ઈરાન : બે ભારતીય ટૅન્કરો પર હૉર્મુઝમાં ગોળીબાર કરાયો, ઑઇલ ભરેલાં એ જહાજોનું શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
વાંચવાનો સમય: 7 મિનિટ

ભારતે હોર્મુઝ સામુદ્રધુનીમાં ઈરાનના રિવૉલ્યૂશનરી ગાર્ડ્સ તરફથી બે ભારતીય જહાજો પર ફાયરિંગને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે જેનાં કારણે જહાજોએ પોતાનો રસ્તો બદલવો પડ્યો હતો.

ભારતના વિદેશ મંત્રાલયે શનિવારના ભારતમાં ઈરાની રાજદૂત મોહમ્મદ ફથાલીને તલબ કરીને વિરોધ દર્શાવ્યો હતો.

આ ઘટના પર શનિવારના વ્હાઇટ હાઉસની ઓવલ ઑફિસમાં પ્રેસ બ્રીફિંગ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ સવાલ પૂછવામાં આવ્યો.

તેમને પૂછવામાં આવ્યું કે ભારતીય ઝંડાવાળાં બે જહાજો પર ફાયરિંગ થયું છે, તેની પર તેઓ કંઈ કહેશે. તેના જવાબમાં તેમણે 'થૅન્ક યૂ' કહ્યું અને પ્રેસ કૉન્ફરન્સ ખતમ કરી નાખી. જોકે આ પ્રશ્ન અંતમાં પૂછાયો હતો જ્યારે 'થૅન્ક યૂ' કહી દીધું હતું.

ત્યારે શનિવારે ભારતીય વિદેશ મંત્રાલયે નિવેદન બહાર પાડીને કહ્યું કે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ઘટના પર 'ઊંડી ચિંતા' વ્યક્ત કરી અને ઈરાનના રાજદૂત સાથે બેઠક કરીને સમુદ્રી સુરક્ષા અને નેવિગેશનની સ્વતંત્રતાના મહત્ત્વ પર ભાર મૂક્યો.

ઇમેજ સ્રોત, Reuters

તેમણે કહ્યું કે પહેલાં ઈરાન ભારતથી આવતાં જહાજોના સુરક્ષિત પરિવહનમાં સહયોગ કરતું રહ્યું છે.

ભારતે ઈરાનને અપીલ કરી કે ભારત તરફથી આવતાં જહાજો માટે હોર્મુઝ સ્ટ્રેટમાં સુરક્ષિત અને કોઈ અવરોધ વિના પરિવહનની વ્યવસ્થા કરાય.

વિદેશ મંત્રાલય અનુસાર ઈરાનના રાજદૂતે ભરોસો અપાવ્યો કે તેઓ ભારતનો પક્ષ તહેરાન સુધી પહોંચાડશે.

ભારતમાં ઈરાનના સુપ્રીમ લીડરના પ્રતિનિધિ ડૉક્ટર અબ્દુલ મજીદ હકીમ ઇલાહીએ સમાચાર સંસ્થા એએનઆઈને કહ્યું કે, ઈરાન અને ભારતનો સંબંધ બહુ મજબૂત છે અને મને આ ઘટના વિશે જાણકારી નથી. અમને આશા છે કે બધું સારું થઈ થશે અને આ મામલે સમાધાન આવી જશે."

ભારતીય ઝંડાવાળાં બે જહાજોની અત્યારે શું પરિસ્થિતિ છે?

ઇમેજ સ્રોત, AFP via Getty Images

બીબીસી પર્શિયન અનુસાર, ટૅન્કરોનાં પરિવહન પર નજર રાખતી વેબસાઇટ 'ટૅન્કર ટ્રૅકર્સે' શનિવારે જણાવ્યું હતું કે, "ચૅનલ 16ના ઑડિયો રેકૉર્ડિંગના આધારે, આઈઆરજીસી નૌસેનાએ હોર્મુઝ સ્ટ્રેટના પશ્ચિમમાં સફર દરમિયાન બે ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટના પશ્ચિમમાં હોર્મુઝ સામુદ્રધુનીથી પાછળ ખસકવાં માટે મજબૂર કરાયાં. આ દરમિયાન ગોળીબાર પણ થયો."

'બીબીસી વેરિફાય'ની માહિતી અનુસાર જ્યારે સામુદ્રધુની ફરી ખોલવામાં આવી તે દરમિયાન ભારતીય ઝંડાવાળાં બે જહાજો, કાર્ગો શિપ 'જગ અર્નવ' અને તેલ ટૅન્કર 'સનમાર હેરાલ્ડ'ને ઈરાનના ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર્સ (આઈઆરજીસી)એ પોતાના નક્કી માર્ગથી હટવાનો નિર્દેશ કર્યો.

પહેલાં યુકે મૅરિટાઇમ ટ્રેડ ઑપરેશન્સ અનુસાર રિવૉલ્યૂશનરી ગાર્ડ્સે હોર્મુઝ સામુદ્રધુનીમાં એક ટૅન્કર પર ફાયરિંગ કર્યું.

યુકે એમટીઓ અનુસાર આ ઘટના ઓમાનના ઉત્તર-પૂર્વમાં 20 નૉટિકલ માઇલની દૂરી પર બની, જોકે ટૅન્કર અને તેનું ચાલક દળ સુરક્ષિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

મૅરિટાઇમ ટ્રૅફિક વેબસાઇટ અનુસાર રવિવારે ભારતીય સમય અનુસાર 9.30 વાગ્યે કાર્ગો શિપ 'જગ અર્નવ' હોર્મુઝ સામુદ્રધુનીથી પાછળ ખસીને ફારસની ખાડીમાં યુએઈ તરફ ગયું છે.

'જગ અર્નવ' ભારતીય શિપ છે અને તેની પર ભારતીય સભ્યો છે જ્યારે ક્રૂડ ઑઇલનું ટૅન્કર 'સનમાન હેરાલ્ડ' પણ ફારસની ખાડીમાં તે તરફ જ છે. આ જહાજ પણ ભારત જ આવી રહ્યું છે.

આની પહેલાં ટૅન્કર ટ્રૅફિકે ઍક્સ પર એક ઑડિયો પોસ્ટ કર્યો છે જેના વિશે તેનો દાવો છે આ 'સનમાર હેરાલ્ડ' સાથે જોડાયેલો છે. આ ઑડિયોમાં જહાજના એક સભ્યને કહેતા સ્પષ્ટ સાંભળી શકાય છે કે જહાજોને આવવાની મંજૂરી મળી ગઈ હતી.

આ ઑડિયોમાં કહેવામાં આવ્યું છે કે, "સેપા નેવી, સેપા નેવી, આ સનમાર હેરાલ્ડ છે. તમે મને જવાનું ક્લિયરન્સ આપ્યું હતું. સેપા નેવી, આ સનમાન હેરાલ્ડ છે. તમે મને મંજૂરી આપી હતી. મારું નામ તમારી લિસ્ટમાં બીજા નંબર પર છે હવે તમે ફાયરિંગ કરી રહ્યા છો, કૃપા કરીને અમને પાછા જવાનો મોકો આપો."

આઈઆરજીસીના નેવી વિંગને સેપા નેવીના નામથી પણ જાણવામાં આવે છે.

ભારતીય જહાજ પરના સભ્યોને ભારત આવવાની આશા

ઇમેજ સ્રોત, ATTA KENARE/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ઈરાનના નાયબ વિદેશ મંત્રી સઇદ ખાતિબજાદેહ

ભારતના કૅપ્ટન રમન કુમાર યુદ્ધ શરૂ થયા બાદ જ હોર્મુઝ સામુદ્રધુની પાસે એક ક્રૂડઑઇલનાં ટૅન્કરો પર પોતાના 23 સભ્યો સાથે ફંસાયેલા છે.

તેમણે બીબીસી વર્લ્ડ સર્વિસના વિકેન્ડ કાર્યક્રમને જણાવ્યું કે યુદ્ધ શરૂ થયા બાદથી તેમનાં દળો અસમંજસમાં છે. તેમણે કહ્યું કે હાલનાં અઠવાડિયાંમાં તેમણે પોતાનાં જહાજો પાસે કેટલીક મિસાઇલો અને એક વિસ્ફોટ જોયો છે.

જોકે તેમણે કહ્યું કે તેઓ ધૈર્ય અને પ્રોફેશનલ રીતે રાહ જોઈ રહ્યા છે, "અમને આશા છે કે અમે અમારા ઘરે પાછા જઈ શકીશું."

હોર્મુઝ સામુદ્રધુનીમાં ટ્રૅફિક ઓછો થયો

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ચોથી માર્ચે હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજોની અવરજવર સદંતર ઠપ થઈ ગઈ હતી

એક દિવસ પહેલાં જ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ કહ્યું હતું કે હોર્મુઝ સામુદ્રધુની ખૂલી છે જ્યાર બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ તેનું સ્વાગત કર્યું હતું.

પણ ત્યાર બાદ ઈરાના રિવૉલ્યૂશનરી ગાર્ડ્સ (આઈઆરજીસી) અને સુપ્રીમ નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલે કહ્યું કે તેઓ સામુદ્રધુની પર ફરીથી પાબંધી લગાવશે.

ઈરાનની નેવીએ ચેતવણી આપી છે કે હોર્મુઝ સામુદ્રધુની ત્યાર સુધી બંધ રહેશે જ્યાર સુધી અમેરિકાની નાકાબંધી ખતમ નહીં થાય, નજીક આવતાં જહાજોને નિશાન બનાવાશે.

આઈઆરજીસીએ કહ્યું છે કે હોર્મુઝ સામુદ્રધુની આજે સાંજે (શનિવાર)થી બંધ કરી દેવાઈ છે અને આ ત્યાર સુધી બંધ રહેશે જ્યાર સુધી અમેરિકા ઈરાનનાં બંદરો પરથી નાકાબંધી નથી હટાવતું.

નિવેદન અનુસાર, "ફારસની ખાડી અથવા ઓમાન સાગરમાં સ્થિતિથી કોઈ પણ જહાજ આગળ ન વધે."

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ઈરાનના સર્વોચ્ચ નેતાના પ્રતિનિધિ ડૉ. અબ્દુલ મજીદ હકીમ ઇલાહી

તેમના અનુસાર ગત રાતથી કેટલાંક જહાજ તેમની નિગરાનીમાં આ સામુદ્રધુનીમાંથી પસાર થયાં હતાં પણ હવે આ જળમાર્ગ ફરીથી બંધ રહેશે જ્યાર સુધી અમેરિકા ઈરાની બંદરોની નાકાબંધી ખતમ નથી કરતું.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે "હોર્મુઝ સામુદ્રધુની પાસે આવવું દુશ્મન સાથે સહયોગ માનવામાં આવશે અને નિયમ તોડનારાં જહાજોને નિશાન બનાવાશે, ટ્રમ્પના નિવેદનની કોઈ વૈધતા નથી, અમેરિકાની નાકાબંધી યુદ્ધવિરામનું ઉલ્લંઘન છે."

ઈરાનની નેવી અનુસાર ઇરાની બંદરો પર અમેરિકાની નાકાબંધી 'યુદ્ધવિરામ'નું ઉલ્લંઘન છે.

ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં ઈરાન અને અમેરિકા વચ્ચે બે અઠવાડિયાં સશર્ત યુદ્ધવિરામ થયું હતું જે દરમિયાન હોર્મુઝ સામુદ્રધુનીથી સમુદ્ર પરિવહનની પરવાનગી હતી.

આની પહેલાં ટ્રમ્પે ઓવલ ઑફિસમાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે ઈરાની નેતા આ સામુદ્રધુનીને બંધ કરવા માગે છે પરંતુ અમેરિકા તેમને 'બ્લૅકમેલ' કરવા નહીં દે.

ગાલિબાફે કહ્યું કે – હોર્મુઝ સામુદ્રધુનીના નિયંત્રણમાં

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, મોહમ્મદ બગર ગાલિબાફ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બગર ગાલિબાફે કહ્યું કે ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ વાટાઘાટોમાં 'પ્રગતિ' થઈ છે પણ અંતિમ સમજૂતીથી ઘણું દૂર છે.

કેટલાક દિવસ પહેલાં ઇસ્લામાબાદમાં થયેલી વાટાઘાટોમાં સામેલ ગાલિબાફે કહ્યું કે "તે અંતિમ ઉકેલથી ખૂબ જ દૂર છે."

તેમણે ઈરાની ટેલિવિઝનને આપેલા ઇન્ટર્વ્યૂમાં કહ્યું કે, "વાતચીતમાં પ્રગતિ થઈ છે પરંતુ હજુ ઘણી ખામીઓ છે અને કેટલાય પાયાના મુદ્દા છે, જેનું સમાધાન બાકી છે."

ગાલિબાફે કહ્યું કે ઇસ્લામાબાદ વાતચીત દરમિયાન, જે 1979ની ઈરાની ક્રાન્તિ બાદ બંને દેશો વચ્ચે સૌથી ઊંચા સ્તરની વાટાઘાટો હતી, અમે એ વાત પર ભાર મૂક્યો કે અમને 'અમેરિકા પર ભરોસો નથી.'

