રોજનું એક ગ્લાસ દૂધ આંતરડાના કૅન્સરનું જોખમ ઘટાડે? નવું સંશોધન શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ફિલિપા રોક્સબી
    • પદ, હેલ્થ રિપોર્ટર
  • વાંચવાનો સમય: 5 મિનિટ

યુકેના એક મોટા અભ્યાસમાં પુરાવા મળ્યા છે કે જે લોકોના આહારમાં વધુ કૅલ્શિયમ, (એટલે કે દિવસમાં એક ગ્લાસ દૂધ જેટલું) હોય તેવા લોકોને આંતરડાના કૅન્સરનું જોખમ ઘટાડવામાં મદદ મળે છે.

સંશોધકોએ 16 વર્ષથી વધુ ઉંમરની પાંચ લાખથી વધુ મહિલાઓના આહારનું વિશ્લેષણ કર્યું અને તેમને જાણવા મળ્યું કે ઘેરાં પાંદડાંવાળાં લીલાં શાકભાજી, બ્રેડ અને ડેરી સિવાયનું દૂધ (જેમાં કૅલ્શિયમ હોય) પણ રક્ષણ આપે છે.

તેમને એવા પુરાવા પણ મળ્યા કે વધુ પડતા આલ્કોહોલ (શરાબ) અને પ્રોસેસ્ડ માંસનું સેવન કરવાથી વિપરીત અસર થાય છે. આમ કરવાથી રોગનું જોખમ વધે છે.

કૅન્સર ચેરિટી કહે છે કે સ્વસ્થ સંતુલિત આહાર, માપનું વજન અને ધૂમ્રપાન બંધ કરવું જેવાં પગલાં આંતરડાના કૅન્સરનું જોખમ ઘટાડવાના શ્રેષ્ઠ રસ્તા છે.

ઇમેજ સ્રોત, Getty Images

તાજેતરની જ એક નિરીક્ષણમાં જાણવા મળ્યું છે કે ડેરી ઉત્પાદનો કોલોરેક્ટલ (આંતરડા) કૅન્સરનું જોખમ "કદાચ" ઘટાડે છે.

ઑક્સફૉર્ડ યુનિવર્સિટી અને કૅન્સર રિસર્ચ યુકેના આ અભ્યાસમાં સૂચવવામાં આવ્યું છે કે જોખમનો ઘટાડો ડેરી અથવા નોન-ડેરી ખોરાકમાંથી મળતા કૅલ્શિયમને કારણે છે.

ખોરાકમાં દરરોજ 300 મિલીગ્રામ વધારાનું કૅલ્શિયમ અથવા તો દૂધનો એક મોટો ગ્લાસ તમારા જોખમમાં 17% ઘટાડો કરે છે

ઑક્સફૉર્ડના મુખ્ય સંશોધક ડૉ. કેરેન પેપિયરે જણાવ્યું કે, "આ સંશોધન આંતરડાના કૅન્સરના વિકાસમાં ડેરી ઉત્પાદનોની સંભવિત રક્ષણાત્મક ભૂમિકા પર પ્રકાશ પાડે છે. જે મોટા ભાગે કૅલ્શિયમને આભારી છે."

કઠોળ, ફળ, આખા અનાજ, કાર્બોહાઇડ્રેટ્સ, ફાઇબર અને વિટામિન સી પણ કૅન્સરનું જોખમ ઘટાડે છે, પરંતુ થોડું જ.

પહેલેથી જ જાણીતું છે કે દારૂની જેમ જ વધુ પડતા પ્રોસેસ્ડ માંસ અને લાલ માંસના સેવનથી આંતરડાના કૅન્સરનું જોખમ વધે છે.

આ આખી કડીને જોડતા વધુ પુરાવા અભ્યાસ પૂરા પાડે છે:

  • દરરોજ એક વધારાનો મોટો ગ્લાસ વાઇન અથવા 0.7 ઔંસ (20 ગ્રામ) આલ્કોહોલ પીવાથી તમારા જોખમમાં 15% વધારો થાય છે
  • દરરોજ 1 ઔંસ વધુ લાલ અને પ્રોસેસ્ડ માંસ કે માંસનો ટુકડો ખાવાથી તમારા જોખમમાં 8% વધારો થાય છે

આ ટકાવારીઓનો સચોટ અર્થ શું છે તે નક્કી કરવું મુશ્કેલ છે, કારણ કે દરેક વ્યક્તિને આંતરડાના કૅન્સરનું જોખમ તેમની જીવનશૈલી, આહાર, ટેવો અને આનુવંશિકતાના આધારે જુદું જુદું હોય છે.

કૅલ્શિયમ હાડકાંને અને તમારા દાંતને મજબૂત રાખનારું એક મહત્ત્વપૂર્ણ તત્ત્વ છે. પરંતુ હવે એવા પુરાવા મળી રહ્યા છે કે તે કેટલાંક કૅન્સર સામે પણ રક્ષણ આપે છે.

દૂધ, દહીં અને ચીઝમાં પુષ્કળ પ્રમાણમાં કૅલ્શિયમ હોય છે. યુકેના આહારમાં ડેરી ઉત્પાદનો તેનાં મુખ્ય સ્રોતોમાંના એક છે.

તે સોયા અને ચોખાનાં પીણાં, સફેદ બ્રેડ, બદામ, બીજ અને ફળો જેવાં કે સૂકાં અંજીર તૈયાર સારડીનમાં પણ હોય છે અને તે લેક્ટોઝ-મુક્ત દૂધમાં પણ છે.

અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે કૅલ્શિયમ આંતરડાના કૅન્સર સામે રક્ષણ આપી શકે છે "કારણ કે તે કૉલોનમાં પિત્ત ઍસિડ અને ફ્રી ફેટી ઍસિડ સાથે જોડાઈ શકે છે. જે તેની સંભવિત કાર્સિનોજેનિક અસરોને ઘટાડે છે."

યુકેમાં દર વર્ષે આંતરડાનાં કૅન્સરના લગભગ 44,000 કેસ જોવા મળે છે. યુકેમાં તે સૌથી વધારે થતા કૅન્સરમાં ચોથા નંબરે છે.

જોકે મોટા ભાગના કેસ વૃદ્ધ લોકોમાં જોવા મળે છે. પરંતુ હવે 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં પણ આ કૅન્સરનો દર વધી રહ્યો છે. જોકે તેનું કોઈ સ્પષ્ટ કારણ જાણી શકાયું નથી.

નિષ્ણાતો કહે છે કે ખરાબ આહાર અને સ્થૂળતા આ કારણોમાં સામેલ હોઈ શકે.

ઇમેજ સ્રોત, Getty Images

  • તમારી આંતરડાની આદતોમાં ફેરફાર થવો જેમ કે મળ ઢીલો થવો. વધુ વખત મળત્યાગ અથવા કબજિયાત
  • તમારા મળદ્વારથી રક્તસ્રાવ અથવા તમારા મળમાં લોહી
  • વજનમાં ઘટાડો
  • થાક અને શ્વાસ લેવામાં તકલીફ

જો આવાં લક્ષણો દેખાય તો ડૉક્ટર સાથે વાત કરો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ એક નિરીક્ષણ અભ્યાસ હતો. તે કોઈ ટ્રાયલ (અજમાયશ) સાથેનો અભ્યાસ નથી. તેથી સ્પષ્ટપણે સાબિત કરી શકતું નથી કે કૅલ્શિયમ અથવા અન્ય કોઈ પણ ખાદ્ય ઉત્પાદન કૅન્સર સામે રક્ષણ આપે છે.

જોકે સંશોધકો કહે છે કે આ અભ્યાસ "આજ સુધીના આહાર અને આંતરડાનાં કૅન્સર પરનો સૌથી મોટો" છે. જે તેમને વિશ્વાસ આપે છે કે તેઓ સાચા રસ્તે છે. આ તારણો અગાઉના અભ્યાસોના નિષ્કર્ષો સાથે પણ સુસંગત છે.

અભ્યાસમાં સામેલ 12,000થી વધુ મહિલાઓને આંતરડાનું કૅન્સર થયું હતું અને રોગ પાછળની સંભવિત કડીઓનું મૂલ્યાંકન કરવા માટે તેમના આહારમાં સામેલ 100 જેટલા ખાદ્યપદાર્થોનાં પોષકતત્ત્વોની તપાસ કરવામાં આવી હતી.

યુનિવર્સિટી ઑફ લીડ્સના પોષણ નિષ્ણાત પ્રોફેસર જેનેટ કેડે જણાવ્યું હતું કે આ પેપર "મહત્ત્વપૂર્ણ પુરાવા પૂરા પાડે છે જે દર્શાવે છે કે એકંદર આહાર કોલોરેક્ટલ કૅન્સરના જોખમને પ્રભાવિત કરી શકે છે."

લંડન સ્કૂલ ઑફ હાઈજીન ઍન્ડ ટ્રોપિકલ મેડિસિનના પ્રોફેસર એન્ડ્રુ પ્રેન્ટિસ આ અભ્યાસનાં પરિણામોના પ્રમાણે કદાચ કૅલ્શિયમ સપ્લિમેન્ટ્સ રક્ષણાત્મક હોઈ શકે. જોકે તેઓ કહે છે કે હજુ વધુ તપાસની જરૂર છે.

કિંગ્સ કૉલેજ લંડનના પ્રોફેસર ટોમ સેન્ડર્સ સરળતાથી સમજાવે છે કે, "સલામત મર્યાદાથી (દર અઠવાડિયે 14 યુનિટથી વધુ) વધારે દારૂનું સેવન કરવાથી સ્ત્રીઓમાં કોલોરેક્ટલ કૅન્સરનું જોખમ વધે છે. પરંતુ દિવસમાં એક જામ ગાયનું દૂધ પીવાથી તે તેની સામે રક્ષણ પણ આપે છે".

ચેરિટી બોવેલ કૅન્સર યુકેના ડૉ. લિસા વાઇલ્ડ કહે છે કે "દર 12 મિનિટે કોઈને આંતરડાના કૅન્સરનું નિદાન થાય છે. સ્વસ્થ જીવનશૈલી દ્વારા અડધા ઉપરના આંતરડાનાં કૅન્સરને અટકાવી શકાય છે.

તેમણે ઉમેર્યું કે "જો તમે દૂધ ન પીતા હોવ તો પણ તમે બીજી રીતે કૅલ્શિયમ મેળવી શકો છો. ઉદાહરણ તરીકે બ્રોકોલી અથવા ટોફુમાંથી. અને તેમે તમારા આંતરડાનાં કૅન્સરનું જોખમ ઘટાડી શકો છો."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.