલ, રશિયા અને ચીન જેવા દેશો પાસે જ જમીન પરથી હવામાં ન્યુક્લિયર મિસાઇલ અને ઈવાક્સ જેવા ફાઈટર પ્લેનનો નાશ કરવાની ટેકનૉલૉજી છે. ઉલ્લેખનીય છે કે ભારતે તાજેતરમાં જ રશિયન બનાવટની S-400 સરફેસ ટુ ઍર મિસાઇલોને સેનામાં સામેલ કરી છે.

આ અત્યાધુનિક રશિયન ડિફેન્સ મિસાઇલ હવામાં યુદ્ધવિમાનો, જાસૂસી વિમાનો, ડ્રોન હુમલા અને મધ્યમ અંતરની બૅલિસ્ટિક મિસાઈલોને શોધીને તેનો નાશ કરવામાં સક્ષમ છે.

ડીઆરડીઓ મિસાઇલ અને રક્ષણાત્મક શસ્ત્રોનું ઉત્પાદન કરતી ભારતની સૌથી મોટી કંપની છે.

આ સંસ્થા દ્વારા રશિયાના સહયોગથી ‘પૃથ્વી’, ‘અગ્નિ’, ‘ત્રિશુલ’, ‘આકાશ’, ‘નાગ’, ‘નિર્ભય’ અને ‘બ્રહ્મોસ’ જેવી મિસાઇલો બનાવવામાં આવી છે. આ તમામ મિસાઇલો હવે ભારતીય સેનામાં સામેલ છે અને સૈન્યશક્તિનો મુખ્ય હિસ્સો છે. આમાંથી કેટલીક મિસાઇલો અન્ય દેશોએ પણ ખરીદી છે.

વીડિયો કૅપ્શન, નીતિન પટેલ ગુજરાત રમખાણ અને નરેન્દ્ર મોદી અંગે શું બોલ્યા?