'રસ્તામાં મૃતદેહો અને હાડપિંજર પડ્યા હતા', લોકો લાખો રૂપિયા ખર્ચીને કયા માર્ગે અમેરિકા પહોંચે છે? જોખમ લેવા પાછળની ગણતરી શું છે?

ઇમેજ સ્રોત, Kamal Saini/BBC

    • લેેખક, રાજવીર કૌર ગીલ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 9 મિનિટ

જમીન વેચીને અને લાખો રૂપિયા ઉધાર લઈને ઘણા યુવાનો અહીંથી અમેરિકા ગયા પણ પોતાના પરિવારની આર્થિકસ્થિતિ ઊંચી લાવવા માટે ભરેલું આ પગલું એમને અમેરિકી સેનાની બેડીઓમાં જકડી દેશે એની કોઈને ક્લ્પના સુદ્ધા ન હતી.

અમેરિકી વિમાનમાં આવેલા યુવાનોનું અમેરિકન ડ્રીમ તૂટી ગયું છે. અને તેમાંથી કેટલાકના પરિવારો દેવાની જાળમાં ફસાઈ ગયા છે.

વિમાનમાં સવાર 104 ભારતીય અમૃતસરના ગુરુ રામદાસ ઍરપૉર્ટ પર ઊતર્યા. આ ભારતીયોમાં 30 પંજાબી હતા અને 33 ગુજરાતીઓ પણ હતા. સૌની કહાણી લગભગ એક જેવી જ હતી.

આમાંથી મોટાભાગના લોકો મહિનાની ભૂખ અને તરસ વેઠીને અમેરિકી સીમા પર પહોંચ્યા હતા. જ્યાં એમને અમેરિકન પોલીસે ડિટેન્શન સેન્ટરમાં (જ્યાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને રાખવામાં આવે છે) મોકલી દીધા હતા.

અમેરિકાએ ડિપૉર્ટ કરેલા ભારતીયોમાં એક ગુરદાસપુરના જસપાલસિંહ અનુસાર જ્યાં સુધી તેઓ વિમાન પર ન ચઢ્યા ત્યાં સુધી એમને કશી ખબર ન હતી કે વિમાનમાં બેઠેલા સૌને ભારત લાવવામાં આવી રહ્યા છે.

જસપાલસિંહ કહે છે, "સૌના હાથ-પગમાં બેડીઓ બાંધેલી હતી. એ સમયે એવું લાગ્યું કે કદાચ એમને બીજા ડિટેન્શન કૅમ્પમાં લઈ જવાય રહ્યા છે. પણ જ્યારે અમે રાજાસાંસી ઍરપૉર્ટ પર પહોંચ્યા તો અમને ખ્યાલ આવ્યો કે અમને સૌને પાછા ભારત મોકલી દીધા છે."

આખરે કેમ પંજાબ સહિત દેશના અન્ય રાજ્યોથી ભારતીયો આવા જોખમ ખેડીને અમેરિકા પહોંચવાની હિંમત કરે છે?

અમેરિકા જવાના સપનાને સાકાર કરવા માટે ભારતીયો કેવા ખતરનાક રસ્તાઓ લઈ રહ્યા છે? ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પ્રત્યે અમેરિકા હવે કેવું વલણ અપનાવી રહ્યું છે?

આ અહેવાલમાં ગેરકાયદેસર સ્થળાંતર સંબંધિત આવા પ્રશ્નોના જવાબો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

પરત આવેલા ઇમિગ્રન્ટ્સની આર્થિકસ્થિતિ કેવી છે?

ઇમેજ સ્રોત, SANSAD TV

ઇમેજ કૅપ્શન, રાજ્યસભામાં માહિતી આપતી વેળાએ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

લગભગ મહિનાનો ભૂખમરો વેઠ્યા બાદ ઘરે પહોંચેલા આમાંથી કેટલાક યુવાનોનાં માતાઓ ઈશ્વરની ઇચ્છાને સ્વીકારે છે અને પોતાનાં સંતાનોના ઘરે હેમખેમ પાછા આવી જવા માટે ઈશ્વરનો આભાર માને છે.

ઉલ્લેખનીય છે કે આ યુવકોને પોલીસ સુરક્ષા સાથે રાજાસાંસી ઍરપૉર્ટથી વિભિન્ન જિલ્લામાં એમનાં ઘરો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. આવીજ રીતે ગુજરાતમાં પણ પાછા આવેલા 33 લોકોને પોલીસે તેમના ઘર પહોંચાડ્યા હતા.

બીબીસી પત્રકાર નવજોત કૌરે પંજાબમાં ઘણાં ઘરોની મુલાકાત લીધી હતી. એમનું કહેવું છે કે મોટાભાગના યુવાનોની પરિસ્થિતિ આર્થિક રીતે નબળી છે.

એજન્ટોને પૈસા આપવા માટે આ લોકોએ સંબંધીઓ પાસેથી ઉધાર પૈસા લીધા હતા. અત્યારે આ પરિવારોની માથે 30-40 લાખનું દેણું થઈ ગયું છે.

ઉલ્લેખનીય છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ચૂંટણીપ્રચાર દરમિયાન ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અમેરિકામાંથી હાંકી કાઢવાનું વચન આપ્યું હતું.

ટ્રમ્પે એક પ્રેસકૉન્ફરન્સમાં કહ્યું હતું, "આપણા દેશના ઇતિહાસમાં સૌથી મોટી દેશનિકાલની ઘટના ઘટવાની છે."

ટ્રમ્પે પહેલાંથી જ મોટા પાયે દેશનિકાલ કરવા માટે યુએસ સૈન્યનો ઉપયોગ કરવાની વાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર શાસનમાં આવ્યું એ પહેલાં બાઇનડન સરકારના કાર્યકાળ દરમિયાન ઑક્ટોબર 2024 માં, યુએસ ઇમિગ્રૅશન અને કસ્ટમ્સ ઍન્ફોર્સમેન્ટ (ICE) એ 1000 થી વધુ ભારતીય નાગરિકોને સ્વદેશ પાછા મોકલી દીધા હતા.

'જો તમે ગેરકાયદેસર રીતે આવશો, તો તમને પાછા મોકલી દેવામાં આવશે'

વીડિયો કૅપ્શન, US Deportation : અમેરિકાથી ભારત ડિપૉર્ટ કરાયેલા શખ્સે કહી આપવીતી

યુએસ બૉર્ડર પેટ્રોલ (યુએસબીપી) ચીફ માઇકલ ડબલ્યુ. બૅન્કે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરી જેમાં ડિપૉર્ટ કરાયેલા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અંગે યુએસનું વલણ જાહેર થયું હતું.

તેમણે લખ્યું હતું કે, "યુએસબીપી અને ભાગીદારોને ગેરકાયદેસર વિદેશીઓને ભારત પહોંચાડવામાં અમને સફળતા મળી છે. આ સૌથી ઇમિગ્રન્ટસને લઈ જતી સૌથી લાંબી ફ્લાઇટ છે."

"આ અભિયાન ઇમિગ્રૅશન કાયદાઓ લાગુ કરવા ગેરકાયદેસર લોકોને દૂર કરવા માટેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે."

"જો તમે ગેરકાયદેસર રીતે આવશો, તો તમને પાછા મોકલી દેવામાં આવશે."

રાજ્યસભામાં અમેરિકાથી પાછા મોકલાયેલા ભારતીયોનો ઉલ્લેખ કરતા ભારતના વિદેશ મંત્રી જયશંકરે કહ્યું, "ગેરકાયદેસર ઇમિગ્રૅશનને પ્રોત્સાહન ન આપવું એ આપણા હિતમાં છે. ગેરકાયદેસર સ્થળાંતર અન્ય ઘણાં પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલું છે."

વિદેશ મંત્રીએ કહ્યું કે અમેરિકામાં ડિપૉર્ટેશનની પ્રક્રિયા ICE ( ઇમિગ્રૅશન ઍન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ) હાથ ધર છે. ICE નું વિમાન 2012 થી કાર્યરત છે.

"એજન્સીઓ પરત ફરેલા ભારતીયો અને અન્ય માહિતી એકત્રિત કરીને ગેરકાયદેસર એજન્ટો પર કાર્યવાહી કરશે," તેમણે કહ્યું.

લોકો કેમ ગેરકાયદેસર રીતે ઇમિગ્રૅશન કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2021માં ગેરકાયદેસર રીતે પનામાના જંગલોને પાર કરી રહેલા ઇમિગ્રન્ટ્સની તસવીર

જસપાલ સિંહે બીબીસી સંવાદદાતા ગુરપ્રીત સિંહ ચાવલાને જણાવ્યું કે બે વર્ષ પહેલાં જ્યારે તેઓ પંજાબ છોડીને નીકળ્યા હતા ત્યારે તેઓ ટ્રક ડ્રાઇવર હતા.

તેમને બે બાળકો છે. જસપાલ સિંહ કહે છે કે 40 લાખથી વધુ ખર્ચ થયો હતો. પનામાનાં જંગલોમાંથી લગભગ ચાર દિવસ પગપાળા મુસાફરી કરીને તેમને અમેરિકા પહોંચવામાં છ મહિના લાગ્યા. આ સમય દરમિયાન, તેઓ જંગલોમાં પણ રહેતા હતા.

જસપાલ કહે છે કે તે લગભગ અઢી વર્ષથી અમેરિકા જવાની ફિરાકમાં હતા અને આ યાત્રાએ માત્ર તેમના શારીરિક સ્વાસ્થ્યને જ નહીં, પરંતુ માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરી હતી.

વૉશિંગ્ટનસ્થિત થિંક ટૅન્ક નિસ્કાનેન સેન્ટરના સ્થળાંતર વિશ્લેષકો ગિલ ગુએરા અને સ્નેહા પુરી કહે છે કે સ્થળાંતર કરનારા મોટાભાગના લોકો નીચલા આર્થિક વર્ગના નથી, પરંતુ તેમાંથી ઘણા ઓછા શિક્ષણ અથવા અંગ્રેજી ભાષાની જાણકારીના અભાવને કારણે યુએસ પ્રવાસી અથવા વિદ્યાર્થી વિઝા મેળવવા માટે લાયક નહોતા.

એટલા માટે તેઓએ એજન્ટોના માધ્યમથી અમેરિકા આવવાનું પસંદ કર્યું હતું. આ એજન્ટો સરહદી ચોકીઓથી બચવા માટે લાંબા અને મુશ્કેલ માર્ગોનો ઉપયોગ કરે છે.

ઇમેજ સ્રોત, Ravinder Singh Robin/BBC

2024ના યુએઅ ઇમિગ્રૅશન કોર્ટના આંકડા પ્રમાણે મોટા ભાગના ઇમિગ્રન્ટ 18થી 34 વર્ષના છે.

આની પાછળનું અન્ય એક કારણ અમેરિકા પહોંચવા માટે લાગતો સમય છે. ભારતીયો માટે કૅનેડાની ઉત્તરી સરહદ વધારે સુલભ છે. જ્યાં માત્ર 76 દિવસમાં વિઝા મળી રહે છે, જ્યારે યુએસના વિઝા મળતા એકાદ વર્ષ જેટલો સમય નીકળી જાય છે.

ગુએરા અને સ્નેહા પુરી કહે છે કે મોટી સંખ્યામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટસ પંજાબથી આવી રહ્યા છે એની પાછળ બેરોજગારી, કૃષિ સંકટ, પંજાબમાં વધતી ડ્રગ્સની સમસ્યા જવાબદાર છે.

કુરુક્ષેત્ર જિલ્લાના પંજાબ બૉર્ડર પાસે આવેલા એક ગામના ખુશપ્રીત સિંહનું ઉદાહરણ વિશેષજ્ઞોના મતની પૃષ્ટિ કરે છે. તેઓ છ મહિના પહેલાં 45 લાખ જેટલી તોતિંગ રકમ ખર્ચીને અમેરિકા ગયા હતા.

પરિવારે બીબીસી સંવાદદાતા કમલ સૈનીને કહ્યું, "18 વર્ષીય ખુશપ્રીત સિંહના પિતાએ પોતાની જમીન, ઘર ગીરવે રાખીને પૈસા ભેગા કરીને દીકરાને અમેરિકા મોકલ્યો હતો. પણ અન્ય ભારતીયોની સાથે તેને પણ ભારત પાછો મોકલી દેવામાં આવ્યો હતો."

ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ક્યાં મોકલવામાં આવી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચોથી ફેબ્રુઆરીના રોજ ઇમિગ્રન્ટ્સના સમર્થનમાં યોજાયેલી રેલીની તસવીર

તાજેતરમાં ટ્રમ્પ વહીવટીતંત્રે મોટા પાયે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરવા માટે એક ઝુંબેશ શરૂ કરી છે. જેના પગલે ગુનાહિત અને બિન-ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા હજારો લોકોની અટકાયત કરવામાં આવી છે.

બીબીસીના પત્રકારો બર્નાર્ડ ડેબુસમૅન જુનિયર અને વિલ ગ્રાન્ટના અહેવાલ મુજબ તારીખ 20 જાન્યુઆરીના રોજ ટ્રમ્પે સત્તા સંભાળી ત્યારથી શિકાગો, ન્યૂ યૉર્ક, ડેનવર અને લૉસ ઍન્જલસ જેવાં મોટાં શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા છે.

આઈ.સી.ઈ.ના ડેટા અનુસાર, ટ્રમ્પ વ્હાઇટ હાઉસ પરત ફર્યા બાદ ગણતરીના દિવસોમાં 3,500થી વધુ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરવામાં આવી છે.

જો ટ્રમ્પનાં નિવેદનોને સાચાં માનવામાં આવે તો, તેઓ ટીકાકારોને અવગણીને બધા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશમાંથી બહાર કરી દેશે.

ટ્રમ્પે ગ્વાન્ટાનામો ખાડીમાં ઇમિગ્રૅશન ડિટેન્શન સેન્ટર બનાવવાનો પણ આદેશ આપ્યો છે. એમના મતે, આ સેન્ટરમાં 30,000 લોકો રહી શકે છે.

ગ્વાન્ટાનામો ખાડીનો ઉપયોગ લાંબા સમયથી ઇમિગ્રન્ટ્સને રાખવા માટે કરવામાં આવે છે, જોકે આ પ્રથાની કેટલાક માનવ અધિકારવાદીઓએ ટીકા કરી છે.

ભારતીયો અમેરિકા જવા માટે કયા રૂટનો ઉપયોગ કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images

અગાઉ, મોટાભાગના ભારતીય ઇમિગ્રન્ટ્સ મૅક્સિકો સાથેની સંલગ્ન અને ભારે ભીડવાળી દક્ષિણ સરહદ, અલ સાલ્વાડોર અથવા નિકારાગુઆ થઈને અમેરિકામાં પ્રવેશતા હતા, આ બંને રસ્તા ઇમિગ્રૅશનને સરળ બનાવે છે.

બીબીસી પત્રકાર સરબજીત સિંહે નામ ન આપવાની વિનંતી કરતા વિવિધ એજન્ટો સાથે વાત કરીને ભારતમાંથી ઉપયોગમાં લેવાતા માનવતસ્કરીના રસ્તાઓ વિશે માહિતી એકત્રિત કરી હતી.

અહેવાલ મુજબ, ભારતીય નાગરિકો માટે નવેમ્બર-2022 સુધી અલ-સાલ્વાડોરની વિઝા-મુક્ત યાત્રાની સુવિધા હતી.

હાલનો લોકપ્રિય માર્ગ ઇક્વડોર થઈને છે, ત્યાંથી હોડી દ્વારા કોલંબિયા અને પછી પનામા પહોંચી શકાય છે.

પનામાના ખતરનાક જંગલને પાર કર્યા પછી, કોસ્ટા રિકા પહોંચે છે અને ત્યાંથી નિકારાગુઆ પહોંચી શકાય છે.

હોન્ડુરાસમાં પ્રવેશ નિકારાગુઆથી થાય છે. અહીંથી, ગ્વાટેમાલા અને મૅક્સિકો સુધી પહોંચી શકાય છે.

મૅક્સિકોમાં પહોંચ્યા બાદ યુવાઓ સીમા પાર કરીને અમેરિકામાં પ્રવેશ કરે છે.

કેટલાક એજન્ટ યુવાઓને બ્રાઝીલ અને વેનેઝુએલાના રસ્તાથી મૅક્સિકો લઈ જાય છે.

જસપાલસિંહે પનામા જંગલોની ખતરનાક સ્થિતિ વિશે સમજાવ્યું હતું. એમણે એવો દાવો કર્યો છે કે રસ્તાઓ પર મૃતદેહ પડ્યા હતા, જેમાં મહિલાઓનાં હાડપિંજર પણ સામેલ હતાં.

એમનો દાવો છે કે એમને ભૂખ્યા-તરસ્યા આ માર્ગ પર મુસાફરી કરવી પડતી હતી. કોઈ કારણવશ સમૂહનો કોઈ સભ્ય પાછળ છૂટી જાય તો બાકીના સદસ્યો એને નસીબને હવાલે છોડીને આગળ વધી જતા હતા.

ખુશપ્રીત સિંહ એમ પણ કહે છે કે પનામાનાં જંગલો પાર કરતી વખતે તેમને કહેવામાં આવ્યું હતું કે, "પાણી પીઓ અને જંગલ પાર કરો. જે પાછળ રહે છે તેણે પાછળ ફરીને પણ ન જોવું જોઈએ, બસ તમારા રસ્તે ચાલતા રહો."

ખુશપ્રીત કહે છે, "જે ડંકર સાથે ચાલી શકે તે જ પાર કરી શકે છે; જે પાછળ રહે છે, તે પાછળ જ રહી જાય છે."

આ ઉપરાંત, અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવાનો બીજો રસ્તો પણ યુરોપમાંથી પસાર થાય છે.

આ રૂટ હેઠળ, એજન્ટો પહેલા યુવાનોને સ્પેન અથવા હૉલૅન્ડ લઈ જાય છે.

આ ઉપરાંત, નવો રૂટ હવે દુબઈ થઈને અમેરિકા પહોંચવાનો છે.

હરિયાણા: 'ફટાકડા ફૂટે અને ખબર પડે'

ઇમેજ સ્રોત, Getty Images

સરબજીત સિંહ ધાલીવાલે સપ્ટેમ્બર 2024 માં હરિયાણાના 'ડૉન્કી હબ' તરીકે ઓળખાતા મોરખી ગામની મુલાકાત લીધી હતી.

જીંદ જિલ્લાના આ ગામમાં, જ્યારે કોઈ ઘરમાંથી ફટાકડા ફોડવાના અવાજો આવે છે, ત્યારે આખું ગામ સમજી જાય છે કે તે ઘરનો યુવાન, ડૉન્કી રૂટ પર વિદેશ ગયો હતો, તે તેના ગંતવ્યસ્થાને પહોંચી ગયો છે.

લગભગ છ હજારની વસ્તી ધરાવતા મોરખી ગામના ઘણા યુવાનો ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા છે.

ગ્રામજન પાલા રામના જણાવ્યા મુજબ, છેલ્લા વર્ષમાં લગભગ પાંચસો યુવાનો અમેરિકા ગયા છે અને કેટલાક હજુ પણ અનેક ત્યાં જવાના છે.

અમેરિકા જવાના કારણો અંગે પાલા રામ કહે છે, "એક તો બેરોજગારી છે. બીજું, જમીનથી આવક સતત ઘટી રહી છે, અને ત્રીજું, યુવાનોમાં પણ રોષ છે."

અમેરિકામાં કેટલા દસ્તાવેજ વગરના કામદારો છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મૅક્સિકો અને અમેરિકાની સરહદ

હૉમલૅન્ડ સુરક્ષા વિભાગ અને પ્યૂ રિસર્ચના 2022 સુધીના આંકડા મુજબ અમેરિકામાં લગભગ એક કરોડ 10 લાખ મિલિયન ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ હતા, જે કુલ વસ્તીના 3.3 ટકા હતા.

2005થી આ સંખ્યા પ્રમાણમાં સ્થિર રહી છે. જોકે પ્યૂએ ચેતવણી આપી છે કે કેટલાંક પરિબળો હજુ પણ સત્તાવાર આંકડામાંથી બાકાત રહી શકે છે. જેમકે ક્યૂબા, વેનેઝુએલા, હૈતી અને નિકારાગુઆથી પરમિટ પર આવેલા 5,00,000 પ્રવાસી.

મોટાભાગના દસ્તાવેજ વગર રહેતા ઇમિગ્રન્ટસ લાંબા સમય સુધી અમેરિકામાં રહે છે. જેમાંથી લગભગ 80 ટકા લોકો એક દાયકાથી વધારે સમયથી યુએસમાં નિવાસ કરી રહ્યા છે.

એમાંથી લગભગ અડધા ભાગના લોકો મૅક્સિકોના છે. આ પછી ગ્વાટેમાલા, અલ સાલ્વાડોર અને હૉન્ડુરાસનો નંબર આવે છે.

આ ઇમિગ્રન્ટસ છ રાજ્યોમાં રહે છે: કૅલિફૉર્નિયા, ટેક્સાસ, ફ્લૉરિડા, ન્યૂ યૉર્ક, ન્યૂ જર્સી અને ઇલિનોઇસ.

ભારતીય પ્રવાસીઓની વાત કરીએ તો 2020થી યુએસ કસ્ટમ્સ ઍન્ડ બૉર્ડર પ્રોટેકશનના અધિકારીઓએ ઉત્તરી અને દક્ષિણ સીમા પર ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરવાવાળા લગભગ 1,70,000 ભારતીય ઇમિગ્રન્ટસની અટકાયત કરી હતી.

પ્યૂ રિસર્ચ સેન્ટરના આંકડાથી ખ્યાલ આવે છે કે 2022 સુધી 7,25,000 ભારતીયો દસ્તાવેજ વગર અમેરિકામાં પ્રવેશ કરી ચૂક્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.