ખેડૂત આંદોલન સ્થગિત : મોદી સરકારના એ પ્રસ્તાવો, જેના કારણે ખેડૂતોએ આંદોલન સ્થગિત કરવાનો નિર્ણય લીધો

વાંચવાનો સમય: 2 મિનિટ

ગત મહિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ વિવાદાસ્પદ કૃષિકાયદા પાછા લેવાનો નિર્ણય કર્યો હતો, જ્યાર બાદ આંદોલન ખતમ થવાની આશા જાગી હતી.

કૃષિકાયદા પાછા ખેંચાયા બાદ ખેડૂતોએ એમએસપી મુદ્દે માગ કરી હતી અને સાથે જ આંદોલનકારી ખેડૂતો પર નોંધાયેલા કેસ પાછા ખેંચવાની માગ પણ કરી હતી.

ઇમેજ કૅપ્શન, ખેડૂતનેતાઓની પ્રેસકૉન્ફરન્સ

છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતો અને સરકાર વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો બાદ આજે સરકાર તરફથી આંદોલનકારી ખેડૂતોને બાંયધરી આપતો પત્ર મોકલવામાં આવ્યો હતો.

સરકારના આ પ્રસ્તાવને સ્વીકારતા સંયુક્ત કિસાન મોરચાએ આંદોલનને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે, સાથે જ કહ્યું છે કે જો ભવિષ્યમાં સરકાર તેમના વાયદાથી ડગતી દેખાશે તો ખેડૂતો ફરી રસ્તા પર આવશે.

MSP માટે બનાવાશે કમિટી

એમએસપી માટે પહેલાં વડા પ્રધાન અને ત્યાર બાદ કૃષિમંત્રીએ એક કમિટી બનાવવાની ઘોષણા કરી છે; જેમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કૃષિવૈજ્ઞાનિકો અને ખેડૂતસંગઠનોના પ્રતિનિધિઓ સામેલ હશે.

પ્રસ્તાવમાં સ્પષ્ટપણે એવું પણ જણાવ્યું છે કે, કમિટીમાં એસકેએમના પ્રતિનિધિઓનો પણ સમાવેશ કરાશે.

કમિટીનું મૅન્ડેટ એ હશે કે દેશના તમામ ખેડૂતોને એમએસપી મળે, તે સુનિશ્ચિત કરવામાં આવે. ત્યાં સુધી એમએસપી પર ખરીદી અત્યારની સ્થિતિ પ્રમાણે યથાવત્ રહેશે.

ખેડૂતો વિરૂદ્ધના તમામ કેસ પાછા ખેંચાશે?

ઇમેજ સ્રોત, Getty Images

ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ અને હરિયાણાની સરકારો આંદોલનકારીઓ વિરુદ્ધ કરાયેલા કેસો પરત લેવા તૈયાર હોવાનું પત્રમાં કેન્દ્ર સરકારે જણાવ્યું છે.

આ ઉપરાંત કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગો અને એજન્સીઓ તથા દિલ્હી સહિત તમામ સંઘ પ્રદેશોમાં નોંધાયેલા કેસો પણ પરત લેવાની તૈયારી દર્શાવી છે.

જે રાજ્યો કેસ પરત લેવા તૈયાર નથી, તે રાજ્યોને પણ કેન્દ્ર સરકાર અપીલ કરશે. જ્યારે વળતરને લઈને હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પંજાબ દ્વારા પણ સહમતિ દર્શાવવામાં આવી છે.

વીજબિલ અને પરાળના મુદ્દે ખેડૂતો સાથે કરાશે ચર્ચા

કેન્દ્ર સરકારે વીજબિલમાં ખેડૂતો પર અસર કરનારી જોગવાઈઓ અંગે સૌથી પહેલા સ્ટેકહોલ્ડર્સ અને સંયુક્ત કિસાન મોરચા સાથે વાતચીત કરવા સહમતિ દર્શાવી છે.

બન્ને પક્ષો સાથેની વાતચીત બાદ સરકારે આ અંગે સંસદમાં બિલ રજૂ કરવાની તૈયારી દર્શાવી છે.

જ્યારે પરાળ મુદ્દે ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કાયદાની કલમ 14 અને 15માંથી ગુનાહિત જવાબદારીઓમાંથી ખેડૂતોને મુક્તિ આપવાની બાંયધરી આપી છે.

સિંઘુ બૉર્ડર પર ખેડૂતોએ તંબુ હઠાવવાનું શરૂ કર્યું

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, "દિલ્હી-હરિયાણાની સિંઘુ સરહદે કૃષિકાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોએ પ્રદર્શનના સ્થળેથી તંબુ હઠાવવાનું શરૂ કર્યું છે."

જોકે, હવે કેન્દ્રના પ્રસ્તાવ બાદ સંયુક્ત કિસાન મોરચાએ પોતાના આંદોલનને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો