તાજમહેલના મિનારા વાવાઝોડામાં નુકસાનગ્રસ્ત થયા

ઇમેજ સ્રોત, Raju Toma/HT Photo

ઇમેજ કૅપ્શન, તૂટી પડેલો એક મિનારો તાજમહેલ સંકુલના મુખ્ય પ્રવેશદ્વારની ઉપર જ સ્થાપિત હતો

દુનિયાની સાત અજાયબીઓમાંથી એક ગણાતા પ્રેમ અને કલાના ઉત્કૃષ્ટ સ્મારક ગણાતા તાજમહેલના પ્રવેશ દ્વાર પર આવેલા બે મિનારાને વાવાઝોડાને કારણે નુકસાન થયું છે.

અધિકારીઓએ બીબીસીને જણાવ્યું હતું કે, 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાયેલા પવનને કારણે 12 ફૂટ (લગભગ 4 મીટર) જેટલી ઊંચાઈ ધરાવતા મિનારા પડી ગયા હતા.

જોકે, તાજમહેલની મુખ્ય ઇમારતની ચારેય બાજુ આવેલા મિનારાને કોઈ નુકસાન થયું નથી.

સત્તરમી સદીમાં બંધાયેલા આ આરસપહાણના મકબરાની મુલાકાતે દરરોજ 12 હજાર લોકો દુનિયાભરમાંથી આવે છે. તાજમહેલ વિશ્વના સૌથી લોકપ્રિય સ્થળોમાંથી એક છે.

મોટાભાગના પ્રવાસીઓ જે દરવાજામાં પ્રવેશીને તાજમહેલની પહેલી ઝલક જુએ છે, એ રાજવી દરવાજા પર રહેલો એક મિનારો તૂટી પડ્યો હતો.

બીજો મિનારો એ દક્ષિણ દરવાજાનો હતો.

સત્તાવાળાઓ કહે છે કે તૂટી પડેલા માળખાનાં પુનઃસ્થાપનનું કાર્ય શરૂ થઈ ગયું છે.

ઇમેજ સ્રોત, Aqeel Siddiqui

ઇમેજ કૅપ્શન, વાવાઝોડામાં નુકસાન પામેલો એક મિનારો

ઇમેજ સ્રોત, Aqeel Siddiqui

ઇમેજ કૅપ્શન, આ મિનારા તૂટી પડવાને કારણે કોઈ પણ વ્યક્તિને ઈજા નથી થઈ

ભારતના અધિકૃત ઇતિહાસ અનુસાર મુઘલ બાદશાહ શાહજહાંએ તેમનાં બેગમ મુમતાજ મહાલની સ્મૃતિમાં તાજમહેલ બનાવડાવ્યો હતો.

શું તમે આ વાંચ્યું?

આ સ્મારકનું સંકુલ આરસપહાણના સફેદ ગુંબજો અને મિનારાઓથી તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં કિંમતી પથ્થરો અને કલાત્મક કોતરણી કરવામાં આવી છે. તેને ભારતમાં મુઘલ કલાનું એક સુંદર પ્રતિક ગણવામાં આવે છે.

જોકે, તાજમહેલને તાજેતરના વર્ષોમાં વધી ગયેલી બાંધકામ પ્રવૃત્તિ અને પ્રદૂષણને કારણે નુકસાન થયું છે.

દેશમાં આ પ્રકારના સ્મારકોની સાર-સંભાળનું કાર્ય કરતી સરકારી સંસ્થા આર્કિઓલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ આ જાન્યુઆરીમાં જણાવ્યું હતું કે, આગ્રામાં વધી ગયેલા પ્રદૂષણના પ્રમાણને કારણે તાજમહેલના માળખા અને તેની ચમક પર ખૂબ જ જોખમ છે.

ઇમેજ સ્રોત, Danial Berehulak/Getty Images

ઇમેજ કૅપ્શન, તાજમહેલને 1643માં મુસ્લિમ બાદશાહ શાહજહાં દ્વારા બનાવડાવવામાં આવ્યો હતો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો