'મહાત્મા ગાંધી પણ 150મી જયંતીએ તમાશો જોશે'

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, અરવિંદ મોહન
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
  • વાંચવાનો સમય: 3 મિનિટ

ગાંધીજી અને કસ્તુરબાની 150મી જન્મજયંતિના ભાગરૂપે સરકાર વિશેષ કાર્યક્રમ કરવાનું આયોજન કરી રહી છે. પરંતુ આ આયોજન ગાંધીજીના આદર્શોની વિરુદ્ધ જઈ શકે છે.

સમગ્ર વર્ષ દરમિયાન રાષ્ટ્રપતિ, કેન્દ્રીય મંત્રીઓ, ગાંધીવાદી કાર્યકર્તાઓ દ્વારા લાંબી બેઠકો થયા બાદ 2જી ઓક્ટોબરના રોજ યોજાનારા આ કાર્યક્રમની યાદી, ખર્ચ અને ભવ્યતાનું આયોજન નક્કી કરી લેવામાં આવ્યું છે.

પરંતુ આ બધી બાબતને લીધે ગાંધીજીના વિચારો, તેમનું સાદગીભર્યું જીવન અને લોકોના સામાજિક જીવનમાં ગાંધીજી કેટલા જીવિત છે તે પ્રશ્નો પણ ઉદ્ભવે છે.

બા અને બાપુ

ઇમેજ સ્રોત, Getty Images

બાને તેમનાં મૃત્યુના 75માં વર્ષના સંદર્ભે યાદ કરવાની વાત કરવામાં આવી છે. 22 ફેબ્રુઆરી 2019નો દિવસ ‘કસ્તૂરબા દિવસ’ તરીકે ઊજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પરંતુ અસલમાં બા શું હતાં અને ગાંધીજીનાં જીવન અને આંદોલનમાં તેમનું યોગદાન શું હતું તેની પર પ્રકાશ પાડવાના પ્રયાસો નથી દેખાઈ રહ્યા.

તમે આ વાંચ્યું કે નહીં?

ગાંધી સાથે દૂર સુધી સંબંધ ન ધરાવતા શ્રી શ્રી રવિશંકર, જગ્ગી વાસુદેવ, મોરારી બાપુ અને બ્રહ્મકુમારીઓ મારફતે ગાંધી કથા દેશમાં ફેલાશે તો આ બધા બાબાઓ પોતાના ધંધામાં ક્યારે ધ્યાન આપશે.

અને અત્યારસુધી આ બાબાઓ ગાંધીનું કયું કામ કરતા હતા એ સવાલ પણ છે.

'મહાત્માની વાત'

આયોજનપ્રિય મોદી સરકાર કાર્યક્રમ કરે અને ભવ્યતા ન હોય એ કેવી રીતે સંભવિત બને.

2જી ઓક્ટોબરના રોજ આયોજિત કાર્યક્રમમાં 150 નોબેલ પુરસ્કાર લોકોને આમંત્રણ અપાયું છે. સાથે જ 150 યુવાનો દ્વારા 150 દિવસ માટે દેશના દરેક ગામમાં યાત્રા કરવી, 'મહાત્માની વાત' કાર્યક્રમને 'મન કી બાત' જેટલું મહત્ત્વ આપવું જેવા અનેક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે.

આ કાર્યક્રમમાં ફિલ્મ, વીડિયો, નાટક અને પ્રદર્શનીઓની ધૂમ મચવાની છે.

અનેક કાર્યક્રમોની ધૂમ

ઇમેજ સ્રોત, Getty Images

આ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય રેલવેનું નામકરણ, રસ્તાઓનું નામકરણ, દરેક રેલવે સ્ટેશન પર પેઇન્ટિંગ અને દેશ-વિદેશના કલાકારો દ્વારા વૈષ્ણવ જન ભજનનું ગાયન કરવા જેવી બાબતોને સામેલ કરવામાં આવી છે.

પરંતુ આ બધી બાબતોથી જો ગાંધીજી આગામી ચૂંટણીમાં કામ આવ્યા તો મુશ્કેલી અને ના આવ્યા તો વધુ મુશ્કેલી.

મતલબ કે બધું જ ચૂંટણીની શરત સાથે જોડાયેલું લાગે છે. આ કહેવાનો આધાર આયોજનમાં સામેલ ગાંધીવાદીઓની ચૂંટણીનો છે.

જે ગાંધીવાદી સંસ્થા અને તેના મુખ્ય લોકો સરકારના સંપૂર્ણ સમર્થક નથી બન્યા તેમને આયોજન સમિતિથી અલગ કરી દેવામાં આવ્યા છે.

'ગાંધી 150' અને 'બા-બાપુ 150'

ઇમેજ સ્રોત, Getty Images

અત્યારસુધી પ્રમુખ ગાંધીવાદી સંસ્થાઓના પદાધિકારીઓને વિદેશી મહેમાનોને રાજઘાટના કાર્યક્રમ સહિત ગાંધી સાથે જોડાયેલા દરકે મુખ્ય સરકારી આયોજનોમાં સામેલ કરવામાં આવતા હતા.

આ વખતે તેમનું અલગ 'ગાંધી 150' અને 'બા-બાપુ 150' ચાલી રહ્યું છે.

ગાંધીનું આંદોલન મરી ગયું છે. તેની પાછળ અત્યારસુધીની સરકારો અને એક હદ સુધી ગાંધીવાદીઓ પણ જવાબદાર છે.

પંરતુ ગાંધીવાદ સંપૂર્ણ રીતે મરી ગયો છે તેવું માનવાની ભૂલ કોઈ નહીં કરે. કારણ કે દુનિયાભરના આંદોલનો અને અકાદમી જગત માટે ગાંધી હજુ પણ સૌથી મોટું આકર્ષણ છે.

ગાંધીનું ખુદનું સાહિત્ય મોટું છે અને તેમના પર લખાયેલું સાહિત્ય તેનાથી પણ વધુ.

ગાંધી વિરોધી રાજકારણ

ઇમેજ સ્રોત, Getty Images

આટલા ભવ્ય આયોજનની જગ્યાએ સાદગી સાથે આયોજન અને મોટાં પ્રમાણમાં ગાંધી સાહિત્યનો પ્રચાર-પ્રસાર, ખાદી સહિત અન્ય કાર્યક્રમો પર ખર્ચ કરવામાં આવે તો વધુ સારું પરિણામ આવે.

શ્રી શ્રી અને જગ્ગી વાસુદેવ જેવા લોકો પાસેથી ગાંધી કથા કરાવવામાં શું ફાયદો?

ખાસ કરીને ગાંધી વિરોધી વિચારધારા ધરાવતી સરકાર પાસેથી વધુ આશા રાખવી પણ ન જોઈએ.

વાસ્તવમાં ગાંધી 150નું આયોજન અને તૈયારીઓ અન્ય એક કારણે પણ દેખાઈ રહ્યું છે.

સામાન્ય ચૂંટણીનું વર્ષ

ઇમેજ સ્રોત, Getty Images

ગાંધીની ચંપારણ યાત્રાનું 100મું વર્ષ વીતી ગયું ત્યારે બિહાર સરકાર જાગી અને તેમણે એક સારો કાર્યક્રમ કર્યો. (કારણ કે 2016માં તે ગુરુ ગોવિંદ સિંહના એક આયોજનમાં વ્યસ્ત હતી.)

ઘણી સારી યોજનાઓ હતી જેના પર અત્યારસુધી અમલ થયો નહતો. એ સમયે નીતિશ કુમાર વિરોધ પક્ષમાં હતા.

તેમની સફળતા જોઈને મોદીએ રાષ્ટ્રીય સંગ્રહાલયમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું અને બિહારમાં પગ પેસારો કરવાના પ્રયાસો કર્યા.

એક સમયે મોતિહારીમાં સાત કેન્દ્રીય મંત્રીઓ સભા માટે આવ્યા પરંતુ લોકો ન આવ્યા.

મજાની વાત ત્યારે બની, જ્યારે ગાંધીની રેલ યાત્રાની ઝલક પ્રસ્તુત કરતી વખતે બે-બે ગાંધી એકીસાથે આવ્યા અને તેમના સમર્થકો વચ્ચે મારપીટ થઈ.

આ વખતે એવી સ્થિતિ ઊભી ન થાય અને કોઈ વ્યક્તિ પડકાર ન બને તેની તૈયારીઓ કરવામાં આવી છે. (આ વખતે તો નીતિશ પણ પોતાની સાથે છે.)

વિચારધારા કેવી છે એ જણાવવાની જરૂરિયાત નથી. પરંતુ એ યાદ રાખવું કે 2019 ગાંધી અને બાનું 150મું વર્ષ નહીં, પરંતુ સામાન્ય ચૂંટણીનું પણ છે.

ગાંધીનો પ્રચાર થાય કે ન થાય પરંતુ ચૂંટણીમાં પ્રચારની જરૂરિયાત તો રહે જ છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો