ચંદ્રગ્રહણ 2026 : 'કેટલા કલાક પહેલાં જમવું?' ગ્રહણ અંગેની માન્યતાઓની હકીકત

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2026નું પ્રથમ ચંદ્રગ્રહણ થયું, જે ભારતમાં પણ જોવા મળ્યું હતું. તાજેતરમાં ફેબ્રુઆરીમાં વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આવ્યું હતું જે ભારતમાં જોઈ શકાયું ન હતું.
ભારતમાં ચંદ્રગ્રહણનો કેટલોક અંશ જોવા મળ્યો હતો.
આમ તો ચંદ્રગ્રહણને જોવા માટે કોઈ ખાસ સાવધાની રાખવાની જરૂર હોતી નથી અને તેને સંપૂર્ણપણે સુરક્ષિત માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં આગામી ચંદ્રગ્રહણ 6 જુલાઈ, 2028માં થશે, જે આંશિક ચંદ્રગ્રહણ હશે. ભારતમાં છેલ્લે 7, 8 સપ્ટેમ્બર, 2025માં ચંદ્રગ્રહણ થયું હતું,જે પૂર્ણ ગ્રહણ હતું.
ચંદ્રગ્રહણને જોવા માટે કોઈ ખાસ સાવધાની રાખવાની જરૂર હોતી નથી અને તેને સંપૂર્ણપણે સુરક્ષિત માનવામાં આવે છે. આ નજારો નરી આંખે પણ જોઈ શકાય છે. ત્યારે ચંદ્રગ્રહણ શું છે? આ દરમિયાન ખોરાક ખાવા અને ગર્ભવતી સ્ત્રીઓના બહાર નીકળવા સંબંધે અનેક પ્રકારની ન્યતાઓ જોડાયેલી છે, શા માટે તેનો ઉદ્દભવ થયો તથા શું તેમાં કોઈ તથ્ય છે, તેના વિશે જાણવાનો પ્રયાસ કરીએ.
ચંદ્રગ્રહણ એટલે શું?

આ ગ્રહણ પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની ભ્રમણકક્ષા એક જ રેખામાં આવી જાય ત્યારે સર્જાય છે. એ તેમની ભ્રમણકક્ષાના કોણના કારણે રચાતી ખગોળીય ઘટના છે.
તેમાં ચંદ્ર પૃથ્વીની છાયામાંથી પસાર થાય છે અને તે સીધી એક જ રેખામાં આવી જાય છે.
ચંદ્રની ભ્રમણકક્ષા ઝૂકેલી હોવાથી તે દર મહિને પૃથ્વીની છાયામાંથી પસાર નથી થતો. આથી આવી ઘટના દર મહિને સર્જાતી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉપછાયા ચંદ્રગ્રહણમાં પૃથ્વીની કેન્દ્ર સપાટીની છાયા ચંદ્ર પર પડતી નથી. તેમજ ચંદ્રની અમુક સપાટી પર જ પૃથ્વીનો પડછાયો પડતો હોય છે.
ચંદ્રગ્રહણના પ્રકાર
ચંદ્રગ્રહણ ત્રણ પ્રકારનાં હોય છે - પૂર્ણ ચંદ્રગ્રહણ, આંશિક ચંદ્રગ્રહણ અને પેનુમબ્રલ ચંદ્રગ્રહણ.
ગ્રહણ પહેલાં ચંદ્ર પૃથ્વીની ઉપછાયામાં પ્રવેશ કરે છે જેને અંગ્રેજીમાં પેનુમબ્રા કહેવાય છે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ નથી હોતું એટલે પૃથ્વી પર ચંદ્રનો સંપૂર્ણ પડછાયો નથી પડતો, માત્ર ઉપછાયા પડે છે. એટલે કે માત્ર એક આછી છાયા પડે છે.
પેનુમબ્રલ ચંદ્રગ્રહણમાં ચંદ્રના આકારમાં કોઈ પરિવર્તન થતું નથી. ત્યારે ચંદ્ર બિલકુલ સામાન્ય દિવસોમાં હોય તેવો જ દેખાય છે પરંતુ તેના રંગમાં થોડો બદલાવ જોવા મળે છે. ચંદ્રનો રંગ થોડો ધૂળિયો થઈ ગયેલો દેખાય છે.
ચંદ્રગ્રહણને જોઈ શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
ચંદ્રગ્રહણને નરી આંખે જોઈ શકાય છે, પરંતુ જો તેને જોવા માટે ટેલિસ્કોપની વ્યવસ્થા થઈ શકે તો ચંદ્રગ્રહણનું આ દૃશ્ય તમારા જીવનનો એક આહ્લાદક અનુભવ સાબિત થઈ શકે છે.
રવિવારે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ચંદ્રગ્રહણ જોવા મળશે. વિજ્ઞાનીઓએ ભારતમાં ક્યારે ચંદ્રગ્રહણ દેખાશે, તેના વિશે માહિતી આપી છે.
અંતરીક્ષવિજ્ઞાની ડૉ. સુવેન્દુ પટનાયકનું કહેવું છે, "આપણે આજે કોઈ પણ જાતના ઉપકરણ વગર નરી આંખે ચંદ્રગ્રહણ જોઈ શકીશું. તે રાત્રે 9.37 કલાકે શરૂ થશે અને લગભગ એક કલાક સુધી ચાલશે. રાત્રે 11 વાગ્યે ચંદ્ર સંપૂર્ણપણે ઢંકાઈ જશે અને તે લાલ દેખાશે. રાત્રે 12.22 સુધી તે આવો જ દેખાશે."
ડૉ. સુવેન્દુ પટનાયકના કહેવા પ્રમાણે, "આગામી ચંદ્રગ્રહણ 3 માર્ચ 2026ના રોજ દેખાશે. આજનું ચંદ્રગ્રહણ ખાસ્સા સમય સુધી રહેશે. જો તમારા વિસ્તારમાં વાદળ નહીં હોય તો સમગ્ર ભારતમાં કોઈ પણ જાતના ઉપકરણ વગર જોઈ શકાશે."
ગ્રહણ અંગેની લોકમાન્યતાઓ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતીય સમાજમાં ચંદ્રગ્રહણ સાથે કેટલીક માન્યતા-ગેરમાન્યતાઓ વણાયેલી છે. અનેક માન્યતાઓ અનેક લોકો માટે શ્રદ્ધાનો વિષય હોય છે અને તેનું પાલન પણ કરાતું હોય છે.
આંધ્ર પ્રદેશમાં 'વિજ્ઞાનદર્શની' નામે સંસ્થા કામ કરે છે. જેની સ્થાપના રમેશ ટી.એ કરી છે. આ સંસ્થા ગ્રહણ સાથે જોડાયેલી અંધશ્રદ્ધાઓના નિરાકરણ માટે કામ કરે છે. અગાઉ તેમણે આ માન્યતાઓ અંગે બીબીસીને જણાવ્યું હતું :
માન્યતા : ગ્રહણ દરમિયાન ઊંઘવું ના જોઈએ. આ સમય દરમિયાન નકારાત્મક ઊર્જા ચોતરફ ફેલાયેલી હોય છે અને એટલે આ વખતે સમાગમ પણ ન ટાળવો જોઈએ.
રમેશ : આમાં કંઈ સત્ય નથી. લોકોની રોજિંદી પ્રવૃતિઓ સાથે ગ્રહણને કંઈ લેવાદેવા નથી. આ વખતે લોકો ઇચ્છે એ કરી શકે છે. તમે ઊંઘી શકો, તમે તમારા રોજિંદા કામ કરી શકો, તમે કંઈ પણ કરી શકો.
માન્યતા : ગ્રહણ દરમિયાન નકારાત્મક ઊર્જા ફેલાતી હોય છે. આ અંગે ઘણી માન્યતાઓ પણ પ્રચલીત છે. એવું પણ કહેવાય છે કે આ સમય દરમિયાન કોઈ કામ કરવું એ દુર્ભાગ્યને નોતરું આપવા જેવું છે.
રમેશ : આ અસત્ય છે કે ગ્રહણ દરમિયાન નકારાત્મક ઊર્જા ફેલાતી હોય છે. ગ્રહણ કોઈ શક્તિ કરતું નથી. એ ખરેખર શું છે? ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે તો એનો જે પટછાયો પડે એ જ તો ગ્રહણ છે.
માન્યતા : એવું કહેવાય છે કે ગ્રહણ દરમિયાન ચોખા ના રાંધવા જોઈએ કે જમવું પણ ન જોઈએ અને ગ્રહણના એકાદ-બે કલાક પહેલાં જ જમી લેવું જોઈએ.
રમેશ: આમાં કંઈ જ સત્ય નથી. તમે રાંધી શકો છો, ખાવ... પીવો... તમે કંઈ પણ ખાઈ શકો. ગ્રહણ વખતે ન કરી શકાય એવું કંઈ જ નથી.
માન્યતા : કહેવાય છે કે, ગ્રહણ સમયે બહાર ન નીકળવું જોઈએ, ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ ઘરમાં જ રહેવું જોઈએ.
રમેશ : આ પણ અસત્ય છે. દુનિયાભરમાં ગ્રહણ થાય છે, શું ત્યાં લોકો બહાર નીકળતા નથી? શું ભારતમાં જ માત્ર નુકસાન થાય છે? ગર્ભવતી મહિલાના બહાર નીકળવાથી ગર્ભમાં રહેલા બાળકને કોઈ નુકસાન થતું નથી.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી ગુજરાતીએ અગાઉ ભરૂચની કે. જે. પોલિટેકનિક કૉલેજનાં ફિઝિક્સનાં પ્રોફેસર ડૉ. મીના તલાટીની સાથે વાત કરી હતી અને આ અંગે સમજવાનો પ્રયાસ કર્યો હતો.
ડૉ. મીના તલાટીના કહેવા પ્રમાણે, ખરેખર વિજ્ઞાનમાં આવાં કોઈ તારણો સંશોધન કે થિયરી નથી જે આ સંબંધિત માન્યતાઓ અને ગ્રહણ વચ્ચે સંબંધ હોવાનો પુરાવો આપે છે.
તેમણે આ વિશે જણાવતા કહ્યું, "ગ્રહણ એ એક અવકાશ વિજ્ઞાનની ખગોળીય ઘટના છે."
"તેની પૃથ્વી પર સામાન્ય લોકોના શારીરિક-માનસિક લક્ષણો પર સીધી અસર માટે તર્ક આપવામાં આવતા હોય છે, પરંતુ તેમાં કોઈ પુરવાર થયેલી થિયરી નથી."
"ખરેખર ગ્રહણ એક ઘટના છે, જે પૃથ્વી સંબંધે ઘણી દુર્લભ છે. તેને માણવું જોઈએ અને આ બધી ઘટનાઓ વિશે જાણવું જોઈએ."
"રહી વાત ગ્રહણ સમયે જમવું નહીં અને બહાર નહીં જવાની માન્યતાની, તો જૂના જમાનામાં કાચાં મકાનો રહેતાં અને વીજળી નહોતી. આથી ગ્રહણ સમયે અંધારું હોવાથી ઘરમાં બનાવેલા ખોરાક કે તેની સામગ્રીમાં કોઈ જંતુ ન પડી જાય એટલા માટે લોકો ખાતાં ન હતા."
રેડિયેશનની માન્યતા

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. મીના તલાટી કહે છે, "વધુમાં માનવનો સ્વભાવ રહ્યો છે કે તે કોઈ પણ દુર્ઘટનાને એ દિવસના સંજોગો સાથે જોડી દે છે."
"આથી ગ્રહણ સમયે કંઈક નકારાત્મક ઘટના બની હોય, તો તેને હંમેશાં માટે અશુભ સમય માની લેવાય છે, જે તદ્દન ખોટી માન્યતા છે."
અત્રે નોંધવું રહ્યું કે, ગ્રહણ બાબતે લોકો એવી પણ માન્યતા ધરાવતા હોય છે કે તેની માનસિક અસર થવાથી પરિવારમાં કંકાસ થાય છે. ઉપરાંત વ્યક્તિ પર ખોટા આક્ષેપો પણ થતા હોય છે. જો કે વિજ્ઞાનના જાણકારો આ તમામ માન્યતાઓને ખોટી ગણાવે છે.
આ સમગ્ર બાબત અંગે ડૉ. મીના તલાટીએ વધુમાં જણાવ્યું કે, ગ્રહણની ગુરુત્વાકર્ણ અને રેડિયેશન(કિરણોત્સર્ગ)ની અસર મામલે કોઈ ખાસ સંશોધન નથી થયાં.
"આ વિષયમાં સંશોધન ચાલુ છે. સાયન્સ આવી માન્યતાઓને ગ્રાહ્ય નથી રાખતું. ઉપરાંત આપણે પૃથ્વી પર રહીએ છીએ એટલે આપણને ગ્રહણો વારંવાર જોવાં નથી મળતાં."
"જો મંગળ પર રહેતાં હોત તો વારંવાર આવાં સૂર્ય-ચંદ્રગ્રહણો જોવા મળતાં હોત."
અવકાશમાં થતી આવી ઘટનાઓની લોકમાન્યતાઓ સાથે સીધો કોઈ વૈજ્ઞાનિક સંબંધ નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