તેમણે કહ્યું કે, "અમેરિકાને ઈરાની જનતા પર ભરોસો જીતવાનો નિર્ણય કરવાનો હશે અને તેમની પર પોતાની શરતો થોપવાની રીત બદલવી પડશે."

ગાલિબાફે કહ્યું કે, "જો અમે યુદ્ધવિરામ સ્વીકાર કર્યો તો એટલા માટે કારણ કે તેમણે અમારી માગો માની. કારણ કે અમે જમીન પર જીત્યા."

તેમણે ઈરાની બંદરો પર અમેરિકન નાકાબંધીને "ખોટો અને અવિવેકપૂર્ણ નિર્ણય" ગણાવ્યો છે.

ઈરાની સરકારી ટીવી પર વાત કરતાં તેમણે કહ્યું કે, "જો નાકાબંધી નહીં હટાવાય તો હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પરિવહનને નિશ્ચિત રૂપથી સીમિત કરી દેવાશે."

સાથે જ તેમણે કહ્યું, હોર્મુઝ સ્ટ્રેટ હવે "ઈરાનના નિયંત્રણમાં છે."

તેમણે કહ્યું કે જ્યારે અમેરિકાએ સ્ટ્રેટમાં બારૂદી સુરંગ હટાવવાની કોશિશ કરી ત્યારે ઈરાને "નિર્ણાયક રીતે વિરોધ કર્યો."

ગાલિબાફે કહ્યું કે, "અમે આને યુદ્ધવિરામનું ઉલ્લંઘન માનીએ છીએ અને કહ્યું કે જો આવું થયું તો અમે હુમલો કરીશું."

અમેરિકા સાથે સીધી વાત કરવા તૈયાર નથી ઈરાન

ઇમેજ સ્રોત, Jacquelyn Martin via Getty

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનમાં ઈરાન અને અમેરિકા વચ્ચે વાટાઘાટો થઈ, તેમાં અમેરિકાના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે કર્યું હતું

ઈરાનના મુખ્ય વાટાઘાટકર્તા મોહમ્મદ બગર ગાલિબાફે કહ્યું છે કે યુદ્ધને ખતમ કરવા માટે અમેરિકા સાથેની વાટાઘાટોમાં "નોંધપાત્ર પ્રગતિ" થઈ છે, સાથે જ તેમણે ઉમેર્યું હતું કે "તે અંતિમ ઉકેલથી ખૂબ જ દૂર છે."

ઇસ્લામાબાદ ખાતે અમેરિકા અને ઈરાન વચ્ચે પહેલા રાઉન્ડની બેઠક થઈ, તેમાં ગાલિબાફે ઈરાનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું.

બીજી બાજુ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાન સાથેની વાટાઘાટો સારી રીતે આગળ વધી રહી છે, સાથે જ ઉમેર્યું હતું કે તેઓ ઈરાનના હાથે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ મુદ્દે અમેરિકાને બ્લૅકમેલ નહીં થવા દે.

આ તરફ ઈરાનના નાયબ વિદેશ મંત્રી સઇદ ખાતિબજાદેહે કહ્યું છે કે હવે, અમેરિકા સાથે ઈરાન સીધી વાટાઘાટો નહીં કરે. તેમણે કહ્યું હતું કે અમેરિકા પોતાની કડક શરતો છોડવા તૈયાર નથી.

ખાતિબજાદેહે ન્યૂઝ એજન્સી ઍસોસિયેટેડ પ્રેસને જણાવ્યું હતું કે ઈરાન પોતાનું સંવર્ધિત યુરેનિયમ અમેરિકાને નહીં આપે.

ખાતિબજાદેહનું કહેવું છે કે બંને પક્ષકારો સંપર્કમાં છે, પરંતુ ઈરાન ઇચ્છે છે કે સામ-સામે વાતચીત થાય, એ પહેલાં "ફ્રેમવર્ક કરાર" નક્કી થઈ જાય.

તેમણે ઉમેર્યું, "અમેરિકાએ અમારી મહત્ત્વપૂર્ણ ચિંતાઓને સમજવી રહી અને તેનો ઉકેલ કાઢવો રહ્યો. જેમાં ઈરાન ઉપર લાદવામાં આવેલા પ્રતિબંધો પણ સામેલ છે."

તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાને લગભગ 440 કિલોગ્રામ સંવર્ધિત યુરેનિયમ સોંપી દેવાની તૈયારી દાખવી છે. શનિવારે કહ્યું હતું કે ઈરાન સાથે સારી વાટાઘાટો થઈ રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન