શું જીએસટીને કારણે સામાન્ય લોકો પર ભારણ ઓછું થયું છે; નિર્મલા સીતારમણના આ નિવેદન વિશે નિષ્ણાતો શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નાણામંત્રી નિર્મલા સિતારમણ હાલમાં ટિપ્પણી કરી હતી કે જીએસટીને કારણે સામાન્ય લોકોનું ભારણ ઓછું થયું છે
    • લેેખક, સારદા વી
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 4 મિનિટ

નાણામંત્રી નિર્મલા સિતારમણ હાલમાં ટિપ્પણી કરી હતી કે જીએસટીને કારણે સામાન્ય લોકોનું ભારણ ઓછું થયું છે.

આ મહિને પાંચ તારીખે ચેન્નઈનાં ઍડ્વોકેટ્સ ઍસોસિયેશન થકી આયોજીત એક કાર્યક્રમમાં નાણામંત્રી સીતારમણે કહ્યું, “એ વાત ખોટી છે કે જીએસટી સામાન્ય લોકો માટે બોજ બની ગયું છે. રાજ્યસરકારો પાસે પહેલાં સ્પષ્ટ માહિતી નથી તે કેટલો ટૅક્સ વસુલ કરે છે. આ કારણે તેને એક બોજ તરીકે જોવામાં ન આવતું.”

નાણામંત્રીએ એક રિપોર્ટનો હવાલો આપીને કહ્યું, “60 ટકા સામાન પાંચ ટકા જીએસટીની શ્રેણીમાં આવે છે. માત્ર ત્રણ ટકા સામાન પર જ 28 ટકા ટૅક્સ લાગે છે.”

જોકે, તિરૂપુરમાં કપડાંના ઉત્પાદકોનું કહેવું છે કે જીએસટીની તેમના વેપાર પર નકારાત્મક અસર થઈ છે.

પાવર ટેબલ ઓનર્સ ઍસોસિયેશનના પ્રમુખ નંદગોપાલે કહ્યું, “એક મોટી કંપની યાર્નથી લઈને કપડાં સુધીની દરેક વસ્તુ એક જ જગ્યાએ બનાવે છે. જોકે, અમારે દરેક વસ્તુ અલગ-અલગ બનાવવી પડે છે અને કેટલુંક કામ આઉટસોર્સ કરવું પડે છે. અમે જેટલી પણ વખત ખરીદી કરીએ ત્યારે જીએસટી ટૅક્સ ચૂકવવો પડે છે. અમારા માટે દરેક વસ્તુનો ઉત્પાદનનો ખર્ચ મોટી કંપનીઓની તુલનામાં વધારે છે. આ કારણે અમારે વસ્તુને ઊંચી કિંમતે વેચવી પડે છે.”

“ઇનડાયરેક્ટ ટૅકસને ઘટાડવો જોઇએ”

ઇમેજ સ્રોત, Nandagopal

ઇમેજ કૅપ્શન, પાવર ટેબલ ઓનર્સ ઍસોસિયેશનના પ્રમુખ નંદગોપાલ

અર્થશાસ્ત્રી વી. નાગપ્પને બીબીસીને જણાવ્યું, “ડાયરેક્ટ ટૅક્સ એક સારૂ પગલું છે. ડાયરેક્ટ ટૅક્સ લોકો કેટલી કમાણી કરી છે તેના પર જ લેવામાં આવે છે. જોકે, લોકોને પોતાની કમાણીથી અલગ ઇનડાયરેક્ટ ટૅક્સ પર ચૂકવવો પડે છે. આ ઇનડાયરેક્ટ ટૅક્સ શક્ય તેટલો ઘટાડવો જોઇએ. કેટલીક મહત્ત્વપૂર્ણ વસ્તુઓને ટૅક્સ મુક્ત કરવી જોઇએ.”

તેમણે ઉમેર્યું, “લોકો ઇમર્જન્સી સ્વાસ્થ્ય સારવાર માટે સ્વાસ્થ્ય વીમો ખરીદે છે. આ વીમા પર 18 જીએસટી ટૅક્સ અને કોઈનાં મૃત્યુ પછી પરિવારને આર્થિક ટેકા માટે જીવન વીમા પર ટૅક્સ લગાડવો યોગ્ય નથી. જરૂરી સેવાઓને ટૅક્સ મુક્ત કરવી જોઇએ.”

“પારદર્શિતા આવી છે”

ઇમેજ સ્રોત, NAGAPPAN

ઇમેજ કૅપ્શન, નાગપ્પન માને છે કે જીએસટી લાગુ કર્યા પછી ટૅક્સ કલેક્શનમાં વધારે પારદર્શિતા આવી છે

જોકે, નાગપ્પન માને છે કે જીએસટી લાગુ કર્યા પછી ટૅક્સ કલેક્શનમાં વધારે પારદર્શિતા આવી છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમણે કહ્યું,“100 રૂપિયાના સામાનના બિલ પર પહેલાં ખાલી રાજ્ય દ્વારા લાગતો ટૅક્સ દેખાતો હતો. જોકે, બિલમાં હવે કેન્દ્ર અને રાજ્યનો અલગ-અલગ ટૅક્સ સામેલ થઈ જાય છે. આ કારણે એવું લાગે છે કે ટૅક્સ વધારે છે. કોઇપણ માટે હવે ટૅક્સ ચોરી કરવી મુશ્કેલ છે.”

ચેન્નઈના રહેવાસી 34 વર્ષીય એસ. વૈશ્નવીએ કહ્યું, “જીએસટી લાગુ થયા પછી આપણે જોઇ શકીએ છીએ કે આપણે કેટલો ટૅક્સ આપીએ છીએ. જીવન જરૂરિયાતની વસ્તુ જેવી કે દૂધ, સેનિટરી નેપકિન અને ખાંડ પર પણ જીએસટી લગાડવામાં આવે છે.”

તામિલનાડુ ચેન્નઈ હોટલ ઍસોસિયેશનના માનદ પ્રમુખ શ્રીનિવાસ રાજુએ કહ્યું કે જટિલ જીએસટી પ્રક્રિયાને કારણે મોટી કંપનીઓને પડકારોનો સામનો કરવો પડે છે.

તેમણે કહ્યું, “અલગ-અલગ વસ્તુઓ પર અલગ-અલગ ટૅક્સ રેટ લાગુ પડે છે જેને કારણે ભ્રમ પેદા થાય છે. જેમ કે ચૉકલેટ બરફી વેચીએ તો ચૉકલેટ પર 18 ટકા અને મીઠાઈ પર પાંચ ટકા ટૅક્સ લાગે છે. દરેક માટે અલગ-અલગ દસ્તાવેજ બનાવવો પડે છે. નાનકડી ભૂલ પર પણ દંડ લાગે છે. વધારે ટૅક્સ એકાઉન્ટને જાળવી રાખવા માટે કર્મચારીઓને કામ પર રાખવા પડે છે. કહેવામાં આવ્યું હતું કે જીએસટીને કારણે ટૅક્સેશન સરળ થઈ જશે. જોકે, જીએસટીને કારણે આ પ્રક્રિયા વધારે જટિલ થઈ ગઈ છે.”

“નાના ઉદ્યોગોને લૉન મેળવવામાં મુશ્કેલી પડે છે”

ઇમેજ સ્રોત, Muthurathinam

ઇમેજ કૅપ્શન, મુથુરત્ન્મે જણાવ્યું કે જીએસટી લાગુ થાય તે પહેલાં અમારાં ઍસોસિયેશનમાં એક હજાર 500 સભ્યો હતા. હવે માત્ર 500 સભ્યો છે

તિરૂપુર એક્સ્પૉર્ટ ઍન્ડ મૅન્યુફૅક્ચરર્સ ઍસોસિયેશનના પ્રમુખ એમ. મુથુરત્ન્મે કહ્યું, “ઉત્પાદનનાં દરેક સ્તરે જીએસટી ચૂકવવાને કારણે ઉદ્યોગોનો કૅશફ્લૉ પર અસર પડે છે.”

તેમણે સમજાવ્યું, “અમે કાચા માલ પર આપેલા જીએસટીને પાછળથી ક્લેમ કરીએ છીએ. જોકે, આ કારણે વેપારમાં અડચણ આવે છે. કેટલાક ઉદ્યોગો સવારે માલની સપ્લાઇ કરે છે અને સાંજ સુધીમાં તેમને પેમેન્ટ મળે છે. જોકે, કૅશફ્લૉ ઘટી ગયો છે. અમારે જે રૂપિયાનું રોકાણ કરવું જોઇએ તેની બદલે જીએસટી ભરીએ છીએ.”

મુથુરત્ન્મે ઉમેર્યું, “જીએસટી લાગુ થયું તે પહેલાં અમારાં ઍસોસિયેશનમાં એક હજાર 500 સભ્યો હતા. હવે માત્ર 500 સભ્યો છે. નાના ઉદ્યોગો ખરાબ ક્રૅડિટસ્કોરને કારણે બૅન્ક પાસેથી લૉન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.”

શું જીએસટીને સરળ ન બનાવી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

આઈઆઈટી ચેન્નઈમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર સુરેશ બાબુએ કહ્યું કે મહત્ત્વપૂર્ણ સવાલ એ છે કે સાત વર્ષ પછી પણ જીએસટીના માળખાને સરળ કેમ ન બનાવી શકાયું.

તેમણે કહ્યું, “જીએસટી ટૅક્સ જ્યારે લાગુ કરવામાં આવ્યો તો શરૂઆતમાં તેનો પ્રચાર ‘સારા અને સરળ ટૅક્સ’ તરીકે કરવામાં આવ્યો હતો. જોકે, કેન્દ્ર અને રાજ્ય સરકારે વચ્ચે ઓછી સહમતિઓને કારણે તે થઈ ન શક્યું. એ વાત સાચી છે કે રાજ્ય સરકાર આરોપ લગાવી રહી છે કે આર્થિક મામલાઓમાં તેમની ભૂમિકા ઘટી રહી છે.”

સુરેશ બાબુએ સલાહ આપી કે રાજ્યવાર અને પ્રોડક્ટવાર જીએસટી સંબંધી ડેટાને સ્પષ્ટપણે ઉપલબ્ધ કરાવવા જોઇએ. તેમણે કહ્યું કે જીએસટીની અસરના અલગ-અલગ અભ્યાસ માટે આ પારદર્શિતા જરૂરી છે.

શું જીએસટીને કારણે સામાન્ય લોકોનો બોજ ઓછો થયો? અમે સુરેશ બાબુને જ્યારે આ સવાલ પૂછ્યો તો તેમણે જવાબ આપ્યો, “જીએસટી કેટલીક વસ્તુઓ માટે નિર્માતા અને કેટલીક વસ્તુઓ માટે ગ્રાહકના પક્ષમાં છે. જોકે, ગ્રાહકો માટે અનુકૂળ વસ્તુઓની સંખ્યા ખૂબ જ મર્યાદિત છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.