ઈરાન એકલા હાથે શેના દમ પર આખા અમેરિકાને હંફાવી રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો હતો. શરૂઆતના હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈ માર્યા ગયા હતા
    • લેેખક, અમીર આઝમી
    • પદ, સંપાદક, બીબીસી ન્યૂઝ ફારસી
  • વાંચવાનો સમય: 6 મિનિટ

ગયા અઠવાડિયે પ્રાઇમ ટાઇમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સંબોધનનો હેતુ ઈરાન સાથેની યુદ્ધની પરિસ્થિતિ પર તેમના નિયંત્રણને દર્શાવવાનો હતો, પરંતુ તેનાથી એક નોંધપાત્ર વિરોધાભાસ પણ ઉજાગર થયો.

અમેરિકન રાષ્ટ્રપતિએ જાહેર કર્યું કે ઈરાનની લશ્કરી ક્ષમતાઓ, તેનું નૌકાદળ, વાયુસેના, મિસાઇલ કાર્યક્રમ અને પરમાણુ સંવર્ધન સંબંધિત માળખાંનો મોટા ભાગે નાશ થયો છે. તેમણે સંઘર્ષને હવે તેના અંતિમ તબક્કામાં જતો હોવાનું જણાવ્યું.

તેમ છતાં તેમણે આગામી અઠવાડિયામાં સંઘર્ષ વધુ વધવાની ધમકી પણ આપી.

પરિણામ આવ્યું કે તેમના એ સંદેશનો સાચો સાર શું હતો એ અસ્પષ્ટ રહ્યું. ઈરાન પર જીતની જાહેરાત તો કરાઈ દેવાઈ, પરંતુ તે હજુ સુધી પ્રાપ્ત થઈ નથી.

તેમની આ ચેતવણીથી નિવેદનબાજી વધુ તેજ થઈ કે ઈરાન પર બૉમ્બમારો તેને "પાછું પાષાણ યુગમાં" લઈ જશે.

આ વાતની ઈરાનમાં સ્પષ્ટ અસર પડી છે, જેનાથી સોશિયલ મીડિયા પર ગુસ્સો ફેલાયો છે. ઈરાનમાં ટ્રમ્પના એ સમર્થકોમાં પણ અસર થઈ છે, જેઓ તેમને શાસન પરિવર્તન માટે એક એજન્ટ તરીકે જોતા હતા.

ઈરાની શાસન પર આંતરિક દબાણ વધારવાને બદલે તેમણે કેટલાક લોકોના મનમાં દેશને ઘેરી લેવાની ભાવનાને વધુ મજબૂત બનાવી છે.

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

ઈરાનમાં સત્તા પરિવર્તનના દાવા

ઇમેજ સ્રોત, Morteza Nikoubazl/NurPhoto via Getty Images

ઇમેજ કૅપ્શન, આયતુલ્લાહ અલી ખામેનેઈના પુત્ર મોજતબા ખામેનેઈને ઈરાનના નવા સર્વોચ્ચ નેતા ચૂંટવામાં આવ્યા છે (ફાઇલ ફોટો)

ટ્રમ્પે એ દાવા પર પણ ભાર મૂક્યો છે કે ઈરાનમાં ખરેખર "સત્તા પરિવર્તન" થઈ ગયું છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમનું કહેવું છે કે આ પરિવર્તન સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈની સાથે અન્ય ઘણા ટોચના અધિકારીઓ અને કમાન્ડરોની હત્યા પછી આવ્યું છે.

આનાથી ઈરાનમાં એક એવું નેતૃત્વ ઊભરી આવ્યું છે, જેને ટ્રમ્પે "ઓછું કટ્ટરપંથી અને વધુ સમજદાર" ગણાવ્યું છે.

જોકે, ટ્રમ્પના આ દાવાને સમર્થન આપવા માટે બહુ ઓછા પુરાવા છે.

તહેરાનમાં સત્તા માળખામાં કોઈ ફેરફાર થયો નથી. સુપ્રીમ લીડરનું કાર્યાલય સત્તાનું કેન્દ્ર રહ્યું છે.

જોકે, વર્તમાન પરિસ્થિતિમાં તે સ્પષ્ટ નથી કે તેનું કેટલું સીધું નિયંત્રણ છે.

પરંતુ દેશમાં ન તો સંસ્થાકીય ભંગાણ થયું છે કે ન તો વૈચારિક પરિવર્તન.

મસૂદ પેઝેશ્કિયાન હજુ પણ રાષ્ટ્રપતિ છે. મોહમ્મદ બઘર ગાલિબાફ હજુ પણ સંસદનું નેતૃત્વ કરે છે. અબ્બાસ અરાગચી વિદેશનીતિને આકાર આપી રહ્યા છે.

હુમલાઓમાં માર્યા ગયેલા કમાન્ડરો અને ઘણા અધિકારીઓનું સ્થાન એ જ વૈચારિક જૂથોએ લીધું છે, જે યુદ્ધની પરિસ્થિતિઓમાં વધુ કઠોર બન્યાં છે.

આ સત્તા પરિવર્તન કરતાં સત્તાની મજબૂતી જેવું લાગે છે. આ મજબૂતી કોઈ અણધારી નથી.

યુદ્ધમાં ઈરાનનું લક્ષ્ય પરંપરાગત અર્થમાં જીત નથી, પરંતુ અસ્તિત્વ ટકાવી રાખવાનું છે.

યુદ્ધમાં ટકી રહેવું 'વિકલ્પ નથી, પણ એક ઉદ્દેશ્ય'

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તહેરાનમાં ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સ (આઇઆરજીસી) નૌસેનાના વડા અલીરેઝા તાંગસિરીના અંતિમ સંસ્કારમાં ઊમટી પડેલી ભીડનો ફોટો

વર્ષોથી તહેરાન એ સીધા સરળ સિદ્ધાંત પર કામ કરે છે કે કોઈ વધુ શક્તિશાળી સેનાની તાકત સામે ટકી રહેવું એ સફળતા છે.

ઇઝરાયલ અને અમેરિકા સાથેના તેના લાંબા સંઘર્ષોમાં ઈરાન હંમેશાં માનતું રહ્યું છે કે કોઈ એક સાથે સંઘર્ષ થશે તો તેમાં બીજો પણ ખેંચાઈ આવશે.

આથી ઈરાન માટે "હાલમાં ટકી રહેવું" એ કોઈ વિકલ્પ નથી, પરંતુ તેનો ખરો ઉદ્દેશ્ય છે.

યુદ્ધ શરૂ થયાને એક મહિનો વીતી ગયો છે, પરંતુ ઈરાનનું કમાન્ડ માળખું કાર્યરત્ છે, તેનું સરકારી તંત્ર મજબૂત છે અને તેના વિરોધવાળી શક્તિ ભલે થોડી નબળી પડી હોય, પણ તૂટી નથી.

આ સંદર્ભમાં જોઈએ તો ઈરાનની સ્થિતિ હજુ મહત્ત્વપૂર્ણ છે.

મહત્ત્વપૂર્ણ ઊર્જા માર્ગો, ખાસ કરીને હોર્મુઝ સામુદ્રધુની પર તેનો દબદબો હજુ પણ યથાવત્ છે.

વિશ્વના ઑઇલ પુરવઠાનો લગભગ પાંચમો ભાગ આ માર્ગમાંથી પસાર થાય છે. આ જ કારણે વારંવાર હુમલાઓ છતાં ઈરાન પાસે બાબતોને બગાડવાની તેની નોંધપાત્ર શક્તિ યથાવત્ રહી છે.

આ ક્ષમતા અમેરિકા માટે એક પડકાર પેદા કરે છે.

જો અમેરિકા પીછેહઠ કરે, તો એ વાતનું જોખમ છે કે ઈરાનનો સૌથી મહત્ત્વપૂર્ણ પાઠ સાચો સાબિત થશે કે 'ટકી રહેવું કામ લાગે છે.'

જો તે યુદ્ધ ચાલુ રાખશે, તો તેને સતત વધતા ખર્ચનો સામનો કરવો પડશે અને નિર્ણાયક જીત માટે કોઈ સ્પષ્ટ રસ્તો પણ નજર નહીં આવે.

ટ્રમ્પના ભાષણમાં દેખાતી મૂંઝવણ

ઇમેજ સ્રોત, Alex Brandon-Pool/Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પ સામે પડકાર એ છે કે અમેરિકાની તાકાત પણ દર્શાવવી છે અને લાંબા યુદ્ધને ટાળવાનું છે

ટ્રમ્પના ભાષણમાં આ મૂંઝવણ દેખાય છે. યુદ્ધ ચાલુ રાખીને જીતનો દાવો કરીને, તેઓ બે વિરોધાભાસી જરૂરિયાતોને સંતુલિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

એટલે કે પોતાની શક્તિ દર્શાવવી અને લાંબા યુદ્ધમાં ફસાવવાથી બચવું.

આ માહોલમાં ટ્રમ્પના ભાષણ પહેલાં પેઝેશ્કિયાનનું એ નિવેદન છે કે ઈરાન પાસે યુદ્ધનો અંત લાવવા માટે "જરૂરી ઇચ્છાશક્તિ" છે, તે કોઈ છૂટછાટ કરતાં ગણતરીપૂર્વકની ચાલ વધુ લાગે છે.

બુધવારે સોશિયલ મીડિયા પર અમેરિકન લોકોને લખેલા તેમના ખુલ્લા પત્રમાં તેમણે પ્રશ્ન કર્યો કે શું "અમેરિકા ફર્સ્ટ" નીતિનું પાલન થઈ રહ્યું છે, અને શું અમેરિકા ઇઝરાયલના ઇશારે કામ કરી રહ્યું છે.

આનો સીધો ઉદ્દેશ્ય અમેરિકાના એ સ્થાનિક દર્શકો હતો, જે પહેલાંથી જ સંઘર્ષ અંગે ચિંતિત હતા. આ અમેરિકા પર રાજનીતિક દબાણ વધારવાનો પ્રયાસ હતો, જેથી ઈરાનને તેની વાટાઘાટની શરતોમાં કોઈ ફેરફાર ન કરવો પડે.

ઈરાનની શરતો

ઇમેજ સ્રોત, Morteza Nikoubazl/NurPhoto via Getty Images

ઇમેજ કૅપ્શન, ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને કહ્યું કે ઈરાન પાસે યુદ્ધનો અંત લાવવા માટે "જરૂરી ઇચ્છાશક્તિ" છે (ફાઇલ ફોટો)

યુદ્ધ સમાપ્ત કરવા માટે ઈરાનની સીમાઓ પહેલાં જેવી જ લાગે છે. જે કંઈક આ પ્રકારની છે,

  • સત્તાનું અસ્તિત્વ બચાવવું અને દેશના સાર્વભૌમત્વનું રક્ષણ
  • અમેરિકા અને ઇઝરાયલ તરફથી ભવિષ્યમાં કોઈ હુમલા ન થાય તેની વિશ્વસનીય ગૅરંટી
  • પ્રતિબંધોમાં સાર્થક અને એવી રાહત જે લાગુ થઈ શકે
  • પોતાની સંરક્ષણ ક્ષમતાઓને જાળવી રાખવી

અત્યાર સુધી એવા કોઈ સંકેત મળ્યા નથી કે ઈરાન આ માગણીઓ પર સમાધાન કરવા તૈયાર હોય.

પરંતુ જેમ જેમ અમેરિકા અને ઇઝરાયલી બૉમ્બમારો ચાલુ રહેશે, તેમ આ પરિસ્થિતિ બદલાઈ શકે છે.

એમાં શંકાને કોઈ સ્થાન નથી કે આનાથી ઈરાનની લશ્કરી ક્ષમતાઓ અને તેના અર્થતંત્ર પર ઊંડી અસર પડી રહી છે. યુદ્ધ શરૂ થયા પહેલાં જ તેનું અર્થતંત્ર ડામાડોળ હતું.

જો ઈરાનની વર્તમાન સત્તા યુદ્ધ પછી પણ રહે, તો તેણે આ સંકટો સામે ઝૂઝી રહેલા દેશને ફરીથી ઊભો કરવો પડશે.

પરંતુ સત્તામાં ચાલુ રહેવાનું વધુ એક ગંભીર પરિણામ આવશે. વર્ષોથી તેની પોતાની 'સંરક્ષણ ક્ષમતા' અમેરિકા કે ઇઝરાયલના કોઈ મોટા હુમલાનો ખતરો ઈરાન પર એક લગામનું કામ કરી રહ્યો છે.

જો તે સીધા મુકાબલામાંથી સહીસલામત બહાર નીકળી જાય તો ભવિષ્યમાં મળતી ધમકીઓની અસર ઓછી થઈ જશે.

આ પરિવર્તનની અસર અત્યારથી પ્રાદેશિક સમીકરણો પર દેખાવા લાગી છે.

આરબ દેશોની મૂંઝવણ

કેટલાક આરબ દેશો, જે શરૂઆતમાં યુદ્ધમાં વિરોધમાં હતા, તે હવે કથિત રીતે ટ્રમ્પને કહી રહ્યા છે કે તેઓ યુદ્ધને અધવચ્ચે ન છોડે, પણ અંજામ સુધી પહોંચાડે, નહીં તો વધુ આત્મવિશ્વાસથી ભરેલા ઈરાનનો સામનો કરવો પડી શકે છે.

તેમના મતે, યુદ્ધનું કોઈ ચોક્કસ પરિણામ ન આવવું, એ યુદ્ધ કરતાં પણ વધુ અસ્થિરતા પેદા કરી શકે છે.

આ દેશોને ડર છે કે યુદ્ધનાં પરિણામો અમેરિકા કરતાં તેમને વધુ ભોગવવાં પડશે.

આમ, અમેરિકા એક પરિચિત છતાં અત્યંત મુશ્કેલ મૂંઝવણમાં ફસાઈ ગયું છે.

જો તે યુદ્ધ છોડી દે, તો તેનાથી ઈરાનના "ટકી રહેવાના" મૉડલને સાચા સાબિત થવાનો મોકો મળી જશે.

અને જો તે યુદ્ધમાં રહે, તો તે એવા યુદ્ધમાં વધુ ઊંડે સુધી ફસાઈ શકે છે, જેનો કોઈ સ્પષ્ટ અંત દેખાતો નથી.

આ યુદ્ધમાં હજુ સુધી કોઈ "નવું ઈરાન" ઊભરીને આવ્યું નથી.

જો યુદ્ધ સમાપ્ત થયા પછી પણ પરિસ્થિતિ એવી જ રહી તો પ્રશ્ન એ થશે કે શું અમેરિકા તેના 'જીતના દાવાઓ'ને એ વાસ્તવિકતા સાથે જોડી શકશે, જેમાં તેનો દુશ્મન (જેને તેઓ બદલવા માગતા હતા) અસલમાં એવો જ રહ્યો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન